કોણે શું કહ્યું, કેન્દ્રીય બજેટ વિશે?, જાણો…

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગઈ કાલે રજૂ કરેલા વચગાળાના બજેટ પર ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આપેલા બજેટ પરના પ્રતિભાવો નીચે મુજબ છે. આ કેન્દ્રીય બજેટ વિશે કોણે શું કહ્યું? બજેટ વિશે આર્થિક જગતના નિષ્ણાતોએ આપેલા પ્રતિભાવો આ મુજબ છે…

ગૌરવ મશરૂવાલા (આર્થિક વિશ્લેષક)

નાણાપ્રધાને બજેટમાં સૌથી દૂધ ઉત્પાદક દેશનો ઉલ્લેખ કર્યો છે, જે કૃષ્ણ ભગવાનની વાત છે. શ્રીરામ અને શ્રીકૃષ્ણ તો વિષ્ણુ ભગવાનના અવતાર છે. સરકારે ગરીબના જનકલ્યાણની વાત કરી છે. સરકારે મહિલા સશક્તીકરણની વાત કરી છે. સરકારે આખું બજેટ ભગવાનને સમર્પિત છે. બજેટમાં પૂરા દેશની વાત છે. ભારત માતા પર ગર્વ છે અને G20માં પણ વસુધૈવ કુટુંબકમની વાત હતી. આમ સરકાર સૌનો સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસની વાત કરે છે.

કમલ બંસલ, MD-GVFL

નાણાં મંત્રીએ ઇનોવેશનને વાસ્તવમાં વિકાસનો પાયો ગણાવ્યો છે અને યુવાનોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટેની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે. લાંબા ગાળાની મુદત સાથે નીચા અથવા વ્યાજમુક્ત ધિરાણ આપવા રૂ. 1 લાખ કરોડની ફાળવણી ખાનગી ક્ષેત્રની ઉભરતી કંપનીઓને રિસર્ચ અને ઇનોવેશન માટે પ્રોત્સાહન પૂરુ પાડશે. આ પહેલ સ્ટાર્ટઅપ્સ અને યુવા ઇનોવેટર્સ માટે ખૂબ લાભદાયી બનશે. સ્ટાર્ટઅપ્સ અને સોવરિન વેલ્થ તથા પેન્શન ફંડ્સ દ્વારા થતાં રોકાણો પર એક વર્ષ સુધી કર લાભો લંબાવવાની જાહેરાત કરવેરામાં સાતત્ય પ્રદાન કરશે.

આર. મુકુંદન, MD, CEO ટાટા કેમિકલ્સ લિ.

વચગાળાનું બજેટ એ 2047ના વિકસિત ભારતનું વિઝન છે. એ જનકેન્દ્રિત, વૈવિધ્યકરણ અને ભારતની વિકાસની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે, જેનાથી દરેક ભારતીય રાષ્ટ્રીય વિકાસમાં સક્રિય ભાગીદાર બની જાય છે.

બજેટમાં જાહેર કરવામાં આવેલી બાયો-મેન્યુફેક્ચરિંગ અને બાયો—ફાઉન્ડરી યોજનાથી ભારતના ગ્રીન ગ્રોથ મિશનને વેગ મળે છે. આ પહેલ લાંબા ગાળાના 2070ના ઝીરો પ્રદૂષણના લક્ષ્યને ટેકો આપે છે. રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મથી પ્રેરિત થઈને સરકાર ઈ-વેહિકલ ઇકોસિસ્ટમનને મજબૂત કરી રહી છે. જે ભારતના મેન્યુફેક્ચરિંગ હબના લક્ષ્યને સિદ્ધ કરશે. બજેટ આર્થિક નીતિઓ પર કેન્દ્રિત છે, જે પાછલા દાયકામાં અર્થતંત્રમાં થયેલાં પરિવર્તનોને પ્રોત્સાહન આપશે.

 

ડો. મંજુલા પૂજા શ્રોફ, ફાઉન્ડર અને MD-કેલોરેક્સ ગ્રુપ

બજેટ ફોકસ સામાજિક કલ્યાણ અને વિકાસની તકો મારફત લોકોને ખાસ કરીને મહિલાઓ અને યુવાનોને સશક્ત બનાવવા પર છે. દેશની આર્થિક ગતિવિધિઓમાં મહિલાઓનું યોગદાન વધારવા મહિલા ઉદ્યોગસાહસિકો માટે આર્થિક સહાયરૂપે ફંડિંગની ઉપલબ્ધતાને વેગ આપતાં પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. સર્વાઈકલ કેન્સર માટે રસીકરણ, માતૃત્વ અને બાળસંભાળ કાર્યક્રમો, મેડિકલ કોલેજોની સંખ્યામાં વધારો, આંગણવાડી કેન્દ્રોના અપગ્રેડેશન સંબંધિત જાહેરાતો સરકારની આરોગ્ય સંભાળ અને પોષણ વિતરણમાં સુધારો કરવાની પ્રતિબદ્ધતા રજૂ કરે છે. વધુમાં, યુવાનો માટે નવી તકોનાં દ્વાર ખોલતાં ઉભરતા સ્ટાર્ટઅપમાં રિસર્ચ અને ઈનોવેશનને વેગ આપવા લાંબા ગાળાની મુદત સાથે વ્યાજમુક્ત ધિરાણ આપવા રૂ. 1 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

રાજીવ ભાટિયા, એનાલિટિક્સ સોલ્યુશન્સના પ્રેસિડન્ટ અને કન્ટ્રી હેડ

હું નાણાપ્રધાનને વચગાળાના બજેટ માટે શુભેચ્છાઓ આપું છું, જેમણે ગયા વખતના બજેટ પર આધારિત છે. બજેટમાં વિકાસ સાધવા માટે, ઉત્પાદકતામાં સુધારો કરવા અને સૌકોઈ માટે તક ઊભી કરવાની નીતિઓને અપનાવતાં નાણાપ્રધાને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બજેટે વિકાસને વેગ આપવા રિસર્ચ અને સંશોધનની ઓળખ કરી છે. તેમણે બજટમાં આર્થિક વિકાસને વેગ આપવા માટે વિવિધ ક્ષેત્રોમાં મૂડીરોકાણની સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે યુવાઓ માટે લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે રૂ. એક લાખ કરોડનું ફંડ ઊભું કર્યું છે, જેથી રિસર્ચ અને ઇન્નોવેશનને પ્રોત્સાહન મળશે અને સરકારના આત્મનિર્ભરતાને ટેકો પૂરો પાડશે.

યતિન ગુપ્તા, CMD-વોર્ડવિઝાર્ડ ઇન્નોવેશન એન્ડ મોબિલિટી લિ.

અમે ઈ-વેહિકલ ઇકોસિસ્ટમને અગ્રણી ઉદ્યોગ બનાવવા માટે અને એક દૂરંદેશી દિશા આપવા માટે નાણાપ્રધાનને શુભેચ્છાઓ આપીએ છે. ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને સુરક્ષિત પેમેન્ટ પદ્ધતિને લાગુ કરવાથી ઉદ્યોગને વેગ આપવામાં મદદ મળશે. પર્યાવરણ પ્રત્યે જાગરુકતા અપનાવાયેલો દૂરંદેશી દ્રષ્ટિકોણ અમારી અપેક્ષા મુજબનો છે.

દિલિપ ઓમ્મેન, AM/NS Indiaના CEO અને ઇન્ડિયન સ્ટીલ એસોસિએશનના પ્રેસિડન્ટ

“આ વચગાળાનું બજેટ રાજકોષીય સમજદારી અને સારી રીતે સંતુલિત અભિગમ સાથે રજૂ કરવામાં આવ્યું છે. જે જુલાઈમાં જાહેર થનારા બજેટ માટે શુભ સંકેત આપે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો મૂડી ખર્ચ (કેપેક્સ)માં 11.1 ટકાનો વધારો કર્યો છે, જે કુલ ખર્ચ રૂ. 11.1 લાખ કરોડ સુધી લઈ જશે. જોકે આપણે નાણાકીય વર્ષ 2023-24માં સંભવિત ખર્ચ પર નજર કરીએ તો તે લગભગ 9.5 લાખ કરોડ રૂપિયા હતો. તેથી તે વાસ્તવિક દ્રષ્ટિએ લગભગ 17 ટકા વધારો દર્શાવે છે. પરિણામે, સ્થાનિક સ્ટીલની મજબૂત માગ, ખાનગી રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન મળશે. – ડિજિટલ, સામાજિક અને ભૌતિક – એમ તમામ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અભૂતપૂર્વ ગતિએ સ્થાપિત કરવાની બાબતને કેન્દ્રમાં રાખવું તે આશાસ્પદ છે. નાણાકીય વર્ષ 24-25 માટે રાજકોષીય ખાધ લક્ષ્યાંક 5.1 ટકા અને રાજકોષીય ખાધ પર સમજદારીભર્યુ વલણ ખરેખર પ્રશંસનીય છે.

 

પિંકેશ કોટેચા, MD, ચેરમેન- ઇશાન ટેક્નોલોજીસ

વચગાળાનું બજેટ નાણાકીય વર્ષ 24-25નું વિસ્તૃત અવલોકન દર્શાવે છે. અમે અપસ્કિલિંગ અને રિસ્કિલિંગના માધ્યમથી યુવાઓને સશક્ત બનાવવા પર સરકારની પહેલની પ્રશંસા કરીએ છીએ. વધુમાં IITs, IIITs, and IIMsની  સ્થાપના IT ક્ષેત્રમાં એક કુશળ પ્રતિભા બનાવવાની દિશામાં એક આશાસ્પદ પગલું છે. જે AIના યુગમાં જરૂરી બાબત દર્શાવે છે.

IT ક્ષેત્રમાં MSME તરીકે કંપની MSMEના વિકાસ અને વૈશ્વિક હરીફાઈ માટે ફાઇનાન્સ, ટેક્નોલોજી અને તાલીમના મહત્ત્વ માટે સરકારના પગલાંની પ્રશંસા કરે છે, જે MSME ઇકોસિસ્ટમ સકારાત્મક અસર કરશે.

દિનેશ ખારા, ચેરમેન, SBI

વચગાળાનું બજેટ નાણાકીય વર્ષ 2026માં 4.5 ટકાની રાજકોષીય ખાધને કાબૂમાં રાખવા માટેનું સ્તુત્ય પગલું છે, જે કોરોના વાઇરસના વર્ષને છોડીને નાણાકીય વર્ષ 2024માં ટેક્સ વસૂલાતમાં આવેલો ઉછાળો સાત વર્ષોમાં સૌથી વધુ છે. આ સિવાય બજેટ પ્રત્યેક ભારતીય માટે એક તક સાધવા માટેનો રોડમેપ તૈયાર કરી આપ્યો છે, ખાસ કરીને સીમાંત અને નબળા વર્ગના લોકો, ઉદ્યોગ સાહસિકો અને મહિલાઓ માટે. જેનાથી તેઓ વિકસિત ભારતમાં ઇક્વિટીહોલ્ડર બની ગયા છે.

 અમર અંબાણી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, યસ સિક્યોરિટીઝ

લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલાં વચગાળાના બજેટ માટે નાણાં મંત્રીએ મોટા ભાગે વિકાસનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. બજેટ મોટા ભાગે લોકપ્રિય નથી. વર્ષ ૨૦૨૫ માટે નાણાકીય ખાધનો લક્ષ્યાંક અપેક્ષિત ૫.૫ ટકાની સામે ૫.૧ ટકાનો રાખવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૬માં ૪.૬ ટકાની નાણાકીય ખાધ પ્રાપ્ત કરવાની પ્રતિબદ્ધતા વૈશ્વિક સૂચકાંકોમાં ભારતીય બોન્ડ્સનો સમાવેશ જોતાં આવશ્યક લાગતી હતી. અન્ય આકર્ષિત કરતાં મુદ્દાઓમાં આગામી પાંચ વર્ષમાં પીએમ આવાસ યોજના ગ્રામિણ સ્તરે બે કરોડ પરવડે તેવાં ઘરોનો વધારાનો લક્ષ્યાંક સામેલ છે, જેમાં સાડાત્રણ કરોડ ઘરો પૂર્ણ થવાની નજીક છે. ઉપરાંત, રાજ્યોને સતત વ્યાજ મુક્ત લોન આપવી અને મૂડીખર્ચ કરવાથી જબરદસ્ત ગ્રોથ થશે.

દિનેશ ઠક્કર, CMD, ટ્રેડબુલ્સ સિક્યુરિટીઝ

નાણાપ્રધાને વચગાળાના બજેટમાં કોઈ નોંધપાત્ર જાહેરાત કરી ન હતી. નાણાકીય વર્ષ 25 માટે 5.1 ટકા રાજકોષીય ખાધનો અંદાજ જાળવી રાખવામાં આવ્યો હતો. ત્યાં કોઈ નોંધપાત્ર આવકવેરાની જાહેરાતો કરવામાં આવી ન હતી, જે ફરીથી રાજકોષીય સમજદારી તરફ નિર્દેશ કરે છે. પરંતુ FMએ બજેટરી કોન્સોલિડેશન માટે એક પડકારજનક ધ્યેય નક્કી કર્યું. અંદાજિત 5.3 ટકા રાજકોષીય ખાધ સામે, FY25 માટે 5.1 ટકા લક્ષ્ય જાહેર કર્યું છે, જે આખરે વધુ આર્થિક વૃદ્ધિમાં મદદ કરશે. FY24માં 5.9 ટકાના લક્ષ્યની તુલનામાં 5.8 ટકાનું ટાર્ગેટ હાંસલ થઈ શક્યું છે.

 

રોનક ચિરિપાલ, પ્રમોટર,  ચિરિપાલ ગ્રુપ.

નિકાસકારો માટે સાનુકૂળ વાતાવરણ પ્રદાન કરીને કર દરો અને અપરિવર્તિત નિકાસ જકાત જાળવી રાખવાના નિર્ણય પ્રશંસા પાત્ર છે. નવી સૌર ઉર્જા નીતિ હેઠળ એક કરોડથી વધુ ઘરોને મફત વીજળીની ફાળવણી એ અમારા સમૂહની “ગ્રુપ એનર્જીી” જેવી નવીનીકરણીય ઊર્જા કંપનીઓ માટે વરદાનનો સંકેત આપે છે. સંશોધન અને નવીનતા પર ભાર, વધતા મૂડી ખર્ચ અને ઘટેલા રાજકોષીય ખાધ લક્ષ્યાંકો સાથે, ભારતના આર્થિક માર્ગ માટે સારી નિશાની છે. રેલવે, એરપોર્ટ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઝડપ ફોકસ, આપણા રાષ્ટ્રની વૃદ્ધિની મહત્વાકાંક્ષાઓ સાથે સંરેખિત છે. 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન લક્ષ્ય હાંસલ કરવાની ભારતની પ્રતિબદ્ધતા સાથે ભાગીદારી કરવા માટે અમે ઉત્સાહી છીએ.

નિશા સંઘવી (આર્થિક વિશ્લેષક)

નાણાપ્રધાને રાજકોષીય ખાધ 5.8 ટકા છે, જેને ઓછી કરવાની જરૂર છે. જે આવનારા વર્ષ 2024-25માં 4.6 ટકા લાવવાની વાત છે, એ ઘણી સારી બાબત છે. સર્વાઇકલ કેન્સર માટે માટેના રસીકરણ ખાસ કરીને – નવથી 14 વર્ષ માટેની યુવા છોકરીઓ ઉપલબ્ધ કરાવવામાં ઓઆવશે એ ઘણી સારી વાત છે. એ સિવાય મહિલાઓની ભાગીદારી વર્કફોર્સમાં વધશે, જે લોકસભામાં પણ કરવામાં એક તૃતીયાંશ કરવામાં આવ્યું છે, જે બેટી પઢાવો, બેટી બચાવોમાં એને પ્રોત્સાહન મળશે. એ સિવાય આંગનવાડી, આશા અને હેલ્પર્સવાળા બહેનોને આયુષ્માન યોજનાનો લાભ મળશે, જે ઘણી સારી વાત છે.

વિરલ ભટ્ટ (આર્થિક બાબતોના નિષ્ણાત)

જુલાઈમાં સંપૂર્ણ બજેટ આવશે, એનું આ વચગાળાનું બજેટ ટ્રેલર જેવું છે, નાણાપ્રધાને આવતાં પાંચ વર્ષની ઝલક આ બજેટમાં દેખાય છે. સરકારે જે વચનો આપ્યાં હતાં એને પૂરાં કર્યાં છે. સરકારે મધ્યમ વર્ગ માટે ઘર માટેની યોજના છે, એ ઘણી સારી છે. નાણાપ્રધાને FDIની નવી વ્યાખ્યા આપી છે- જે ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા. આ અમૃતકાળ છે, આપણે વિકસિત ભારત બનવા તરફ જઈ રહ્યા છે, જે નાણાપ્રધાને એ માટેનો રોડમેપ નક્કી કર્યો છે.

ફોરમ શાહ (આર્થિક બાબતોના નિષ્ણાત)

નાણાપ્રધાને રજૂ કરેલું બજેટ એ WWW- વોટ, વેન્ટ અને વેલ. મોદી સરકારે જે યોજનાઓ ઘડી હતી, એ સરકારે આવતા 25 વર્ષોમાં સરકાર શું કરવા ઇચ્છે છે, એના માટે નાણાપ્રધાન બજેટમાં દ્રષ્ટિકોણ દર્શાવ્યો છે. સરકારે ત્રણ Dની વાત કરી, જેમાં DDD એટલે ડેમોક્રસી, ડેમોગ્રાફી અને ડાયવર્સિટી. સરકારે વિવિધતાની વાત કરી છે, સરકારે આવતાં પાંચ વર્ષમાં એ યોજનાઓ ઘડી છે, એનો ઉદ્દેશ એક જ છે કે દેશ પ્રગતિ અને વિકાસ કરે.

 

રાશિ છેડા, આર્થિક બાબતોના નિષ્ણાત, મુંબઈ

સરકારે વચગાળા બજેટમાં મહિલાઓ, ખેડૂતો, યુવા અને ગરીબોની વાત કરી હતી. સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. સરકારે મહિલા સશક્તીકરણની વાત કરી છે, ખાસ કરીને લખપતિ દીદી યોજનાની વાત કરી છે. સરકાર ગ્રામીણ મહિલાઓને આગળ વધારવાની વાત કરી છે. સરકારે 28 ટકા યુવતીઓને ઉચ્ચ અભ્યાસ માટે તૈયાર થઈ રહી છે. સરકારે યુવાઓ માટે 340 યુનિવર્સિટી તૈયાર કરી છે, જેમાં IIT, IIM શરૂ કરી છે, જેના દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ટર પર ફોકસ કર્યું છે, જે સારી વાત છે. સરકારે ખેડૂતો માટે MSP વધારી છે અને પાક વીમો પણ વધારો છે, જેથી ખેડૂતોની આત્મહત્યા કરવાની ઘટનામાં ઘટાડો થયો છે. સરકાર વિકસિત ભારતનો રોડમેપ બનાવી રહી છે.

ભારતી પંજાબી (આર્થિક બાબતોના નિષ્ણાત)

સરકારે સરળ બજેટ રજૂ કર્યું છે,  તેમણે ઓછા સમયમાં ઘણુંબધું બતાવ્યું છે કે કઈ રીતે દેશમાં છેલ્લા 10 વર્ષમાં વિકાસ થયો છે. આ સાથે તેમણે આગામી યોજનાઓ પર પરણ પ્રકાશ ફેંક્યો છે. સરકારે બજેટમાં મહિલાઓ માટે કરેલી કામગીરી અને આગામી યોજનાઓ માટે જણાવ્યું છે. સરકારે લખપતિ દીદી યોજનાઓનું લક્ષ્ય ત્રણ કરોડ નિર્ધારિત કર્યું છે. સરકાર વંદે ભારત યોજના હેઠળ 40,000 ડબ્બા બનાવવાની જાહેરાત કરી છે, એ સારી વાત છે. સરકાર ટુરિઝને વેગ આપશે. સરકાર કરમાળખાનું સરળીકરણ કર્યું છે, જે આવકારદાયક પગલું છે.

 

એ. બાલસુબ્રમણિયન, આદિત્ય બિરલા સન લાઈફ AMCના MD, CEO

નાણાપ્રધાને જાહેર કરેલા વચગાળાના બજેટમાં સ્પષ્ટ નિર્દેશ છે કે સરકારે ફિસ્કલ (રાજકોષીય) ખાધમાં અને દેવાંમાં ઘટાડો કરવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ, વપરાશ અને મૂડી ખર્ચ પર ફોકસ કર્યું છે. નાણાકીય વર્ષ 2025માં નાણાકીય ખાધ જીડીપીના 5.1 ટકા સુધી અંદાજીને સરકારે નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવાનો માર્ગ પકડી રાખ્યો છે. ટેકનોલોજીના ખર્ચ માટે યુવાનોને વ્યાજમુક્ત લોન આપવાનું પગલું વિકાસને વેગ આપશે. કૃષિ અર્થતંત્ર પર ફોકસ કરાયું છે એથી વપરાશ વધશે.

કૌસ્તુભ ગુપ્તા, આદિત્ય બિરલા સનલાઇફ AMCના કો-હેડ ફિક્સ્ડ ઇન્કમ
આ અંદાજપત્રનું જમા પાસું એ છે કે સરકારને ફુગાવામાં વધારો કર્યા વિના લાંબા ગાળાનો વિકાસ કરવાનો વિશ્વાસ છે, તેમ છતાં તેણે સંયમિત અંદાજો મૂક્યા છે. માથે ચૂંટણીઓ હોવા છતાં તેણે લોકપ્રિય પગલાં લેવાનું ટાળ્યું છે. અમે માનીએ છીએ કે બેન્ચમાર્ક યિલ્ડ 6.5 ટકા પ્રતિનું રહેશે.

મહેશ પાટીલ, આદિત્ય બિરલા સનલાઇફ AMCના CIO
સરકારે આ બજેટમાં ભારે નાણાકીય શાણપણ દાખવ્યું છે. ખર્ચમાં પણ ઝુકાવ મૂડીખર્ચ પ્રતિ છે, જે વાર્ષિક ધોરણે 17 ટકાના દરે વધશે. માર્કેટ બોરોઇંગ રૂ.11.75 લાખ કરોડ રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે તે બજારની અપેક્ષા પ્રમાણેનો છે. બોન્ડ્સ માર્કેટની દ્રષ્ટિએ બજેટ સારું છે, પરંતુ ઈક્વિટી બજારની દ્રષ્ટિએ બજેટ તટસ્થ છે, કારણ કે કંપનીઓની કમાણીમાં કોઈ મોટો ફેરફાર થવાનો નથી.