Home Blog Page 5612

૧૬ ઓક્ટોબર: કપિલ, કેલીસ, હાર્દિક માટે યાદગાર… કઈ રીતે?

કોઈ પણ દેશની ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર માનીતો ગણાય. આ ખેલાડી બોલ અને બેટ, બંનેમાં ટીમ માટે ઉપયોગી સાબિત થતો હોય છે. ભૂતકાળમાં ભારતને વિનુ માંકડ, આબિદ અલી, સલીમ દુરાની જેવા ખેલાડીઓની ઓલરાઉન્ડ ક્ષમતાનો લાભ મળ્યો હતો, પણ કપિલ દેવે આવીને ઓલરાઉન્ડરની વ્યાખ્યા જ જાણે બદલી નાખી હતી. કપિલ ઉપયોગી ઓલરાઉન્ડર ઉપરાંત ટીમનો આધારસ્તંભ ખેલાડી અને અંતે કેપ્ટન પણ બન્યા હતા.

1994ની 17 ઓક્ટોબરે કપિલ દેવ ભારત વતી એમની છેલ્લી મેચ રમ્યા હતા. ત્યારથી ભારતીય ટીમ માટે એક કાબેલ, સક્ષમ ઓલરાઉન્ડરની શોધ ચાલતી આવી છે. હાર્દિક પંડ્યા પર એ શોધ સમાપ્ત થઈ હોય એવું લાગે છે.

ઓલરાઉન્ડરોની વાત પરથી 16 ઓક્ટોબરના દિવસનો વિશેષ ઉલ્લેખ કરવો જરૂરી છે. આ તારીખ કપિલ અને હાર્દિક ઉપરાંત દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર જેક કેલીસ માટે યાદગાર બની છે.

કેલીસનો જન્મ 16 ઓક્ટોબરે થયો હતો તો કપિલ દેવે 1978માં ફૈસલાબાદમાં પાકિસ્તાન સામે એમની પહેલી ટેસ્ટ મેચ ખેલી હતી ત્યારે તારીખ 16 ઓક્ટોબર હતી અને હાર્દિક પંડ્યાએ 2016ની 16 ઓક્ટોબરે કપિલ દેવના હસ્તે પોતાની ODI કેપ ધારણ કરી હતી. તે મેચ હતી ન્યૂ ઝીલેન્ડ સામે ધરમસાલા ખાતેની.

આમ, 16 ઓક્ટોબરની તારીખ આ ત્રણેય ઓલરાઉન્ડરના જીવનની સ્પેશિયલ છે. કેલીસ આજે એનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

હાર્દિક પંડ્યાના આગમન પહેલાં ભારતીય ટીમને અજિત આગરકર, ઈરફાન પઠાણ જેવા કેટલાક ઓલરાઉન્ડરોની સેવા મળી હતી, પરંતુ તેઓ ટેસ્ટ અને વન-ડે, બંને ફોર્મેટમાં સાતત્ય જાળવી શક્યા નહોતા. હાર્દિક પંડ્યા તે સાતત્ય જાળવી શકશે એવી આશા છે. હાર્દિક ટીમમાં સામેલ થવાથી કેપ્ટન વિરાટ કોહલીની તાકાતમાં વધારો થયો છે.

131 ટેસ્ટ મેચોમાં 434 વિકેટ અને બેટિંગમાં 8 સેન્ચુરી, 27 હાફ સેન્ચુરી સાથે 5,248 રન કરનાર કપિલ દેવની તોલે હાર્દિક આવી શકશે કે કેમ એ તો સમય આગળ વધશે તેમ ખબર પડશે, પણ હાર્દિકની ક્ષમતાએ માત્ર દેશના જ નહીં, પણ વિદેશના ધુરંધરોને પણ પ્રભાવિત કરી છે.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઈયાન ચેપલનું કહેવું છે કે દંતકથાસમા કપિલની નિવૃત્તિ બાદ હાર્દિકમાં મને મેચ-ટર્નિંગ ઓલરાઉન્ડર બનવાની ક્ષમતા દેખાઈ છે.

પંડ્યા અત્યાર સુધીમાં માત્ર ત્રણ ટેસ્ટ મેચ જ રમ્યો છે તો એણે રમેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચોનો આંકડો 26 અને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોનો આંકડો 21 છે.

કેલીસ 166 ટેસ્ટ, 328 વન-ડે ઈન્ટરનેશનલ્સ અને 25 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોભરી કારકિર્દીને 2014ના જુલાઈમાં રામ રામ કરી ચૂક્યો છે. એણે ટેસ્ટ ક્રિકેટમાં 45 સદી અને 58 અડધી સદી સાથે 13,289 રન કર્યા છે. વન-ડે ક્રિકેટમાં એણે 17 સદી, 86 અડધી સદી સાથે 11,579 રન કર્યા હતા.

આમ, કપિલ અને કેલીસના સ્તર સુધી પહોંચવામાં હાર્દિકને ઘણી લાંબી મજલ કાપવાની છે.

પંડ્યામાં કપિલ દેવ જેવી ક્ષમતા દેખાઈ એનું મુખ્ય કારણ એ છે કે તે ટોપ-6માં બેટિંગ કરી શકે છે. બોલિંગમાં એ કલાકના 140 કિ.મી.ની ઝડપે બોલ ફેંકી શકે છે. જેમ વધુ ને વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમતો જાય છે તેમ એનો આત્મવિશ્વાસ વધતો જાય છે.

પંડ્યાની બિગ-હિટિંગ કાબેલિયત અને હેન્ડી ફાસ્ટ-મીડિયમ બોલિંગ ક્ષમતા અસ્સલ એવા પ્રકારની છે જેની ભારતીય ટીમને ખૂબ જરૂર છે.

 

અમદાવાદમાં રૂ. ૯૦૦ કરોડના કાર્યોનું મેરેથોન લોકાર્પણ-ભૂમિપૂજન થયું

અમદાવાદ– અમદાવાદ મહાનગરમાં આજે રૂપિયા ૯૦૦ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ‘‘અમે તો ૧ રૂપિયો આવે તેની સામે સવા રૂપિયાનું વિકાસ કામ કરનારી સંસ્કૃતિના લોકો છીયે’’. રૂપાણીએ અમદાવાદ મહાપાલિકા દ્વારા નિર્મિત ફલાય ઓવરબ્રીજ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તેમજ અર્બન હેલ્થ સેન્ટરના લોકાર્પણ અને ૪ બ્રિજના ભૂમિપૂજન સંપન્ન કર્યા હતા.

તેમણે આ અવસરે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફર જનતાની સુવિધા માટે નવી ખરીદાયેલી પ૭પ બસ પૈકી ૪૦ બસને ફલેગ ઓફ પણ કરાવ્યો હતો. નવનિયુકત કંડકટરોને નિમણૂકપત્રો અર્પણ કર્યા હતા. મુખ્યપ્રધાને ઉમેર્યુ કે, સમગ્ર દેશમાં ગુજરાતના રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે યુરો-૪ બસ સુવિધા પેસેન્જર્સને આપવાનું ગૌરવ મેળવ્યું છે. આના પરિણામે પ્રદૂષણ નિયંત્રણ સાથે જ ઇંધણ કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે.ગુજરાતમાં બેરોજગારી છે તેવા વિપક્ષી યુવા નેતા રાહુલ ગાંધીના આક્ષેપોનો સણસણતો જવાબ આપતાં રૂપાણીએ કહ્યું કે, એક જ વર્ષમાં ૭ર હજારને નોકરી અને ભરતી કેલેન્ડરથી મેનપાવર પ્લાનીંગ અમે કર્યુ છે. ભૂતકાળમાં કોંગ્રેસી મુખ્યપ્રધાનના સમયમાં ભરતી પર પ્રતિબંધ લાદીને ર૦ ટકા જગ્યાઓ નાબૂદ-એબોલિશ કરી દઇ યુવાઓને બેરોજગાર રાખવાનું પાપ તેમણે કર્યુ હતું એ રાહુલ ગાંધી કેમ ભૂલી જાય છે?. તેમણે કહ્યું કે, એસ.ટી. નિગમ સહિત પોલીસદળ અને અન્ય સરકારી વિભાગોમાં એક જ વર્ષમાં ૭ર હજારથી વધુ રોજગાર અવસરો સંપૂર્ણ પારદર્શી પદ્ધતિથી આ સરકારે આપ્યા છે. ખાનગી ક્ષેત્રે ૧૦ લાખ જેટલી રોજગારી પૂરી પાડી છે.

ભાટ પહોંચતાં ભાજપ કાર્યકરો

અમદાવાદ- ભાજપની ગુજરાત ગૌરવયાત્રા રાજ્યભરમાં પ્રચારકાર્ય સંપન્ન કરી આજે સમાપ્ત થઇ રહી છે. આ પ્રસંગે ભાજપ દ્વારા પીએમ મોદી અને પક્ષપ્રમુખ અમિત શાહની ઉપસ્થિતિમાં પેજપ્રમુખ સમારોહનું આયોજન ગાંધીનગર નજીકના ભાટ ગામમાં કરવામાં આવ્યું છે. પક્ષના દાવા પ્રમાણે આજે સાત લાખ લોકો આ કાર્યક્રમમાં ભેગાં થશે. વડાપ્રધાન આ કાર્યક્રમમાં આવવાના હોવાથી અમદાવાદમાંથી ઠેરઠેરથી ભાજપ કાર્યકરો ઉત્સાહભેર કાર્યક્રમસ્થળે પહોંચવા નીકળી પડ્યાં હતાં.કાર્યકરો સેલ્ફી લેવા સાથે વિવિધ અંદાજમાં તસવીરોમાં ઝીલાયાં હતાં..   

તાજમહલ ભારતીય સંસ્કૃતિ પર કલંક: BJP નેતા સંગીત સોમનું નિવેદન

લખનઉ- ઉત્તરપ્રદેશના સરધના વિસ્તારથી ભાજપના ધારાસભ્ય સંગીત સોમે તાજમહલ અંગે નિવેદન કર્યા બાદ વિવાદ સર્જાયો છે. વિશ્વની સાત અજાયબીઓ પૈકી તાજમહલને સંગીત સોમે ભારતીય સંસ્કૃતિ પર કલંક ગણાવ્યો છે. સંગીત સોમે કહ્યું કે, તાજમહલ બનાવનારાઓએ ઉત્તરપ્રદેશ અને હિન્દુસ્તાનમાં હિન્દુઓનો વિનાશ કરવાનું કામ કર્યું છે. આવા લોકોના નામ ઈતિહાસમાંથી બદલી નાખવા જોઈએ.

આપને જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશ પર્યટન વિભાગે રાજ્યના ઐતિહાસિક સ્મારકોની યાદી જાહેર કરી હતી જેમાં તાજમહલનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જોકે બાદમાં રાજ્ય સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ભૂલથી તાજમહેલનું નામ ઐતિહાસિક સ્મારકોની યાદીમાં ઉમેરવાનું રહી ગયું હતું.

ભાજપના ધારાસભ્ય સંગીત સોમે મેરઠમાં એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન જણાવ્યું કે, તાજમહલનો ઐતિહાસિક ધરોહરમાં સમાવેશ નહીં કરવાને કારણે અનેક લોકોને તકલીફ થઈ હતી. વધુમાં સંગીત સોમે કહ્યું કે, આ તે કેવો ઈતિહાસ કે તાજમહલ બનાવનારાએ પોતાના પિતાને જ કેદી બનાવ્યા હતા. તાજમહલ બનાવનારાએ ઉત્તરપ્રદેશ અને હિન્દુસ્તાનમાંથી હિન્દુઓનો સર્વનાશ કરવાનું કામ કર્યું છે. આવા લોકોનું નામ જો ઈતિહાસમાં હોય તો એ દુર્ભાગ્યની વાત છે. અને આવા દુર્ભાગ્યપૂર્ણ ઈતિહાસને બદલવો જોઈએ.

ગત મહિને ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું હતું કે, તાજમહલ આપણા માટે એક સુંદર ધરોહર છે. વધુમાં અખિલેશે કહ્યું કે, ‘મને લાગે છે કે, વિશ્વમાં એવો કોઈ દેશ નહીં હોય જ્યાં પોતાના પ્રિય વ્યક્તિની યાદમાં આ પ્રકારની ઈમારત બનાવવામાં આવી હોય જેનો વિશ્વની સાત અજાયબીઓમાં સમાંવેશ કરવામાં આવ્યો છે.

શિવસેનાએ કરેલા દગાને નહીં ભૂલું: રાજ ઠાકરે

મુંબઈ – પોતાની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના છ નગરસેવકો પક્ષપલટો કરીને શિવસેનામાં જોડાઈ જતા મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ ધૂઆંપૂંઆ થઈ ગયા છે અને એવો આક્ષેપ કર્યો છે કે શિવસેના પાર્ટીએ અમારા દરેક પક્ષપલટુને પાંચ-પાંચ કરોડ રૂપિયા આપીને ફોડી લીધા છે.

રાજ ઠાકરેએ આ હરકતને દગા તરીકે ઓળખાવી છે અને ગંદું રાજકારણ રમવાનો શિવસેના પર આક્ષેપ કર્યો છે. રાજે શિવસેનાના પ્રમુખ અને પોતાના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરેને ચેતવણી આપી છે કે તેઓ ભવિષ્યમાં આવી હરકત કરે નહીં.

ઉલ્લેખનીય છે કે મનસેના સાતમાંથી છ નગરસેવકો ગયા અઠવાડિયે શિવસેનામાં જોડાઈ ગયા હતા.

૨૨૭-સભ્યોની મુંબઈ મહાનગરપાલિકા (BMC)માં શિવસેનાનું સભ્યબળ હવે વધીને ૯૦ થયું છે. ભારતીય જનતા પાર્ટીના ૮૨ સભ્યો છે.

બીએમસીમાં આ વર્ષના ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ હતી. એ વખતે શિવસેનાએ ૮૪ બેઠકો જીતી હતી અને ભાજપે ૮૨.

પોતાની પાર્ટીના સભ્યોના આવા પક્ષપલટા અંગે પ્રત્યાઘાત આપતા રાજ ઠાકરેએ જણાવ્યું છે કે મને શિવસેના તરફથી આવી અપેક્ષા નહોતી. શિવસેનાએ ગંદું રાજકારણ રમ્યું છે અને આ રીતે અન્ય પાર્ટીમાંથી નગરસેવકોને ખરીદવાના શિવસેનાના પગલાથી મહારાષ્ટ્રના લોકો નારાજ થયા છે.

રાજ ઠાકરેએ એવો આક્ષેપ પણ કર્યો છે કે શિવસેનામાં જોડાવા માટે અમારી પાર્ટીના દરેક નગરસેવકને રૂ. પાંચ-પાંચ કરોડ આપવામાં આવ્યા છે. આમ કુલ ૩૦ કરોડ રૂપિયા થયા. શિવસેના પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા?

અમેરિકા યુનેસ્કોમાંથી નીકળી ગયું – નુકસાન અમદાવાદને

યુએન અને યુનેસ્કો આપણાં વાંચકો માટે પણ અજાણ્યાં શબ્દો નથી. થોડા મહિના પહેલાં ગુજરાતમાં યુનેસ્કોની ટીમ આવી હતી, કેમ કે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવાનો હતો. યુએન દુનિયાના દેશો વચ્ચે સમન્વયનું કામ કરે છે અને તેની સંસ્થા યુનેસ્કો દુનિયાના દેશો વચ્ચે સાંસ્કૃતિક સેતુબંધ બનવા કોશિશ કરે છે. બિનરાજકીય પ્રકારનું તેનું કામ હોવાથી યુનેસ્કો માટે મોટા ભાગના દેશમાં આવકાર હતો, પણ આ વખતે અમેરિકાએ યુનેસ્કોમાં પણ રાજકારણને ઘૂસાડવાની કોશિશ કરી તેનો વિરોધ થયો છે.અમેરિકાએ એવું કારણ આપ્યું છે કે યુનેસ્કોમાં ઇઝરાયલ વિરોધી માહોલ છે. 12 ઓક્ટોબરે અમેરિકાના વિદેશ મંત્રાલયે યુનેસ્કોના ડિરિક્ટર-જનરલ ઇરિના બોકોવાને પત્ર લખીને પોતે ખસી જાય છે તેની જાણ કરી હતી. યુનેસ્કોમાં પોતે સભ્ય નહીં રહે, પરંતુ નિરીક્ષક તરીકે રહેશે એમ અમેરિકાએ કહ્યું છે. નિરીક્ષક તરીકે અમેરિકા વર્લ્ડ હેરિટેજની જાળવણી, પ્રેસ ફ્રિડમ, શિક્ષણ અને વિજ્ઞાનના ક્ષેત્રે સહકારની બાબતમાં પોતાના અભિપ્રાયો અને પોતાની ચિંતા વ્યક્ત કરવા માગે છે તેથી એક કાયમી નિરીક્ષક સંસ્થા રાખશે એમ કહ્યું છે. જોકે આવતું આખું આવતું વર્ષ અમેરિકા સભ્ય તરીકે રહેશે. તે દરમિયાન કોઈ ફેરફાર થાય તેવી પણ શક્યતા છે, પણ અત્યારે એ સવાલ છે કે અમેરિકા શા માટે યુનેસ્કોમાંથી નીકળી ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારથી તદ્દન નવી નીતિ અપનાવી રહ્યા છે. અમેરિકા ઇમિગ્રન્ટ્સનો દેશ છે અને ઇમિગ્રન્ટ્સને આવકાર મળે છે. ટ્રમ્પ તેના પર પ્રતિબંધ મૂકવા માગે છે. અમેરિકા જગત જમાદાર તરીકે વિશ્વના ખૂણે બનતી નાનામાં નાની ઘટના પણ ચંચૂપાત કરે છે. ગલ્ફના દેશોમાં ઇરાક સામે અને અફઘાનિસ્તાનમાં રશિયા સામે અને તાલિબાનો સામે લડવા અમેરિકાની સેના પહોંચી હતી. અત્યાર સિરિયા સામે પણ અમેરિકન સૈનિકો લડી રહ્યા છે. ટ્રમ્પ ઇચ્છે છે કે દુનિયાની પળોજણમાં અમેરિકાની સેનાએ પાતળા થવાની જરૂર નથી.

યુએનમાં 195 સભ્યો છે, પણ યુનેસ્કોમાં 197 છે. એક કૂક આઇલેન્ડ્સ અને બીજો દેશ છે પેલેસ્ટાઇન. પેલેસ્ટાઇન યુનેસ્કોમાં છે એટલે ઇઝરાયલ વિરોધી વાતો તેમાં કલ્ચરના બહાને આવે. ઇઝરાયલ અને યહુદી લોબીનું પ્રભુત્વ અમેરિકા પર છે તે જગજાહેર છે. ઇઝરાયલના દબાણના કારણે અમેરિકાએ આ પગલું લીધું અને ઇઝરાયલના વડાપ્રધાન નેતનયાહૂએ થેન્ક્યૂ પણ કહ્યું છે.

યુનેસ્કો ખાસ તો વર્લ્ડ હેરિટેજની જાળવણી થાય તે માટે દુનિયાની સરકારો સાથે સહકાર સાધતું રહે છે. મજાની વાત એ છે કે અમેરિકાએ જ 1966માં પોતાના દેશનો ઐતિહાસિક વારસો જળવાઈ રહે તે માટે જે કાયદો ઘડ્યો હતો તેના આધારે જ યુનેસ્કોએ વિશ્વની ધરોહર સમાન વારસાને જાળવવા માટેની પ્રણાલી ઊભી કરવામાં આવી છે. અમેરિકામાં જાતજાતની લોબી કામ કરે છે અને દુનિયાભરમાં પોતાના હિતો ચાલતા રહે તે માટે વૈશ્વિક સંસ્થાઓનો સહારો લેવાતો હોય છે. યુનેસ્કો તેમાં અગત્યની સંસ્થા હતી પણ હવે અમેરિકાએ જ તેને છોડી દેવાનો નિર્ણય કર્યો તેનાથી નવાઈ લાગે.યુનેસ્કોના ડિરેક્ટર જનરલ ઇરિનાએ સિરિયા અને માલીમાં યુદ્ધના કારણે સાંસ્કૃત્તિક વારસો નાશ પામ્યો તેની આકરી ટીકા કરી છે. આ તો એક વૉર ક્રાઇમ છે એમ તેમણે કહ્યું. આ સીધી જ અમેરિકાની ટીકા થઈ, કેમ કે અમેરિકા સિરિયામાં યુદ્ધ લડી રહ્યું છે. જોકે જાણકારો કહે છે કે માત્ર અમેરિકાની ટીકા કે ઇઝરાયલનો વિરોધ એ જવાબદારી પરિબળો નથી. બીજા કારણો પણ અમેરિકન વિદેશ મંત્રાલયને ટાંક્યા છે.

યુનેસ્કોમાં મૂળભૂત રીતે પરિવર્તનની જરૂર છે એમ પણ કહ્યું છે. અમેરિકા માથે યુનેસ્કોનું લેણું વધતું જાય છે તે મામલો પણ છે. આ મુદ્દાઓ પણ અગત્યના છે. યુનેસ્કો સામે માત્ર ટ્રમ્પ નારાજ નથી. અમેરિકાની નારાજી 2011થી શરૂ થઈ ગઈ હતી. ઇઝરાયલના વિરોધ છતાં 2011માં પેલેસ્ટાઇનને સભ્ય બનાવાયું. બીજું પેલેસ્ટાઇનના વેસ્ટ બેન્કમાં આવેલી હેબ્રોનને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાઈ તેનો પણ ઇઝરાયલે વિરોધ કર્યો. આ બહાને પેલેસ્ટાઇનને ફંડ મળશે તેનો પણ વિરોધ હતો.

ઇઝરાયલના વિરોધ પછી યુનેસ્કોમાં ફંડાન્ટમેન્ટ ચેન્જીસની જરૂર છે એમ કહીને અમેરિકાએ ફંડ આપવાનું બંધ કરી દીધું હતું. 55 કરોડ ડોલરથી વધુ ફાળો અમેરિકાએ આપવાનો બાકી છે. સભ્ય તરીકે અમેરિકા ચાલુ રહે તો દર વર્ષે આ આંકડો વધતો જાય. એટલે પણ અમેરિકાએ સભ્યપદેથી નીકળી જવાનું નક્કી કર્યું છે. યુનેસ્કો દ્વારા થતા ખર્ચનો સવાલ પણ અમેરિકાએ ઉપાડ્યો છે, કેમ કે યુનેસ્કોનો 2000નો સ્ટાફ પારીસમાં બેસે છે. તેમના પગારનો બોજ મોટો છે. યુએનનું હેડક્વાર્ટર ન્યૂ યોર્કમાં છે, તેનો આડકતરો લાભ અમેરિકાને મળે, પણ પારીસમાં 2000નો સ્ટાફ હોય તો કોઈ ફાયદો થાય નહી.

અમેરિકા લગભગ 20 ટકા ફાળો યુનેસ્કોને આપતું આવ્યું હતું. આઠ કરોડ ડોલર દર વર્ષે આપતું હતું. અગાઉ 1984માં પણ અમેરિકાએ આવા જ મુદ્દાઓ ઊભા કરીને યુનેસ્કો છોડી દીધું હતું. ફરી 2003માં અમેરિકા જોડાયું, પણ એક જ દાયકામાં ફરી નારાજી વધી છે. બીજી ચિંતા એ છે કે અમેરિકાનું જોઈને બ્રિટન, જાપાન અને બ્રાઝિલે પણ જુદા જુદા કારણોસર યુનેસ્કોને પોતાનો ફાળો આપવાનું બંધ કરી દીધું છે. આ જ રીતે જો દેશો પોતપોતાના હિતો ખાતર યુનેસ્કોને ફાળો આપવાનું બંધ કરી દે તો વિશ્વભરમાં હેરિટેજની જાળવણીને અસર થઈ શકે છે. અમદાવાદ હજી નવું નવું જ હેરિટેજ સિટિ જાહેર થયું છે. અમદાવાદને પણ વધારે ફંડ મળવાની આશા હોય તે ઓછી થઈ શકે છે.

સોમનાથમાં દીપોત્સવી પર્વના આયોજન

સોમનાથ- 17 તારીખથી શરુ થઇ રહેલા દીપોત્સવી પર્વને લઇને જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વિશેષ આયોજન કરવામાં આવ્યાં છે.ધનતેરસથી નૂતનવર્ષ સુધી મોટી સંખ્યામાં ભક્તજનો દર્શને આવશે જેને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયાં છે. વિશેષ શૃંગાર, સાંજે દીપમાલિકા, ગર્ભગૃહ તથા નૃત્યમંડપમાં રંગોળી કરાશે.

મંદિરને ફરતે આ દિવસોને અનુલક્ષી વૈવિધ્યપૂર્ણ રોશની અને અન્ય સુશોભન પણ કરવામાં આવ્યાં છે.તો બીજીતરફ આ દિવસોમાં સોમનાથમાં મેળો પણ યોજાતો રહ્યો છે જેને લઇને સ્ટોલ્સની હરાજીની પ્રક્રિયા પણ શરુ કરવામાં આવી હતી.

દીવાળીપર્વ દરમિયાન પૂજન કાર્યક્રમ

કાળી ચૌદશે રાતે 10 વાગે જ્યોતપૂજન, 11 વાગે મહાપૂજન અને 12 કલાકે મહાઆરતી યોજાશે. મંદિર રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. 19મીએ દીવાળીના રોજ સાંજે 5થી 6 વાગે પાર્વતીજીનું રાજોપચારી પૂજન કરાશે. લક્ષ્મીપૂજન તથા ચોપડાપૂજન સાંજે સાડા સાતથી સવા આઠ દરમિયાન થશે. નૂતન વર્ષના આરંભે ભગવાન સોમનાથ મહાદેવને વિશ્વશાંતિ માટે પ્રાતઃઆરતી પ્રાર્થના કરાશે. સાંજે 4થી 6 અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન સોમનાથ મહાદેવના ભક્તોને ભાવપૂર્વક પધારવા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

લંડન ઝૂ સાથે સમજૂતીરુપે જૂનાગઢ ઝૂને નવા મહેમાનો મળ્યાં

 જૂનાગઢ- વર્ષ ૨૦૧૬માં જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયથી એશિયન સિંહની એક જોડી ZSL લંડન પ્રાણીસંગ્રહાલયમાં મોકલવામાં આવી હતી. અને તેના બદલામાં લંડનના પ્રાણીસંગ્રહાલય તરફથી ચિત્તાની એક જોડી, બે લીમર પ્રાણી અને ૨ ઝીબ્રા ગુજરાત મોકલવામાં આવ્યા હતાં.જૂનાગઢના જંગલ ખાતાના અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે પહેલીવાર સક્કરબાગ ઝૂમાં ઝીબ્રા અને લીમર જોવા મળશે. રાજયના કોઈ પણ પ્રાણીસંગ્રહાલયમાં આ પ્રાણીઓ વર્તમાનમાં નથી. આ મહિનાના અંત સુધીમાં આ પ્રાણીઓ આવી જશે અને લગભગ ૩૦ દિવસ પછી લોકો તેમને નિહાળી શકશે. ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ એ.પી.સિંહના જણાવ્યાનુસાર ડિસેમ્બર ૨૦૧૬માં અમલ અને તોરલ નામની સિંહની એક જોડી લંડન પ્રાણીસંગ્રહાલય મોકલી હતી. તેના બદલામાં જૂનાગઢ ઝૂને આ બે પ્રાણીઓ મળવાના છે.

પ્રાણીસંગ્રહાલયમાં પહેલીવાર ઝીબ્રા અને લીનર પ્રાણી જોવા મળશે. ચીત્તા પહેલાં હતાં, પરંતુ અત્યારે માત્ર એક જ જીવિત છે. સિંહોની ઈનબ્રીડિંગ જળવાઈ રહે તે માટે બે સિંહોને લંડન મોકલવામાં આવ્યા હતા. ત્યાં પહેલાથી ૩ એશિયન સિંહ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫માં ZSL અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચે સિંહોના સંરક્ષણ માટે એક મેમોરેન્ડમ સાઈન કરવામાં આવ્યુ હતું. ૨૦૧૫માં સિંહોના સંરક્ષણ માટે ZSL તરફથી ગુજરાતને ૧,૦૦,૦૦૦ પાઉન્ડ ડોનેટ પણ કરવામાં આવ્યાં હતાં.

આવનારા 2 મહિનામાં 10 હજાર લોકોની ભરતી કરશે પેટીએમ

મુંબઈ- મોબાઈલ વોલેટ પેટીએમે એજન્ટોની પોતાની ટીમની સાઈઝ ડબલ કરવા માટે પ્લાન કર્યો છે. પેટીએમ દ્વારા આખા દેશમાં એકલાખ બ્રાંચ ખોલવાની તૈયારી કરવામાં આવી છે. આના કારણે પેટીએમ યૂઝર્સને નો યોર કસ્ટમર નોર્મ્સ પૂરૂ કરવામાં સરળતા રહેશે.પેટીએમ પોતાને પેમેન્ટ્સ બેંકમાં બદલવામાં લાગ્યું છે. તેણે જણાવ્યું કે પ્રિપેઈડ ઈન્સ્ટ્રુમેન્ટ્સ અથવા તો મોબાઈલ વોલેટ્સ માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની હમણા જ જાહેર થયેલી ગાઈડલાઈન્સને લઈને સ્ટેન્ડ અલોન મોબાઈલ વોલેટ્સને કેવાઈસીના કડક નોર્મ્સ અને એડિશનલ રેગ્યુલેટરી રિક્વાયરમેન્ટનું પાલન કરવું પડશે, જેના કારણે તેમની સ્થિતિ કમજોર થઈ જશે. પ્રાપ્ત માહિતી અનુસાર પેટીએમ પાસે પહેલાથી જ 10 હજાર જેટલા એજન્ટ છે કે જેઓ કેવાઈસી નોર્મ્સ પૂરૂ કરવા માટે કસ્ટમર્સની મદદ કરી રહ્યા છે. ફિઝિકલ કેવાઈસીની ક્ષમતા વધારવા માટે પેટીએમ દ્વારા 2 મહિનમાં 10 હજાર એજન્ટને હાયર કરવાનો પ્લાન બનવવામાં આવ્યો છે.

સોમાલિયામાં આતંકી તાંડવઃ મૃતકોની સંખ્યા 250થી વધુ

મોગાદિશૂ- સોમાલિયાની રાજધાની મોગાદિશૂમાં ગતરોજ થયેલા બે શક્તિશાળી વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લે મળેલા અહેવાલ મુજબ 276 લોકોના મોત થયા છે અને 300થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકોની સંખ્યા વધી શકે છે.

મોગાદિશૂના કેફાઇવ જંક્શન વિસ્તારમાં પહેલો આતંકી હુમલો થયો હતો. રાજધાનીના આ વિસ્તારમાં સરકારી કચેરીઓ, હોટેલો અને રેસ્ટોરાં આવેલાં છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે સોમાલિયાના વિદેશમંત્રાલય પાસે આવેલી હોટેલ સંપૂર્ણ ધરાશાયી થઇ હતી. ઉપરાંત આસપાસની અનેક ઇમારતોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. અનેક વાહનોમાં આગ લાગી હતી. આ વિસ્ફોટના બે કલાક બાદ મોગાદિશૂના મદિના વિસ્તારમાં કારબોંબ વિસ્ફોટ થયો હતો જેમાં બે નાગરિકનાં મોત થયાં હતાં.

વિસ્ફોટની જાણ થયા બાદ સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કાર્ય શરુ કર્યું હતું. ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાં અનેક લોકો દટાયાં હતાં. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, ઘાયલો ઓળખી ન શકાય તેટલી હદે દાઝી ગયાં છે. આ અત્યંત ભયાનક ઘટના છે.