હું પણ પાર્ટીનો કાર્યકર, મારા માટે તમારો આદેશ સર્વોપરી: કાશીમાં PM મોદી

વારાણસીઃ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા છે. સૌપ્રથમ તેઓ બાબા વિશ્વનાથના સાનિધ્યમાં ગયા હતાં. જ્યાં તેઓએ બાબા વિશ્વનાથ પર અભિષેક અને પૂજા કર્યા હતાં. વારાણસી સીટ પરથી બીજી વખત મળેલી જીત પછી મોદીની આ પહેલી મુલાકાત છે. ઉમેદવારી પત્ર ભરવા સમયે તેઓએ વારાણસીમાં રોડ શો કરીને કહ્યું હતું કે હવે જીત મેળવ્યા બાદ આભાર વ્યક્ત કરવા આવીશ.

લાલપુર સ્થિત વણકર હસ્તકલા સંકુલ ખાતે વડાપ્રધાન મોદીએ ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. કાર્યકરોએ મોદી મોદીના નારા લગાવ્યા હતાં.

 

વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું કે, હું પણ પાર્ટીનો કાર્યકર છું, મારા માટે કાર્યકરોનો આદેશ સર્વોપરી. હું કાર્યકર્તાઓના આદેશનું પાલન કરું છું. કાર્યકર્તાઓનો સંતોષ એ જ મારો જીવનમંત્ર છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, દેશે ભલે મને વડાપ્રધાન બનાવ્યો પણ તમારા માટે તો હું કાર્યકર્તા જ છું.

અહીંના કાર્યકર્તાઓએ મને કહ્યું હતું કે, તમે નિશ્ચિત રહીને ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ આવજો. તેથી હું 19મી તારીખે મતદાનના દિવસે અહીં નહતો આવ્યો. મને લાગ્યું કે કાર્યકર્તાઓએ આદેશ આપ્યો છે કદાચ એન્ટ્રી નહીં મળે તે આ બાબાના સ્થાનમાં કેદારનાથ બાબા પાસે ચાલ્યો ગયો

વધુમાં મોદીએ કહ્યું કે,યુપીમાં જીતની હેટ્રિક થઈ છે. ઉત્તર પ્રદેશ દેશના રાજકારણને એક નવી દિશા આપી રહ્યું છે. ત્રણ ત્રણ ચૂંટણી પરિણામો જોયા બાદ પણ રાજકીય પંડિતોની આંખો ખુલી નથી રહી. દેશ 21મી સદીમાં પહોંચી ગયો પરંતુ રાજકીય પંડિત 20મી સદીમાં રહી ગયાં.

આ ચૂંટણીમાં અંક ગણિતને કેમેસ્ટ્રીએ પરાજિત કરી દીધી છે. દેશમાં સમાજ શક્તિની કેમેસ્ટ્રી,  આદર્શો, સંકલ્પોની જે કેમેસ્ટ્રી છે તે ક્યારેક તમામ ગુણાકાર-ભાગાકારના અંકગણિતને પરાજિત કરી છે.

આ અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમના સંબોધનમાં કહ્યું કે, કાશીના લોકો પર વડાપ્રધાન મોદીને વિશ્વાસ હતો, જેને તમે સાચો પુરવાર કરી દીધો છે. વારણસીની જનતા ભાગ્યશાળી છે કારણ કે મોદી અહીંના જનપ્રતિનિધિ છે, તેમનું લક્ષ્ય અહીંનો વિકાસ કરવાનો છે.