અમદાવાદ: વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ રાજકીય શોકનો માહોલ છે. ત્યારે આજે વહેલી સવારે તેમના પુત્ર ઋષભ રૂપાણી ગાંધીનગર આવી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે અંજલિબહેન રૂપાણી શુક્રવારે (13 જૂને) લંડનથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા હતા, જ્યારે ઋષભ રૂપાણી શનિવારે (14 જૂને) વહેલી સવારે અમેરિકાથી ગાંધીનગર પહોંચ્યા હતા. રાજકીય નેતાઓ ગાંધીનગર ખાતે આવેલા તેમના બંગલે પહોંચી રહ્યા છે. ત્યારે દિવંગત વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે.
12 જૂને સર્જાયેલી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું કરૂણ મોત નીપજતાં તેમના વતન રાજકોટમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આજે બપોરે 2 વાગ્યા સુધી અડધો દિવસ બજારો સહિત સ્વૈચ્છિક બંધનો નિર્ણય વિવિધ સંસ્થાઓએ જાહેર કર્યો છે.
રાજકોટમાં વિવિધ સંસ્થાઓ (1) ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (2) શહેર કોંગ્રેસ સમિતિ (3) રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસિએશન (4) ગુડ્ઝ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન (5) હોલસેલ ટેક્સટાઈલ્સ મરચન્ટ એસોસિએશન (6) સર લાખાજીરાજ રોડ મરચન્ટ એસોસિએશન તેમજ અન્ય મંડળો, સંસ્થાઓએ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરીને શનિવારે તા. 14ના તમામ બજારો બપોરના 2 વાગ્યા સુધી બંધ રાખીને વિજયભાઈને શ્રધ્ધાંજલિ આપવા નિર્ણય લીધો છે અને અપીલ કરી છે.
શાળાઓ પણ બંધ
આ ઉપરાંત રાજકોટ શહેર આચાર્ય સંઘ, શહેર શાળા સંચાલક મંડળે આજે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અનધ્યયન રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે. આમ, આજે ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલો પણ બંધ રહેશે. દરમિયાન વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા તેઓ પૂર્વ મુખ્યમંત્રી હોય પૂરા પ્રોટોકોલ સાથે રાજકોટમાં યોજવામાં આવશે. રાજકોટમાં પ્રકાશ સોસાયટીમાં આવેલા તેમના ઘરથી અંતિમયાત્રા પ્રસ્થાન કરશે અને જ્યાં તેઓ મોટા થયા તે દિવાનપરા ખાતે પણ અંતિમયાત્રા પહોંચશે. આ માટે વ્યવસ્થા માટે વિવિધ ટીમો બનાવવા સહિત તૈયારીઓ શરૂ કરાઈ છે.
