શક્તિપીઠ અંબાજીના તરફ જતાં શ્રધ્ધાળુઓ માટે અકલ્પનિય વ્યવસ્થા

અમદાવાદ: ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી તરફ જતાં તમામ માર્ગો પર હાલ માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. શક્તિપીઠ અંબાજીમાં દરવર્ષની જેમ ભાદરવી પૂનમ નિમિત્તે મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે.શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાદરવા સુદ નોમ થી ભાદરવા સુદ પૂનમ એટલે કે 1 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે. ભાદરવી પૂનમના આ મહામેળા નિમિત્તે આખુંય અંબાજી તેમજ તમામ માર્ગો પર ઉત્સવ અને ઉત્સાહનો માહોલ છે.

આ મેળાની સૌથી મોટી વિશેષતા એ છે કે અંબાજીના દેવસ્થાનના દર્શને ચારેય તરફના ગામડાં અને શહેરોમાંથી હજારો લોકો પગપાળા સંઘ સાથે પ્રસ્થાન કરે છે.કેટલાક લોકો જુદા જુદા રથમાં માતાજીની સ્થાપના કરે છે. જ્યારે કેટલાક શ્રધ્ધાળુઓ આસ્થા સાથે મંદિરના શિખર પર ચઢાવવા માટે વિશાળ ધજાઓ સાથે પગપાળા પ્રવાસ કરે છે.અંબાજી તરફ જતાં તમામ માર્ગો પર શ્રધ્ધાળુની સુવિધા માટે વિવિધ સંઘો, મંડળો અને ગામો દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ માટે કેમ્પ લાગેલા છે. જેમાં પાણી, ચા-કોફી, નાસ્તો, ભોજન, ઠંડા પીણાં, આઇસ્ક્રીમ તેમજ તાત્કાલિક સારવાર જેવી અનેક સુવિધાઓનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું છે.17 વર્ષ કરતાં પણ વધારે સમયથી અંબાજી પગપાળા સંઘમાં સેવા આપતાં નવીન પટેલ ચિત્રલેખા.કોમને કહે છે, “અમારો અમદાવાદનો અંબિકા યુવક મંડળ સંઘ છેલ્લા સત્તર વર્ષથી ઇડલી સંભાર સેવા કેમ્પ ચલાવે છે. આ વર્ષે પગપાળા જતાં લોકો માટે પટેલ ફાર્મ, શાહપુર કેમ્પ, ખેરાલુ ખાતે ઇડલી સંભાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક સેવા એજ પ્રભુ સેવા..થી ચાલતું અમારું યુવક મંડળ પદયાત્રીની સેવા કરી આનંદીત થાય છે.”

અમદાવાદના એમ.બી.એ ગૃપના મિતુલ ઠાકોર કહે છે, “અંબાજી જતાં માર્ગ પર આવેલા આંબાઘાટાના સુંદર સ્થળ પર મિત્રોએ ભેગા મળી આ વર્ષે પદયાત્રીઓ માટે છોલે પુરીને મહાપ્રસાદ રૂપે આપી. સારા લોકેશન પર કેમ્પ હોવાના કારણે અમે પગપાળા દર્શનાર્થે જતાં લોકોના ભોજનની સારી વ્યવસ્થા કરી શક્યા.”

અંબાજી શક્તિપીઠમાં આ વર્ષે મહામેળામાં દર્શનાર્થે ગયેલા પૂર્વેશ પટેલ કહે છે, “અંબાજી તરફ આવતાં તમામ માર્ગો સારા વરસાદના કારણે કુદરતી રીતે ખીલ્યા છે. લીલાંછમ ડુંગરો અને વરસાદી માહોલ વચ્ચે ભાદરવી પૂનમના મેળા માટે આવતાં પદયાત્રી શ્રધ્ધાળુ માટે અકલ્પનિય વ્યવસ્થા સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવી છે. પદયાત્રીઓ માટે ચા પાણી, નાસ્તો, ભોજન અને આરામ માટે સુંદર વ્યવસ્થા છે. અંબાજી દેવસ્થાનને પણ રોશનીથી શણગારવામાં આવ્યું છે.”

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)