Home Blog Page 84

વિશ્વભરમાં મોદી મેજિકની ચર્ચા: ટ્રમ્પે PM મોદીને આપ્યા અભિનંદન

પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રચંડ જીત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને અભિનંદન આપતા આ વિજયને નિર્ણાયક ગણાવ્યો છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈના જણાવ્યા મુજબ, ટ્રમ્પે ભારતને નસીબદાર ગણાવ્યું છે કે તેની પાસે પીએમ મોદી જેવા નેતા છે. મમતા બેનર્જીના દોઢ દાયકાના શાસનનો અંત આવતા ભાજપ હવે પ્રથમવાર બંગાળમાં સત્તા સંભાળશે. પીએમ મોદીએ આ જીતને બંગાળના ભાગ્યમાં નવો અધ્યાય અને સુશાસનની જીત ગણાવી છે.

વૈશ્વિક સ્તરે જીતનો સ્વીકાર

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ઐતિહાસિક જીત માટે પીએમ મોદીની પ્રશંસા કરી છે. અગાઉ થયેલી ટેલિફોનિક વાતચીતમાં પણ ટ્રમ્પે કહ્યું હતું કે ભારત ભાગ્યશાળી છે કે તેની પાસે આવા મજબૂત નેતા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે બંગાળની આ જીતને પીએમ મોદીના ત્રીજા કાર્યકાળની સૌથી મોટી રાજકીય સિદ્ધિ માનવામાં આવી રહી છે.

મમતા બેનર્જીના શાસનનો અંત

છેલ્લા 15 વર્ષથી પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસનું એકચક્રી શાસન હતું. જોકે, ભાજપે આ વખતે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જોરદાર દેખાવ કરીને 207 બેઠકો હાંસલ કરી છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ કોઈ અચાનક આવેલું પરિવર્તન નથી પરંતુ ભાજપ દ્વારા વર્ષોથી કરવામાં આવેલી સંગઠનાત્મક મહેનતનું પરિણામ છે.

પીએમ મોદીનું સંબોધન

દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાર્ટર ખાતે કાર્યકરોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “બંગાળના નસીબમાં આજે નવો અધ્યાય જોડાયો છે. આ જનતાની શક્તિ અને સુશાસનની જીત છે.” તેમણે પશ્ચિમ બંગાળની જનતાનો આભાર માનતા જણાવ્યું કે આ જનાદેશ ભવિષ્યના સમૃદ્ધ બંગાળનો પાયો નાખશે.

ભૌગોલિક અને રાજકીય મહત્વ

પશ્ચિમ બંગાળ એ 10 કરોડથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે, જેનો મતદાતા આધાર વિશ્વના અનેક દેશો કરતા પણ મોટો છે. અત્યાર સુધી ભાજપ માટે બંગાળ એક અભેદ્ય કિલ્લો ગણાતું હતું, પરંતુ આ પરિણામોએ સાબિત કરી દીધું છે કે ભાજપે હવે પૂર્વોત્તર ભારતમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આ જીતથી આગામી 2029ની લોકસભા ચૂંટણી માટે ભાજપનું મનોબળ અનેકગણું વધી ગયું છે.

બંગાળના આ પરિણામો માત્ર સત્તા પરિવર્તન નથી, પરંતુ મતદારોના વર્તનમાં આવેલા મોટા ફેરફારનો સંકેત છે. ભયમુક્ત વાતાવરણ અને વિકાસની આશાએ બંગાળમાં ભાજપના ‘કમળ’ને ખીલવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

તમિલનાડુમાં ‘થલપતિ’ વિજયની સત્તાવાર એન્ટ્રી પરંતું બહુમતી માટે ખેંચતાણ

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં વિજયની પાર્ટી TVK 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે, પરંતુ બહુમતી માટે હજુ 11 બેઠકો ખૂટે છે. વિજયે રાજ્યપાલને પત્ર લખી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે અને બહુમતી સાબિત કરવા 15 દિવસનો સમય માંગ્યો છે. બીજી તરફ, વિજયના પિતા એસ.એ. ચંદ્રશેખરે કોંગ્રેસ સાથે ગઠબંધન માટે ખુલ્લી અપીલ કરી છે. હવે જોવાનું એ રહેશે કે વિજય અપક્ષો અથવા અન્ય નાના પક્ષોના ટેકાથી મુખ્યમંત્રીની ખુરશી સુધી કેવી રીતે પહોંચે છે.

તમિલનાડુની 234 બેઠકો ધરાવતી વિધાનસભામાં સત્તા સ્થાપવા માટે કોઈપણ પક્ષ કે ગઠબંધનને 118 બેઠકોની જરૂર હોય છે. વિજયની પાર્ટીએ 108 બેઠકો પર જીત મેળવી છે, પરંતુ ટેકનિકલ રીતે તેમની પાસે 107 બેઠકો જ ગણાશે કારણ કે વિજય પોતે બે બેઠકો (પેરમ્બુર અને ત્રિચી ઈસ્ટ) પરથી જીત્યા છે અને નિયમ મુજબ તેમણે એક બેઠક છોડવી પડશે. આ ઉપરાંત, એક ધારાસભ્ય સ્પીકર બનશે, જે સામાન્ય સંજોગોમાં મતદાન કરી શકતા નથી. આ ગણિત મુજબ, વિજયને સ્થિર સરકાર ચલાવવા માટે અન્ય 11 થી 12 ધારાસભ્યોના સમર્થનની તાતી જરૂરિયાત છે.

આ રાજકીય ગડમથલ વચ્ચે વિજયના પિતા અને જાણીતા ફિલ્મમેકર એસ.એ. ચંદ્રશેખરે કોંગ્રેસને સાથ આપવા માટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ જેવી જૂની અને પરંપરાગત પાર્ટી સત્તા વિના નબળી પડી રહી છે, અને વિજય તેમને નવી તાકાત આપવા માટે તૈયાર છે. જો કોંગ્રેસ (5 બેઠકો) અને અન્ય નાના પક્ષો જેવા કે VCK, CPI, અને PMK (4 બેઠકો) માંથી સમર્થન મળે, તો વિજય સરળતાથી બહુમતીનો આંકડો પાર કરી શકે છે. ડીએમકે ગઠબંધનમાં ગાબડું પાડીને પોતાના પક્ષે ધારાસભ્યો લાવવા એ વિજય માટે મોટો પડકાર છે.

રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને લખેલા પત્રમાં વિજયે 15 દિવસનો સમય માંગ્યો છે જેથી તેઓ જરૂરી સમર્થન એકઠું કરી શકે. રાજ્યપાલના નિર્ણય પર હવે બધો આધાર છે કે તેઓ સૌથી મોટા પક્ષ તરીકે TVK ને ક્યારે આમંત્રણ આપે છે. બીજી તરફ, પરિણામો બાદ રાજ્યમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે વિજયના નિવાસસ્થાન નીલંકરઈ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની જેમ તમિલનાડુમાં પણ આ વખતે એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે, પરંતુ તે સત્તાવાર બને તે પહેલા રાજકીય ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે.

વિશ્વભરમાં પીએમ મોદીનો ડંકો: પાકિસ્તાને સ્વીકાર્યો મોદીનો દબદબો

પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત અને તમિલનાડુમાં વિજયની પાર્ટી (TVK) ના સફળ ઉદયને વૈશ્વિક મીડિયાએ ભારતીય રાજનીતિમાં ‘નવા યુગની શરૂઆત’ ગણાવી છે. પાકિસ્તાની અખબાર ‘ડોન’ એ તેને 2029ની ચૂંટણી માટે પીએમ મોદીની મજબૂત કિલ્લેબંધી ગણાવી છે, જ્યારે બાંગ્લાદેશી મીડિયાએ તમિલનાડુમાં સ્ટાલિનની હારને મોટો ઝટકો ગણાવ્યો છે. બીબીસી અને ન્યૂયોર્ક ટાઈમ્સે બંગાળમાં ભાજપના વિજયને મોદીના રાજકીય જીવનની સૌથી મોટી સિદ્ધિ ગણાવી છે.

પડોશી દેશો અને વૈશ્વિક મીડિયાની પ્રતિક્રિયા

પાકિસ્તાનના પ્રતિષ્ઠિત અખબાર ‘ડોન’ એ એએફપી (AFP) ના રિપોર્ટને ટાંકીને લખ્યું છે કે, પીએમ મોદીની પાર્ટીએ પશ્ચિમ બંગાળ જેવા વિપક્ષના અભેદ્ય ગઢમાં ગાબડું પાડીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. રિપોર્ટ મુજબ, આ જીત સાબિત કરે છે કે ૨૦૨૯ની સામાન્ય ચૂંટણી પહેલા પીએમ મોદીની લોકપ્રિયતા અને પકડ વધુ મજબૂત બની છે.

બાંગ્લાદેશના મીડિયામાં પશ્ચિમ બંગાળની સાથે તમિલનાડુના પરિણામોની વધુ ચર્ચા જોવા મળી હતી. ‘ઢાકા ટ્રિબ્યુન’ એ લખ્યું છે કે તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિનની હાર અને અભિનેતા વિજયની પાર્ટીની એન્ટ્રી એ ભારતીય રાજનીતિનો સૌથી મોટો સરપ્રાઈઝ છે. બાંગ્લાદેશી વિશ્લેષકો આ પરિણામોને પ્રાદેશિક સ્થિરતા અને વેપારી સંબંધોની દૃષ્ટિએ પણ જોઈ રહ્યા છે.

BBC: “Modi’s BJP conquers Bengal” શીર્ષક હેઠળ બીબીસીએ જણાવ્યું કે આ જીત પીએમ મોદીના ૧૨ વર્ષના કાર્યકાળની સૌથી મોટી સિદ્ધિ છે. તે માત્ર એક રાજ્યની જીત નથી, પરંતુ પૂર્વી ભારતમાં ભાજપના વિચારધારાના પ્રસારની સફળતા છે.

The Guardian: બ્રિટિશ અખબારે તેને વિપક્ષ માટે મોટો ફટકો ગણાવ્યો અને લખ્યું કે ભાજપે પ્રથમવાર બંગાળમાં સત્તા મેળવીને ઈતિહાસ રચ્યો છે.

New York Times: અમેરિકી અખબારે વિજયની સફળતાને ‘ચૂંટણીનું સૌથી મોટું સરપ્રાઈઝ’ ગણાવ્યું. રિપોર્ટ મુજબ, ભાજપે બંગાળમાં હિન્દુ રાષ્ટ્રવાદના એજન્ડા સાથે વિપક્ષી ગઢને તોડવામાં સફળતા મેળવી છે.

Washington Post: વોશિંગ્ટન પોસ્ટે વિશ્લેષણ કર્યું કે ૨૦૨૪ની લોકસભામાં સહયોગીઓના ટેકા બાદ પણ આ રાજ્યોની જીત પીએમ મોદીની સ્વાયત્તતા અને રાજકીય શક્તિમાં વધારો કરશે.

કેરળમાં યુડીએફ (UDF) દ્વારા ડાબેરી સરકારને હરાવવાની ઘટનાને પણ આંતરરાષ્ટ્રીય મીડિયાએ ભારતના લોકશાહી માળખામાં આવતા મોટા બદલાવ તરીકે નોંધ્યું છે. આ પરિણામોએ સાબિત કર્યું છે કે ભારતીય મતદારો હવે પરંપરાગત રાજનીતિને બદલે નવા વિકલ્પો અને સુશાસન તરફ વળી રહ્યા છે.

હાર બાદ મમતા બેનર્જીનો હુંકાર: હું રાજીનામું નહીં આપું

પશ્ચિમ બંગાળમાં મળેલી હાર બાદ મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની ના પાડી દીધી છે. તેમણે ચૂંટણી પંચને ‘મુખ્ય વિલન’ ગણાવતા આક્ષેપ કર્યો છે કે ભાજપે કેન્દ્રીય દળો અને પંચનો ઉપયોગ કરીને 100 થી વધુ બેઠકોની લૂંટ કરી છે. મમતાએ જણાવ્યું કે તેઓ હવે રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરશે અને ઈન્ડિયા બ્લોકના તમામ નેતાઓ તેમની સાથે છે. ટીએમસીએ આ કથિત ધાંધલીની તપાસ માટે 10 સભ્યોની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની પણ રચના કરી છે.

મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અત્યંત ઉગ્ર ભાષામાં ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં તેમની લડાઈ ભાજપ સામે નહીં પણ ચૂંટણી પંચ સામે હતી. તેમણે દાવો કર્યો કે મતદાર યાદીમાંથી 90 લાખ જેટલા મતો હટાવી દેવામાં આવ્યા હતા અને ભાજપે સત્તાનો દુરુપયોગ કરીને જીત મેળવી છે. મમતાએ એમ પણ કહ્યું કે તેમણે 2004 પછી આટલો અત્યાચાર ક્યારેય જોયો નથી. તેમના મતે પીએમ મોદી અને અમિત શાહે કેન્દ્રીય સંસ્થાઓનો ઉપયોગ કરીને લોકશાહીની હત્યા કરી છે.

રાજીનામાના સવાલ પર મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમના રાજીનામાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી કારણ કે આ હાર નૈતિક નથી. તેમણે કહ્યું કે તેઓ રાજભવન જઈને રાજીનામું સોંપશે નહીં પરંતુ હવે ‘આઝાદ પંખી’ ની જેમ જનતા વચ્ચે જશે અને લડાઈ ચાલુ રાખશે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના કાર્યકર્તાઓએ ટીએમસીના લોકો પર હુમલા શરૂ કર્યા છે અને એસસી-એસટી પરિવારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મમતાએ પોતાના પર પણ શારીરિક હુમલો થયો હોવાનો દાવો કરતા કહ્યું કે તેમને પીઠ અને પેટના ભાગે લાત મારવામાં આવી હતી.

ઈન્ડિયા બ્લોકના સમર્થન અંગે વાત કરતા મમતાએ જણાવ્યું કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને ઉદ્ધવ ઠાકરે જેવા દિગ્ગજ નેતાઓએ તેમને ફોન કરીને સમર્થન જાહેર કર્યું છે. અખિલેશ યાદવ પણ તેમને મળવા આવી રહ્યા છે. મમતાએ કહ્યું કે વિપક્ષી ગઠબંધન એકજૂથ છે અને તેઓ આ હાર વિરુદ્ધ કાયદાકીય અને રાજકીય લડાઈ લડશે. તેમણે કેન્દ્રીય દળો (CAPF) ના વર્તન પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે તેમને બૂથની અંદર જતા રોકવામાં આવી હતી અને ચૂંટણી અધિકારીઓએ અગાઉથી જ ગણતરીમાં ખેલ થવાની ભવિષ્યવાણી કરી હતી.

ટીએમસી દ્વારા બનાવવામાં આવેલી 10 સભ્યોની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી તે તમામ વિસ્તારોની મુલાકાત લેશે જ્યાં હિંસા થઈ છે અથવા જ્યાં પાર્ટીની ઓફિસો પર કબજો કરવામાં આવ્યો છે. અભિષેક બેનર્જીની ઓફિસમાં થયેલી તોડફોડનો ઉલ્લેખ કરતા મમતાએ કહ્યું કે ભાજપે આ જીતની ચોરી કરી છે. મમતા બેનર્જીના આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે બંગાળમાં આગામી દિવસોમાં રાજકીય સંઘર્ષ વધુ તીવ્ર બનશે અને મમતા બેનર્જી આસાનીથી સત્તા છોડવાના મૂડમાં નથી.

કોંગ્રેસના જીતેલા ઉમેદવારોમાં મોટા  ભાગના મુસ્લિમ

નવી દિલ્હીઃ તાજેતરના વિધાનસભા ચૂંટણીના આંકડાઓમાં એક રસપ્રદ ટ્રેન્ડ જોવા મળ્યો છે. આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં કોંગ્રેસના જે ઉમેદવારો જીત્યા છે, તેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ નેતાઓનો સમાવેશ થાય છે.

આસામમાં 19માંથી 18 બેઠકો પર જીત

આસામમાં કોંગ્રેસને મળેલી 19 બેઠકોમાંથી 18 પર મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે. પાર્ટીએ ત્યાં 20 મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી 18 જીત્યા, જ્યારે બિન-મુસ્લિમ ઉમેદવારોમાંથી ફક્ત એક જ જીત્યો. કોંગ્રેસના સહયોગી રાઈજર દળને પણ બે બેઠકો મળી, જેમાં એક મુસ્લિમ ઉમેદવાર જીત્યો અને બીજી બેઠક અખિલ ગોગોઇએ જીતી છે.

કેરળમાં 35 મુસ્લિમ વિધાનસભ્યો

કેરળની 140 સભ્યોની વિધાનસભામાં 35 મુસ્લિમ વિધાનસભ્યો ચૂંટાયા છે, જેમાંથી 30 કોંગ્રેસના નેતૃત્વવાળા UDF ગઠબંધનમાંથી છે. તેમાં આઠ કોંગ્રેસ અને 22 ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના વિધાનસભ્યોનો સમાવેશ થાય છે.

પશ્ચિમ બંગાળ અને તામિલનાડુની સ્થિતિ

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને બે બેઠકો મળી અને બંને પર મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા. અહીં કોંગ્રેસે 63 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, જે તૃણમૂલ કોંગ્રેસના 47 ઉમેદવારો કરતાં વધુ છે. તામિલનાડુમાં કોંગ્રેસે બે મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા, જેમાંથી એક જીત્યો હતો.

મુસ્લિમ ઉમેદવારોનો જીત દર 80 ટકા

આસામ અને કેરળમાં કોંગ્રેસ ગઠબંધનના મુસ્લિમ ઉમેદવારોનો જીત દર લગભગ 80 ટકા રહ્યો હતો. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભાજપે 206 બેઠકો જીતીને બે-તૃતીયાંશ બહુમતી મેળવી અને 15 વર્ષ જૂની તૃણમૂલ કોંગ્રેસ સરકારને હટાવી. આસામમાં પણ એનડીએ ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહ્યું છે, જ્યાં તેણે 126માંથી 102 બેઠકો જીતી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

તામિલનાડુમાં અભિનેતા-રાજકારણી વિજયની પાર્ટી TVK સૌથી મોટી પાર્ટી બની, જ્યારે કેરળમાં 10 વર્ષ બાદ સત્તા પરિવર્તન થયું અને કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધન ફરી સરકાર બનાવવા જઈ રહ્યું છે.

કેરળમાં ભાજપને ત્રણ બેઠકો

કેરળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ત્રણ બેઠકો જીતી છે, પરંતુ ઘણી બેઠકો પર પાર્ટી બીજા સ્થાને રહી. મતગણતરી બાદ ભાજપ તિરુવલ્લા, પાલક્કાડ, મલમપુઝા, અટ્ટિંગલ, કાસરગોડ અને મંજેશ્વર બેઠકો પર બીજા નંબરે રહી હતી.

મને હરાવવામાં આવી છે, જેથી હું રાજીનામું નહીં આપું: મમતા બેનરજી  

કોલકાતાઃ મમતા બેનરજીએ ચૂંટણી પરિણામોને લઈને ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે તેમની પાર્ટી હારી નથી, પરંતુ હરાવવામાં આવી છે. તેમણે આરોપ મૂક્યો કે ચૂંટણી પંચે સમગ્ર ચૂંટણી દરમિયાન પક્ષપાતપૂર્ણ ભૂમિકા ભજવી અને આ સમગ્ર ઘટનાક્રમમાં ‘મુખ્ય વિલન’ તરીકે કામ કર્યું. તેમણે કહ્યું હતું કે હું હારી નથી અને હું રાજીનામું નહીં આપું. તેમણે કહ્યું હતું કે તેમના રાજકીય જીવનમાં તેમણે આવી ચૂંટણી ક્યારેય જોઈ નથી. તેમણે આરોપ મૂક્યો હતો કે SIR (Special Intensive Revision) ને નામે લગભગ 90 લાખ મતદારોનાં નામ કાપી નાખવામાં આવ્યાં અને ભાજપે ચૂંટણી જીતવા માટે દરેક પ્રકારનાં સંસાધનોનો ઉપયોગ કર્યો હતો.

લોકભવન જઈને રાજીનામું આપવા અંગે પુછાયેલા પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે હું લોકભવન જઈને રાજીનામું નહીં આપું. હું હારી નથી, અમને ષડયંત્ર કરીને હરાવવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે હવે તેમની પાસે કોઈ પદ નથી અને તેઓ એક સામાન્ય નાગરિક છે.

CRPF નો દુરુપયોગ થયો

તેમણે વધુમાં આરોપ મૂક્યો હતો કે કેન્દ્રીય દળો- ખાસ કરીને CRPFનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને રાજ્યના પોલીસ અધિકારીઓમાં મોટા પાયે બદલાવ કરવામાં આવ્યા હતા. બેનર્જીના જણાવ્યા મુજબ કેન્દ્રીય દળો ગુંડાઓની જેમ તહેનાત હતા અને અનેક સ્થળોએ મતદારો અને કાર્યકરોને ડરાવવામાં અને ધમકાવવામાં આવ્યા હતા.

તૃણમૂલ કોંગ્રેસપ્રમુખે દાવો કર્યો હતો કે તેમના કાર્યકરો અને તેમના પરિવારો પર અત્યાચાર કરવામાં આવ્યા હતા. કેટલાંક સ્થળોએ તો વૃદ્ધ લોકોને પાણી પીવા પણ દેવામાં આવ્યું નહોતું. તેમણે આરોપ મૂક્યો કે મતગણતરી કેન્દ્રોમાં ભાજપ કાર્યકરોએ મારામારી કરી અને TMC કાર્યકરોને ધમકાવ્યા હતા.

 CEC પર મમતા બેનર્જીનો પ્રહાર

તેમણે કહ્યું હતું કે દુઃખની વાત છે કે મુખ્ય ચૂંટણી કમિશનર આ ચૂંટણીમાં લોકોના બંધારણીય અધિકારોને લૂંટનાર અને EVM સાથે ગેરરીતિ કરનાર વિલન બની ગયો છે. શું તમે મને કહી શકો કે મતદાન બાદ EVMમાં 80-90 ટકા ચાર્જ કેવી રીતે રહે છે? ચૂંટણી પહેલાં બે દિવસથી તેમણે અમારા લોકોની ધરપકડ શરૂ કરી અને દરેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.

ભાજપે અમિત શાહને બનાવ્યા બંગાળના સુપરવાઇઝર, જ્યારે નડ્ડાને આસામની જવાબદારી

નવી દિલ્હીઃ ભાજપના સંસદીય બોર્ડે મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પશ્ચિમ બંગાળમાં મુખ્ય મંત્રીની પસંદગી માટે કેન્દ્રીય સુપરવાઇઝર તરીકે નિયુક્ત કર્યા છે. ઓડિશાના મુખ્ય મંત્રી મોહન ચરણ માંઝીને સહ-નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં મુખ્ય મંત્રીના શપથ ગ્રહણ સમારોહનું આયોજન નવ મે એ રવીન્દ્ર નાથ ટાગોરની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવશે.

બંગાળની 293 બેઠકોના પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. ભાજપ રાજ્યમાં પહેલી વાર સરકાર બનાવવા જઈ રહી છે. ભાજપને 207 બેઠકો મળી છે, જ્યારે મમતા બેનરજી ની પાર્ટી TMC માત્ર 81 બેઠકો સુધી સીમિત રહી છે. 2021ની તુલનામાં TMCને 134 બેઠકોનું નુકસાન થયું છે. કોંગ્રેસને બે બેઠકો મળી છે, જ્યારે હુમાયું કબીરની પાર્ટી ‘આમ જનતા ઉન્નયન પાર્ટી’એ બે બેઠકો જીતી છે. અન્ય બે બેઠકો અન્ય ઉમેદવારોના ખાતામાં ગઈ છે.

ભવાનીપુર બેઠક પરથી સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,114 મતોથી હરાવ્યા છે. આ તેમની સામે સતત બીજી હાર છે. 2021માં પણ સુવેંદુ અધિકારીએ નંદીગ્રામમાંથી મમતાને હરાવ્યા હતા. રાજ્યમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે, જેમાં ફાલ્તા બેઠક પર 21 મેએ ફરી મતદાન થશે અને તેનું પરિણામ 24 મેએ રોજ જાહેર થશે.

પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પર વડા પ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે X પર લખ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત ઘણી પેઢીઓના કાર્યકરોના પરિશ્રમ અને સંઘર્ષ વિના શક્ય નહોતી. હું તમામ કાર્યકરોને નમન કરું છું. તેમણે વર્ષો સુધી જમીન સ્તરે મહેનત કરી છે અને વિકાસના એજન્ડાને લોકો સુધી પહોંચાડ્યો છે. તેઓ અમારી પાર્ટીની તાકાત છે.

TMC અને ભારતીય ગોરખા પ્રજાતંત્રિક મોર્ચાએ મળીને ચૂંટણી લડી હતી. TMCએ 291 બેઠકો પર ઉમેદવારો ઊભા કર્યા હતા, જ્યારે ત્રણ બેઠકો પર BGPMએ ઉમેદવારો ઉતાર્યા હતા. પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 92.88 ટકા અને બીજા તબક્કામાં 92.5 ટકા મતદાન નોંધાયું હતું.

IPOમાં મોટો આંચકોઃ 112માંથી 52 શેર તૂટ્યા

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2025-26 દેશના પ્રાઇમરી બજાર માટે અનેક રીતે મહત્વપૂર્ણ રહ્યું. એ દરમિયાન મોટી સંખ્યામાં કંપનીઓએ શેરબજારમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ લિસ્ટિંગ બાદ તેમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. આંકડાઓ મુજબ આ વર્ષે આવેલા 112 મેઇનબોર્ડ IPOમાંથી 52 કંપનીઓના શેર તેમના ઇશ્યુ પ્રાઇસ કરતાં નીચે ટ્રેડ થઈ રહ્યા છે. એટલે કે લગભગ 46 ટકા  IPO રોકાણકારોને અત્યાર સુધી નિરાશ કરી ચૂક્યા છે. એક વિશ્લેષણ મુજબ કેટલાક ખાસ સેક્ટરમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ન્યુ જ ટેક કંપનીઓ, SME જેવા મોડલને મેઇનબોર્ડ પર લાવતી કંપનીઓ અને એસેટ લાઇટ સર્વિસ બિઝનેસ ધરાવતી કંપનીઓના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ સેક્ટરમાં રોકાણકારોની અપેક્ષા ઊંચી હતી, પરંતુ પરિણામો એટલા મજબૂત રહ્યા નથી.

કેટલીક કંપનીઓના શેરોમાં ઘટાડો ખૂબ જ વધુ રહ્યો છે. એનલોન હેલ્થકેર, જારો ઇન્સ્ટિટ્યૂટ, VMS TMT, શ્રીરામ ટ્વિસ્ટટેક્સ અને  Glottis જેવા શેરો તેમના ઇશ્યુ પ્રાઇસ કરતાં 50 ટકાથી 80 ટકા સુધી નીચે આવી ગયા છે. આથી સ્પષ્ટ છે કે આ IPOમાં રોકાણ કરનાર રોકાણકારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.

આ ઉપરાંત જેમ એરોમેટિક્સ અને સોલાર સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓ જેમ કે  સોલરવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સ, ઓસવાલ પમ્પ્સ, વિક્રમ સોલર, અને GK એનર્જીના શેરોમાં પણ 50 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. સોલાર સેક્ટર અંગે પહેલા ઘણી આશાઓ હતી, પરંતુ બજારમાં ઉતાર-ચઢાવ અને વેલ્યુએશન અંગેની ચિંતાઓએ આ શેરો પર દબાણ બનાવ્યું છે.

પાઇન લેબ્સ, HDB ફાઇનાન્સિયલ સર્વિસિસ, ફિઝિક્સવાલા અને JSW સિમેન્ટ જેવી મોટી કંપનીઓના શેરો પણ લિસ્ટિંગ બાદ સારું પ્રદર્શન કરી શક્યા નથી. આંકડાઓ મુજબ આ શેરો તેમના IPO પ્રાઇસથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે અને લિસ્ટિંગ બાદ મળેલો શરૂઆતનો નફો પણ ખતમ થઈ ગયો છે. વિશ્લેષકોનું માનવું છે કે આ એક મોટો સંકેત છે કે IPOમાંથી તરત નફો કમાવાનો સમય હવે સમાપ્ત થઈ રહ્યો છે. જ્યારે વિત્ત વર્ષ 2026માં 112 કંપનીઓએ રેકોર્ડ રૂ. 1.78 લાખ કરોડ એકત્ર કર્યા હતા.

વાર્યા ન વળે તે હાર્યા વળે

 

વાર્યા ન વળે તે હાર્યા વળે

 

માણસ ક્યારેક પોતાના તોરમાં હોય અથવા સત્તા કે યુવાનીના મદમાં હોય ત્યારે એને લાખ સમજાવો, કેટલીક બાબતો મગજમાં ઊતરતી નથી. એ પોતાની રીતે જ કામ કરવા ચાહે છે.

કોઇની સલાહ અથવા સૂચન એને મંજૂર નથી. આ રીતે સમજાવવાથી જે ન સમજે તે નિષ્ફળતા મળતાં આપમેળે ઠેકાણે આવે. કંઈ ઉપાય ન ચાલે ત્યારે આપમેળે ઠેકાણે આવે.

જે માણસ પહેલાં સમજે નહિ તે પરાજય પામ્યા પછી સમજે. આ સંદર્ભમાં વાર્યા ન વળે તે હાર્યા વળે કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

Met Gala 2026: અતરંગી અંદાજમાં રેડ કાર્પેટ પર ચમક્યા સિતારાઓ

ફેશન જગતનું સૌથી મોટું પ્લેટફોર્મ, મેટ ગાલા 2026 (Met Gala 2026) દર વર્ષે તેના અનોખા થીમ્સ અને અતરંગી દેખાવ માટે જાણીતું છે. મેટ ગાલા 2026 માં રેડ કાર્પેટ પર ઘણી ભારતીય અને હોલીવુડ હસ્તીઓ અનોખા અંદાજમાં જોવા મળી હતી. તેમના પોશાક અદભુત અને ચોંકાવી દે એવા હતા.

અમેરિકન રેપર કાર્ડી બી

મેટ ગાલા 2026 રેડ કાર્પેટ લુક્સ

સોમવાર 4 મે ના રોજ ન્યૂ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે મેટ ગાલા 2026 રેડ કાર્પેટે દુનિયાનું ધ્યાન ખેંચ્યું. ઘણા સ્ટાર્સે એવા પ્રભાવશાળી ફેશન લુક્સ રજૂ કર્યા કે બધા જોઈને દંગ રહી ગયા.

સિંગર સેમ સ્મિથ

ઈશા અંબાણી

મેટ ગાલા 2026 રેડ કાર્પેટ પર, ઈશા અંબાણી સોનેરી સાડીમાં કોઈ રાજકુમારીથી ઓછી દેખાતી ન હતી. તેની સાડી ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. તેણીએ આ લુકને મેંગો બેગ સાથે સુંદર બનાવ્યો હતો.

એન હેથવેએ રેડ કાર્પેટ પર સૌ કોઈને આકર્ષિત કર્યા. તેના મિકાડો બોલ ગાઉનમાં કવિ જોન કીટ્સની કવિતા “Ode on a Grecian Urn” થી પ્રેરિત હાથથી દોરવામાં આવેલ મોટિફ હતું.

પોપ સ્ટાર રીહાન્નાના ડ્રેસમાં ગોલ્ડન અને સિલ્વરનું અદભુત મિશ્રણ જોવા મળ્યું. તે આ મેઇસન માર્ગીલા ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જે કિંમતી સ્ટોનથી પણ જડિત હતો.

બેયોન્સે રેડ કાર્પેટ પર ઓલિવિયર રૂસ્ટીંગ ગાઉનમાં દેખાઈ હતી, જેમાં હાડપિંજર જેવો આકાર હતો. તેણીએ તેને પીછાવાળા કેપ સાથે પેર બનાવી હતી.

મેટ ગાલા 2026 માં રેડ કાર્પેટ પર કરણ જોહર સૌથી સ્ટાઇલિશ સેલિબ્રિટીઓમાંના એક હતા. કરણ વિન્ટેજ જેકેટમાં જોવા મળ્યો હતો, જેમાં રાજા રવિ વર્માના ચિત્રોને હાથથી બનાવવામાં આવ્યા છે.

કિમ કાર્દશિયન

ફ્રેન્ચ રાઈટર

હેઇદી ક્લુમ

અનન્યા બિરલા