ચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ

(કેતન ત્રિવેદી)

તાજેતરમાં જ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવાઈ ગયો જેમાં પૃથ્વીની જૈવિક અને વાનસ્પતિક, તેમજ નદી, સરોવર, સમુદ્ર જેવી વિવિધતાઓની સાચવણી અને સંવર્ધનની હિમાયત કરવામાં આવી.

કુદરતના સંતાન જેવા ફૂલ, ફળ, વૃક્ષો, પંખીઓ,પશુઓ અરે! જીવજંતુઓમાં મેઘધનુષી રંગની વિવિધતા જોવા મળે છે.

પ્રકૃતિની આવી જ એક અજાયબી સમાન છે ‘ચિલોત્રો’ (અથવા ચિલોતરો) જેવા વિચિત્ર નામે ઓળખાતું પક્ષી જે વડોદરા શહેરમાં ખાસ કરીને રાજમહેલની આસપાસની ગીચ વનરાજીમાં જોવા મળે છે. વડોદરાના વન્યજીવ તસવીરકાર ડો.રાહુલ ભાગવતે ઠેરઠેર ઘૂમીને વિવિધ પ્રજાતિના ચિલોતરાની સરસ છબીઓ લીધી છે.

ચિલોત્રો, જેને અંગ્રેજીમાં ‘હોર્નબિલ’ કહે છે એ પક્ષી અન્ય પક્ષીઓની સરખામણીમાં ઘણું મોટું, આકર્ષક કે સુંદર ન કહી શકાય તો પણ ધ્યાન ખેંચનારું પક્ષી છે. એની લાંબી અને કંઈક અંશે અર્ધચંદ્રાકાર ચાંચની ઉપર શિંગડા જેવો ઉપસેલો ભાગ જોવા મળે છે જેને લીધે અંગ્રેજીમાં કદાચ આ પક્ષીનું હોર્ન (શિંગડું) બિલ નામ પડ્યું હશે.

વડોદરાના ડો.રાહુલ ભાગવતને પક્ષીજગત માટેના ફોટોગ્રાફી કન્સલ્ટન્ટ તરીકે ઓળખાવી શકાય કારણ કે તેમણે દેશના પહોંચાય એ ખૂણે જઈને આ પાંખાળા દેવદૂતોની આંખ ઠરે તેવી તસવીરો ખૂબ રખડી રખડીને અને ધીરજપૂર્વક પ્રતીક્ષા કરીને લીધી છે.

હોર્નબિલના જે પ્રકાર ભારતમાં જોવા મળે છે તેની વિવિધતાને તેમણે કેમેરામાં ક્લિક કરી છે. ફોટોગ્રાફીની સાથે ડો.રાહુલ પક્ષીઓની જીવનશૈલી અને ખાસિયતોનું ઝીણું નિરીક્ષણ પણ કરે છે અને જરૂરી જાણકારી પણ મેળવે છે.

ચિલોત્રો પક્ષીઓમાં નર-માદાની એકબીજા પ્રત્યેની વફાદારી અજોડ છે તેવી જાણકારી આપતાં ડો.રાહુલ જણાવે છે કે તેઓ હંમેશાં જોડી જાળવે છે અને જોડીમાં જ ફરે છે.

તેની બીજી એક ખાસિયત ઈંડાના સેવન અને બચ્ચાની કાળજી લેવાની છે. જ્યારે માદા ઈંડા મૂકે ત્યારે તે પોતાના માળાને ફક્ત નર પક્ષી એની ચાંચ ઘુસાડી શકે તેટલી જગ્યા રાખીને ચારે તરફથી સજ્જડ બંધ કરી લે છે.

પ્રકૃતિની અનોખી ભેટ જેવું પક્ષી ચિલોત્રો : આપણા પર્યાવરણની મેઘધનુષી વિવિધતા

▪️ ઘટી રહેલા ગાઢ જંગલોને લીધે આ પક્ષીને હવે નાછૂટકે શહેરી વિસ્તારોમાં સઘન વનરાજી હોય ત્યાં પણ વસવાટ કરવો પડે છે

▪️ બચ્ચાની દેખરેખ માટે માદા જેલ જેવા બંધ માળામાં ત્રણેક મહિના સુધી રહે છે

▪️ વડોદરાના વન્યજીવ તસવીરકાર ડો.રાહુલ ભાગવતે વિવિધ પ્રજાતિના ચિલોત્રો પક્ષીઓની તસવીરો પાડી છે

તે પછી લગભગ ત્રણ મહિના સુધી માદા સતત આ માળામાં બચ્ચાઓ સાથે બંધ રહે છે. નર પક્ષી રોજ  ખોરાક લાવી બારીમાંથી ચાંચ માળામાં નાંખી માદાને આપે છે. માદા આ માળાને અંદરથી તોડી શકતી નથી એટલે જો નર આ સમયગાળામાં કોઈનો શિકાર બની જાય તો માદા અને બચ્ચાં માળામાં મૃત્યુ વહોરી લે છે.

લગભગ ત્રણ મહિના પછી નર માળો તોડી માદાને બહાર કાઢે છે. પછી પાછી બારી રાખી માળાને જડબેસલાક બંધ કરી દે છે અને બચ્ચાઓ અંદર સુરક્ષિત રહે છે. આખરે બચ્ચા પુખ્ત અને ઉડવા યોગ્ય થાય ત્યારે તેમને બહાર લાવવામાં આવે છે.

આ પક્ષી ઘેઘૂર ઝાડોની મોટી બખોલોમાં માળા બાંધવાનું પસંદ કરે છે એટલે મોટો ભાગે આવા વૃક્ષો ધરાવતા ઘોર જંગલમાં વસે છે. જો કે જંગલો પાંખા થવાને લીધે હવે વડોદરા જેવા મહાનગરોમાં સઘન હરિયાળીવાળા વિસ્તારોના મહાકાય વૃક્ષોમાં તેમને વસવાટ કર્યો છે. વડોદરાના રાજમહેલની આસપાસની ગીચ ઝાડીઓમાં તેને જોઈ શકાય છે.

અગાઉ ગીરના જંગલોમાં તેની ખૂબ વસતી હતી પરંતુ એક ગેરમાન્યતાને લીધે આ પક્ષી જોખમમાં મુકાયું હતું. જો કે હવે જનજાગૃતિને લીધે તેને નવજીવન મળ્યું છે.

ચિલોત્રો એટલે કે ધનેશ પક્ષી જગતમાં ખૂબ આગવી શરીર રચના ધરાવે છે એવી જાણકારી આપતાં ડો.રાહુલ ભાગવત કહે છે કે ભારતીય ઉપખંડમાં અને ભારતમાં તેની પ્રજાતિઓ, શરીરના રંગ અને કદની વિવિધતા જોવા મળે છે જેમ કે ગ્રે હોર્નબિલ, મલાબાર પાઈડ હોર્નબિલ, રૂફુસ નેક હોર્નબિલ, માલાબાર હોર્નબિલ અને ગ્રેટ હોર્નબિલ ઇત્યાદિ એકથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. જો કે નિષ્ણાત પક્ષીવિદો આ બાબતમાં વધુ કહી શકે.

એની ઉડવાની શૈલી પણ ખૂબ રસપ્રદ છે.પાંખ વિંઝયા પછી પહોળી રાખી હવામાં ગ્લાઇડિંગ કરતું હોય તેમ ઉડે. ફરીથી પાંખ વીંઝે ત્યારે એનો ફફડાટ દૂર સુધી સંભળાય.

વિવિધ પ્રકારના, વડના ટેટાં, અંજીરના ફળ, જંગલી ફળ, જીવજંતુ એનો ખોરાક છે.

આ વૃક્ષચર પક્ષી છે જે ક્યારેક જ જમીન પર પડેલા ફળ, ટેટાં કે જીવડાં ખાવા ઉતરે છે. વડ જેવા ઘેઘૂર વૃક્ષોમાં રહેવાનું તેને પસંદ છે. વૃક્ષોની સંખ્યા ખૂબ હોય તો ટોળામાં પણ જોવા મળે છે. તેનો અવાજ સમડી જેવો કર્કશ છે. રાખોડી ચિલોત્રો તળ ગુજરાતનો સ્થાયી નિવાસી છે. દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળે છે.

પર્યાવરણ અનેક સજીવ આશ્ચર્યોથી ભરપુર છે. વિવિધતા એ પ્રકૃતિની વિશેષતા છે અને ચિલોત્રો સહિતના પક્ષી અને વનસ્પતિઓની, જંગલોની જાળવણીથી જ આ વિશ્વની પ્રાકૃતિક વિશેષતા સચવાશે.

(તસવીરો ડો.રાહુલ ભાગવત)