Home Blog Page 5628

મંગળનો કન્યા રાશિમાં પ્રવેશ સાથે બારેય રાશિનો ફળાદેશ

તારીખ ૧૩.૧૦.૨૦૧૭એ ૧૫:૪૧ કલાકે મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. મંગળ કન્યા રાશિમાં ૨૯.૧૧.૨૦૧૭ સુધી રહેશે. મંગળ ગ્રહ થકી ટૂંકા ગાળાની પરંતુ નિર્ણાયક અસરો મનુષ્ય જીવનમાં અનુભવી શકાય છે. તમે કોઈ એવા મહત્વના નિર્ણયની રાહ જોઈ રહ્યા હોવ કે જે નવેમ્બર કે ઓક્ટોબર મહિનાની આસપાસ લેવાનો હોય તેવા નિર્ણય પર તમારી જન્મરાશિ મુજબ ગ્રહ પરિવર્તનની ચોક્કસ અસરો અનુભવી શકાય છે. અલબત, મંગળનું રાશિ પરિવર્તન તમને નિર્ણયો લેવામાં તથા મહત્વના નિર્ણયોમાં ધીરજ રાખવા માટે ઉત્તમ માર્ગદર્શક બની રહેશે.કન્યા રાશિ પૃથ્વી તત્વની અને દ્વિસ્વભાવ પ્રકૃતિવાળી રાશિ છે, અહી મંગળનું ભ્રમણ મહદઅંશે સુખ શાંતિનો અનુભવ કરાવનારું રહેશે. કન્યા રાશિ મંગળના શત્રુ ગ્રહ, બુધ શાસિત હોઈ આ રાશિમાં મંગળ મધ્યમ ફળદાયી છે. સ્વતંત્ર ભારતની કુંડળીમાં મંગળ પંચમ સ્થાને આવશે, ખેલકૂદ, રમતગમત અને કળા જગત જેવા ક્ષેત્રોમાં મંગળનું આ રાશિ પરિવર્તન બદલાવ આપી શકે છે. ક્રિકેટ જગતમાં હિલચાલ જોવા મળી શકે, દેશની ક્રિકેટ ટીમમાં પ્રગતિની સાથે મોટા બદલાવ પણ આવી શકે.

દેશમાં આંતરિક સુખશાંતિનો માહોલ જોવા મળશે. દેશના શાસકો અને પ્રજા વચ્ચે વધુ તાલમેલ જોવા મળી શકે. સરકાર આર્થિક બાબતે કોઈ મહત્વના નિર્ણયથી દેશવાસીઓને આશ્ચર્ય અને આનંદ આપે તો અચરજ નહીં કહેવાય. મંગળના કન્યા રાશિમાં પોણા બે મહિના દરમિયાન દુનિયામાં મોટા દેશો વચ્ચે ઘર્ષણના સમાચાર વારંવાર આવી શકે અને ખોટી માહિતીથી લોકો ગેરમાર્ગે દોરાય તેવું પણ બની શકે. મંગળ પૃથ્વી તત્વની રાશિમાં છે, પરંતુ આ રાશિ બુધ શાસિત હોઈ આખરી પરિણામ તકલીફ્દાયી ના હોઈ શકે.

બારેય રાશિઓનો ફળાદેશ નીચે મુજબ છે:

મેષ:

મેષ રાશિના જાતકો માટે મંગળ છઠા ભાવે આવતા, મંગળ ટૂંકા ગાળા માટે શારીરિક વ્યાધિ આપી શકે. તમારે પોતાના કાર્યને નજર સામે રાખીને ચાલવું પડશે, અન્યથા મંગળનો શત્રુ ભાવે પ્રવેશ તમારું ધ્યાનભંગ કરી શકે છે, કાર્યમાં વિલંબ આપી શકે છે. નોકરીમાં બદલાવ આવી શકે.

વૃષભ:

વૃષભ રાશિના જાતકો માટે મંગળ રચનાત્મક કાર્યોને વેગ આપનારો નીવડે, સંતાન વિષયક બાબતો ઉજાગર થઇ શકે. પ્રેમ સંબંધ વધુ ગાઢ બની શકે. નવ યુવાનોને લગ્ન બાબતે નિર્ણય લઇ શકાય. નોકરી અને વ્યવસાયમાં તમારું પ્રદર્શન વધુ ઉત્તમ બનશે.

મિથુન:

મિથુન રાશિના જાતકોને આ સમય દરમ્યાન કુટુંબના સભ્યો સાથે મનમેળ કરીને આગળ ચાલવાનું છે. સામાજિક પ્રસંગ કે ઘરના સભ્યોને આવરી લેતો કોઈ પ્રશ્ન આવી શકે, તમારે જીવનસાથી અને ભાઈ ભાંડુઓને પોતાના ઉત્તમ વાણી અને વર્તનથી જીતી લેવા પડશે.

કર્ક:

કર્ક રાશિના જાતકો માટે મંગળ સાહસથી સફળતા મળે તેનું સૂચન કરે છે. લેખન અને મૌલિક વિષયો સાથે જોડાયેલા જાતકોને આ સમય દરમિયાન પ્રગતિ થઇ શકે. ટૂંકા પ્રવાસ દરમિયાન તમને લાભ થઇ શકે. વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ થાય. ભાઈભાંડુઓને મદદરૂપ થઇ શકશો.

સિંહ:

સિંહ રાશિના જાતકોને આર્થિક લાભ થઇ શકે. સ્થિર સંપતિ થકી તમને લાભ થઇ શકે. નજીકના મિત્રો અને કુટુંબીજનો તમને મદદરૂપ થાય. મહત્વના કાર્યોમાં તમે પોતાની વાણીથી અન્ય લોકો પર ઉત્તમ પ્રભાવ પાડી શકશો. બેંક અને નાણાકીય મહત્વની બાબતોમાં સફળતા મળી શકે.

કન્યા:

કન્યા રાશિના જાતકોને આ રાશિ પરિવર્તન મધ્યમ શુભ કહી શકાય, તમે પોતાની ઈચ્છા અને પોતાના કાર્યો વચ્ચે તાલમેલ કરવામાં તકલીફ અનુભવો તેવું બની શકે. તમારે પોતાની પાસે ઉપલબ્ધ સાધનો અને સગવડોથી સંતુષ્ટ રહેવું જોઈએ. મહત્વના નિર્ણય માટે યોગ્ય સમયની રાહ જુઓ.

તુલા:

તુલા રાશિના જાતકોને મોજશોખ પાછળ વધુ ખર્ચનો અનુભવ થઇ શકે. નોકરી અને વ્યવસાયમાં અકારણ વધુ દોડધામ રહી શકે. ખોટા સમાચાર કે માહિતીથી દૂર રહેવું જોઈએ. વ્યવસાયમાં આવક વધી શકે પરંતુ નાણાકીય આયોજન મહત્વનું બની રહેશે.

વૃશ્ચિક:

વૃશ્ચિક રાશિના જાતકોને મિત્રો અને સામાજિક સંપર્કો થકી સફળતા મળી શકે. આ સમય દરમિયાન તમારી ધારણા પ્રમાણે કાર્ય થઇ શકે. નવા વાહન કે મકાન ખરીદી માટેની ઈચ્છા પૂર્ણ થઇ શકે. નોકરીના સ્થળે તમને અન્ય સહકર્મીઓનો પૂરતો સહકાર મળતા કાર્ય સરળ બને.

ધન:

ધન રાશિના જાતકોને મંગળ કર્મ ભાવે આવશે, તમે પોતાના કાર્યક્ષેત્રે બદલાવનો અનુભવ કરશો. તમે પોતાને કાર્યોમાં વધુ ઉંચાઈ પર લઇ જવા માગો છો, તમારી મહત્વાકાંક્ષામાં વધારો થશે. વ્યવસાયનું વિસ્તરણ થઇ શકે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

મકર:

મકર રાશિના જાતકો માટે મંગળ નવી તકો લાવશે, તમે વ્યવસાય કે નોકરીમાં નવી જગ્યાએ કાર્ય કરો તેવું બની શકે. સતત બદલાવ કે અણધાર્યા બદલાવને લીધે તમે ડર અને આનંદ બંને અનુભવશો. પ્રેમ પ્રસંગમાં તમને સરળતા જણાય, મનમેળ વધે.

કુંભ:

કુંભ રાશિના જાતકોને મંગળનું રાશિ પરિવર્તન આર્થિક બાબતોને વધુ મહત્વ આપવા કહે છે. તમે કોઈ મહત્વના નિર્ણય માટે વધુ અભ્યાસ કરશો અને તે અંગે મિત્રોના અભિપ્રાય પણ લો તેવું બને. આખરી પરિણામ સ્વરૂપ તમે વધુ સફળ વ્યક્તિ બનશો.

મીન:

મીન રાશિના જાતકોને મંગળનું રાશિ પરિવર્તન લગ્ન વિષયક બાબતો માટે મહત્વનું બની રહેશે. નવા સંબંધો સ્થપાઈ શકે, હાલના સંબંધો ઓર ઉચ્ચસ્તરે અને ઘનિષ્ઠ બની શકે. તમે સફળ વ્યક્તિ હશો તો તમે સફળતાથી પ્રેરાઈને વિશેષ કાર્ય કરવા ઉત્સાહી બનશો.

3 માસમાં વીજબિલ ભરી દો, 50 ટકા માફ

ગાંધીનગર– ગુજરાત સરકારે લીધેલા એક નિર્ણય મુજબ રાજ્યમાં કાયમી ધોરણે કપાયેલાં વિવિધ કક્ષાના વીજજોડાણો વાળા ગ્રાહકોની બાકી લેણા રકમ પ્રત્યે ઉદાત્ત અભિગમથી માફી યોજના ર૦૧૭ અન્વયે જાહેરાત કરી છે.ઘરવપરાશના વીજ ગ્રાહકો -બીપીએલ અને એપીએલ- જો ૩ માસની અંદર મુદ્દલની રકમ ભરી દે તો મુદ્દલની રકમમાં પ૦ ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફી અપાશે.

ખેતીવાડી ગ્રાહકોને પણ આ જ પ્રકારે જો ૩ માસની અંદર મુદ્દલની રકમ ભરી દે તો મુદ્દલની રકમમાં પ૦ ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફીનો લાભ સરકાર આપશે. અન્ય તમામ કક્ષાના વીજ ગ્રાહકો જો ૩ માસની અંદર મુદ્દલની સંપૂર્ણ રકમ ભરે તો વ્યાજમાં પુરેપુરી માફી મળશે.

રાજ્યના અંદાજે ૬ લાખ કરતા વધુ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે અને લગભગ રૂ.૧૧૩ કરોડથી વધુની રકમની વ્યાજ માફી અપાશે. આ નિર્ણયથી પ્રજાજનોને પોતાના નામે વીજજોડાણ મળશે. કોર્ટમાં કરવામાં આવેલ દિવાની દાવાઓ પાછા ખેંચી લેવામાં આવશે. તેમને પાછલી બાકી રકમની ચુકવણી સરળ હપ્તે કરવાની સવલત મળી શકશે તેમજ આ યોજના હેઠળ બીપીએલ અને નોન બીપીએલ ઘર વપરાશના ગ્રાહકો તેમજ ખેડૂતો બાકી વીજ બીલની પૂરેપૂરી રકમ નહીં પરંતુ પ૦ ટકા રકમ ભરી જવાબદારીમાંથી મુકિત મેળવી શકશે.

GST રેટ્સમાં કાપઃ ખાખરા, અનબ્રાન્ડેડ આયુર્વેદિક દવાઓ સસ્તી થઈ

કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલીના વડપણ હેઠળ આજે અહીં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક એવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જેનાથી દેશના નાના વેપારીઓ તથા આમજનતાને રાહત થશે. સરકારે 27 ચીજવસ્તુઓ પરના જીએસટી દરમાં ઘટાડો જાહેર કર્યો છે. આનાથી નાના વેપારીઓ, નિકાસકારો, આમ જનતાને રાહત મળશે.

કેન્દ્ર સરકારે જેમ્સ એન્ડ જ્વેલરી વિશે બહાર પાડેલું નોટિફિકેશન આજે પાછું ખેંચી લીધું છે. સરકારે જણાવ્યું છે કે પૂરતી વિચારણા કર્યા બાદ અલગ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

જીએસટી કાઉન્સિલની આજે ૨૨મી બેઠક મળી હતી. ગઈ ૧ જુલાઈથી જીએસટી ટેક્સ વ્યવસ્થા લાગુ કરાયા બાદ કાઉન્સિલની આ ચોથી બેઠક હતી.

તહેવારોની મોસમમાં વેપારીઓને જીએસટીને કારણે તકલીફો ન આવે એ માટે સરકારે અમુક રાહતો આપી છે.

ઓગસ્ટ મહિનાનું જીએસટીઆર-3બી ભરવાનું ચૂકી ગયેલા લાખો વેપારીઓને રાહત અપાઈ છે. સરકારે લેટ ફી દૂર કરી દીધી છે. 1 ઓક્ટોબરથી ઈ-વે બિલ લાગુ થવાની અટકળોને ફગાવી દેતાં સરકારે સંકેત આપ્યો છે કે હાલપૂરતું દિવાળીથી પહેલા માલની લે-વેચની ઓનલાઈન મોનિટરિંગ નહીં કરાય.

આ છે, GST કાઉન્સિલની બેઠકના અમુક મહત્વના નિર્ણયઃ

– રૂ. ૫૦ હજારથી વધુની કિંમતની જ્વેલરી ખરીદવા માટે PAN કાર્ડ હોવું ફરજિયાત નથી.

– કાપડ પરનો ટેક્સ ૧૨ ટકાથી ઘટાડી પાંચ ટકા કરાયો

– ૬૦ ચીજો પરનો ટેક્સ ૧૨ ટકાથી ઘટાડી પાંચ ટકા

– રેસ્ટોરન્ટ ટેક્સ ૧૮%થી ઘટાડી ૧૨ ટકા

– રીટર્ન દર મહિને નહીં, પણ ત્રણ મહિને એક વાર ફાઈલ કરવાનું રહેશે

– કમ્પોઝિશન સ્કીમ માટે ટર્નઓવર 75 લાખથી 1 કરોડનું કરાયું છે.

– E-way બિલ જોગવાઈઓનો અમલ 2018ના એપ્રિલ સુધી મુલતવી રખાયો છે.

– રીવર્સ ચાર્જ 31-03-2018 સુધી નાબૂદ રહેશે.

– રૂ. દોઢ કરોડ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે મન્થલીને બદલે ક્વાર્ટર્લી રીટર્ન્સની સવલત. ટેક્સ માસિક ધોરણે ચૂકવવાનો રહેશે.

– નિકાસકારો માટે ઈ-વૉલેટની સવલત

– ખાખરા પર હવે પાંચ ટકા ટેક્સ લાગશે

– અનબ્રાન્ડેડ આયુર્વેદિક દવાઓ પર જીએસટી 12 ટકાથી ઘટાડી પાંચ ટકા.

– સ્ટેશનરી ચીજવસ્તુઓ પર જીએસટી ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા.

– ડિઝલ એન્જીનના પાર્ટ્સ પરનો ટેક્સ ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા


– અનબ્રાન્ડેડ ફરસાણ (નમકીન) પર પાંચ ટકા ટેક્સ


– રેસ્ટોરન્ટના માલિકોએ હવે પાંચ ટકા ટેક્સ આપવો પડશે

– અનબ્રાન્ડેડ યાર્ન પર જીએસટી ૧૮ ટકાને બદલે ૧૨ ટકા, ફ્લોરિંગ ટાઈલ્સ પરનો ટેક્સ ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા

(કઈ ચીજ પરનો જીએસટી કેટલો ઘટ્યો? જાણવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો…)

https://chitralekha.com/gst.pdf

જાણીતા લેખક, ‘ચિત્રલેખા’ની નવલકથા ‘વિષ-અમૃત’ના સર્જક ડો. પ્રદીપ પંડ્યાનું નિધન

વડોદરા – અત્રેના જાણીતા કિડની નિષ્ણાત ડો. પ્રદીપ પંડ્યાનું ટૂંકી બીમારી બાદ આજે સાંજે નિધન થયું છે. એમની વય ૭૫ વર્ષ હતી.

૨૦૦૮ની સાલમાં ‘ચિત્રલેખા’ સામયિકમાં ડો. પ્રદીપ પંડ્યાની ‘વિષ-અમૃત’ નવલકથાને ધારાવાહિક રૂપે પ્રગટ કરવામાં આવી હતી જેને લાખો વાચકોએ ખૂબ વખાણી હતી. ‘વિષ-અમૃત’ નવલકથામાં દરદી સાથે વિશ્વાસઘાત કરતી ફાર્માસ્યુટિકલ કંપની વિશેની વાત હતી. આ પુસ્તકમાં લેખકે તબીબી વ્યવસાય અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગોબાચારી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. ‘વિષ-અમૃત’ નવલકથાને ‘ચિત્રલેખા’ની ગુજરાતી તથા મરાઠી, બંને આવૃત્તિમાં એકસાથે પ્રકાશિત કરવામાં આવી હતી.

ડો. પ્રદીપ પંડ્યા

ડો. પ્રદીપ પંડ્યાએ ૧૯૭૦માં એમ.ડી. થયા પછી ખાનગી પ્રેક્ટિસની સાથે મૂળજીભાઈ કિડની હોસ્પિટલમાં માનદ્દ નેફરોલોજિસ્ટ તરીકે અને વડોદરાની પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી હતી.

ડો. પંડ્યાને કવિતાનો પણ શોખ હતો. ૧૯૯૨માં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘અને મૌન તૂટે છે’ પ્રગટ થયો હતો.

એમની પ્રથમ નવલકથા હતી ‘ધારો કે એક સાંજ’. એમણે લખેલી ‘ધ હોસ્પિટલ’ ગુજરાતી સાહિત્ય (કદાચ ભારતીય સાહિત્ય)ની સર્વપ્રથમ મેડિકલ થ્રિલર હતી. ત્યારબાદ એમણે ‘તાંડવ’, ‘બારૂદ’, ‘પીળી કૂંપળ’, ‘રણમાં ડૂબ્યું વહાણ’ નવલકથાઓ લખી હતી.

ડો. પ્રદીપ પંડ્યાના પરિવારમાં એમના પત્ની ગીતાબહેન, પુત્ર ડો. મનીષ પંડ્યા ન્યુ મેક્સિકોમાં નેફરોલોજિસ્ટ છે તથા પુત્રી વૈશાલી સેન ફ્રાન્સિસ્કોમાં એપલ કંપનીમાં સિનિયર મેનેજર છે.

ડો. પ્રદીપ પંડ્યાના નિધનને પગલે એમના પરિવારજનો પ્રતિ ‘ચિત્રલેખા’ દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરે છે.

ઈશ્વર ડો. પ્રદીપ પંડ્યાના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

એડનના અખાતમાં ભારતીય જહાજ પરનો હુમલો નિષ્ફળ

નવી દિલ્હી – ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ INS ત્રિશૂલે આજે એડનના અખાતમાં એક વ્યાપારી ભારતીય જહાજ પર સમુદ્રી ચાંચિયાઓના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.

INS ત્રિશૂલે એડનના અખાતમાં આજે બપોરના સમયે સમયસર પહોંચી જઈને ભારતીય ધ્વજ ફરકાવતા એક બલ્ક જહાજ પર ચાંચિયાઓના હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

અખાતમાં ફસાઈ ગયેલા જહાજનું નામ ‘એમ.વી. જગ અમર’ છે. તે ૮૫,૦૦૦ ટન વજનનું છે.

આજે બપોરે લગભગ ૧૨.૩૦ વાગ્યાના સુમારે વ્યાપારી જહાજ પર ૧૨ સમુદ્રી ચાંચિયાઓ ચઢી આવ્યા હતા.

બાતમી મળતાં ભારતીય નૌકાદળની વિશિષ્ટ ટૂકડી MARCOSના કમાન્ડો યુદ્ધજહાજ INS ત્રિશૂલ સાથે ત્યાં પહોંચી ગયા હતા. કમાન્ડોએ સશસ્ત્ર ચાંચિયાઓને પકડી લીધા હતા અને એમની પાસેથી એકે-૪૭ રાઈફલ તથા એક સ્પીડ બોટ જપ્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે INS ત્રિશૂલ યુદ્ધજહાજ તે સમુદ્રવિસ્તારમાં ચાંચિયાઓને દૂર રાખવા માટે ચોકીપહેરો ભરે છે.

અભિષેક જયપુરના સ્વામીનારાયણ મંદિરમાં…

બોલીવૂડ અભિનેતા અને જયપુર પિન્ક પેન્થર્સ કબડ્ડી ટીમના સહ-માલિક અભિષેક બચ્ચને જયપુરમાં પ્રો-કબડ્ડી લીગ મેચો પૂર્વે BAPS સંસ્થાના અક્ષરધામ સ્વામીનારાયણ મંદિર તથા ડુંગરી ગણેશ મંદિરની મુલાકાત લીધી હતી અને દર્શન કર્યાં હતાં તથા પૂજા કરી હતી.

PM નરેન્દ્ર મોદી 7-8 ઓકટોબરે ગુજરાતના પ્રવાસે

ગાંધીનગર- વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૭ અને ૮ ઓકટોબર એમ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. બે દિવસ દરમિયાન દ્વારકા, ચોટીલા, ગાંધીનગર, વડનગર અને ભરુચમાં લોકકલ્યાણની અનેક યોજનાઓનો શિલાન્યાસ કરશે.

7 ઓક્ટોબરનો કાર્યક્રમ

પીએમ મોદી 7 ઓકટોબરને શનિવારે દિલ્હીથી સીધા દ્વારકા જશે. દ્વારકાધીશના દર્શન કરીને તેઓ ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે. પીએમ મોદી ઓખા અને બેટદ્વારકાને જોડતા સમુદ્ર પર રૂ.૯૬૨.૪૩ કરોડના ખર્ચે નિર્મિત થનારા ચાર માર્ગીય કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજના નિર્માણકાર્યનો શિલાન્યાસ કરશે અને નાગરિકોને સંબોધન કરશે.

બપોરે ૧૨.૩૦ કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પહોંચશે. ચોટીલા નજીક ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે રાજકોટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કરાશે. નરેન્દ્ર મોદીના વરદ હસ્તે તેનું ભૂમિ પૂજન કરાશે. અમદાવાદ-રાજકોટ ૨૩૧.૩૧ કિ.મી. લંબાઇના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું છ-માર્ગીકરણ કરાશે. આ કામનું પણ ભૂમિપૂજન કરાશે. રાજકોટ-મોરબી રાજ્ય ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાના કામનું ભૂમિપૂજન પણ કરાશે.  સૂરસાગર ડેરીમાં ઓટોમેટિક દૂધ પ્રોસેસીંગ અને પેકેજીંગ પ્લાન્ટનો પ્રારંભ પણ કરાશે. તેઓ સુરેન્દ્રનગર શહેરના ચાર ઝોનમાં દૈનિક પાણી વિતરણ યોજનાનું લોકાર્પણ કરશે. આ સમારોહમાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી અને ભારત સરકારના નાગરિક ઉડ્ડયનપ્રધાન અશોક ગજપતિ રાજુ પુસાપતિ પણ ઉપસ્થિત રહેશે.

PM નરેન્દ્રભાઇ મોદી ચોટીલાથી ગાંધીનગર આવશે. ગાંધીનગર નજીક પાલજ ગામ પાસે ૩૯૭ એકર જમીનમાં સાબરમતીના કાંઠે આઇઆઇટી સંકુલનું નિર્માણ કરાયું છે. પીએમ મોદી આ અત્યંત આધુનિક આઇઆઇટી સંકુલ રાષ્ટ્રને અર્પણ કરશે અને ડિજિટલ સાક્ષરતા અભિનંદન સમારોહને પણ સંબોધન કરશે. આ પ્રસંગે સીએમ વિજયભાઇ રૂપાણી ઉપરાંત કેન્દ્રીય ઇલેકટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી તથા કાયદો અને ન્યાયપ્રધાન રવિશંકર પ્રસાદ, કેન્દ્રીય માનવ સંશાધન વિકાસપ્રધાન પ્રકાશ જાવડેકર, કેન્દ્રીય રાજ્યપ્રધાન ડૉ. સત્યપાલ સિંધ અને અલફોન્ઝ કન્નાનથનમ  ઉપસ્થિત રહેશે. પીએમ મોદી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે

PM નરેન્દ્ર મોદી રૂ.5825 કરોડનાં 4 રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ માટે ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ઓકટોબરે ગુજરાતમાં દ્વારકામાં રૂ. 5825 કરોડનાં મૂલ્યનાં ચાર રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે વડાપ્રધાનની સાથે માર્ગ પરિવહન અને રાજમાર્ગ, જહાજ અને જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધારપ્રધાન નીતિન ગડકરી અને રાજ્ય કક્ષાનાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ, જહાજ તથા રસાયણ અને ખાતરપ્રધાન મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન રાષ્ટ્રીય રાજમાર્ગ-51 પર બેટ દ્વારકા અને ઓખા વચ્ચે કેબલ સ્ટે સિગ્નેચર બ્રીજનાં નિર્માણ માટે ખાતમુહૂર્ત કરશે. પુલનાં પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 962 કરોડ છે. ખાતમુહૂર્ત થનાર અન્ય પ્રોજેક્ટ્સમાં રૂ. 1600 કરોડનાં ખર્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ 51 પર પોરબંદર-દ્વારકા સેક્શનનાં 116.24 કિમીને 4 લેન કરવાનો, રૂ. 370 કરોડનાં ખર્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ 51 પર ગાડુ-પોરબંદર સેક્શનનો 93.56 કિમીનો માર્ગ 2/4 લેનિંગ, રૂ. 2893 કરોડનાં ખર્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ-47 અને રાષ્ટ્રીય રાજમાર્ગ-27 પર અમદાવાદ-રાજકોટ સેક્શનનાં 201.31 કિમીનાં માર્ગને 6 લેન કરવાનાં પ્રોજેક્ટ્સ સામેલ છે.

 

વતન વડનગરને પાદર 8મી ઓક્ટોબરે

ગુજરાતની મુલાકાતના બીજા દિવસની શરૂઆત પીએમ નરેન્દ્રભાઇ મોદી માદરે વતન-વડનગરથી કરશે. નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા પછી સૌપ્રથમ પોતાના વતનમાં આવી રહ્યાં છે. તેમના આવકાર માટે વડનગર થનગની રહ્યું છે. મોદી વડનગરમાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજનું લોકાર્પણ કરશે. વડનગરથી જ તેઓ હિંમતનગરની હોસ્પિટલ પણ રાષ્ટ્રને અર્પણ કરશે. તેઓ આ પ્રસંગે મિશન ઇન્દ્રધનૂષ અંતર્ગત સઘન રસીકરણ અભિયાનનો પણ આરંભ કરાવશે. સાથોસાથ ફિમેલ હેલ્થવર્કર્સને આઇએમ ટેકો એપ્લિકેશન અને ટેબલેટ્સનું પણ વિતરણ કરાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસના અંતિમ ચરણમાં વડનગરથી ભરૂચ જશે. ભરૂચમાં નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે કલ્પસર પ્રભાગની ભાડભૂત બેરેજ યોજનાનો શિલાન્યાસ કરાશે. નર્મદા નદી પર રૂ.૪,૩૩૭ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ભાડભૂત બેરેજથી આ વિસ્તાર વિશેષ લાભાન્વિત થશે. ભરૂચ ખાતેથી જ રી નરેન્દ્રભાઇ મોદી જી.એન.એફ.સી.ના રૂ.૬૦૦ કરોડના વિવિધ પ્રોજેકટ્સના લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે તથા ઉધનાથી જયનગર-વિહારને જોડતી અંત્યોદય એક્સપ્રેસનું પ્રસ્થાન કરાવશે.

ફેશન શોમાં શ્રુતિ હાસન…

મુંબઈમાં પાંચ ઓક્ટોબર, ગુરુવારે આયોજિત ‘લક્ઝરી એન્ડ ફેશન એઝ હેલ્લો! એન્ડ ઓડી’ નામક ફેશન શોની રેડ કાર્પેટ પર અભિનેત્રી શ્રુતિ હાસન અને ફેશન ડિઝાઈનર ફાલ્ગુની અને શેન પીકોક ઉપસ્થિત રહ્યાં હતાં.