શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના આશ્રમમાં બાળકોના યૌન શોષણના આરોપ

નવી દિલ્હીઃ પ્રયાગરાજના માઘ મેળાથી શરૂ થયેલો સંતો વચ્ચેનો વિવાદ હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર લાગેલા ગંભીર આરોપોથી આધ્યાત્મિક જગતમાં ખળભળાટ મચ્યો છે. માઘ મેળામાં પોલીસ સાથે થયેલી અથડામણ પછી હવે તેઓ નવી અને ગંભીર કાનૂની મુશ્કેલીમાં ઘેરાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ તેમના વિરુદ્ધ સગીરોના યૌન શોષણ (POCSO) જેવા ગંભીર આરોપો લગાવી કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે.

શું છે ગંભીર આરોપો?

જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ પ્રયાગરાજની POCSO કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં આરોપ મૂક્યો છે કે માઘ મેળા દરમિયાન બે બાળકોએ શંકરાચાર્યના કેમ્પમાં તેમની સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી આપી હતી. આ આરોપ મુજબ બાળકોને ‘ગુરુ સેવા’ને નામે લલચાવવામાં આવતા હતા. આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો છે કે તેમની પાસે આ ઘટનાથી સંબંધિત એક વિડિયો CD છે, જેને તેઓ પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરશે.

કોણ છે ફરિયાદી આશુતોષ બ્રહ્મચારી?

આશુતોષ બ્રહ્મચારી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ છે. તેઓ શામલીના પંડિત પરિવારમાંથી આવે છે. વર્ષ 2022માં તેમણે જગદ્‌ગુરુ રામભદ્રાચાર્ય પાસેથી દીક્ષા લીધી હતી. તેઓ શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુખ્ય પક્ષકાર તરીકે પણ જોડાયેલા છે.

શંકરાચાર્યનો જવાબ

“આ એક મોટું ષડયંત્ર છે. આ આરોપોને લઈને શંકરાચાર્યએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ  મામલાને સમજીવિચારીને રચાયેલું કાવતરું ગણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ તેમના વિરુદ્ધ એક દૂષિત માનસિકતાવાળું જૂથ કાર્ય કરી રહ્યું છે, જેમાં ઉત્તર પ્રદેશ સરકાર પણ સામેલ હોવાનું તેમણે આરોપ મૂક્યો છે.