Home Blog Page 681

પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં DRDO ગેસ્ટ હાઉસના મેનેજરની ધરપકડ

DRDO ગેસ્ટ હાઉસના મેનેજરની રાજસ્થાનના જેસલમેરથી ધરપકડ કરવામાં આવી છે. ગુપ્તચર એજન્સીનો દાવો છે કે આરોપી મેનેજર પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો. આરોપીએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાની ઘણી માહિતી પાકિસ્તાની હેન્ડલરને આપી હતી. આરોપી સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બુધવારે તેને જયપુરની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 15 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. હવે ઘણી એજન્સીઓ આરોપીની પૂછપરછ કરી રહી છે.

8 વર્ષથી DRDOમાં કામ કરતો હતો

જયપુરના સ્પેશિયલ સીપી સુદેશ સતવાને જણાવ્યું હતું કે મહેન્દ્ર પ્રસાદ જેસલમેરના ચંદના ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સ્થિત DRDOના ગેસ્ટ હાઉસમાં મેનેજર તરીકે કામ કરતો હતો. આરોપી છેલ્લા 8 વર્ષથી અહીં કામ કરતો હતો. તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન પણ આરોપીએ પાકિસ્તાની હેન્ડલર સાથે ઘણી મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી. બદલામાં, આરોપીને પાકિસ્તાન તરફથી મોટી રકમ મળતી હતી.

શું અમદાવાદમાં યોજાશે 2030 કોમનવેલ્થ ગેમ્સ?

નવી દિલ્હીઃ ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનની બેઠકમાં ભારતીય ખેલપ્રેમીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. હકીકતમાં IOAએ 2030માં થનારી રાષ્ટ્રમંડળ ગેમ્સની યજમાની માટે ભારતની દાવેદારી રજૂ કરવા માટે મંજૂરી આપી છે. આ નિર્ણય બુધવારે ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન (IOA)ની વિશેષ સામાન્ય બેઠક (SGM)માં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં અમદાવાદને યજમાન શહેર બનાવવા માટેના પ્રસ્તાવને પણ ટેકો મળ્યો છે.

અમદાવાદ હશે યજમાન શહેર

ભારત પહેલેથી જ અમદાવાદને યજમાન શહેર તરીકે રાખીને 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ’ સબમિટ કરી ચૂક્યું છે. હવે દેશને 31 ઓગસ્ટની અંતિમ તારીખ પહેલાં પોતાનો અંતિમ પ્રસ્તાવ (ફાઈનલ બિડ) રજૂ કરવો પડશે.

કેનેડાના બહાર થવાથી ભારતની શક્યતાઓ વધી

કેનેડા આ દોડમાંથી બહાર થતાં ભારત માટે 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવાની શક્યતાઓ ઘણી વધી ગઈ છે. આ ભારત માટે એક મોટી તક છે, ખાસ કરીને ત્યારે જ્યારે છેલ્લાં થોડાં વર્ષોમાં દેશે અનેક આંતરરાષ્ટ્રીય રમતોત્સવોમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે.

હાલમાં જ કોમનવેલ્થ સ્પોર્ટના ડિરેક્ટર ઓફ ગેમ્સ ડેરન હોલના નેતૃત્વમાં અધિકારીઓની એક ટીમ અમદાવાદની મુલાકાત લઈ ચૂકી છે. આ દરમિયાન તેમણે સંભવિત સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ સાથે આ મહિનાના અંતે એક વધુ મોટું પ્રતિનિધિમંડળ અમદાવાદ આવશે.

કોમનવેલ્થ સ્પોર્ટની જનરલ એસેમ્બલી 2030ના મહેમાન દેશનો અંતિમ પસંદગી નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કરશે. જો ભારતને યજમાનપદું મળે છે તો આ દેશના ખેલ ઇતિહાસમાં એક વધુ ગૌરવપૂર્ણ ક્ષણ બનશે.

અહીં બિરાજે છે અખાતના અલૌકિક મહાદેવ

ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠોમાં અનેક જાણીતા મંદિરો, મહાદેવના શિવલિંગ અને વિશિષ્ટ ટાપુઓ-સ્થળો આવેલા છે. એમાં અરબ સાગરના અખાત પાસે વસેલું શહેર ખંભાત સદીઓથી પોતાની આગવી ઓળખ ધરાવે છે.

સુતરફેણી, હલવાસણ, અકીકના પથ્થર અને પતંગ ઉદ્યોગથી  જાણીતા ખંભાતમાં આ અમુલ્ય ખજાનો તો છે જ, સાથે સ્કંધ પુરાણમાં જેનો ઉલ્લેખ છે એ ભગવાન કાર્તિક સ્વામી દ્વારા સ્થપાયેલું કુમારેશ્વર મંદિર પણ અહીં ખૂબ જાણીતું છે.

મહીસાગર, ગુપ્ત ક્ષેત્રમાં આવેલા ખંભાતના આ પૌરાણિક કુમારેશ્વર મહાદેવના શિવલિંગ પર શ્રાવણ મહિનામાં વર્ષોથી સતત સવા લાખ બિલીપત્ર અર્પણ થાય છે. શિવલિંગ પર પ્રસંગો અને ઉત્સવને અનુરૂપ શૃંગાર પણ કરવામાં આવે છે. આ વિસ્તારના શ્રધ્ધાળુઓ માટે આ સ્થળ અતિ જાણીતું અને શ્રધ્ધાનું કેન્દ્ર છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

બિહારમાં SIRને મુદ્દે ચૂંટણી પંચ, ભાજપની મિલીભગતઃ તેજસ્વી યાદવ

પટનાઃ બિહારમાં SIR વિશે ચાલતા રાજકીય વિવાદ વચ્ચે આરજેડી નેતા તેજસ્વી યાદવે એક વાર ફરી ચૂંટણી પંચ અને ભાજપ પર આરોપ લગાવ્યા છે. પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે SIRનો મામલો સુપ્રીમ કોર્ટમા ચાલી રહ્યો છે અને ગઇ કાલે જેનાં નામ SIRમાં મૃતક રૂપે નોંધાયા હતા, તેમને કોર્ટમા જીવંત રૂપે પેશ કરાયા. આ ગંભીર મામલો છે, જેને લોકો વોટ ચોરી કહી રહ્યા છે, પરંતુ ભાજપના ઈશારાએ ચૂંટણી પંચ વોટ ચોરીમાં લાગેલું છે. હવે જ્યારે સચ્ચાઈ સામે આવી રહી છે ત્યારે ભાજપ ચૂપ છે. પહેલાં ભાજપ પાસે ચૂંટણીમાં ગેરરીતિ કરવાની ફોર્મ્યુલા હતી, જેમાં CBI અને ED ને લગાડવામાં આવતા હતા, પણ જ્યારે આ બધી એજન્સીઓ ફેલ થઈ ગઇ, ત્યારે ચૂંટણી પંચને આગળ કરવામાં આવ્યો.

તેમણે કહ્યું હતું કે વર્ષ 2020માં પણ ચૂંટણી પંચે વોટ ચોર્યા હતા. અમને 10 સીટો પર 12,000 વોટોના અંતરથી હરાવવામાં આવ્યા હતા. ચંડીગઢ મેયર ચૂંટણીમાં CCTV હોવા છતાં પણ ચૂંટણી પંચે CCTV જ હટાવી દીધા. દેશની જનતા બધું સમજે છે. ચૂંટણી પંચ માત્ર ભાજપનો સાથ આપી રહ્યો છે. વિપક્ષના વોટ ઘટાડી રહ્યો છે અને એક જ વિધાનસભા વિસ્તારમાં ભાજપવાળાઓ માટે બે EPIC નંબર બનાવી રહ્યો છે.

હવે ગુજરાતના લોકો બિહારના વોટર

તેજસ્વી યાદવે કહ્યું હતું કે હવે ગુજરાતના લોકો બિહારના વોટર બની રહ્યા છે. ભાજપના પ્રભારી ભિખુભાઈ દલસાણિયા પટનાના વોટર બની ગયા છે. તેમણે છેલ્લો વોટ 2024માં ગુજરાતમાં આપ્યો હતો, પરંતુ તેઓ હજુ પણ પટનાના વોટર છે. ગુજરાતમાં તેમનું નામ કાઢી દીધું હતું, બિહાર ચૂંટણી પૂર્ણ થઈ જશે ત્યારે નામ કપાવી ને તેઓ ક્યાં જશે? આ એક કાવતરું છે જે તમામે સમજવું જોઈએ. ભાજપ ચૂંટણી પંચની મિલી ભગતથી મોટા પાયે બેઇમાની કરી રહી છે.

અંગદાનને મહાદાન કેમ કહેવાય છે? પ્રથમ દાતા કોણ હતા અને કયા અંગનું દાન થયું હતું?

કહેવાય છે કે સૌથી મોટું દાન જ્ઞાનનું દાન છે, પરંતુ હાલમાં એક બીજું દાન છે જેને મહાદાન કહેવામાં આવી રહ્યું છે. આજે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ અંગ દાન દિવસ’ (World Organ Donation Day) ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસનો હેતુ લોકોને અંગદાનના મહત્વથી વાકેફ કરવાનો અને સમજાવવાનો છે કે કેવી રીતે એક વ્યક્તિની પહેલ અનેક જીવનોને નવો શ્વાસ આપી શકે છે. દર વર્ષે ભારતમાં લાખો લોકો એવા હોય છે જેમને લીવર, કિડની, હૃદય કે આંખો જેવા અંગોની સખત જરૂર હોય છે, પરંતુ સમયસર દાતા ન મળવાને કારણે તેઓ પોતાનો જીવ ગુમાવે છે. જ્યારે બ્રેઈન ડેડ વ્યક્તિના અંગો લગભગ આઠ લોકોના જીવ બચાવી શકે છે.

કોણે પહેલા પોતાનું શરીર દાન કર્યું

જો આપણે પહેલા દાતા વિશે વાત કરીએ, તો એવું કહેવાય છે કે મહર્ષિ દધીચીએ માનવ કલ્યાણ માટે પોતાના શરીરના હાડકાં દાન કર્યા હતા. આ દાન દેવતાઓ માટે વજ્ર (એક શક્તિશાળી શસ્ત્ર) બનાવવા માટે કરવામાં આવ્યું હતું, જેથી તેઓ રાક્ષસોને હરાવી શકે. આમ, દધીચીને સૌથી મહાન અંગ દાતા તરીકે ઓળખવામાં આવે છે. દધીચીની વાર્તા હિન્દુ પુરાણોમાં પ્રખ્યાત છે. ઋષિ દધીચીએ પોતાના હાડકાં દાન કર્યા કારણ કે દેવતાઓએ તેમને કહ્યું હતું કે તેમના હાડકાંમાંથી બનેલું વજ્ર જ શક્તિશાળી રાક્ષસ વૃત્રાસુરને મારી શકે છે. આ વાર્તા અંગ દાન અને પરોપકારનું મહત્વ દર્શાવે છે. દધીચીની વાર્તા આજે પણ લોકોને અંગ દાન કરવા માટે પ્રેરણા આપે છે.

પ્રથમ દાતાએ કિડનીનું દાન કર્યું

આ પ્રથમ અંગ દાનની દંતકથા છે, હવે ચાલો સમજીએ કે કોણે પ્રથમ અંગનું દાન કર્યું, તો અહેવાલો અનુસાર, અંગનું દાન કરનાર પ્રથમ વ્યક્તિ રોનાલ્ડ લી હેરિક હતા, જેમણે 1954 માં તેમના જોડિયા ભાઈને તેમની કિડનીનું દાન કર્યું હતું અને તેનું PACE હોસ્પિટલ્સમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું અને આ ટ્રાન્સપ્લાન્ટ ડૉ. જોસેફ મુરે દ્વારા કરવામાં આવ્યું હતું. આ રીતે 1954 માં ટ્રાન્સપ્લાન્ટ કરાયેલ પ્રથમ અંગ, કિડની એ પ્રથમ માનવ અંગ હતું જે સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ કોણે કર્યું?

1960 ના દાયકાના અંત સુધીમાં લીવર, હૃદય અને સ્વાદુપિંડનું ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું, જ્યારે ફેફસાં અને આંતરડાના અંગ પ્રત્યારોપણની પ્રક્રિયાઓ 1980 ના દાયકામાં શરૂ થઈ હતી. UNOS અનુસાર, થોમસ અર્લ સ્ટાર્ઝલ (11 માર્ચ, 1926 – 4 માર્ચ, 2017) એક અમેરિકન ચિકિત્સક, સંશોધક અને અંગ પ્રત્યારોપણ નિષ્ણાત હતા. તેમણે પ્રથમ માનવ યકૃત પ્રત્યારોપણ કર્યું હતું અને તેમને “આધુનિક અંગ પ્રત્યારોપણના પિતા” કહેવામાં આવતા હતા.

પહેલાં ટ્રાન્સપ્લાન્ટેશન સરળ નહોતું

1950 ના દાયકાના મધ્યભાગથી 1970 ના દાયકાની શરૂઆતમાં, વ્યક્તિગત ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલો અને અંગ પ્રાપ્તિ સંસ્થાઓ અંગ પુનઃપ્રાપ્તિ અને પ્રત્યારોપણના તમામ પાસાઓનું સંચાલન કરતી હતી. જો કોઈ અંગ દાતાની સ્થાનિક હોસ્પિટલોમાં ઉપયોગમાં લઈ શકાતું ન હતું, તો બીજે ક્યાંય યોગ્ય અંગ શોધવાની કોઈ વ્યવસ્થા નહોતી. ઘણા અંગોનો ઉપયોગ ફક્ત એટલા માટે થતો ન હતો કારણ કે ટ્રાન્સપ્લાન્ટ ટીમો સમયસર યોગ્ય પ્રાપ્તકર્તા શોધી શકતી ન હતી. હવે તમે તમારા અંગનું દાન કરી શકો છો અને પ્રક્રિયા પણ સરળ છે.

તમે અંગોનું દાન કેવી રીતે કરી શકો છો?

કોઈપણ સરકારી અથવા વિશ્વસનીય સંસ્થાની વેબસાઇટ પર જાઓ.

ત્યાંથી દાતા ફોર્મ ડાઉનલોડ કરો, તે એકદમ મફત છે.

ફોર્મ ધ્યાનથી વાંચો, બધી માહિતી ભરો.

ફોર્મ પર બે લોકોની સહીઓ જરૂરી છે, જેમાંથી એક તમારો નજીકનો સંબંધી હોવો જોઈએ.

ફોર્મ સબમિટ કર્યા પછી, તમારી નોંધણી કરવામાં આવશે અને તમને દાતા કાર્ડ આપવામાં આવશે.

આ કાર્ડ પોસ્ટ દ્વારા તમારા સરનામે મોકલવામાં આવશે. તેને તમારી પાસે સુરક્ષિત રાખો.

તમારા પરિવાર અને નજીકના લોકોને જણાવવાનું ભૂલશો નહીં કે તમે અંગ દાન માટે નોંધણી કરાવી છે, જેથી તેઓ યોગ્ય સમયે હોસ્પિટલને જાણ કરી શકે.

જો કોઈએ અગાઉથી નોંધણી કરાવી ન હોય તો પણ, મૃત્યુ પછી અંગ દાન શક્ય છે. આ માટે, પરિવારની પરવાનગી જરૂરી છે.

પ્રિયંકા ગાંધી, મારો રાજકીય ઉપયોગ બંધ કરોઃ મિંતાદેવી

પટનાઃ બિહારના સિવાન જિલ્લાના એક નાનકડા ગામ અર્જાનીપુરની ગૃહિણી મિંતાદેવી અચાનક રાષ્ટ્રીય ચર્ચામાં આવી ગઈ છે, કારણ કે  મતદાર યાદીમાં તેમની ઉંમર 124 વર્ષ દર્શાવતાં અને ત્યાર બાદ કોંગ્રેસનાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમના ચહેરાવાળો ટી-શર્ટ પહેરીને સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. હકીકતમાં મિંતાદેવીની ઉંમર 35 વર્ષ છે, પરંતુ આ અસાધારણ ભૂલ ચૂંટણી રાજકારણમાં મોટો મુદ્દો બની ગઈ. ખુદ મિંતાદેવી આ રાજકીય નાટકથી નારાજ છે અને કહે છે,  મારો ચહેરો ટી-શર્ટ પર છાપીને રાજકારણ ન કરો, ફક્ત મારું મતદાર કાર્ડ ઠીક કરી દો.

સિવાન જિલ્લાના દરૌંધા વિધાનસભા ક્ષેત્રના મતદાર નોંધણીમાં તાજેતરમાં મિંતાદેવીનું નામ સામેલ થયું હતું. આધાર કાર્ડ મુજબ તેનો જન્મ દિવસ 15 જુલાઈ, 1990 છે, પરંતુ નવા જારી થયેલા મતદાર ઓળખપત્રમાં ઉંમર 124 વર્ષ નોંધાઈ ગઈ. મિંતાદેવી કહે છે, મને મતદાર ઓળખપત્ર એક-બે મહિના પહેલાં મળ્યું, પણ મેં ધ્યાનથી જોયું નહોતું. થોડા દિવસ પહેલાં જ્યારે મામલો ચર્ચામાં આવ્યો, ત્યારે કાર્ડ જોયું અને હું હેરાન રહી ગઈ.

તેણે કહ્યું કે તેમણે નોંધણી બ્લોક લેવલ ઓફિસર (BLO)  મારફતે કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ નહોતા થયા. ત્યાર બાદ સાયબર કેફેથી ઓનલાઇન અરજી કરી અને આધાર કાર્ડના આધારે સાચી માહિતી આપી હતી. તેનું કહેવું છે કે ભૂલ ટાઈપિંગ સમયે અથવા પછી થઈ હશે.

જિલ્લા પ્રશાસને આ મામલાને લેખિત ભૂલ ગણાવી સુધારાનું આશ્વાસન આપ્યું છે. દરૌંધાના ચૂંટણી નોંધણી અધિકારીએ (ERO) જિલ્લા ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં કહ્યું હતું કે આધાર કાર્ડની તપાસમાં મિંતાદેવીનો સાચો જન્મ દિવસ 15 જુલાઈ 1990 હોવાનું મળ્યું. સિવાન જિલ્લા જનસંપર્ક કચેરી અનુસાર, 1 ઓગસ્ટ 2025એ મતદાર યાદીનો ડ્રાફ્ટ પ્રકાશિત થયા બાદ BLOએ ભૂલ પકડી અને મિંતાદેવીનો સંપર્ક કર્યો. 10 ઓગસ્ટે તેમણે ફોર્મ-8 સબમિટ કર્યું અને હવે નિયમ મુજબ ઉંમરમાં સુધારો કરવામાં આવશે.

લખનૌમાં 40 ઠાકોર વિધાનસભ્યોની બેઠકથી રાજકીય ગરમાવો

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના એક ફાઇવસ્ટાર હોટેલમાં 40 વિધાનસભ્યોની એક બેઠક મળી, જેને ‘કુટુંબ’ નામ અપાયું. આ બેઠકમાં સામેલ થયેલા મોટા ભાગના વિધાનસભ્યો ક્ષત્રિય સમાજના હતા. ક્ષત્રિય વિધાનસભ્યોની આ બેઠક માત્ર ખાવા-પીવા અને વાતચીત સુધી મર્યાદિત નહોતી, પરંતુ ‘કુટુંબ’ નામથી એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. આ ગ્રુપમાં સત્તાધારી પક્ષ તેમ જ વિરોધ પક્ષના ઠાકોર વિધાનસભ્યોને સામેલ કરવામાં આવ્યા છે.

ભાજપના વિધાન પરિષદ સભ્ય જયપાલ સિંહ વ્યસ્ત અને મોરાદાબાદની કુંદરકીથી વિધાનસભ્ય ઠાકોર રામવીર સિંહ તરફથી સોમવારે લખનૌના ક્લાર્ક અવધ હોટેલમાં ક્ષત્રિય વિધાનસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. ભાજપ અને સમાજવાદી પાર્ટીના બાગી ક્ષત્રિય વિધાનસભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સિવાય એક-બે વિધાનસભ્યો બીજી જાતિના પણ હતા, પરંતુ ત્રણ ડઝન જેટલા ફક્ત ભાજપના ઠાકોર વિધાનસભ્યો હતા. સમાજવાદી પાર્ટીના બંને બાગી ક્ષત્રિય વિધાનસભ્યો પણ તેમાં સામેલ થયા હતા.

યુપીના ઠાકોર વિધાનસભ્યોની બેઠક અને તેને ‘કુટુંબ’ નામ આપવાના રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. ‘કુટુંબ’નો અર્થ પરિવાર થાય છે. ક્ષત્રિય વિધાનસભ્યોએ પોતાના વોટ્સએપ ગ્રુપનું નામ ‘કુટુંબ પરિવાર’ રાખ્યું છે, જેમાં ભાજપથી લઈને સપા અને બસપાના ક્ષત્રિય વિધાનસભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેને સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષના ઠાકોર વિધાનસભ્યોને એક મંચ પર લાવવાના પ્રયાસ રૂપે જોવામાં આવી રહ્યું છે.

રામજીની મૂર્તિ અને ત્રિશૂલ ભેટ

કુટુંબ પરિવારની બેઠકમાં સામેલ તમામ ઠાકોર વિધાનસભ્યોનું સન્માન કરવામાં આવ્યું. આ દરમિયાન તમામ વિધાનસભ્યોને ભેટરૂપે ભગવાન શ્રીરામની એક મૂર્તિ, મહારાણા પ્રતાપનું ચિત્ર અને પિત્તળનું એક મોટું ત્રિશૂલ આપવામાં આવ્યું. જોકે આ બેઠકમાં શું ચર્ચા થઈ તે ખુલાસો થઈ શક્યો નથી, પરંતુ આઠ વર્ષમાં આ ઠાકોર વિધાનસભ્યોની પહેલી બેઠક હતી.

અમેરિકા જશે PM મોદીઃ ટ્રમ્પ સાથે પણ મુલાકાતની શક્યતા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં અમેરિકાની મુલાકાતે જશે. તેમના આ પ્રવાસનો હેતુ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપવાનો છે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પરથી વિશ્વને સંબોધિત પણ કરશે, પરંતુ સવાલ એ છે કે અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ટેરિફ વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે કે નહીં. પીએમ મોદીની આ સંભવિત મુલાકાતમાં વેપારી મુદ્દાઓ ઉકેલવાથી લઈને એક ટેરિફ પર સહમતી સાધવી મહત્વપૂર્ણ રહેશે.

ભારત અને અમેરિકા વચ્ચેનો ટેરિફ વિવાદ ઉકેલવામાં અનેક પરિબળો મહત્વની ભૂમિકા ભજવશે. તેમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને બીજું ભારત-અમેરિકા વેપારી કરારનો સમાવેશ થાય છે. રશિયા-યુક્રેન યુદ્ધના મોરચાની વાત કરીએ તો ભારતની નજર 15 ઓગસ્ટે થનારી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની મુલાકાત પર રહેશે.

ટ્રમ્પ અને પુટિન વચ્ચેની મુલાકાત પહેલાં જ પીએમ મોદીએ વ્લાદિમિર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર ઝેલેન્સ્કી સાથે વાત કરી છે. ભારતે બંને દેશોના નેતાઓને સ્પષ્ટ કહી દીધું છે કે સંઘર્ષનું સમાધાન જ ભારતના હિતમાં છે. વેપારી કરારને મુદ્દે વાત કરીએ તો ભારતીય અને અમેરિકન વાટાઘાટકર્તાઓ કરાર પર પહોંચવા નજીક હતા, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વાટાઘાટકર્તાઓ વચ્ચે થયેલા કરારથી ખુશ નહોતા.

બંને પક્ષો દ્વિપક્ષી વેપારના નવા લક્ષ્ય, એટલે કે મિશન 500 પર કેન્દ્રિત છે, જેનું લક્ષ્ય 2030 સુધી કુલ દ્વિપક્ષી વેપારને બમણાથી વધુ વધારીને 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનું છે.

ગિફ્ટ સિટી-જીટીયુ મળીને બનાવશે ભવિષ્યના ફિનટેક નિષ્ણાતો

ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર ગિફ્ટ સિટીએ શિક્ષણ, ફિનટેક ઇનોવેશન અને સંશોધન ક્ષેત્રે સહકાર વધારવા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે એમઓયુ કર્યો છે.

આ ભાગીદારી હેઠળ સ્પેશિયલાઇઝ્ડ કોર્સ, ટ્રેનિંગ, સર્ટિફિકેશન મોડ્યુલ્સ અને ગિફ્ટ આઈએફએસસી તથા ફિનટેક ટ્રેન્ડ્સ પર સેન્ટર ઓફ એક્સીલન્સ સ્થાપાશે.

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઇઓ સંજય કૌલ એ જણાવ્યું કે,  આ સહકાર ભારતને ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેક ક્ષેત્રમાં મજબૂત બનાવશે. ગિફ્ટ સિટીમાં પોતાનો બેઝ ઊભો કરવા માટે અગ્રણી ફાઇનાન્શિયલ અને ટેક કંપનીઓએ મોટાપાયે રસ દર્શાવ્યો છે. જીટીયુ સાથેનો આ સહયોગ ગ્લોબલ ફાઈનાન્શિયલ અને ટેક ઇકોસિસ્ટમમાં ભારતની સ્થિતિ મજબૂત બનાવવા અને વિકાસ માટે અર્થપૂર્ણ યોગદાન આપી શકે તેવી ફ્યુચર-રેડી પ્રતિભાઓ વિકસાવવામાં મદદ કરશે.

જીટીયુના વાઇસ ચાન્સેલર ડો. રાજુલ ગજ્જરે જણાવ્યું કે જીટીયુની શૈક્ષણિક નિપુણતાને ગિફ્ટ સિટીના ઉદ્યોગ નેતૃત્વ સાથે જોડતા અમારો ઉદ્દેશ્ય વૈશ્વિક નાણાંકીય બજારો અને ટેક્નોલોજીમાં વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોને અદ્વિતીય એક્સપોઝર પૂરું પાડવાનો છે.

આ એમઓયુ કુશળ પ્રતિભા વિકસાવશે અને ગુજરાતને ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ તરીકે મજબૂત કરશે.

 

ફરાળી સેન્ડવિચ

શ્રાવણ માસમાં વ્રત, ઉપવાસ માટે તીખી ફરાળી સામગ્રીમાં બ્રેડ વિનાની ફરાળી સેન્ડવિચ બની શકે છે!

સામગ્રીઃ

  • સાબુદાણા ½ કપ, સામો (મોરૈયો) ½ કપ
  • બાફેલા બટેટા 4
  • દહીં 2 ટે.સ્પૂન
  • સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું) સ્વાદ મુજબ
  • લીલા મરચાં 4-5
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • કળીપત્તાના પાન 7-8
  • સમારેલી કોથમીર ½ કપ
  • સફેદ તલ 1 ટે.સ્પૂન

ફરાળી ચટણી માટેઃ

  • કોથમીર 1 કપ
  • શેકીને છોલેલા શીંગદાણા 1 કપ
  • લીલા મરચાં 4
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • લીંબનો રસ 1 ટે.સ્પૂન

રીતઃ સાબુદાણા તેમજ સામાને ધોઈને 7-8 કલાક માટે પાણીમાં પલાળી રાખો.

ચટણી માટેની સામગ્રી મિક્સીમાં નાખીને થોડું પાણી રેડીને ચટણી બારીક તૈયાર કરી લો.

આદુ, મરચાં તેમજ કળીપત્તાના પાનને અધકચરા વાટી લો. બટેટાનો મેશર વડે બારીક છૂદો કરીને તેમાં વાટેલાં આદુ-મરચાં તેમજ સિંધવ મીઠું સ્વાદ મુજબ ઉમેરી દો.

સાબુદાણા તેમજ સામો પલળી જાય એટલે તેમાં દહીં તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને મિક્સીમાં બારીક પીસી લો.

સેન્ડવિચ બનાવવાના સમયે ઈનો આ ખીરામાં મેળવી દો.

સ્ટવ ટોસ્ટર સેન્ડવિચ માટે ટોસ્ટરને તેલ અથવા ઘી વડે ગ્રીસ કરીને તેમાં સામા-સાબુદાણાનું ખીરું એક કળછી રેડીને ફેલાવી દો. તેની ઉપર બટેટાના મિશ્રણમાંથી પાતળી ટીકી બનાવીને ટોસ્ટરમાં ખીરાની મધ્યમાં ગોઠવીને ટીકી ઉપર એક ચમચી વડે ચટણી ફેલાવીને મૂકી, તેની ઉપર ફરી એક કળછી જેટલું ખીરું રેડીને ટીકીને કવર કરી લો, ઉપરથી થોડા સફેદ તલ ભભરાવી દો. ટોસ્ટર બંધ કરીને ગેસની મધ્યમ આંચે બંને બાજુએ 2-2 મિનિટ વારાફરતી ટોસ્ટર ફેરવીને શેકી લો. ટોસ્ટર એકવાર ખોલીને જોઈ લેવું. સેન્ડવિચ શેકાઈ ન હોય તો ફરીથી ટોસ્ટર બંધ કરીને સેન્ડવિચ સોનેરી રંગની થાય ત્યાં સુધી શેકી લો.

ત્યારબાદ તૈયાર ટીકીના ચપ્પૂ વડે પીસ કરીને ચટણી સાથે પીરસો.