ફરી શરૂ થશે ‘ખઝાના – ગઝલ મહોત્સવ’

દંતકથાસમાન ગઝલગાયક પંકજ ઉધાસની આગેવાની હેઠળ સુપ્રસિદ્ધ ગાયકો દ્વારા પ્રસ્તુત બે-દિવસીય ‘ખઝાના, ગઝલ મહોત્સવ’નું આગામી 29 અને 30 જુલાઈએ મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તારની ટ્રાઈડેન્ટ હોટેલમાં આયોજન કરવામાં આવશે. કોરોનાવાઈરસ મહામારીને કારણે આ કાર્યક્રમ છેલ્લા બે વર્ષ બંધ રખાયો હતો.

(ડાબેથી જમણે) સુદીપ બેનરજી, પંકજ ઉધાસ, રેખા ભારદ્વાજ, અનુપ જલોટા. ‘ખઝાના, ફેસ્ટિવલ ઓફ ગઝલ્સ’ કાર્યક્રમ 21 વર્ષ પહેલાં આ જ હોટેલમાં શરૂ કરવામાં આવ્યો હતો. થેલેસેમિક બાળકો અને કેન્સરના દર્દીઓ માટે ભંડોળ એકત્ર કરવાના ઉમદા હેતુસર આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

પંકજ ઉધાસે પત્રકારોને જણાવ્યું હતું કે આ વર્ષનો કાર્યક્રમ દિવંગત ભારત રત્ન લતા મંગેશકરને સમર્પિત હશે. કાર્યક્રમનું આયોજન કેન્સર પેશન્ટ્સ એઈડ એસોસિએશન અને પેરેન્ટ્સ એસોસિએશન થેલેસેમિક યુનિટ ટ્રસ્ટની સહાયતામાં કરાશે.

કાર્યક્રમમાં પહેલા દિવસે પંકજ ઉધાસ ઉપરાંત રેખા ભારદ્વાજ, તલત અઝીઝ, રાહુલ દેશપાંડે, પ્રિયંકા બર્વે, પૂજા ગાઈટોન્ડે, સુરેન્દ્રકુમાર રાવલ, સ્નેહા અસ્તુનકર, હિમાંગી ભાગ લેશે. બીજા દિવસે અનુપ જલોટા, હરિહરન, વિશાલ ભારદ્વાજ, સુદીપ બેનરજી, પ્રતિભાસિંહ બાઘેલ, અપરાજિતા લાહિરી, ઘનશ્યામ અને શિવાની વાસવાની, રુના રિઝવી શિવામણી ભાગ લેશે.

પંકજ ઉધાસે કહ્યું કે કાર્યક્રમમાંથી થનારી આવક થેલેસેમીક બાળકો અને કેન્સર દર્દીઓની સારવારમાં મદદરૂપ થવા માટે ચેરિટી રૂપે દાનમાં આપવામાં આવશે.

(તસવીરોઃ દીપક ધુરી)