નવી દિલ્હીઃ અમેરિકી ટેરિફના અસરને ખાળવા સરકારે નિકાસને ટેકો આપવા યોજના બનાવી છે. કોમર્સ અને ઈન્ડસ્ટ્રી મંત્રાલયે આશરે રૂ. 25,000 કરોડની સપોર્ટ સ્કીમ્સ (Export Promotion Mission) તૈયાર કરી છે, જે છ વર્ષના સમયગાળામાં અમલમાં મૂકવામાં આવશે. તેના દ્વારા અમેરિકાના ઊંચા ટેરિફથી ઊભી થયેલી અનિશ્ચિતતાઓનો સામનો કરી શકાશે.
કોમર્સ મંત્રાલયનો આ પ્રસ્તાવ નાણાં મંત્રાલયને મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. મંજૂરી મળતાં જ અને બજેટ ફાળવણી નક્કી થયા બાદ આ સ્કીમો કેબિનેટની મંજૂરી પછી અમલમાં આવશે, એમ સૂત્રોએ કહ્યું હતું. એક્સપોર્ટ પ્રમોશન મિશન અંતર્ગત તૈયાર કરેલી આ સ્કીમોમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) મુજબના હસ્તક્ષેપ સામેલ રહેશે, જેમાં ટ્રેડ ફાઈનાન્સ અને નિકાસકારો માટે માર્કેટ એક્સેસ સરળ બનાવવાનું ધ્યાન કેન્દ્રિત રહેશે.
સરકારે કહ્યું છે કે અમે લાંબા ગાળાની વ્યૂહરચના પર કામ કરી રહ્યા છીએ. આ મિશન એ પડકારોને ઉકેલે છે, જે માત્ર ટેરિફ અને ટ્રેડ વોર સાથે જોડાયેલી અનિશ્ચિતતાઓ સુધી મર્યાદિત નથી.
આ પહેલ એવા સમયે આવી છે જ્યારે નિકાસકારો સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે, કારણ કે તેમને ટૂંક સમયમાં અમેરિકા મોકલવામાં આવતા માલ પર 50 ટકા ટેરિફનો સામનો કરવો પડશે. રત્ન અને આભૂષણ, ટેક્સટાઇલ અને સમુદ્રી ઉત્પાદન જેવાં સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં સામેલ છે.
જોકે બજેટ 2025માં રૂ. 2250 કરોડનું એક્સપોર્ટ પ્રમોશન મિશન જાહેર થયું હતું, પરંતુ એ હજી સુધી અમલમાં મુકાયું નથી.
નવી સ્કીમની ખાસિયતો
નાના નિકાસકારો માટે કોલેટરલ-મુક્ત લોનની સુવિધા
ક્રોસ-બોર્ડર ફેક્ટરિંગ દ્વારા વૈકલ્પિક નાણાકીય સાધનોને પ્રોત્સાહન
ઊંચા જોખમવાળા બજારો માટે સહાય.
ડાયરેક્ટ સબસિડી જેવા વિકલ્પની સંભાવના ઓછી છે, કારણ કે તેને અમલમાં મૂકવું મુશ્કેલ છે અને તેમાં નૈતિક જોખમની ચિંતા રહે છે.
નવી દિલ્હીઃ ચોકીદાર ચોર છે’ની ચર્ચા ફરીથી થઈ છે કારણ કે રાહુલે ફરી એક નવું સૂત્ર આપ્યું છે – વોટ ચોર સરકાર. પોતાના આક્ષેપના પક્ષમાં તેઓ જગ્યા-જગ્યા પર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યાં છે, પરંતુ સામાન્ય લોકોને આ મુદ્દા સાથે ખાસ જોડાણ જોવા મળ્યું નથી. આ આશ્ચર્યજનક છે, કારણ કે મત આપવાનો અધિકાર દરેક નાગરિકનો મૂળભૂત હક છે. તો એવા પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે કે કોંગ્રેસનાં સૂત્રો લોકોને અસરકારક શા માટે નથી થતાં.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી રાફેલ ખરીદીમાં ભ્રષ્ટાચારને મુદ્દે નરેન્દ્ર મોદી સરકારને ઘેરવામાં લાગી હતી. એ જ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક સૂત્ર આપ્યું હતું – ચોકીદાર ચોર છે. ભાજપ અને પ્રધાન મંત્રી મોદીએ થોડી રાહ જોઈ, એ જાણવા માટે કે રાહુલના આ સૂત્રનો સામાન્ય લોકો પર શો પ્રભાવ પડે છે. જ્યારે જોયું કે આ મુદ્દો ખાસ જોર પકડી રહ્યો નથી, ત્યારે મોદીએ સોશિયલ મિડિયા પર હું પણ ચોકીદાર અભિયાન શરૂ કર્યું. થોડા સમયમાં જ X (ત્યારે ટ્વિટર) પર ટ્રેન્ડ થવા લાગ્યું. આખી ચૂંટણીપ્રચાર દરમિયાન “હું પણ ચોકીદાર” લખેલી ટોપી પહેરેલા ભાજપ કાર્યકરોએ એવું વાતાવરણ ઊભું કર્યું કે ચૂંટણીમાં ભાજપને પહેલાં કરતાં પણ મોટી જીત મળી ગઈ. રાહુલ ગાંધીએ આપેલું સૂત્ર ટાંય-ટાંય ફિસ્સ થઈ ગયું.
રાહુલ ગાંધીના તાજા આક્ષેપ અત્યંત ગંભીર છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ મત ચોરી કરીને ત્રીજી વાર પ્રધાન મંત્રી બન્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી પણ કોંગ્રેસે આવા આક્ષેપ કર્યા હતા. ત્યાર બાદ જ્યારે બિહારમાં મતદાર પુનરીક્ષણ અભિયાન શરૂ થયું ત્યારે આ મુદ્દો ઉગ્ર બન્યો. આ આક્ષેપ સમગ્ર લોકશાહી વ્યવસ્થાને સવાલો હેઠળ લાવનાર છે. અન્ય વિપક્ષી પક્ષો પણ આ મુદ્દે રાહુલ સાથે આવી ગયા છે, પરંતુ સામાન્ય લોકોમાં તેને લઈને ખાસ ઉત્સુકતા દેખાતી નથી.
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકાનું ટેરિફ લગાવવાનું એલાન કર્યું છે, જેમાંથી 25 ટકા ટેરિફ લાગુ થઈ ગયો છે, જ્યારે બાકીનાં 25 ટકા 27 ઓગસ્ટથી લાગુ થવાના છે. જોકે ટ્રમ્પના 50 ટકાના ટેરિફનો ભારત પર બહુ ઓછી અસર થવાની છે, એમ અમેરિકન ક્રેડિટ રેટિંગ એજન્સીએ દાવો કર્યો છે.
એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સ (S\&P Global Ratings)ના ડિરેક્ટર યીફાર્ન ફુઆએ જણાવ્યું હતું કે ભારતના મર્યાદિત વેપાર-કેન્દ્રિત માળખાને જોતાં ટ્રમ્પના ટેરિફથી ભારતની વૃદ્ધિ અસરગ્રસ્ત નહીં થાય અને તેની સોવરિન રેટિંગની દૃષ્ટિ સકારાત્મક જ રહેશે.અમેરિકન ટેરિફના સંભવિત જોખમ વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર સ્થિર રહેશે. તેમણે કહ્યું હતું કે અમેરિકાને નિકાસ જીડીપીના માત્ર બે ટકા જેટલી છે, જે ઓછી વેપાર નિર્ભરતા દર્શાવે છે.
એસ એન્ડ પીને અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની GDP વૃદ્ધિદર 6.5 ટકા પર સ્થિર રહેશે, જે ગયા નાણાકીય વર્ષના પ્રદર્શન જેટલી જ છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા માટે નિકાસ કરતાં મહત્વનાં ક્ષેત્રો (જેમાં દવાઓ અને ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે) ટ્રમ્પના ટેરિફથી અસરગ્રસ્ત નહીં થાય.
એશિયા-પ્રશાંત સોવરીન રેટિંગ્સ વિભાગે પણ કહ્યું હતું કે લાંબા ગાળે અમને લાગતું નથી કે (ઉચ્ચ ટેરિફ) ભારતના અર્થતંત્રને કોઈ મોટો ફટકો પહોંચાડશે અને તેથી ભારત અંગેનો સકારાત્મક અભિગમ યથાવત છે. ભારતના વ્યવસાયોએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ‘ચીન પ્લસ વન’ વ્યૂહ અપનાવ્યો છે અને મુખ્યત્વે સ્થાનિક બજારની સુવિધા માટે ભારતમાં કામગીરી સ્થાપિત કરી છે.
2021-25 દરમિયાન અમેરિકા ભારતનો મુખ્ય વેપારી ભાગીદાર તરીકે ઊભર્યો. અમેરિકાનો ભારતના કુલ નિકાસમાં લગભગ 18 ટકા હિસ્સો હતો, જ્યારે આયાતમાં 6.22 ટકા અને દ્વિપક્ષી વેપારમાં 10.73 ટકા હિસ્સો હતો. 2024-25માં ભારત અને અમેરિકાના વચ્ચે દ્વિપક્ષી વેપાર કુલ 186 અબજ ડોલર રહ્યો. આ દરમિયાન ભારતની અમેરિકાને નિકાસ 86.5 અબજ ડોલર રહી છે, જ્યારે આયાત 45.3 અબજ ડોલરની હતી.
બે દિવસ પહેલાં એક સમાચાર વાંચવામાં આવ્યાઃ મુંબઈના નીલ નાર્વેકર નામના 17 વર્ષી કિશોરે ‘પઢાઈ એઈડ’ નામનો ઉપક્રમ શરૂ કરી છેલ્લાં ચારેક વર્ષમાં આશરે સાડાપચીસ લાખ રૂપિયા ભેગા કર્યા. આ પૈસામાંથી એણે મુંબઈની 19 સ્કૂલનાં 132 જેટલાં નિર્ધન પરિવારનાં બાળકોની સ્કૂલ-ફી ભરી એમનો જ્ઞાનદીપ ઝળહળતો રાખ્યો.
કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે: “ઠંડા પહોરે ચાલવા માંડો, નહીં તો તડકા વખતે હેરાન થશો”. બારણે ટકોરા દેતી પળને કંકુ-ચોખા લઈને પોંખી લેવાની વાત અહીં કહેવાઈ છે, કારણ કે વહી ગયેલાં નીર અને સરી ગયેલો સમય ક્યારેય પાછાં મેળવી શકાતાં નથી.
લોઢું તપેલું હોય ત્યારે જ ઘણ ફટકારી દેવામાં ડહાપણ છે કેમ કે લોઢું ઠરી જાય પછી સાંધો બાઝતો નથી. માટી ચાકડે ઘૂમતી હોય ત્યારે જ ઘાટ ઘડી દેવામાં શાણપણ છે. પાકે ઘડે કાંઠા ક્યારેય ચઢતા નથી. આવી જ રીતે કઈંક પામવા માટે યુવાનીના ઉંબરેથી જ જીવનના મેદાનમાં છલાંગ મારવામાં સમજદારી છે. જીવનની વસંત જેવી યુવાની વીતી જાય પછી સફ્ળતાનાં પુષ્પોને ખીલવાનું અઘરું પડે છે. યુવાનીનાં વર્ષોમાં જીવનવિકાસ માટે વિશેષ કાળજી લેવી ઘટે છે, કારણ કે તે સમયે ખીલતી યુવાની, વિકસતી બુદ્ધિ, શક્તિસભર ઈન્દ્રિયો છે. ઝવેરચંદ મેઘાણી કહી ગયા છેઃ ઘટમાં ઘોડાં થનગને, આતમ વીંઝે પાંખ; અણદીઠી ભોમ પર, યૌવન માંડે આંખ…
વિશ્વઈતિહાસમાં ડોકિયું કરીએ તો જણાય કે યૌવનના થનગનાટે દુનિયાની તાસીર અને તસવીર બદલી છે. જેમણે જેમણે ઈતિહાસ સર્જ્યો તે બધા ઠંડા પહોરે ચાલી નીકળેલા છે. જેમ કેઃ
અણુશક્તિનો તાગ કાઢનાર આઈન્સ્ટાઈને વિજ્ઞાનની ગૂંચ ઉકેલવાનો નિર્ધાર કર્યો ત્યારે એ 12 વર્ષના હતા. 16મા વર્ષે સાપેક્ષવાદના સિદ્ધાંત વિષે નિબંધ લખી “ઈ ઈઝ ઈક્વલ ટુ એમસી સ્ક્વેર” સમીકરણનો પાયો નાખ્યો, 26મા વર્ષે તો સિદ્ધાંત પ્રગટ કરી દીધો.
12 વર્ષ અને 8 મહિના રાજ્ય કરીને સમ્રાટ સિકંદર 33મા વર્ષે અવસાન પામ્યો ત્યાં સુધીમાં તે અડધા વિશ્વનો વિજેતા બની ચૂક્યો હતો, 70 નવાં શહેર સ્થાપી ચૂક્યો હતો. નેપોલિયન 29મા વર્ષે ફ્રાન્સનો સરમુખત્યાર થયેલો. વિલિયમ પીટ માત્ર 24 વર્ષની વયે જ ઇંગ્લેન્ડનો વડા પ્રધાન બની ગયેલો.
અમેરિકાની અશ્વેત પ્રજાની જીવનકહાણી બદલી દેનાર માર્ટિન લ્યુથર કિંગે સવાબે કરોડ નાગરિકોના અધિકારોની ચળવળ ઉપાડી, ત્યારે એ માત્ર 26 વર્ષના હતા. આઈ હેવ અ ડ્રીમ એ જગપ્રસિદ્ધ વક્તવ્ય આપ્યું ત્યારે તે 34 વર્ષના હતા. 35મા વર્ષે તો શાંતિ માટેનું શ્રેષ્ઠ નોબેલ પ્રાઈઝ તેમના ઘરની શોભા વધારતું હતું.
ન કેવળ લૌકિક માર્ગ પરંતુ અધ્યાત્મ પથ પર પણ આવાં દષ્ટાંત નજર સમક્ષ તરવરે છે. જેમ કેઃ
પોતાની સંતતિ અને સંપત્તિ છોડીને સિદ્ધાર્થ અદ્વિતીય સાંસ્કૃતિક ક્રાંતિના પથ પર ચાલી નીકળ્યા, ત્યારે એ વૃદ્ધ નહી પણ યુવાન હતા. અદ્વૈત મતના પ્રણેતા શંકરાચાર્યે પોતાની સાંસ્કૃતિક યાત્રાનો પ્રારંભ યુવાનીમાં કર્યો હતો. અને સ્વામી વિવેકાનંદે શિકાગોના મંચ પર ભારતીય સંસ્કૃતિની ગરિમાની ઉદ્દઘોષણા કરી ત્યારે તેઓ ૩૦ વર્ષના હતા.
ભગવાન સ્વામિનારાયણે સમગ્ર ભારતની 12,000 કિ.મી.ની પદયાત્રાનો પ્રારંભ 11 વર્ષે કર્યો હતો અને તે કલ્યાણયાત્રાની પૂર્ણાહુતિ કરી ત્યારે તેઓ માત્ર 18 વર્ષના હતા. 21 વર્ષની ઉંમરે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી.
જીવનમાં કશુંક પામવાનો શ્રેષ્ઠ સમય એટલે યુવાની, પરંતુ જીવનના ધ્યેયને હાંસલ કરવા જેણે યુવાની ગુમાવી, તેની કિંમત ટકાના ત્રણ શેર પણ રહેતી નથી. યુવાનીને બીડી-સિગારેટના ધુમાડામાં કે ઍક્ટરો-ક્રિકેટરો પાછળ ઘેલા બની વેડફી દેનાર કોઈ યુવાનને એ વિચારથી ડૂસકું ભરાઈ આવે છે કે, “મેં હજુ સુધી કંઈ કર્યું નથી?”
હજીયે ન જાગે મારો આતમરામ…
હવે તો થાયે છે મોડું, વીનવું હું પાયે પડું,
સફળ થાશે કે ફેરો જાશે રે નકામ?
ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠકની આ પંક્તિ પ્રત્યેક યુવાને વિચારવાની છે. ‘મારી યુવાની વેડફાઈ તો નથી રહીને?’ આંતરખોજ કરવાની કળા આત્મસાત્ થઈ જાય તો જીવન સાર્થક.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
પ્રેમ-ભક્તિનું ઘર અજોડ છે. ઘરમાં માનવીને જગતનો છેડો મળે છે પણ આ સ્થિતિની જગ્યાએ કબીરજી સાવ નવી કલ્પના કરે છે. પ્રેમનું ઘર એ કાંઈ મામા-માસીનું ઘર નથી કે લાડ કરાવે. આ સ્થાનમાં પ્રવેશ માટેની કિંમત આકરી છે. માથા સાટે ભક્તિનો સોદો થાય તો તે સાચો છે.
શીષ ઉતારે ભૂયં ઘરે એ શબ્દોમાં નમ્રતા અને ન્યોછાવરી અભિપ્રેત છે. આપણી લોકવાર્તામાં કમળપૂજા, બત્રીસ લક્ષણાનો ભોગ જેવી આહુતિ આપી ફળ મેળવવાનો ઉલ્લેખ છે.
કોઈ પણ મહત્ત્વનું કાર્ય મહેચ્છાથી નહીં પણ પરિશ્રમથી સિદ્ધ થાય છે. પ્રેમલક્ષણાભક્તિ વ્યક્તિને ભાવમાં ભીંજવીને તરબોળ કરી દે છે. ભક્ત રાબિયાને બંદગી વખતે સુધબુધ નહોતી રહેતી કારણ કે તેની એકાગ્રતા અદ્ભુત હતી.
ગજ આખ્યાનમાં મદોમસ્ત હાથીનો પગ મગરના મોઢામાં ફસાય છે ત્યારે અહં કે તાકાતથી કામ થતું નથી. ગજ અભિમાન તજીને હરિને આર્દ્ર સ્વરે પોકારે છે અને ઈશ્વર હાજરાહજુર થઈને મોક્ષ કરાવે છે. અભિમાન તજીએ એટલે પ્રેમકુટિરનો દરવાજો ખૂલી જાય છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
ઈન્ડિયા ગઠબંધન દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ માટે સંયુક્ત ઉમેદવારની જાહેરાત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ચૂંટણી રસપ્રદ બની છે. જોકે, NDA પાસે જીતવા માટે સંપૂર્ણ બહુમતી છે, પરંતુ તેમ છતાં વિપક્ષ તરફથી સંયુક્ત ઉમેદવાર ચૂંટણીને થોડી રસપ્રદ બનાવી શકે છે. બીજી તરફ, NDA એ ઉમેદવાર નક્કી કરવાની જવાબદારી પણ PM મોદી અને જેપી નડ્ડાને સોંપી છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન 9 સપ્ટેમ્બરે થશે, જ્યારે 21 ઓગસ્ટ સુધી નામાંકન દાખલ કરી શકાશે. એવું માનવામાં આવે છે કે NDA-ઈન્ડિયા ગઠબંધન દ્વારા ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે.
ગયા મહિને, ઉપરાષ્ટ્રપતિ પદ પરથી જગદીપ ધનખડના અચાનક રાજીનામાને કારણે ચૂંટણી કરાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ કારણે, આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્મા સામેના મહાભિયોગ કેસમાં ધનખડને રાજીનામું આપવું પડ્યું હતું. જોકે, તેમણે સત્તાવાર કારણ ખરાબ તબિયત હોવાનું જણાવ્યું હતું. હવે જ્યારે આગામી ઉપરાષ્ટ્રપતિના નામોની ચર્ચા તેજ થઈ ગઈ છે, ત્યારે NDA તરફથી આ યાદીમાં ઘણા નામો સામે આવ્યા છે. તાજેતરનું નામ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતનું છે. સૂત્રોનું માનીએ તો, ભાજપ ગેહલોતના નામ પર પણ વિચાર કરી રહી છે. રાજ્યપાલ બનતા પહેલા તેમના અનુભવ, પાર્ટી પ્રત્યેના સમર્પણનો તેમને ફાયદો થઈ શકે છે.
ગેહલોત અનેક વખત સાંસદ રહ્યા છે
થાવરચંદ ગેહલોત ઘણી વખત સાંસદ અને કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને તેમની ગણતરી પીએમ મોદીના નજીકના નેતાઓમાં થાય છે અને તેમનો સંપૂર્ણ વિશ્વાસ છે. ગેહલોત પહેલા 1980માં મધ્યપ્રદેશમાં ધારાસભ્ય બન્યા અને પછી રાજ્યમંત્રી બન્યા. આ પછી, તેઓ 1996માં લોકસભા ચૂંટણી જીત્યા અને 2004 સુધી સાંસદ રહ્યા. 2014માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારે ગેહલોતને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા. તે જ સમયે, 2021માં ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
બીજા કયા નામોની ચર્ચા થઈ રહી છે?
ભાજપ હંમેશા આશ્ચર્યજનક બાબતો માટે જાણીતું છે. એવું માનવામાં આવે છે કે મીડિયામાં જે નામોની ચર્ચા થઈ રહી છે તેમને ભાગ્યે જ મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આવી સ્થિતિમાં, ઉપરાષ્ટ્રપતિ પદ માટે કોને ઉમેદવાર બનાવવામાં આવશે તે કહેવું ખૂબ મુશ્કેલ છે. બીજા ઘણા નામો પણ રેસમાં સામેલ છે. હરિવંશ નારાયણ સિંહ, ઓમ માથુર, દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના, મનોજ સિંહા, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જેવા નામોની ચર્ચા થઈ રહી છે.
રશિયન તેલ ખરીદવાને લઈને અમેરિકા સાથે ચાલી રહેલા વેપાર યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકર રશિયા જશે. તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પણ રશિયાની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા, રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “21 ઓગસ્ટના રોજ, રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ મોસ્કોમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે વાતચીત કરશે. બંને મંત્રીઓ અમારા દ્વિપક્ષીય કાર્યસૂચિના મુખ્ય મુદ્દાઓ તેમજ આંતરરાષ્ટ્રીય માળખામાં સહયોગના મુખ્ય પાસાઓ પર ચર્ચા કરશે.
અજિત ડોભાલ ગયા અઠવાડિયે બે દિવસની મુલાકાતે રશિયા ગયા હતા
NSA અજિત ડોભાલ પણ ગયા અઠવાડિયે બે દિવસની મુલાકાતે રશિયા ગયા હતા. આ દરમિયાન, તેઓ વ્લાદિમીર પુતિનને પણ મળ્યા હતા. આ ઉપરાંત, તેઓ રશિયન સુરક્ષા પરિષદના સચિવ સેરગેઈ શોઇગુને પણ મળ્યા હતા અને દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. આ સંવાદ દરમિયાન ઊર્જા અને સંરક્ષણ સંબંધો પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ડોભાલે એ પણ પુષ્ટિ આપી હતી કે વ્લાદિમીર પુતિન વર્ષના અંત સુધીમાં ભારતની મુલાકાત લેશે.