કર્ણાટકમાં ધારાસભ્યોના ક્રોસ-વોટિંગથી ભાજપ હાઈકમાન્ડ નારાજ

બેંગલુરુઃ કર્ણાટકમાં સાત વિધાન પરિષદ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ઝટકો લાગ્યો છે. મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે પાંચ બેઠકો પર જીત મેળવી છે, જ્યારે ભાજપ માત્ર બે બેઠકો જ જીતી શક્યું છે. કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યો દ્વારા થયેલા ક્રોસ-વોટિંગથી ભાજપ હાઈકમાન્ડ નારાજ છે. હાઈકમાન્ડે રાજ્ય ભાજપાધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્ર, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા આર. અશોકા અને રાજ્ય પ્રભારી રાધામોહન દાસને 23 જૂને દિલ્હીમાં હાજર રહેવા માટે બોલાવ્યા છે. ખાસ વાત એ છે કે કર્ણાટકમાં એનડીએના 11 ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે, જેને કારણે ભાજપના ટોચના નેતૃત્વમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

કર્ણાટકમાં વિધાન પરિષદની સાત બેઠકો માટે મતદાન થયું હતું. સંખ્યાબળને આધારે કોંગ્રેસને ચાર બેઠકો જીતવાની શક્યતા માનવામાં આવી રહી હતી, પરંતુ ક્રોસ-વોટિંગને કારણે તેને એક બેઠકનો વધારાનો ફાયદો મળ્યો. આ ચૂંટણીમાં કુલ 222 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અને જનતા દળ (સેક્યુલર) બંને પક્ષોના કેટલાક ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું હતું, જેને કારણે કોંગ્રેસના ઉમેદવારોને અપેક્ષા કરતાં વધુ મત મળ્યા હતા.

સાત વિધાન પરિષદ બેઠકો માટેની ચૂંટણીમાં કુલ આઠ ઉમેદવારો મેદાનમાં હતા. કોંગ્રેસ તરફથી થિપ્પન્નપ્પા કામકનૂર, પી.વી. મોહન, શિવન્ના બી.એસ., બી.કે. હરિપ્રસાદ (પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ) અને વિનય કાર્તિક પ્રકાશ ઉમેદવાર હતા. ભાજપ તરફથી લિંગરાજ પાટીલ અને રઘુ આર. તેમ જ જેડીએસ તરફથી ગોવિંદરાજુ ઉમેદવાર હતા. પરિણામમાં કોંગ્રેસના પાંચેય ઉમેદવારો અને ભાજપના બંને ઉમેદવારો વિજેતા બન્યા, જ્યારે જેડીએસના ગોવિંદરાજુને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ભાજપમાંથી બહાર કરાયેલા ત્રણ ધારાસભ્યોમાંથી બે — એસ.ટી. સોમશેખર અને શિવરામ હેબ્બાર — એ ક્રોસ-વોટિંગ કર્યું હતું. મતદાન પૂર્ણ થયા બાદ બંને ધારાસભ્યોએ જણાવ્યું કે તેમણે પોતાના અંતરાત્માના અવાજને અનુસરીને મત આપ્યો હતો.