Home Blog Page 680

ICC રેન્કિંગમાં મોટો ફેરફાર થયો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે બુધવારે પુરુષ ખેલાડીઓની નવીનતમ રેન્કિંગ જાહેર કરી, જેમાં મોટો ફેરફાર થયો. ભારતીય ODI ટીમના કેપ્ટન રોહિત શર્માને કંઈ કર્યા વિના ફાયદો મળ્યો છે. તે ODI બેટ્સમેનોની યાદીમાં એક સ્થાન ઉપર ચઢીને બીજા ક્રમે પહોંચી ગયો છે. હાલમાં તેના ખાતામાં 756 રેટિંગ પોઈન્ટ છે. ભારતે છેલ્લી ODI માર્ચ 2025 માં રમી હતી પરંતુ રોહિતને પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમના નબળા પ્રદર્શનનો ફાયદો થયો છે. બાબર વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં નિષ્ફળ ગયો હતો. તેણે છેલ્લી બે મેચમાં શૂન્ય અને 9 રન બનાવ્યા હતા, ત્યારબાદ તેને નુકસાન થયું હતું. બાબર 751 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને સરકી ગયો છે.

ટોપ-10 માં ભારતના ચાર બેટ્સમેન છે. શુભમન ગિલ (784) નંબર-1 ODI બેટ્સમેન છે. સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી (736) ચોથા સ્થાને અને શ્રેયસ ઐયર (704) આઠમા સ્થાને યથાવત છે. આ સાથે જ, ICC મેન્સ T20 પ્લેયર રેન્કિંગમાં પણ ઉથલપાથલ જોવા મળી છે. ભારતના યુવા બેટ્સમેન તિલક વર્મા એક સ્થાન ઉપર આવીને બીજા નંબરે પહોંચી ગયા છે. તેમના 804 પોઈન્ટ છે. તિલક ફેબ્રુઆરી 2025માં પોતાની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડના ફ્લોપ શોનો તેમને ફાયદો થયો છે. હેડ દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20 શ્રેણીની પ્રથમ બે મેચમાં ફક્ત બે અને પાંચ રન બનાવી શક્યા હતા. તેઓ (782) બે સ્થાન નીચે આવીને ચોથા સ્થાને આવી ગયા છે. ફિલ સોલ્ટ (791) ત્રીજા સ્થાને આવી ગયા છે અને ભારતના અભિષેક શર્મા (829) પ્રથમ સ્થાને યથાવત છે.

ઓસ્ટ્રેલિયાના ટિમ ડેવિડે છ સ્થાનનો કૂદકો માર્યો છે. તેઓ T20 બેટ્સમેનોની યાદીમાં 10મા સ્થાને પહોંચી ગયા છે. તેમના 680 રેટિંગ પોઈન્ટ છે. ડેવિડે પોતાની કારકિર્દીનું નવું સર્વોચ્ચ રેટિંગ હાંસલ કર્યું છે. તેઓ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા T20 શ્રેણીની પ્રથમ બે મેચમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી છે. ડેવિડના સાથી ખેલાડી કેમેરોન ગ્રીન પણ છ સ્થાન ઉપર આવીને 17મા સ્થાને પહોંચી ગયા છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20માં તોફાની સદી ફટકારનાર ડેવાલ્ડ બ્રેવિસ (અણનમ 125) 21મા સ્થાને પહોંચી ગયા છે. તે T20 બેટિંગ રેન્કિંગમાં ટોચના 100માંથી બહાર હતો. તેના દેશબંધુ ટ્રિસ્ટન સ્ટબ્સ (12 સ્થાન ઉપર 27મા સ્થાને) એ પણ પોતાના રેન્કિંગમાં સુધારો કર્યો છે.

તાજેતરમાં જ ઝિમ્બાબ્વેને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવનાર ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરી (846) એ પોતાની કારકિર્દીનું નવું સર્વોચ્ચ રેટિંગ હાંસલ કર્યું છે. તે ટેસ્ટ બોલરોના રેન્કિંગમાં એક સ્થાન ઉપર આવીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. હેનરીએ શ્રેણીમાં 9.12 ની સરેરાશથી 16 વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ (838) ચોથા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાના કાગીસો રબાડા (851) બીજા સ્થાને છે જ્યારે ભારતના સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ (889) ટોચ પર છે.

સુષ્મિતા સેને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન આ દિવસોમાં તેની આગામી વેબ સિરીઝ ‘આર્યા’ માટે સમાચારમાં છે. તેણીએ 1994 માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. તેણીએ તાજેતરમાં 2010 થી 2012 દરમિયાન મિસ ઈન્ડિયા યુનિવર્સ ફ્રેન્ચાઇઝીની દેખરેખ રાખવાનો ખુલાસો કર્યો હતો. આ તે સમય હતો જ્યારે મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના માલિકીનું હતું.

 (Photo:Sanjay Tiwari/IANS)

સુષ્મિતા સેને ઈન્ડિયા ટુડેને જણાવ્યું, “મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશને મારો સંપર્ક કર્યો અને પૂછ્યું, ‘શું તમે આ ફ્રેન્ચાઈઝી લેવા માંગો છો?’ આ સાંભળીને મને આઘાત લાગ્યો, મેં કહ્યું, ‘ખરેખર? તે મને સ્વપ્ન જેવું લાગ્યું! મેં તે ફ્રેન્ચાઈઝી લેવા માટે ખૂબ જ મુશ્કેલ કરાર પર હસ્તાક્ષર કર્યા. તે સમયે તે ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીની હતી. તે સમયે વસ્તુઓ ન તો સરળ હતી અને ન તો મનોરંજક.’

સુષ્મિતા સેને કહ્યું કે તે ટ્રમ્પની સીધી કર્મચારી નહોતી. તેણીએ આગળ કહ્યું, ‘સદનસીબે તે સમયે મેં ફક્ત પેરામાઉન્ટ કોમ્યુનિકેશન્સ અને મેડિસન સ્ક્વેર ગાર્ડનને જ રિપોર્ટ કર્યો હતો. મેં ત્યાં કામ કર્યું તે વર્ષ દરમિયાન તેઓ મિસ યુનિવર્સ પેજન્ટના માલિક હતા. હું ટ્રમ્પની સીધી કર્મચારી નહોતી, પરંતુ ફ્રેન્ચાઇઝી ધારક હતી.’ સુષ્મિતાએ જણાવ્યું કે આ સમય દરમિયાન તે ટ્રમ્પને મળી હતી પરંતુ તે તેના પર છાપ છોડી શક્યા નહીં. તેણીએ આ વિશે વધુ માહિતી આપી ન હતી.

સુષ્મિતા સેને 1994માં મિસ યુનિવર્સનો તાજ જીતીને ઇતિહાસ રચ્યો. આ સિદ્ધિએ તેમને રાષ્ટ્રીય ગૌરવ અપાવ્યું અને મોડેલિંગ અને અભિનયમાં તેમની સફળ કારકિર્દીની શરૂઆત કરી.અભિનયમાંથી વિરામ લીધા પછી, તેમણે વેબ સીરિઝ ‘આર્યા’ અને બાયોગ્રાફિકલ ડ્રામા ‘તાલી’માં કામ કર્યું. ‘તાલી’માં તેમણે ટ્રાન્સજેન્ડર કાર્યકર્તા શ્રીગૌરી સાવંતની ભૂમિકા ભજવી હતી.

કેવલ્યધામ કઈ રીતે ફિઝિકલ, મેન્ટલ, સોશ્યલ, ઈમોશનલ અને સ્પિરિચ્યુઅલ રિચાર્જ સ્ટેશન છે?

શું આપણને ખબર છે આજના સમયમાં શરીર કરતા મનને આરામની વધુ જરૂર પડે છે? પોતાના મનને આરામ અપાવવા લોકો ઘરથી દુર એવા સ્થળે જાય છે જયાં તેમને શાંતિનો અહેસાસ થાય. આવા સ્થળો કેટલાં અને કયાં? શોધવા પડે. બીજું, હવે લોકો વધુને વધુ હેલ્થ કોન્શ્યસ (સ્વાસ્થય પ્રત્યે જાગ્રતિ) પણ થવા લાગ્યા છે. શરીર-મનના આરામ સાથે શાંતિ અને ઈમોશનલ આનંદની શોધ પણ થવા લાગી છે. આજની ભાગદોડ, ચિંતા અને તનાવથી ગ્રસ્ત અને ત્રસ્ત જીંદગીમાં માનવીઓ એવા સ્થળ પણ શોધતા હોય છે, જયાં સ્પિરિચ્યુઅલ અનુભવ-અહેસાસનો સંતોષ પણ મળે. મુંબઈ નજીક આવા સ્થળોમાં કેવલ્યધામ એક એવું સ્થળ છે, જયાં આ તમામનો સંગમ મળી શકે છે.

મુંબઈથી રોડ માર્ગે લગભગ ૨ થી ૩ કલાકના અંતરે આવેલા લોનાવાલામાં આ ધામ આવેલું છે, જે ભારતનું પ્રતિષ્ઠિત યોગ ધામ કહેવાય છે. ઓથેન્ટિક યોગમાં કેવલ્યધામ અગ્રક્રમે ગણાય છે. અહીં યોગ મારફત માનવીની શારિરીક (ફિઝિકલ), માનસિક (મેન્ટલ), સામાજીક (સોશ્યલ), ઈમોશનલ (લાગણીતંત્ર), આધ્યાત્મિક (સ્પિરિચ્યુઅલ) હેલ્થની બરાબર કાળજી લેવાય છે. દરેક માણસ અહી રિફ્રેશ તેમ જ રિચાર્જ થવા જઈ શકે છે.એકસો વરસથી સતત કાર્યરત કેવલ્યધામ મહારાષ્ટ્રનું અને દેશનું ઉત્તમ યોગધામ બન્યું છે, ગયા વરસે ૧૦૦ વરસની ઉજવણીમાં અહી દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ચીફ ગેસ્ટ તરીકે પધાર્યા હતા. આ ઉપરાંત અહી દેશની અનેક સેલિબ્રિટીઝ રિચાર્જ થવા કે મુલાકાત લેવા પણ આવતી રહે છે.

રિસર્ચ પર વિશેષ ફોકસ

 આયુર્વેદ થેરાપી રૂમ

કેવલ્યધામ એક ટ્રસ્ટ છે, જેથી અહી દરેક કાર્ય-પ્રવૃતિ વ્યકિતલક્ષી નહીં, બલકે વિષયને કેન્દ્રમાં રાખી સમાજ કલ્યાણ માટે જ થાય છે. ભલે અહી બધું વિનામૂલ્ય નથી, પરંતુ જેને પણ જરૂરીયાત મુજબ અપાય છે કે ઓફર થાય છે એ અમૂલ્ય હોય છે. કેવલ્યધામની ૧૭ વરસથી નિયમિત મુલાકાત લેતા જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલાના જણાવ્યાનુસાર અહી શરૂઆતથી રિસર્ચ (સંશોધન) પર વિશેષ ભાર મુકાયો છે, જેમાંથી અનેકવિધ હેલ્થ સમસ્યાના ઉપાય મળે છે અને રાહત પણ મળે છે. આ રિસર્ચ કાર્યમાં નિષ્ઠાંપૂર્વક કામ કરતા લોકો કોર્પોરેટ સેકટરમાં કામ કરે તો લાખો રૂપિયાના સેલેરી પેકેજ પામે, કિંતુ અહી આ સેવાભાવી લોકો નાના સેલેરી પેકેજ સાથે પણ સેવા આપે છે. વિવિધ ક્રોનિક રોગોમાં રિસર્ચની ભૂમિકા બહુ અહમ બનતી હોય છે અને આ પ્રોસેસ સતત ચાલતી રહેતી હોવાથી તેમાં સમયાંતરે નવા ઉપાય પણ મળતા રહે છે. એક સમયે અસ્થમા, માઈગ્રેન, વગેરે જેવી સમસ્યાના ઉપાય મળતા નહોતા, જેને રિસર્ચથી ઘણી રાહત આપી શકાઈ છે. આમાંના મોટાભાગના રિસર્ચ યોગ આધારિત થાય છે. ખરેખર તો યોગ પાસે માનવીની શારિરીક, માનસિક સહિતની સમસ્યાના બહેતર નકકર ઉપાય છે, પણ એ માટે માનવીની તેમાં શ્રધ્ધા હોવી અને એ કરવા માટેની ધગશ અને નિષ્ઠા હોવી આવશ્યક છે.

હેલ્થકેરમાં નકકર પાયાની કામગીરી

પ્રિ-ડાયાબેટિક સ્ટેજ હોય કે માઈગ્રેનના કિસ્સા હોય તેના યોગિક ઉપાય થાય છે. ઘણા રોગોને ઉગતા ડામી શકાય અથવા વધતા અટકાવી શકાય છે. આમાં સંસ્થા કોઈ દાવા કરીને લોકોને આકર્ષતી નથી, બલકે નકકર ઉપાય કરે છે. આ સાથે સ્પોન્ડિલાઈટિસ, સાઈટિકા અને પીઠના દુખાવા, વગેરે સમાન શરીરની વિવિધ સમસ્યાના ઉપાય-ઈલાજ થાય છે. આ ધામમાં આયુર્વેદ, નેચરોપેથી અને યોગા આધારિત વિવિધ સ્તરે ઈલાજના વિકલ્પો છે. આજના સમયમાં આ તમામ પ્રકારના રોગ સાથે સ્ટ્રેસ, ડિપ્રેશન, વગેરેની સમસ્યા પણ સતત વધી રહી છે. માનવી એક યા બીજા કારણસર તરત ડિપ્રેશનમાં અથવા માનસિક વ્યથામાં ઊંડો ઉતરી જઈ શરીરમાં વિવિધ રોગોને આમંત્રણ આપી બેસે છે. આના ઉપાયમાં પ્રાણાયામ સહિતના સફળ પ્રયોગો થાય છે. આજની લાઈફ સ્ટાઈલ પણ રોગોને આમંત્રણ આપવાનો માર્ગ બની ગઈ છે, જેને જાણતા-અજાણતા સૌ કોઈ અપનાવી રહયા છે. ત્યારબાદ મેડિકલ -મેડિસિન્સના આધારે તેમાં તાત્કાલિક રિલીફ મેળવી ફરી એ જ ચકકરમાં અટવાયા કરે છે, તેઓ એમાંથી જડમૂળથી બહાર આવવાના સચોટ ઉપાય કરતા નથી. વાસ્તવમાં કેવલ્યધામમાં હેલ્થકેરની તમામ સુવિધા હોવાછતાં અને આ ધામ મુંબઈથી નજીક હોવાછતાં લોકોમાં આ વિશેની પર્યાપ્ત જાગ્રતિનો નથી, જેને લીધે લોકો દુર-દુર અને એ પણ અતિ ખર્ચાળ સેન્ટરોમાં ઈલાજ કરાવવા પહોંચી જાય છે. જોકે ગૌરવભાઈ કહે છે કે છેલ્લા અમુક વરસથી કેવલ્યધામ વિશેની જાગ્રતિ વધી રહી છે. અહી વિદેશોથી પણ મુલાકાતીઓ આવતા રહે છે, હેલ્થ માટે અને શિક્ષણ માટે પણ આવે છે. નોંધપાત્ર વાત એ છે કે આ ધામમાં વરસે આશરે ૩૦૦૦ મુલાકાતીઓ આવે છે. અહી રહીને યોગ કરો અથવા હેલ્થ સારવાર કરાવો, દરેક માટે નિયત કાર્યક્રમો હોય છે. ક્રોનિક રોગો સામે લડવા અહી વિકલી વર્કશોપ હોય છે.

વાજબી દર અને રાહત

ઘણાંને એમ હશે કે અહી બધું બહુ કોસ્ટલી હશે, કિંતુ એવી માન્યતા ખોટી છે. આજે માનવી શરીર સ્વાસ્થ્ય માટે નાણાં ખર્ચે તે ખર્ચ નથી, બલકે ઈન્વેસ્ટમેન્ટ છે,કારણ કે જનમાનસમાં હવે એક સત્ય ઘર કરી રહયું છે કે હેલ્થ ઈઝ ધ રિઅલ વેલ્થ. ગૌરવભાઇના અભિપ્રાય મુજબ અહી વાજબી દરોએ રહેવાની ઉત્તમ સુવિધા પણ છે.અહી ગરીબ-જરૂરતમંદ વર્ગને રાહત અપાય છે. તેમની માટે દાતાઓ સહાય કરે છે. સસ્થા પણ એ મુજબની વ્યવસ્થા કરે છે.

તાતા મેમોરિઅલ સાથે સહયોગ

કેવલ્યધામ મુંબઈની કેન્સર માટે જાણીતી હોસ્પિટલ તાતા મેમોરિઅલ હોસ્પિટલ સાથે સમજુતી કરાર ધરાવે છે, જેના હેઠળ તાતામાં કિમોથેરાપી સહિતની સારવાર લેનાર દર્દી એ પછીથી બહુ ભારે હતાશા કે અસલામતી અથવા ભય સાથે જીવન જીવતો હોય છે, અર્થાત દર્દીઓ ઈમોશનલ રીતે નબળાં પડી જતા હોય છે. આ ધામમાં આવા દર્દીઓની ઈમોશનલ, ફિઝિકલ, મેન્ટલ હેલ્થની કાળજી માટે વિવિધ યોગ-પ્રાણાયામ કરાવાય છે, જેના બહુ અસરકારક પરિણામ જોવા મળે છે.

પ્રાઈમરી સ્કુલથી લઈ પીએચડી સુધી

એક રસપ્રદ વાત એ પણ છે કે કેવલ્યધામમાં પ્રાઈમરી લેવલની સ્કુલથી લઈ કોલેજ સુધી યોગનો અભ્યાસ આવરી લેવાય છે, સ્કુલમાં બાળકોને અન્ય નિયમિત અભ્યાસ સાથે યોગ અભ્યાસ કરાવાય છે.અહી સ્કુલમાં તો આસપાસથી વિધાર્થીઓ આવે છે.જયારે કે ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સીસ માટે લોકો દેશભરમાંથી આવતા રહે છે. ડિપ્લોમા કોર્સ એ કેવલ્યધામની વિશેષતા ગણાય છે. આ અભ્યાસ બાદ લોકોને રોજગાર મળવાની શકયતા ઊંચી રહે છે તેમ યોગ ટીચર તરીકે તેઓ પોતાનું અલગ પ્રોફેશન પણ શરૂ કરી શકે છે.આજના સમયમાં યોગની ડિમાંડને ધ્યાનમાં રાખતા યોગ નિષ્ણાંત માટે આ કેરિયરમાં આગળ વધવાનો ભરપુર અવકાશ છે.આ ધામની મજાની વાત એ પણ ખરી કે અહી યોગ પર માસ્ટર અને પીએચડી (ડોકટરેટ) પણ થઈ શકે છે.વિવિધ દેશોથી પણ વિધાર્થીઓ અહી યોગ શીખવા આવે છે.આ યોગમય સ્કુલ તરીકે જાણીતી છે. અહી યોગ શીખેલા લોકો આજે યોગ ક્ષેત્રે દુનિયાભરમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

કેવલ્યધામ યોગા ઈન્સ્ટીટયુટની સ્થાપના સ્વામી કુવાલયનંદાએ કરી હતી, તેમને પોતાની વિદાય પહેલાં સંસ્થા માટે એક ખાસ સંદેશ આપી ગયા હતા, જેમાં તેમણે કહયુ હતુ કે આ સંસ્થા કયારેક બંધ થઈ જાય તો ચાલશે, પરંતુ અહી યોગના સ્તર કે કક્ષાને નીચે ઉતરવા દેતા નહી.

આ કેવલ્યધામ ભારતનું અને યોગ શિક્ષણનું ગૌરવ છે. આ ધરોહરને સાચવી રાખવાની જ નહીં, બલકે તેના વિકાસમાં સહયોગ આપવાની જરૂર છે એમ કહેતા ગૌરવ મશરૂવાળા ઉમેરે છે કે આ સહયોગને પણ રાષ્ટ્રપ્રેમ ગણી શકાય.

( અહેવાલ-જયેશ ચિતલિયા, મુંબઈ)

નાગરિકતા મળ્યા પહેલાં મતદાર યાદીમાં જોડાયું સોનિયા ગાંધીનું નામઃ ઠાકુર

નવી દિલ્હીઃ બિહારમાં મતદાર યાદીના સુધારણા મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપ પર મત ચોરીના આરોપ લગાવ્યા છે. તેને લઈને આજે ભાજપે વળતો હુમલો કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીનું નામ તેમને નાગરિકતા મળ્યા પહેલાં જ મતદાર યાદીમાં નોંધાઈ ગયું હતું. આ મુદ્દે ભાજપ IT સેલના પ્રમુખ અમિત માલવિયાએ ટ્વિટ કર્યું છે, તો બીજી તરફ લોકસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે એક લાંબી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે તેજસ્વી યાદવથી લઈને મમતા બેનર્જી સુધીના આરોપોના જવાબ આપ્યા હતા.

અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે આખરે કોંગ્રેસ હિંદુસ્તાનના લોકોના મતને ઓછા કેમ બતાવવા માગે છે? તેમણે કહ્યું હતું કે શું હિંદુસ્તાનના મતદાતાઓએ વારંવાર કોંગ્રેસને નકારી કાઢ્યા છે, એટલે હવે કોંગ્રેસ પોતાના ઘૂસણખોર મતબેંક સુધી સીમિત રહેવા માગે છે?

સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર તીખો હુમલો કરતાં કહ્યું હતું કે હારે છે અને આરોપ ચૂંટણી પંચ (ECI) અને ભાજપ પર લગાવે છે. ધૂળ એમના ચહેરા પર હતી અને અરીસો સાફ કરતા રહ્યા. કાલે કોઈ કોંગ્રેસ નેતા બોલ્યા કે રાહુલ ગાંધી ભયંકર કરી દીધું, તો હું કહું છું ભયંકર નહીં, પરંતુ ‘બ્લન્ડર’ કર્યું છે. ચૂંટણી સમયે બંધારણને લઈને ભ્રમ ફેલાવ્યો અને હવે ફરીથી ખોટું બોલી રહ્યા છે. એમની પાસે ચૂંટણી માટે કોઈ મુદ્દો જ નથી બચ્યો.

અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે મતદાતાઓ મૂર્ખોની ટોળકી છે. જ્યારે રાજીવ ગાંધી ચૂંટણી હારી ગયા, ત્યારે તેમણે બેલેટ પેપરને દોષી ઠેરવ્યું. રાહુલ ગાંધીના પિતા કહેતા હતા કે મતદાન મશીનો વડે ચૂંટણી કરાવો અને રાહુલ ગાંધી કહે છે કે બેલેટ પેપર વડે ચૂંટણી કરાવો. આ લોકો બીજાઓ પર આરોપ લગાવતા જ રહે છે, તો હવે પરિવાર જ નક્કી કરી લે કે કોને રાખવું અને કોને નહીં.

ડૉ. વિક્રમ સારાભાઈની જન્મજયંતિ નિમિત્તે VASCSCએ ખાતે ઓપન હાઉસનું આયોજન

અમદાવાદ: વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) એ ડૉ. વિક્રમ સારાભાઈની 106મી જન્મજયંતિ નિમિત્તે ઓપન હાઉસનું આયોજન કર્યું. જેમાં 500થી વધુ બાળકો, વાલીઓ અને વિજ્ઞાનપ્રેમીઓએ ઉપસ્થિતિ નોંધાવી. મુલાકાતીઓએ ફિઝિક્સ, બાયોલોજી, મૅથેમૅટિક્સ, ઇમર્જિંગ ટેક્નોલૉજી, મોડલ રૉકેટ્રી, કમ્પ્યુટર્સ અને એસ્ટ્રોનૉમી જેવા વિષયોની લૅબ્સની મુલાકાત લીધી. ઇન્ટરૅક્ટિવ કોર્નરે ઉત્સાહપૂર્ણ એક મિનિટના રમતો, DIY ઝોન, ‘ટુગેધર વી પેઇન્ટ’ સમૂહ ચિત્રકલાની પ્રવૃત્તિ અને ‘વિજ્ઞાન દૃષ્ટિ’ મેગેઝીન સ્ટૉલ સાથે સૌને કંઈખ નવું પીરસ્યું.

સાથે જ સાયન્સ શોમાં કેટલાંક અદ્ભુત પ્રયોગો રજૂ કરવામાં આવ્યા. આ સેન્ટરની લાઇબ્રેરીમાં VASCSC બુક ક્લબનું લોન્ચ પણ થયું, જે વિજ્ઞાનપ્રેમીઓ અને વાંચનપ્રેમીઓને જ્ઞાન અને વિચારોની આપ-લે માટેનું નવું મંચ પૂરું પાડશે. ઉજવણીનો અંત એક ભવ્ય મોડલ રૉકેટ લોન્ચ સાથે થયો, જે ડૉ. સારાભાઈની નવીનતાની શાશ્વત વારસાગાથા અને ભારતના વિજ્ઞાન તથા અવકાશ કાર્યક્રમોને નવી ઊંચાઈએ લઈ જવાના તેમના સપનાને પ્રતીકરૂપ હતી.

ITR, ટેક્સ ઓડિટ રિપોર્ટ ભરવાની અંતિમ તારીખોમાં વધારવાની GCCIની અરજ

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે (GCCIએ) સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસને નાણાકીય વર્ષ 2024-25ના ITR અને ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઇલિંગ કરવા માટેની અંતિમ તારીખ લંબાવવા માટે વિનંતી કરતો પત્ર લખ્યો છે. GCCI આ પત્રમાં લખ્યું છે કે કરદાતાઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને અન્ય હિતધારકોને નાણાકીય વર્ષ 2024-25  માટે આવકવેરા રિટર્ન અને ટેક્સ ઓડિટ રિપોર્ટ સમયસર દાખલ કરવામાં આવી રહેલી કેટલીક વ્યવહારુ મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરવા માટે લખી રહ્યા છીએ. અમે વિનંતી કરીએ છીએ કે આપ આ વાસ્તવિક પડકારોને ધ્યાનમાં લઈ રિટર્ન અને ટેક્સ ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની અંતિમ તારીખોમાં યોગ્ય વધારો કરો.

GCCIએ અંતિમ તારીખ લંબાવવા માટેનાં કારણો રજૂ કર્યાં છે, જેમાં

ITR રિટર્ન અને અન્ય ITR યુટિલિટી ફોર્મ્સ જારી થવામાં વિલંબ. સામાન્ય રીતે આ ફોર્મ્સ એપ્રિલમાં જારી થાય છે, પરંતુ નાણાં વર્ષ 2024-25 માટે એ ફોર્મ્સ જારી કરવામાં સરેરાશ ત્રણ મહિનાનો વિલંબ થયો છે.

યુટિલિટીઝનું પ્રકાશન માત્ર જુલાઈ 2025થી શરૂ થયું છે, અને ઓગસ્ટ 2025ના પ્રથમ સપ્તાહ સુધીમાં પણ કેટલાક ફોર્મ્સ હજુ બાકી છે.

. આયકર પોર્ટલ પર ટેક્નિકલ સમસ્યાઓ

કરદાતાઓ અને પ્રોફેશનલો આયકર ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ટેકનિકલ પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે, જેના કારણે પાલન (Compliance)ની સમયમર્યાદા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર અસર પડી રહી છે. આવકવેરા રિટર્ન (ITR) અને ઓડિટ રિપોર્ટ અપલોડ કરતી વખતે સિસ્ટમની ભૂલો: વપરાશકર્તાઓ ITR, ફોર્મ 3CD (ટેક્સ ઓડિટ રિપોર્ટ) અને અન્ય કાનૂની ફોર્મ્સ અપલોડ કરતી વખતે સિસ્ટમ ભૂલો વગેરે આ સમસ્યાઓ ઘણી વાર કોઈ સ્પષ્ટ કારણ વગર ઊભી થાય છે, જેને કારણે સબમિશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વારંવાર પ્રયાસો કરવા પડે છે.

ઓગસ્ટથી નવેમ્બર 2025 દરમિયાનમાં દેશમાં ઉત્સવોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, ઓણમ, ઈદ-એ-મિલાદ, નવરાત્રી, દુર્ગાપૂજા, દશેરા અને દિવાળી વગેરેનો સમાવેશ થાય છે. આ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રસંગોમાં આવતી રજાઓને લીધે  ઓડિટરો, ટેક્સ કન્સલ્ટન્ટો અને સહાયક સ્ટાફ જેવા મુખ્ય કર્મચારીઓની ઉપલબ્ધતા મહત્ત્વપૂર્ણ રીતે પ્રભાવિત થાય છે.

GCCIએ CBDTને વિનંતી કરી છે કે કરદાતાઓ અને વ્યાવસાયિકો દ્વારા અનુભવી રહેલી વાસ્તવિક મુશ્કેલીઓ અને ટેક્નિકલ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને, ITR ફાઇલિંગ અને ટેક્સ ઓડિટ રિપોર્ટ સબમિશનની અંતિમ તારીખોને લંબાવશો. આવી મુદતવધારાથી યોગ્ય ITR ફાઇલિંગ, રિપોર્ટિંગમાં ચોકસાઇ અને ચાલુ મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે.

કેન્સરથી પીડિત બંગાળી અભિનેત્રી બસંતી ચેટર્જીનું નિધન

પ્રખ્યાત પીઢ બંગાળી અભિનેત્રી બસંતી ચેટર્જી હવે આ દુનિયામાં નથી. મંગળવારે રાત્રે તેમણે કોલકાતા સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. અભિનેત્રીના મૃત્યુના સમાચાર સમગ્ર ફિલ્મ ઉદ્યોગ માટે આઘાતજનક છે. તેમના પરિવારે આ સમાચારની પુષ્ટિ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બસંતીએ 88 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. પશ્ચિમ બંગાળ મોશન પિક્ચર આર્ટિસ્ટ ફોરમના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ચેટર્જી છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી પીડાતા હતા. તેમણે ઘણા મહિનાઓ હોસ્પિટલના ICCU માં વિતાવ્યા હતા, ત્યારબાદ ડોકટરોએ તેમને ઘરે જ નર્સિંગ કેર હેઠળ રાખવાની સલાહ આપી હતી.

પાંચ દાયકાથી વધુના તેમના કરિયરમાં, બસંતી ચેટર્જીએ 100 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ‘થાગિની’, ‘મંજરી ઓપેરા’ અને ‘આલો’ જેવી પ્રશંસનીય ફિલ્મોમાં તેમનો અભિનય ખાસ યાદ કરવામાં આવે છે. આ સાથે, તેઓ બંગાળી ટેલિવિઝનના જાણીતા વ્યક્તિત્વ પણ હતા. ‘ભૂતુ’, ‘બોરોન’ અને ‘દુર્ગા દુર્ગેશ્વરી’ જેવી લોકપ્રિય ધારાવાહિકોમાં તેમના અભિનયની દર્શકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેમનો છેલ્લો સ્ક્રીન અપિયરન્સ ‘ગીતા એલએલબી’ સિરિયલમાં હતો, જેના શૂટિંગ દરમિયાન તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. આ પછી અભિનેત્રીએ શોને અલવિદા કહ્યું.

બસંતી ચેટર્જીએ પોતાની કારકિર્દીની શરૂઆત થિયેટરથી કરી હતી અને શરૂઆતના વર્ષોમાં ઘણા સ્ટેજ પરફોર્મન્સમાં ભાગ લીધો હતો. તે ઘણા પ્રખ્યાત થિયેટર શોનો ભાગ રહ્યા હતા અને સ્ટેજથી લઈને મોટા પડદા અને ટીવી સ્ક્રીન સુધી અભિનયને લઈ ગયા હતા. તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરતા અભિનેતા ભાસ્વર ચેટર્જીએ કહ્યું, ‘તેઓ તાજેતરના સમયમાં ઘણી શારીરિક તકલીફોથી પીડાતા હતા.’ તેમણે વધુમાં કહ્યું કે બગડતી તબિયત અને ઉંમર છતાં, તેમની કલાની ચમક ક્યારેય ઓછી થઈ નથી.

તમને જણાવી દઈએ કે, બસંતી ખૂબ જ બીમાર હતા અને તાજેતરમાં તેમના ઓન-સ્ક્રીન પુત્ર ભાસ્વર ચેટર્જીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મદદ માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે અભિનેત્રી પાસે સારવાર માટે પૈસા બચ્યા નથી, તેથી તેમને આર્થિક મદદની જરૂર છે. નાના પડદાના લોકપ્રિય અભિનેતાએ ફેસબુક પર એક પોસ્ટ દ્વારા આ અપીલ કરી હતી. તેમની આ પોસ્ટ જાન્યુઆરીમાં બહાર આવી હતી અને હવે 8 મહિના પછી અભિનેત્રીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. ભાસ્વર બસંતીની ખૂબ નજીક હતા.

સાબરકાંઠામાં શ્રી સપ્તેશ્વર મહાદેવ ખાતે શિવ દર્શનનું અનોખું આયોજન

સાબરકાંઠા: સાબરમતી નદીના કાંઠે અતિ પ્રાચીન શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. જેમાં બે દિવસ માટે શિવ દર્શનનો લ્હાવો મળે તેવાં ચિત્રોનું પ્રદર્શન યોજાવાનું છે. ભગવાન શિવની વિવિધ  મુદ્રાઓને અંકિત કરતા 251 ચિત્રોના શિવ દર્શનનો પ્રારંભ 17મી ઓગસ્ટને રવિવારના રોજ સવારે 10 કલાકે થશે. આ શિવ દર્શન ની પૂર્ણાહુતિ 18 ઓગસ્ટને સોમવારના રોજ થશે.દેશના 12 જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતા આ ચિત્રો અમદાવાદના શિવભક્ત હસમુખભાઈ પટેલે દોર્યા છે. ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં 2006ના શ્રાવણ પર્વમાં તેમણે ચિત્રો પ્રદર્શિત કરવાનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ તમામ 12 જ્યોતિર્લિંગમાં “શિવ દર્શન”નું આયોજન કરાયું હતું. 2017માં મહારાષ્ટ્રમાં આવેલા ઘુષ્ણનેશ્વર જ્યોતિર્લિંગમાં આ યાત્રા સંપન્ન થઈ હતી.બાર જ્યોતિર્લિંગની યાત્રા પૂરી કરી હવે શિવદર્શન ગુજરાતના પ્રાચીન મંદિરોમાં આયોજિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે સાબરકાંઠાના પ્રાચીન મંદિર સપ્તેશ્વર મહાદેવમાં શિવ દર્શનનું આયોજન કરાયું છે.અમદાવાદમાં પાન પાર્લરનો વ્યવસાય ધરાવતા હસમુખભાઈ પટેલ માત્ર લાલ અને કાળા એમ બે કલરનો ઉપયોગ કરી શિવ ભગવાનની વિવિધ મુદ્રાઓ અંકિત કરે છે.બાર જ્યોતિર્લિંગમાં તેમણે અંકિત કરેલી દ્વાદશ જ્યોતિર્લિંગની મહિમા ધરાવતી કૃતિઓનું શિવદર્શનનું આયોજન પૂર્ણ થયું છે.આ અંગે હસમુખભાઈનું કહેવું છે, “ચિત્રો દોરવાની કોઈ પણ પ્રકારની તાલીમ કે શિક્ષણ મેં લીધું નથી. પરંતુ ભગવાન શિવની કૃપાથી મહાદેવના ચિત્રો દોરું છું. ભગવાન શિવનો સંદેશો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે દર શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં શિવ દર્શનનું આયોજન થાય તેવો સંકલ્પ પણ કર્યો છે. આ ચિત્રો ભક્તોના દર્શન માટે જ છે.”વધુમાં હસમુખભાઈ જણાવે છે, “બાર જ્યોતિર્લિંગમાં શિવ દર્શનના સંકલ્પને પૂરા કર્યા બાદ હવે ગુજરાતમાં પણ શિવ દર્શનનું આયોજન કરવાનો સંકલ્પ કર્યો છે. જેમાં અગાઉ ધંધુકા નજીકના ભીમનાથ મહાદેવ, બોટાદ નજીકના ઘેલા સોમનાથ અને  ભાવનગર જિલ્લામાં ગોપનાથમાં શિવ દર્શનનું આયોજન કરાયું હતું.”

જયા બચ્ચનના ક્રોધિત વર્તન પર ફિલ્મ મેકર અશોક પંડિતની તીખી પ્રતિક્રિયા

બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચન ફરી એકવાર પોતાના ગુસ્સાને કારણે ચર્ચામાં છે. મંગળવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં જયા બચ્ચન એક ચાહકને ધક્કો મારતા જોવા મળી રહ્યા છે. આ ઘટના ત્યારે બની હોવાનું કહેવાય છે જ્યારે એક વ્યક્તિ સેલ્ફી લેવાના ઇરાદાથી તેમની પાસે આવ્યો હતો. આ સમગ્ર ઘટનાએ માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત ચહેરાઓ પણ ગુસ્સે ભરાયા છે.

ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન (IFTDA) ના પ્રમુખ અને ફિલ્મ નિર્માતા અશોક પંડિતે પણ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જાહેર સેવકનું કર્તવ્ય છે કે તે જનતા પ્રત્યે નમ્ર અને સંવેદનશીલ રહે. તેમના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં લખવામાં આવ્યું હતું કે, ‘કોઈને ફક્ત એટલા માટે ધક્કો મારવો કે કોઈ સેલ્ફી લેવા માંગે છે તે ખૂબ જ નિંદનીય છે. આ તે લોકોનું અપમાન છે જેમણે તેમને જનપ્રતિનિધિ તરીકે ચૂંટ્યા છે.’

આ વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવવા લાગી. ઘણા યુઝર્સે જયા બચ્ચનના વર્તનને ઘમંડી અને અસહ્ય ગણાવ્યું. ઘણા યુઝર્સે જયા બચ્ચન વિરુદ્ધ ટિપ્પણીઓ કરી. એક યુઝરે લખ્યું – ‘ચાહકોનું સન્માન કરવું જોઈએ, કારણ કે તમે ફક્ત અમારા કારણે જ અહીં પહોંચ્યા છો.’

કંગના રનૌતે પણ નિંદા કરી

ઉદ્યોગના ઘણા લોકોએ પણ આ ઘટના સાથે પોતાનો અસંમતિ વ્યક્ત કરી છે. કંગના રનૌતે કટાક્ષ કર્યા વિના આ બાબતને ‘શરમજનક’ ગણાવી. તેણીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે જયા બચ્ચન જેવી મહિલાઓ, જે ખુલ્લેઆમ પોતાના વિશેષાધિકારોનું પ્રદર્શન કરે છે, તે સમાજમાં ખોટો સંદેશ ફેલાવે છે. તેણીએ એમ પણ કહ્યું કે જો જયા બચ્ચન અમિતાભ બચ્ચનની પત્ની ન હોત, તો લોકો કદાચ તેમના વર્તનને આટલી સરળતાથી ન લેતા.

જયાએ આ પહેલા પણ આવું કંઈક કર્યું છે

જયા બચ્ચનનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ, તેણી મીડિયા પર ગુસ્સે થતી, ફોટોગ્રાફરોને ઠપકો આપતી અને જાહેર કાર્યક્રમોમાં અસ્વસ્થતાભર્યું વર્તન કરતી જોવા મળી છે. તેણીની આ શૈલી હવે તેની છબીનો કાયમી ભાગ બની ગઈ છે.

યુપી વિધાનસભામાં બાંકે બિહારી મંદિર નિર્માણ વટહુકમ મંજૂર

આજે ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે બાંકે બિહારી મંદિર નિર્માણ વટહુકમને મંજૂરી મળી. સત્રમાં બાંકે બિહારી કોરિડોર વટહુકમ બિલ પણ પસાર કરવામાં આવ્યું છે. વટહુકમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ટ્રસ્ટનો મંદિરના પ્રસાદ, દાન અને તમામ સ્થાવર અને જંગમ મિલકતો પર અધિકાર રહેશે. આમાં મંદિરમાં સ્થાપિત મૂર્તિઓ, મંદિર પરિસર અને પરિસરમાં દેવતાઓને અર્પણ કરાયેલ કોઈપણ પ્રકારનું દાન, પૂજા-સેવા અથવા ધાર્મિક વિધિમાં અર્પણ કરાયેલ દાન, બેંક ડ્રાફ્ટ અને પોસ્ટ દ્વારા મોકલવામાં આવતા ચેકનો સમાવેશ થાય છે.

બાંકે બિહારી મંદિર નિર્માણ વટહુકમ શું છે?

તમને જણાવી દઈએ કે શ્રી બાંકે બિહારી મંદિર નિર્માણ વટહુકમનો ઉદ્દેશ્ય મથુરાના વિશ્વ પ્રખ્યાત શ્રી બાંકે બિહારી મંદિરના સંચાલન, કાર્ય, સંરક્ષણ અને ભક્તોને આપવામાં આવતી સુવિધાઓનું આધુનિકીકરણ કરવાનો છે. વટહુકમ હેઠળ, શ્રી બાંકે બિહારી મંદિર ન્યાસની રચના કરવામાં આવશે, જે મંદિરના વહીવટ, પ્રસાદ અને જંગમ અને જંગમ મિલકતોનું સંચાલન કરશે.

ટ્રસ્ટમાં 18 સભ્યો હશે, જેમાં 11 નામાંકિત અને 7 પદાધિકારી સભ્યોનો સમાવેશ થશે. 11 નામાંકિત સભ્યોમાં 3 વૈષ્ણવ પરંપરાના, 3 સનાતન પરંપરાના, 2 ગોસ્વામી પરંપરાના નિષ્ણાતો અને 3 પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ થશે. 7 પદાધિકારી સભ્યોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ મથુરા, વરિષ્ઠ પોલીસ અધિક્ષક અને અન્ય ઘણા અધિકારીઓનો સમાવેશ થઈ શકે છે. બધા ટ્રસ્ટીઓ સનાતની હિન્દુઓ હશે અને તેમનો કાર્યકાળ ૩ વર્ષનો રહેશે.