કોંગ્રેસના આ નેતા ચડિયાતા ગાય પ્રેમી છે…

અમદાવાદ-  ગાય એ આપણી માતા છે, અને ગૌ હત્યા એ પાપ છે, એ વાત આમ તો ભાજપના નેતાઓ વારે ઘડીએ છાપરે ચડીને પોકારતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગૌ હત્યાને લગતા બનાવોમાં પણ કહેવાતા ગૌરક્ષકોની ભૂમિકાને લઈને વિવાદ થતાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે ટિપ્પણી કરીને મામલો શાંત પાડવો પડયો હતો.

જો કે, વાત જો ગાયની સાચવણી કે, ગાયના પાલનની હોય તો ભાજપના અમૂક નેતાઓને પણ શરમ આવે એવું કામ કોંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી કરી રહ્યાં છે. પરેશભાઈ જ્યારે પણ અમરેલીથી બહાર જવા નીકળે ત્યારે ગાયને અચૂક ઘાસ ખવડાવીને જ નીકળે છે. એમનો આ આજકાલનો નહીં, પણ વર્ષોથી એ નિયમ છે. રોજ સવારે પરેશભાઈના ઘર આગળ લીલો ઘાસચારો પહોંચી જ જાય છે, અને પરેશભાઈ જ્યાં સુધી આ ઘાસચારો ગાયોને ખવડાવે નહીં ત્યાં સુધી અમરેલીની બહાર જતાં નથી.

ગાયને ઘાસ ખવડાવતો એમનો એક વિડિયો આજકાલ વાયરલ થયો છે, પણ પરેશભાઈ કહે છે, એમ આ કાંઈ ચૂંટણીલક્ષી નથી અને આ વાતને ચૂંટણી સાથે કંઈ લાગતુ વળગતુ નથી. આ એમનો વર્ષોનો નિયમ છે, અને એ એનુ પાલન કરે છે.