નવી દિલ્હીઃ ભાજપના સંસદીય બોર્ડે મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પશ્ચિમ બંગાળમાં મુખ્ય મંત્રીની પસંદગી માટે કેન્દ્રીય સુપરવાઇઝર તરીકે નિયુક્ત કર્યા છે. ઓડિશાના મુખ્ય મંત્રી મોહન ચરણ માંઝીને સહ-નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં મુખ્ય મંત્રીના શપથ ગ્રહણ સમારોહનું આયોજન નવ મે એ રવીન્દ્ર નાથ ટાગોરની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવશે.
બંગાળની 293 બેઠકોના પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. ભાજપ રાજ્યમાં પહેલી વાર સરકાર બનાવવા જઈ રહી છે. ભાજપને 207 બેઠકો મળી છે, જ્યારે મમતા બેનરજી ની પાર્ટી TMC માત્ર 81 બેઠકો સુધી સીમિત રહી છે. 2021ની તુલનામાં TMCને 134 બેઠકોનું નુકસાન થયું છે. કોંગ્રેસને બે બેઠકો મળી છે, જ્યારે હુમાયું કબીરની પાર્ટી ‘આમ જનતા ઉન્નયન પાર્ટી’એ બે બેઠકો જીતી છે. અન્ય બે બેઠકો અન્ય ઉમેદવારોના ખાતામાં ગઈ છે.
ભવાનીપુર બેઠક પરથી સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,114 મતોથી હરાવ્યા છે. આ તેમની સામે સતત બીજી હાર છે. 2021માં પણ સુવેંદુ અધિકારીએ નંદીગ્રામમાંથી મમતાને હરાવ્યા હતા. રાજ્યમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે, જેમાં ફાલ્તા બેઠક પર 21 મેએ ફરી મતદાન થશે અને તેનું પરિણામ 24 મેએ રોજ જાહેર થશે.
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પર વડા પ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે X પર લખ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત ઘણી પેઢીઓના કાર્યકરોના પરિશ્રમ અને સંઘર્ષ વિના શક્ય નહોતી. હું તમામ કાર્યકરોને નમન કરું છું. તેમણે વર્ષો સુધી જમીન સ્તરે મહેનત કરી છે અને વિકાસના એજન્ડાને લોકો સુધી પહોંચાડ્યો છે. તેઓ અમારી પાર્ટીની તાકાત છે.
TMC અને ભારતીય ગોરખા પ્રજાતંત્રિક મોર્ચાએ મળીને ચૂંટણી લડી હતી. TMCએ 291 બેઠકો પર ઉમેદવારો ઊભા કર્યા હતા, જ્યારે ત્રણ બેઠકો પર BGPMએ ઉમેદવારો ઉતાર્યા હતા. પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 92.88 ટકા અને બીજા તબક્કામાં 92.5 ટકા મતદાન નોંધાયું હતું.




