Home Blog Page 497

મુકેશ અંબાણીની Jio વપરાશકર્તાઓને ભેટ

રિલાયન્સ અને Google એ AI સંબંધિત એક મોટી ભાગીદારી કરી છે. સાથે મળીને, બંને કંપનીઓ ભારતમાં કૃત્રિમ બુદ્ધિમત્તાને ઝડપથી આગળ વધારશે. આ ભાગીદારીના પરિણામે, Jio એ તેના વપરાશકર્તાઓને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે. Jio વપરાશકર્તાઓને 18 મહિના માટે Google AI Pro નું મફત સબ્સ્ક્રિપ્શન મળશે. આ સબ્સ્ક્રિપ્શનની કિંમત આશરે ₹35,100 છે. કંપની વપરાશકર્તાઓને Google Gemini 2.5 Pro, નવીનતમ Nano Banana અને Veo 3.1 મોડેલ્સની ઍક્સેસ પણ પ્રદાન કરશે. અભ્યાસ અને સંશોધન માટે Notebook LM ની વિસ્તૃત ઍક્સેસ અને 2TB ક્લાઉડ સ્ટોરેજ જેવી પ્રીમિયમ સેવાઓ પણ સબ્સ્ક્રિપ્શન સાથે ઓફર કરવામાં આવી રહી છે.

કયા વપરાશકર્તાઓ આ ઓફર માટે પાત્ર હશે?

આ Jio ઓફર શરૂઆતમાં 18 થી 25 વર્ષની વયના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ રહેશે. તે પછી, કંપની આ ઓફરને બધા વપરાશકર્તાઓ માટે વિસ્તૃત કરશે. રિલાયન્સ Jio જણાવે છે કે આ મફત ઓફરનો લાભ લેવા માટે, વપરાશકર્તાઓએ મફત અમર્યાદિત પ્લાન સક્રિય કરવો આવશ્યક છે. આ ઓફર રિલાયન્સની AI કંપની, રિલાયન્સ ઇન્ટેલિજન્સ લિમિટેડ અને ગુગલ વચ્ચે ભાગીદારીમાં રજૂ કરવામાં આવી છે.

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે આ ભાગીદારીનો હેતુ 1.45 અબજ ભારતીયો માટે AI સેવાઓ સુલભ બનાવવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુગલ જેવી કંપનીઓ સાથે રિલાયન્સનું ધ્યાન ભારતને AI દ્વારા સશક્ત બનાવવા પર છે, ફક્ત તેને સક્ષમ બનાવવા પર નહીં. ગુગલના CEO સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે ભારતના ડિજિટલ ભવિષ્યને સાકાર કરવામાં રિલાયન્સ ગુગલનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ ભાગીદારી હેઠળ, કંપની ભારતીય વપરાશકર્તાઓ, વ્યવસાયો અને વિકાસકર્તાઓ માટે AI સાધનો સરળતાથી સુલભ બનાવશે.

રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરાવવા મધ્યસ્થતા કરશે ચીન

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે તેમની મુલાકાત સફળ રહી હતી. બંને દેશો વચ્ચે ચાલુ તણાવના મુદ્દાઓ પર ચર્ચા થઈ. અમેરિકન રાષ્ટ્રપતિએ જાહેરાત કરી કે તેઓ આવતા વર્ષે એપ્રિલમાં ચીનનો પ્રવાસ કરશે.

તેમણે કહ્યું હતું કે તેઓ એપ્રિલમાં ચીન જશે અને શી જિનપિંગ બાદમાં અમેરિકા આવશે, તેમ છતાં ચીન તરફથી આ ચર્ચા અંગે હજી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ટ્રમ્પે જણાવ્યું હતું કે જિનપિંગે યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે અમેરિકાની સાથે મળીને કામ કરવાની સંમતિ આપી છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે બંને નેતાઓ સાથે મળીને કામ કરવા પર સંમતિએ પહોંચ્યા છે કે જેથી જોઈ શકાય કે આ યુદ્ધ ખતમ કરવામાં મદદ થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે અમે સંમત છીએ કે બંને પક્ષો એક-બીજા સાથે લડી રહ્યા છે અને ક્યારેક તમને તેમને લડવા દેવું પડે, પરંતુ (શી) અમારી મદદ કરશે અને અમે યુક્રેન મુદ્દે સાથે મળી કામ કરીશું. અમે આથી વધુ કંઈ કરી શકતા નથી.

ટ્રમ્પે જણાવ્યું હતું કે રશિયન તેલ ખરીદવા અંગે ચીન સાથે કોઈ ચર્ચા થઈ નહોતી. ટ્રમ્પે ગયા અઠવાડિયે રશિયાની બે મુખ્ય તેલ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યા હતા, જેને કારણે ચીની અને ભારતીય કંપનીઓના કેટલાક તેલ ઓર્ડર રદ અથવા સ્થગિત થયા હતા. અત્યાર સુધી વિશ્વના બે સૌથી વધુ વસ્તીવાળા દેશોએ રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અમેરિકાની અગાઉની અપીલનો મોટા પ્રમાણમાં વિરોધ કર્યો છે.

ગુજરાત: રાજ્ય સરકાર દ્વારા પ્રવકતા મંત્રીઓની જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા પ્રવકતા મંત્રીઓની જાહેરાત કરાઇ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને વધુ એક જવાબદારી આપવામાં આવી છે. હર્ષભાઈ સંઘવીની પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂંક કરાઈ છે. તથા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની પણ પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂંક થઇ છે. અગાઉની સરકારમાં જીતુભાઇ વાઘાણી પ્રવક્તા મંત્રી રહી ચૂક્યા છે.

આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી અને જીતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. આગાઉ પણ બંન્ને નેતા પ્રવક્તા મંત્રી તરીકે રહી ચૂક્યા છે. આ પહેલા જવાબદારી ઋષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ સંભાળી રહ્યા હતા. હવે નવી ફરજ હેઠળ હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી સરકારના નિર્ણયો અને નીતિઓ અંગે મીડિયાને માહિતી આપશે. ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની રચના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રવક્તા મંત્રીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

xr:d:DAE-mUAkcno:3872,j:46985059225,t:23021415

રાજ્ય સરકારના નીતિવિષયક નિર્ણયો અને મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી રજૂ કરવા માટે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીની પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. હર્ષભાઇ સંઘવીને ગૃહ રાજ્ય મંત્રી બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેનું પદ સોંપવામાં આવ્યું હતું. ત્યાર બાદ હવે તેમને રાજ્યના પ્રવક્તા મંત્રી તરીકેની પણ વધારાની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

આ સિવાય જીતુ વાઘાણીને પણ ફરી એકવાર મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં ફેરફાર અને જવાબદારીની પુનઃવહેંચણીના ભાગરૂપે આ બંને મંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે. પ્રવક્તા મંત્રી તરીકે જીતુ વાઘાણી અને હર્ષભાઇ સંઘવી હવે રાજ્ય સરકારના કેબિનેટ નિર્ણયો, જાહેર નીતિઓ અને વિકાસ કાર્યોની માહિતી મીડિયા સમક્ષ રજૂ કરશે.

રિલાયન્સ-ગૂગલ વચ્ચે AI ક્રાંતિને વેગ આપવા માટે ભાગીદારી

મુંબઈ: જિયો યુઝર્સને 35,100 રૂપિયા પ્રતિ યુઝરની કિંમતવાળા 18 મહિનાનું ગૂગલ AI પ્રો નિઃશુલ્ક મળશે. રિલાયન્સ ઇન્ટેલિજન્સ ભારતમાં ઓર્ગેનાઇઝેશન્સને AI હાર્ડવેર એક્સેલરેટર્સની વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે ગૂગલ ક્લાઉડ માટે વ્યૂહાત્મક ભાગીદાર બન્યું છે. રિલાયન્સ ઇન્ટેલિજન્સ ભારતીય ઓર્ગેનાઇઝેશન્સમાં એજન્ટિક AIને આગળ વધારવા માટે જેમિની એન્ટરપ્રાઇઝની સ્વીકૃતિને વેગ આપશે.રિલાયન્સ ઇન્ટેલિજન્સ લિમિટેડ થકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને ગૂગલે આજે ભારતભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સ્વીકૃતિને વેગ આપવા માટે એક વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. જે રિલાયન્સના ‘AI ફોર ઓલ’ વિઝન સાથે સુસંગત રહીને ગ્રાહકો, એન્ટરપ્રાઇઝિસ અને ડેવલપર્સને સશક્ત બનાવશે.

આ સહયોગ રિલાયન્સના અજોડ સ્કેલ, કનેક્ટિવિટી અને ઇકોસિસ્ટમની પહોંચને ગૂગલની વિશ્વ-કક્ષાની AI ટેક્નોલોજીની સાથે રજૂ કરી રહ્યું છે. આ તમામ પહેલો થકી એકસાથે AIની પહોંચને વ્યાપક બનાવવા અને ભારતના AI સંચાલિત ભવિષ્ય માટે ડિજિટલ પાયાને મજબૂત બનાવવાનું લક્ષ્ય છે.

  1. જિયો યુઝર્સ માટે ગૂગલ AI પ્રો

ગૂગલ રિલાયન્સ ઇન્ટેલિજન્સ સાથેની ભાગીદારીમાં ગૂગલના AI પ્રો પ્લાનને તેના જેમિનીની નવીનતમ આવૃત્તિ સાથે એલિજિબલ જિયો યુઝર્સ માટે 18 મહિના માટે વિના મૂલ્યે શરૂ કરશે. આ ઓફરમાં જેમિની એપમાં ગૂગલના સૌથી સક્ષમ જેમિની 2.5 પ્રો મોડેલની વધુ વિસ્તૃત એક્સેસ, તેમના અદ્યતન નેનો બનાના અને VO 3.1 મોડેલ્સ સાથે આકર્ષક ઇમેજિસ અને વીડિયોઝ જનરેટ કરવા માટેની હાયર લિમિટ્સ, અભ્યાસ અને સંશોધન માટે નોટબૂક એલએમની વિસ્તૃત એક્સેસ, ટુ ટીબી ક્લાઉડ સ્ટોરેજ અને બીજું ઘણું બધું સામેલ છે. આ 18 મહિનાની ઓફરની કિંમત 35,100 રૂપિયા છે.

એલિજિબલ જિયો યુઝર્સ MYJio એપ દ્વારા આ ઓફરને સરળતાથી એક્ટિવેટ કરી શકશે. ભારતના યુવાનોને સશક્ત બનાવવાના જિયોના સંકલ્પને પ્રતિબિંબિત કરતા આ રોલઆઉટની શરૂઆત 18થી 28 વર્ષની વયના અનલિમિટેડ 5G પ્લાન ધરાવતા યુઝર્સ માટે અર્લી એક્સેસ સાથે થશે અને શક્ય તેટલા ઓછા સમયમાં રાષ્ટ્રવ્યાપી દરેક જિયો ગ્રાહકને આવરી લેવા માટે ઝડપથી વિસ્તૃત બનાવવામાં આવશે.

આ ભાગીદારી ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ભાષાકીય વૈવિધ્યને અનુરૂપ Jio યુઝર્સ માટે AI સંચાલિત વધુ આનંદદાયક સ્થાનિક અનુભવો લાવવા માટે પણ સંશોધન કરશે.

  1. ગૂગલના AI હાર્ડવેર એક્સેલરેટર્સ સાથે AI ઇનોવેશનને વેગ આપવો

મલ્ટી-ગીગાવોટ, સ્વચ્છ ઊર્જા-સંચાલિત, અત્યાધુનિક સાર્વભૌમ કમ્પ્યુટ ક્ષમતાઓ તૈયાર કરવાની તેના વિઝનને અનુરૂપ રિલાયન્સ તેના અદ્યતન AI હાર્ડવેર એક્સેલરેટર્સ, ટેન્સર પ્રોસેસિંગ યુનિટ્સ (TPU)ની પહોંચને વિસ્તારવા માટે ગૂગલ ક્લાઉડ સાથે ભાગીદારીની જાહેરાત કરી રહ્યું છે. આનાથી વધુ ઓર્ગેનાઇઝેશન્સ મોટા, વધુ જટિલ AI મોડેલોને તૈયાર કરવા અને ઉપયોગમાં લેવા તેમજ વધુ માંગ ધરાવતાં પ્રોજેક્ટ્સને પાર પાડવામાં અને વ્યાપક ભારતીય AI ઇકોસિસ્ટમમાં AIની સ્વીકૃતિને વેગ આપવા માટેની તકનિકી ક્ષમતા પૂરી પાડવા સક્ષમ બનશે.

તે ભારતના રાષ્ટ્રીય AI બેકબોનને પણ મજબૂત બનાવશે, જે ભારતને વૈશ્વિક AI પાવરહાઉસ બનાવવાની માનનીય વડાપ્રધાન દ્વારા વ્યક્ત કરાયેલા વિઝનને બળ પૂરું પાડે છે.

  1. ભારતીય ઉદ્યોગજગત સુધી જેમિની એન્ટરપ્રાઇઝ પહોંચાડવું

આ વિસ્તૃત સહયોગ રિલાયન્સ ઇન્ટેલિજન્સને ગુગલ ક્લાઉડ માટે વ્યૂહાત્મક ગો-ટુ-માર્કેટ પાર્ટનર તરીકે પણ સ્થાપિત કરે છે, જે ભારતીય સંસ્થાઓમાં જેમિની એન્ટરપ્રાઇઝને સ્વીકારવા પ્રેરિત કરે છે.

જેમિની એન્ટરપ્રાઇઝ એ ​​ઉદ્યોગો માટે એક નેક્સ્ટ જનરેશન, યુનિફાઈડ એજન્ટિક AI પ્લેટફોર્મ છે જે દરેક કર્મચારી માટે, દરેક વર્કફ્લો માટે ગૂગલ AIની શ્રેષ્ઠ પ્રસ્તુતિને આણે છે. તે ટીમ્સને AI એજન્ટ્સ શોધવા, રચવા, વહેંચવા અને ચલાવવા માટે સશક્ત બનાવે છે – અને આ બધું એક સુરક્ષિત વાતાવરણમાં.

રિલાયન્સ ઇન્ટેલિજન્સ જેમિની એન્ટરપ્રાઇઝમાં તેના પોતાના પ્રિ-બિલ્ટ એન્ટરપ્રાઇઝ AI એજન્ટ્સને વિકસાવવાની સાથે તેની પ્રસ્તુતિ પણ કરશે, જે વપરાશકર્તા માટે ગૂગલ-બિલ્ટ અને ત્રાહિત-પક્ષના એજન્ટ્સ એ બંનેની ઉપલબ્ધ પસંદગીનો વિસ્તાર કરશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ ઇન્ટેલિજન્સનો ઉદ્દેશ 1.45 અબજ ભારતીયો માટે ઈન્ટેલિજન્સ સેવાઓને સુલભ બનાવવાનો છે. ગૂગલ જેવા વ્યૂહાત્મક અને લાંબા ગાળાના ભાગીદારો સાથે અમારા સહયોગ દ્વારા, અમે ભારતને ફક્ત AI-એનેબલ્ડ જ નહીં પરંતુ AI-એમ્પાવર્ડ બનાવવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ – જેમાં દરેક નાગરિક અને એન્ટરપ્રાઇઝ કાંઈક સર્જન કરવા, નવીનતા લાવવા અને વિકસવા માટે ઈન્ટેલિજન્ટ ટૂલ્સનો ઉપયોગ કરી શકે છે.”

ગૂગલ અને આલ્ફાબેટના CEO સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, “ભારતના ડિજિટલ ભવિષ્યને આગળ ધપાવવાના ગૂગલના લક્ષ્યાંકમાં રિલાયન્સ ઘણા લાંબા સમયથી ભાગીદાર છે – સાથે મળીને અમે લાખો લોકોની સસ્તા ઇન્ટરનેટ સુધી પહોંચ વિસ્તારી છે અને સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવ્યા છે. હવે, અમે આ સહયોગને AI યુગમાં લાવી રહ્યા છીએ. આજની આ જાહેરાતથી ગૂગલના અત્યાધુનિક AI ટૂલ્સ ગ્રાહકો, ઉદ્યોગો અને ભારતના વાઈબ્રન્ટ ડેવલપર સમુદાયના હાથમાં આવશે. આ ભાગીદારી સમગ્ર ભારતમાં AI સુધીની પહોંચને વિસ્તૃત કરવામાં ખૂબ મદદ કરશે તે બાબતે હું અત્યંત ઉત્સાહિત છું.”

મોકામાં ચૂંટણીપ્રચાર કરતા જન સુરાજ પાર્ટીના સમર્થકની હત્યા

પટનાઃ બિહારમાં ચાલી રહેલા જોરદાર ચૂંટણીપ્રચાર વચ્ચે મોકામાં રાજકીય હિંસાની ઘટના બની છે. મોકા વિધાનસભા ક્ષેત્રમાં પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીના એક સમર્થકની હત્યા થઈ છે. આ વિધાનસભા સીટ પરથી JDUના ઉમેદવાર અને બાહુબલી નેતા અનંત સિંહના સમર્થકો પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

મોકા વિધાનસભા સીટ પરથી જન સુરાજ પાર્ટીએ પીયૂષ પ્રિયદર્શનને ઉમેદવાર બનાવ્યા છે. અહેવાલ મુજબ પિયુષ પ્રિયદર્શનના સમર્થક દુલારચંદ યાદવની ગોળી મારી હત્યા કરવામાં આવી છે.

ચૂંટણી અદાવતમાં આ હત્યા થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ જન સુરાજ પાર્ટીના તમામ સમર્થકો અને કાર્યકરો સ્થળ પર પહોંચી ગયા. એ સાથે જ પોલીસ પ્રશાસનના મોટા અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ઘટનાની તપાસ કરી રહ્યા છે.

લાલુ યાદવના નજીકના હતા દુલાર ચંદ

દુલાર ચંદ યાદવને એક સમયે RJDસુપ્રીમો લાલુપ્રસાદ યાદવની ખૂબ જ નજીકના માનવામાં આવતા. મોકા વિસ્તારમાં તેમનો જોરદાર પ્રભાવ હતો.

બિહારના સ્થાનિક મિડિયાના જણાવ્યાનુસાર દુલારચંદ યાદવ હિસ્ટ્રીશીટર રહ્યા હતા અને તેમના પર અનેક હત્યાના આરોપ લાગ્યા હતા. તેઓ અનંત સિંહના મોટા ભાઈ દિલીપ સિંહ સામે ચૂંટણી લડી ચૂક્યા હતા. દિલીપ સિંહ 1990 અને 1995માં મોકા સીટ પરથી વિધાનસભ્ય ચૂંટાયા હતા. હાલમાં તેમનું નિધન થયું છે.

અનંત સિંહ વર્ષ 2005થી 2015 સુધી મોકા વિધાનસભા સીટ પરથી પાંચ વખત સતત ચૂંટણી જીતી ચૂક્યા છે. 2020માં તેમનાં પત્ની નીલમ દેવી ચૂંટાયાં હતાં. આ વખતે અનંત સિંહ જાતે જ JDUની ટિકિટ પર મેદાનમાં છે.

બિહારમાં પ્રથમ તબક્કાની મતદાન તારીખ હવે ખૂબ નજીક આવી ગઈ છે. પ્રથમ તબક્કામાં 6 નવેમ્બરે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 11 નવેમ્બરે મતદાન થશે. 14 નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે.

UNના એમ્બેસેડરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુંદરતાની પ્રશંસા કરી

રાજપીપળા: સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઇટેડ નેશન્સ- UN)ના રાજદૂત ડૉ. ઇવાન્સ ક્વાડિયો અફેદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી. તેમની મુલાકાત દરમિયાન, ડૉ. અફેદીએ ગુજરાતની આ સ્થાપત્યકીય અજાયબી અને તેની આસપાસના આકર્ષક કુદરતી સૌંદર્યની ખૂબ જ પ્રશંસા કરી.ડૉ. અફેદી તેમની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત દરમિયાન ઔષધ માનવ (આરોગ્ય વન), જંગલ સફારી અને અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી હતી. ત્યાંના અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને તે વિસ્તારના વિવિધ પ્રવાસન સ્થળોએ લઇ જવામાં આવ્યા હતા. સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારના વિકાસથી તેઓ પ્રભાવિત થયા હતા અને તેમણે પ્રકૃતિ સાથે સુમેળ જાળવી રાખીને આ વિસ્તારને વૈશ્વિક પ્રવાસન સ્થળમાં જે રીતે પરાવર્તિત કરવામાં આવ્યું છે, તેની સરાહના કરી હતી. ડૉ. અફેદીએ કહ્યું કે, “સ્ટેચ્યૂ ઑફ યુનિટી એ માત્ર એક સ્મારક જ નથી, પરંતુ તે એકતા, દૂરંદેશી અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.”તેમણે વધુમાં જણાવ્યું, ” આ સ્થળ મેં જોયેલા સૌથી સુંદર સ્થળોમાંનું એક છે, અને મને આશા છે કે હું ભવિષ્યમાં ફરી મુલાકાત લઇશ. આ સ્થળની સુંદરતા મનમોહક છે. મારી સૌને અપીલ છે કે તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લે અને પ્રકૃતિનો અનુભવ કરે. પ્રકૃતિ આપણા સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે, શક્તિ આપે છે અને આપણું આયુષ્ય લાંબું કરે છે.” તેમણે UN , યુરોપ અને આફ્રિકાના લોકોને પણ મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કર્યા.તેમની મુલાકાત દરમિયાન ડૉ. અફેદીએ પ્રતિમાની આસપાસ હરિયાળી, રિવરફ્રન્ટ અને સ્વચ્છ-શાંતિમય વાતાવરણ સહિતની સુવ્યવસ્થિત કામગીરી અને પર્યાવરણને અનુકૂળ પહેલોની પ્રશંસા કરી. આ સુવિધાઓ મુલાકાતીઓના અનુભવને સમૃદ્ધ બનાવે છે.

ડૉ. અફેદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી જેવા વિશ્વ સ્તરીય પ્રવાસન આકર્ષણોનું નિર્માણ કરવાની સાથે-સાથે ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન આપવાના અને કુદરતી વારસાના સંરક્ષણ માટેના ભારતના પ્રયાસોની પણ પ્રશંસા કરી. તેમની મુલાકાત દર્શાવે છે કે કેવડિયાની વધતી જતી વૈશ્વિક ઓળખ એક એવા સ્થળ તરીકે થઇ રહી છે, જ્યાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને આધુનિક વિકાસનો સુભગ સમન્વય જોવા મળે છે.

પવઈમાં 20 બાળકોને બંધક બનાવનાર આરોપીનું એન્કાઉન્ટર

મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલા આરએ સ્ટુડિયોમાં 20 બાળકોને બંધક બનાવનાર આરોપી રોહિત આર્ય પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. બધા બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. પોલીસ બાળકોને એક પછી એક બિલ્ડિંગમાંથી નીચે લાવી રહી છે. ગુરુવારે, રોહિત આર્યએ સ્ટુડિયોમાં ઓડિશન આપવા આવેલા 100 બાળકોમાંથી 20 બાળકોને બંધક બનાવી લીધા હતા. ત્યારબાદ તેણે ઘટનાની જાણ કરવા માટે એક વીડિયો જાહેર કર્યો. જ્યારે વીડિયો પોલીસ સુધી પહોંચ્યો ત્યારે તેઓ ચોંકી ગયા અને બાળકોને બચાવવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી. અહેવાલો અનુસાર, છેલ્લા 10 દિવસથી પવઈના આરએ સ્ટુડિયોમાં વેબ સિરીઝ માટે ઓડિશન ચાલી રહ્યા હતા. બાળકોને ઓડિશન માટે બોલાવવામાં આવ્યા હતા. આ ઓડિશન પ્રક્રિયા 10 દિવસ સુધી ચાલુ રહી. બાળકો સવારે 10 વાગ્યે આવશે અને રાત્રે 8 વાગ્યે સ્ટુડિયો છોડી દેશે.

20 બાળકોને બંધક બનાવવામાં આવ્યા હતા

પહેલાં, બાળકોને લંચ બ્રેક આપવામાં આવ્યો હતો. જોકે, આજે બાળકો લંચ માટે બહાર આવ્યા ન હતા. ત્યારબાદ, 20 બાળકોને બંધક બનાવવામાં આવ્યા હોવાની માહિતી બહાર આવી. બાળકોને બંધક બનાવવામાં આવ્યા હોવાની જાણ થતાં જ હોબાળો મચી ગયો. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં, પોલીસ સ્ટુડિયોમાં પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી.

રોહિત આર્ય પાસે એર ગન હતી

માહિતી મુજબ, રોહિત આર્ય પાસે એર ગન અને કેટલાક રસાયણો હતા. બાળકોને અટકાયતમાં લીધા પછી, તેણે એક વીડિયો મોકલ્યો. આ વીડિયોમાં, તે કહેતો જોવા મળે છે કે તે કેટલાક પ્રશ્નો પૂછવા માંગે છે. જોકે, તે શું ચર્ચા કરવા માંગે છે તે હજુ સુધી જાણી શકાયું નથી. રોહિત આર્યએ બાળકોને સળગાવી દેવાની ધમકી આપી હતી.

આરોપી રોહિત આર્ય સાથે એન્કાઉન્ટર કેવી રીતે થયું?

મુંબઈ પોલીસે બાળકોને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું. પોલીસે રોહિત સાથે વાત કરવાનો અને ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાંથી કંઈ બહાર આવ્યું નહીં. ત્યારબાદ પોલીસે બાથરૂમનો કાચ તોડીને અંદર પ્રવેશ કર્યો. પોલીસ અને રોહિત આર્ય વચ્ચે ગોળીબાર થયો. ત્યારબાદ થયેલી ઝપાઝપીમાં, રોહિત આર્યને છાતીમાં ગોળી વાગી હતી. પોલીસે તેને કસ્ટડીમાં લીધો અને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો. રોહિતનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. હાલમાં, બધા 20 બાળકો સુરક્ષિત છે.

ડિજિટલ અરેસ્ટમાં રૂ. 1.2 કરોડ ગુમાવનાર સિનિયર સિટિઝનનું આઘાતથી નિધન

પુણેઃ પુણેના એક 83 વર્ષના વૃદ્ધે આશરે રૂ. 1.2 કરોડ ડિજિટલ અરેસ્ટની છેતરપિંડીમાં ગુમાવ્યા છે. થોડાં જ સપ્તાહમાં હૃદયરોગનો હુમલો આવતાં તેમનું નિધન થયું છે. આ મામલે તેમની પત્નીએ ફરિયાદ નોંધાવી છે.

 કેવી રીતે થઈ છેતરપિંડી?

પુણેમાં આ વૃદ્ધને ઓગસ્ટમાં એક ફોન આવ્યો. કોલ કરનાર પોતે કોલાબા પોલીસ સ્ટેશનનો અધિકારી હોવાનું જણાવ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે વૃદ્ધનું નામ મની લોન્ડરિંગ જેવા ગંભીર ગુનામાં જોડાયેલું છે. ત્યાર બાદ થયેલા વિડિયો કોલમાં અન્ય આરોપીઓ પોતે CBI અને IPS અધિકારી હોવાનું જણાવી ડરાવી દીધા હતા.

ઠગબાજોએ અનેક કલાકો સુધી વિડિયો કોલ પર રાખીને બેંક ખાતાની ચકાસણીને બહાને તેમને 16 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર વચ્ચે આશરે રૂ. 1.19 કરોડની રકમ અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે આ રકમ પછીથી આપવામાં આવશે. આ ઘટનામાં નાણાં ગુમાવનાર વૃદ્ધને થોડાં સપ્તાહ પછી હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું અવસાન થયું હતું. ઠગાઈ અને હાર્ટ એટેકને સીધા જોડવા મુશ્કેલ છે, પરંતુ માનસિક તણાવ તથા આર્થિક નુકસાનથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની હતી. ત્યાર બાદ તેમની પત્ની અને દીકરીએ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ  તપાસ ચાલુ છે.

 ડિજિટલ અરેસ્ટ શું છે?

ડિજિટલ અરેસ્ટ સામે કોઇ કાયદેસર જોગવાઈ નથી. આ સાયબર ક્રિમિનલ્સ દ્વારા લોકો સાથે કરાતી એક છેતરપિંડીની રીત છે, જેમાં પીડિતને કહેવામાં આવે છે કે તેની ઓનલાઇન ધરપકડ હેઠળ છે, અથવા તેમના બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ જશેની ધમકી આપવામાં આવે છે.

સરદાર પટેલના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ગુજરાતનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર

રાજપીપળા: ભારતની અસ્મિતાના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાષ્ટ્રની નજર ગુજરાતના એકતાનગર પર મંડાયેલી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં આ વર્ષે ૩૧મી ઓક્ટોબરે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’નો સમારોહ એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ ધારણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર આ ભવ્ય સમારોહ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ખરા અર્થમાં સાર્થક કરશે.દિલ્હીના ગણતંત્ર દિવસની તર્જ પર મુવિંગ ‘યુનિટી પરેડ’

આ વર્ષની ઉજવણીનું સૌથી મોટું આકર્ષણ ‘યુનિટી પરેડ’ બનશે. ૨૦૧૯થી સરદાર પટેલની જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી સતત એકતાનગર ખાતે કરવામાં આવી રહી છે. આ વર્ષે પ્રથમવાર દિલ્હીના ગણતંત્ર દિવસની પરેડની તર્જ પર યોજાનારી સશસ્ત્ર દળો અને પોલીસ ટુકડીઓની મુવિંગ પરેડ લોકોમાં અનેરું આકર્ષણ જમાવશે. શૌર્ય, શિસ્ત અને દેશભક્તિની ભાવનાથી ભરપૂર આ પરેડ રાષ્ટ્રની સંયુક્ત શક્તિની આછેરી ઝલક પ્રસ્તુત કરશે.

‘એકત્વ’ની થીમ આધારિત ટેબ્લો પરેડ

આ વર્ષે પ્રથમવાર એકતાનગર ખાતે સશસ્ત્ર દળ અને વિવિધ રાજ્યો દ્વારા પોતાની વિશેષતાઓ અને સિદ્ધિઓ દર્શાવતા ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવશે. જેમાં ‘એકત્વ’ની થીમ પર NSG, NDRF, આંદામાન એન્ડ નિકોબાર, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, મણીપુર, પુડ્ડુચેરી અને ઉત્તરાખંડને મળીને કુલ ૧૦ ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવશે.ગુજરાતનો ટેબ્લો: અખંડ ભારતની ગાથા

એકતાનગર ખાતેની ટેબ્લો પરેડમાં ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલો અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ટેબ્લો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. ગુજરાતના ટેબ્લોનો મુખ્ય ભાગ દેશની તે ઐતિહાસિક ક્ષણને દર્શાવશે, જ્યારે સરદાર સાહેબે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના કરકમલોથી ભાવનગર સ્ટેટનું ભારતીય ગણરાજ્યમાં વિલીનીકરણ કરાવીને દેશની એકતાના મિશનનો મજબૂત પાયો નાખ્યો હતો.

ટેબ્લોમાં સરદાર સાહેબની મક્કમ નિર્ણય શક્તિના પ્રતીક સમાન સોમનાથ મંદિર ઉપરાંત કચ્છના ભૂકંપના શહીદોની સ્મૃતિમાં બનેલા ભુજ સ્થિત સ્મૃતિવનને પણ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. જે ગુજરાતના શૌર્ય અને દ્રઢતાનું પણ પ્રતિક છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ જેવા સ્થાનિક એકમોની ઝલક દર્શાવીને રાજ્યની આર્થિક પ્રગતિને પણ ઝાંખી દ્વારા રજૂ કરવામાં આવશે. સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત આ ભવ્ય સમારોહ રાષ્ટ્રની વિવિધતામાં એકતા અને સંયુક્ત શક્તિનો એક અનેરો ઉત્સવ બનશે.

Why Niren Bhatt Quit a Lucrative Job for Film Writing?