અમદાવાદઃ કોરોના કહેરને કારણે વિશ્વનાં બજારોમાં અફરાતફરીને પગલે ભારતીય શેરબજારો પણ ખૂલતામાં જ કડાકો બોલી ગયો હતો અને નીચલી સરકિટ લાગી હતી, જેથી 45 મિનિટ સુધી બજારમાં ટ્રેડિંગ બંધ કરવામાં આવ્યા હતા. જોકે એ પછી રોકાણકારોમાં ગભરાટ શમતાં નીચલા સ્તરે સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સમાં રિકવરી જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 1,325 પોઇન્ટ વધી 34,100ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 365 પોઇન્ટ વધીને 9,955ના મથાળે બંધ રહ્યો હતો.
12 વર્ષ પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં નીચલી સરકિટ
કોરોના વાઇરસને કારણે સ્થાનિક બજારમાં ભારે કડાકો બોલી ગયો હતો, જેથી 12 વર્ષ સેન્સેક્સ અને નિફ્ટીમાં નીચલી સરકિટ લાગી ગઈ હતી અને 45 મિનિટ ટ્રેડિંગ અટકાવાયાં હતાં. સેન્સેક્સમાં 3200 પોઇન્ટ અને નિફ્ટીમાં 1100 પોઇન્ટ કડાકો બોલી ગયો હતો. આ પહેલાં 2008માં સેન્સેક્સ અને નિફ્ટીમાં નીચલી સરકિટ લાગી હતી. જોકે એ પછી રિકવરી થઈ હતી.
બેન્ક નિફ્ટી 5.54 ટકા સુધર્યો
બજારમાં કોરોના વાઇરસને લીધે જે ગભરાટ ફેલાયો હતો, એ શમતાં બજારમાં રિકવરી થઈ હતી, જેમાં બેન્ક નિફ્ટી 5.54 ટકા વધીને 25,346.50ના સ્તરે બંધ રહ્યો હતો. એ પહેલાં બેન્ક નિફ્ટી 11 ટકા તૂટ્યો હતો, જે ત્રણ વર્ષના તળિયે પહોંચ્યો હતો. પીએસયુ બેન્ક 11.73 પોઇન્ટ, ફાઇનાન્શિયલ ઇન્ડેક્સ છ ટકા, આઇટી ઇન્ડેક્સ બે ટકા અને મેટલ ઇન્ડેક્સ છ ટકા, ઓટો ઇન્ડેક્સ ત્રણ ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકો વધ્યા હતા.
સાપ્તાહિક રીતે સેન્સેક્સ અને નિફ્ટીમાં 10 ટકાનો ઘટાડો
સાપ્તાહિક રીતે સેન્સેક્સમાં 9.6 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટી પણ 10 ટકા ઘટ્યો હતો. આ સાથે મિડકેપ 11.2 ટકા, મેટલ ઇન્ડેક્સ 14.1 ટકા ઘટ્યા હતા, જ્યારે પીએસયુ ઇન્ડેક્સ 13.4 ટકા અને આઇટી ઇન્ડેક્સ 14.3 ટકા ઘટ્યા હતા.
નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્નાનો તાજેતરમાં જ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ એક પેપરથી પોતાનું ચહેરો છુપાવતી દેખાઈ રહી છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ટ્વિંકલ કદાચ કોઈ સ્ટૂડિયોમાંથી બહાર આવી રહી છે પરંતુ તે જેવી મીડિયાને ત્યાં જોવે છે કે તરત પોતાનો ચહેરો પેપરથી છુપાવી લે છે. ગાડીમાં બેસી ત્યાં સુધી ટ્વિંકલે પોતાનો ચહેરો છુપાવીને રાખ્યો હતો. ટ્વીંકલનો આ વીડિયો વાયરલ થયા બાદ ટ્વીંકલે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને જણાવ્યું કે મેં શાં માટે ચહેરો છુપાવી રાખ્યો હતો. સાથે જ એ ઈશારો પણ કર્યો કે પોતાના આવનારા પ્રોજેક્ટને લઈને તે કંઈક મોટો ખુલાસો કરવાની છે. એક્ટ્રેસે લખ્યું કે, હું કંઈક નવું કરવા માટે મારી આઈબ્રો વધારી રહી છું… એક મોટા ખૂલાસાની રાહ જોવો.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 દૂર કર્યા બાદ અટકાયતમાં લેવામાં આવેલા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબદુલ્લાને છોડી મૂકવામાં આવ્યા છે. તેમના પર લગાવવામાં આવેલો પબ્લિક સેફ્ટી એક્ટ પણ દૂર કરવામાં આવ્યો છે. તેઓ આશરે સાત મહિનાથી હિરાસતમાં હતા. ફારુક અબદુલ્લાને તેમના પુત્ર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમર અબદુલ્લા અને અન્ય નેતાઓની સાથે પાંચ ઓગસ્ટથી હિરાસતમાં લેવામાં આવ્યા હતા. કેટલાક દિવસો પહેલાં આઠ વિપક્ષી પાર્ટીઓઅ ભાજપના નેતૃત્વવાળી સરકારથી માગ કરી હતી કે કાશ્મીરમાં હિરાસતમાં લેવાયેલા નેતાઓને જલદી છોડવામાં આવે છે, જેમાંથી ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબદુલ્લા, ઉમર અબદુલ્લા અને મહેબૂબા મુફ્તી સામેલ હતા.
જમ્મુ-કાશ્મીરના ગૃહ વિભાગે એક નોટિફિકેશન દ્વારા તેમને છોડી મૂક્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર જન સુરક્ષા અધિનિયમ 1978ની કલમ 19ની પેટા કલમ એક હેટળ જમ્મુ-સરકાર 15 સપ્ટેમ્બર, 2019એ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેમને નજરકેદ રાખવામાં આવે છે.
ફારુક અબદુલ્લાએ કહ્યું કે હવે સંસદમાં અવાજ ઉઠાવીશ
ફારુક અબદુલ્લાએ કહ્યું હતું કે અમારી આઝાદી માટે અવાજ ઉઠાવનાર લોકોનું આભારી છું. મને બધા નેતાઓને છોડી મકાયા પછી આ આઝાદી પૂરી ગણાશે મને આશા છે કે ભારત સરકાર હવે બધા નેતાઓને છોડી મૂકશે. હવે હું સંસદમાં જઈશ અને લોકોનો અવાજ ઉઠાવીશ, એમ તેમણે કહ્યું હતું.
નવી દિલ્હીઃ કોરાના વાઇરસને કારણે હવે દેશની ટેક્સ વસૂલાતમાં પણ ઘટાડાની આશંકા સેવાઈ રહી છે. શેરબજારમાં પાછલા 10 દિવસોમાં આશરે 9500 પોઇન્ટ ઘટી ચૂક્યા છે, ત્યારે કેટલીય સરકારી કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમમાં પહેલાની તુલનાએ ઓછું કલેક્શન છે. આ સાથે કોરોનાને કારણે ટેક્સ વસૂલાતમાં ઘટાડો થશે એ નક્કી છે, પણ કેટલો થશે એ કહેવું અત્યારે જરા વહેલું છે. આ વર્ષે નહીં પણ આવતા વર્ષના ટેક્સ વસૂલાતમાં પણ કોરોનાની અસર દેખાશે.વિશ્વનાં બે અર્થતંત્રોના ગ્રોથમાં ઘટાડો થશે
કોરોના વૈશ્વિક રોગચાળો છે, ત્યારે વિશ્વનાં બે મોટા અર્થતંત્રો- અમેરિકા અને ચીન પર એની અસર છે. વૈશ્વિક એજન્સીઓના અહેવાલ અનુસાર ચીનનો ગ્રોથ 0.4 ટકા, અમેરિકાનો ગ્રોથ 0.2 ટકા તથા ભારતનો ગ્રોથ 0.1 ટકા ઘટશે. કોરોનાથી ઔદ્યોગિક ઉત્પાદન અને વૈશ્વિક વેપારમાં ચોક્કસ ઘટાડો થશે.
દેશની નિકાસમાં 10 અબજનો ઘટાડો
ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય ચીજવસ્તુઓની નિકાસમાં પાચલા વર્ષની તુલનાએ કમસે કમ 10 અબજ ડોલરનો ઘટાડો થવાની શક્યતા છે. જીએસટી વસૂલાતમાં પણ ત્યારે જ વધારો થશે, જ્યારે ચીજવસ્તુઓના વેચાણમાં વધારો થાય. કોરોનાને કારણે માગમાં પણ ઘટાડાના સંકેત મળી રહ્યા છે.
કોરોનાની અસર ટુરિઝમ ઉદ્યોગ પર
કોરોનાને કારણે વિશ્વના દેશોએ સાવચેતીના ભાગરૂપે વિદેશી પ્રવાસીઓ પર પાબંધી લગાડી દીધી છે. જેથી કોરોનાની અસર રેસ્ટોરાં, હોટેલ અને ટુરિઝમ ક્ષેત્ર પર પ્રતિકૂળ અસર પડશે, જેથી સર્વિસ ક્ષેત્રે વસૂલાતમાં પણ ઘટાડો થશે. ભારતમાં માત્ર વિદેશી પર્યટકોથી 30 અબજ ડોલર (આશરે રૂ. 21 લાખ કરોડ)ની કમાણી કરે છે.
ચીનથી આયાતમાં ઘટાડો
ચીનની સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. ભારતીય આયાતકારોએ સાવચેતીરૂપે ચીનથી આયાતમાં કાપ મૂક્યો છે. જેથી જીએસટી વસૂલાતમાં ઘટાડો થશે. ફેબ્રુઆરીમાં આયાત ઘટાડાથી આઇજીએસટીમાં બે ટકા ઘટાડો આવ્યો હતો.
જીસએટી ટેક્સ લક્ષ્ય હાસલ કરવા માટે ફેબ્રુઆરી મહિનામાં રૂ. 1.15 લાખ કરોડ તો માર્ચમાં રૂ. 1.25 લાખ કરોડની વસૂલાતની જરૂર હતી, પણ ફેબ્રુઆરીમાં રૂ. 1.05 લાખ કરોડની વસૂલાત રહી હતી, જે લક્ષ્યથી રૂ. 10,000 કરોડ ઓછી હતી.
નવી દિલ્હીઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના પત્ની સોફીને પણ કોરોના વાયરસની પુષ્ટિ થઇ છે. કેનેડાના મીડિયાના મતે પીએમ ટ્રુડોની પત્નીના થોડાંક દિવસ પહેલાં જ સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા અને હવ તે પોઝિટિવ આવ્યા છે.
કહેવાય છે કે સોફી ગુરૂવારના રોજ બ્રિટનમાં એક કાર્યક્રમથી પછા આવ્યા હતા ત્યાર બાદ તેમનામાં ફ્લૂ જેવા લક્ષણો દેખાયા હતા. તેમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે તેમનું પરીક્ષણ કરાયું હતું. તેમણે પોતાના ડૉકટરને તાવની ફરિયાદ કરી હતી ત્યારબાદ ડૉકટર્સે તેમની તપાસ અને ટેસ્ટ માટે સેમ્પલ લીધા હતા.
પીએમ ઓફિસે કહ્યું કે વડાપ્રધાન દરરોજની જેમ ગતિવિધિઓમાં ભાગ લેતા રહેશે. તેઓ ફોન કોલ્સનો જવાબ આપવા, વર્ચુઅલ મીટિંગ્સમાં ભાગ લેવા અને કોરોના વાયરસને લઇ ચર્ચા માટે કેબિનેટની મીટિંગમાં સામેલ થવા જેવા કાર્યક્રમોમાં ઉપલબ્ધ રહેશે. જો કે આ બધાની વચ્ચે વડાપ્રધાને કેનેડાના પ્રૉવિન્સિયલ પ્રીમિયરની મીટિંગને રદ્દ કરી દીધી છે. વડાપ્રધાન સિવાય વિપક્ષના નેતા જગમીત સિંહ પણ અસ્વસ્થ થયા બાદથી ઘરેથી જ કામ કરી રહ્યા છે.
સિંહે કહ્યું કે તેઓ ડૉકટરના સંપર્કમાં છે. ડૉકટરોએ કહ્યું કે સિંહ પર કોરોના વાયરસની અસર નથી પરંતુ તેમ છતાંય જ્યા સુધી તેઓ પૂરી રીતે સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી લોકો સાથે સંપર્ક ઓછો કરવો જોઇએ. આ બધાની વચ્ચે કેનેડામાં લોકોને વિદેશ પ્રવાસ ન કરવાની અને 14 દિવસ માટે પોતાને અલગ રાખવાનો નિર્દેશ રજૂ કર્યો છે. સાથો સાથ 250થી વધુ લોકોની ભીડવાળા કાર્યક્રમોને રદ્દ કરવાની સલાહ આપી છે.
નવી દિલ્હીઃ દિલ્હી હિંસા દરમિયાન આઈબી ઓફિસર અંકિત શર્માની હત્યાના આરોપમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે હસીન કુરેશી નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ અનુસાર તેણે સ્વીકાર્યું છે કે તેણે ચાંદ બાગ પુલિયા પર અંકિતના શરીર પર ઘાતક ચપ્પાથી વાર કર્યા હતા. તેણે જણાવ્યું કે એ દિવસે કઈ રીતે અંકિત શર્માની હત્યા કરીને તેને નાળામાં ફેંકી દેવામાં આવ્યો હતો.
કુરેશીને સ્પેશિયલ સેલે ગુરુવારના રોજ ધરપકડ કરી છે. તેણે પોલીસને જણાવ્યું કે એ દિવસે તે પોતાના મિત્ર સમીર સાથે ઉપસ્થિત હતો. આશરે 2 વાગ્યે તેણે જોયું કે વિસ્તારમાં હિંસા શરુ થઈ છે તે તેઓ પણ તેમાં જોડાઈ ગયા. ભીડમાં જોડાઈને તેઓ પણ અન્ય સંપ્રદાયના લોકોના ઘરો પર પથ્થર ફેંકવા લાગ્યા. આ વચ્ચે કુરેશીએ ત્યાં મિઠાઈની દુકાન પાસેથી મોટું ચપ્પુ ઉઠાવી લીધું અને તાહિર હુસેનના ઘરની બહાર ઉભો રહી ગયો. હુસેન અને તેના ભાઈ શાહ આલમને શર્માની પત્નીની હત્યાના ષડયંત્રના આરોપમાં પકડવામાં આવી ચૂક્યા છે.
પોલીસની પૂછપરછમાં કુરેશીએ જણાવ્યું કે, ત્યાં થોડો સમય ફર્યા બાદ તેણે જોયું કે 20-30 લોકો એક વ્યક્તિને ઘસેડીને આ બાજુ લાવી રહ્યા હતા. કુરેશીએ દાવો કર્યો છે કે તે એ વ્યક્તિને ઓળખતો નહોતો. તેણે જોયું કે ભીડ તેને લાકડી, પથ્થર, અને બીજા હથિયારોથી નિર્દયતાથી મારી રહી હતી. આ દરમિયાન કુરેશીએ પણ અંકિત પર ચપ્પાથી ત્રણ વાર કર્યા અને લાત પણ મારી. તેણે પોલીસને જણાવ્યું કે થોડા સમય બાદ અંકિતનું શરીર ચાલતું નથી તે જોઈને તેણે નાળામાં ફેંકી દેવામાં આવ્યો.
લંડનઃ બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરનના લંડન સ્થિત ઘર પાસે થયેલા હુમલા બાદ તેમના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ઘરની પાસે પોલીસ કર્મચારીઓને તેનાત કરી દેવામાં આવ્યા છે. ગત સોમવારના રોજ થયેલા આ હુમલામાં ડેવિડ કેમરનના ઘર પાસે સ્થિત એક કોટેજ નષ્ટ થઈ ગયું હતું. આ મામલે એક સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કેમરનના ઘરની પાસે રહેનારા એક વ્યક્તિનો દાવો છે કે કોટેજમાં લાગેલી આગ ડેવિડ કેમરન અને તેમની પત્નીના કોટેજને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાનું પરિણામ છે, જે તેમણે 19 વર્ષ પહેલા ખરીદ્યો હતો. જો કે આ હુમલો નિષ્ફળ રહ્યો. અત્યારે, ઘટના બાદ સુરક્ષાને ધ્યાને રાખતા કેમરનના ઘરની બહાર પોલીસ કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે.
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરનના ઘરને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં પોલીસે નોર્થહેમ્પટનશાયરના નોઈંગબોરોના એક 33 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી અને બાદમાં મેન્ટલ હેલ્થ અંતર્ગત તેની ધરપકડ કરી.
પોતાના ઘરને નિશાન બનાવીને કરાયેલા હુમલા બાદ ડેવિડ કેમરને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આ ખૂબ ભયાનક છે. સોમવારે જ્યારે આ ઘટના થઈ તો હું મારા ઘરે તે સમયે હાજર નહોતો. મને જ્યારે ખબર પડી બાદમાં તુરંત જ હું ત્યાં પહોંચ્યો. જે કોટેજ નષ્ટ થયું છે તેમાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી પરંતુ એક વર્ષ પહેલા જ તે ત્યાંથી જતી રહી હતી. મને ખ્યાલ છે કે એક વ્યક્તિની આ મામલે ધરપકડ કરી છે.
રાજસ્થાનના એક નગરની મધ્યમવર્ગી ટીનએજ ગર્લ પોતાના પપ્પાને કહે છે કે “જો મને નેવું ટકા માર્ક્સ આવે તો સ્કૂલ તરફથી લંડન ભણવા જવા મળે, બધો ખર્ચો પણ લંડનની યુનિવર્સિટી ઉઠાવશે”… પપ્પાને ખબર છે કે એની લાડકી એક એવરેજ સ્ટુડન્ટ છે. એ કહે છેઃ “બેટા, નેવું ટકા તારે પોત્તે જાત્તે લાવવા પડશે, કેમ કે આ પરીક્ષા છે, કંઈ વિધાનસભાની ચૂંટણી નથી કે પોતાના એમએલએ પૂરા ન થયા તો બીજાના લઈ શકાય”…
કૂલ હેંને? યસ, આ સીન-સંવાદ બાદ એમ લાગ્યું કે એજ્યુકેશન સિસ્ટમ પર વ્યંગ કરતી એક ધમાકેદાર મનોરંજક ફિલ્મ જોવા મળશે, પણ… ઓકે, પહેલાં તમે આ વાંચોઃ ડિરેક્ટર હોમી અડાજણિયા જાણીતા છેઃ સાઈકોલોજિકલ થ્રિલર ‘બીઈંગ સાયરસ’ (2006), ‘કૉકટેલ’ (2011), ‘ફાઈન્ડિંગ ફ્રેની’ (2016) માટે. હવે એ આવ્યા છે 2017માં આવેલી સુપરહીટ ‘હિંદી મિડિયમ’ની સિક્વલ ‘અંગ્રેજી મિડિયમ’ લઈને. સાકેત ચૌધરી લિખિત-દિગ્દર્શિત (સહલેખિકાઃ ઝીનત લાખાણી) ‘હિંદી મિડિયમ’ના હાર્દમાં હતુંઃ દિલ્હીનાં એક ધનાઢ્ય, પણ બોલવેચાલવે દેશી દંપતી (ઈરફાન-સબા કમર)ની પોતાની લાડકી દીકરી પિયાને પાટનગરની ટૉપ સ્કૂલમાં ઍડમિશન અપાવવાનું ઝનૂન. ‘અંગ્રેજી મિડિયમ’નું હાર્દ એ જ છેઃ સંતાનનું સપનું સાકાર કરવા માગતા માવતરનું ઝનૂન. અહીં સંતાનનું સપનું છે લંડનની અતિમોંઘી, અતિપ્રતિષ્ઠિત કૉલેજમાં ભણવા જવાનું.
ઉદયપુરનો મધ્યમવયસ્ક ચંપક બંસલ (ઈરફાન ખાન) સિંગલ પેરન્ટ છે, શહેરની બજારમાં મીઠાઈની દુકાન ચલાવે છે. પત્નીના અવસાન બાદ એણે દીકરી તારિકાને એકલેહાથે ઉછેરી છે. તારિકા (રાધિકા માદન) હવે કિશોરાવસ્થામાં છે. એનું એક જ સપનું છેઃ લંડન ભણવા જવું ને દુનિયા જોવી. આ માટે સંજોગ પણ સર્જાય છે. એની સ્કૂલમાંથી ત્રણ વિદ્યાર્થીને એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ લંડનની વિશ્વવિખ્યાત કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશિપ મળે છે. જો કે અચાનક કંઈ એવું બને છે કે એનું નામ પડતું મૂકવામાં આવે છે. એ પછી ચંપક પોતાના પિતરાઈ તથા ધંધામાં પ્રતિસ્પર્ધી ગોપી (દીપક ડોબ્રિયાલ) સાથે મળીને તારિકાને લંડનની એ જ અતિપ્રસિદ્ધ યુનિવર્સિટીમાં મોકલવા કમર કસે છે અને શરૂ થાય છે ઉદયપુરથી યુકેના પ્રવાસની રોલરકોસ્ટર રાઈડ.
ઉદયપુરનો એક મધ્યમવર્ગી કંદોઈ પોતાના પિતરાઈ સાથે મળીને દીકરીને લંડન મોકલવા જે જે તિકડમ કરે એ એક સુવાંગ સેટાયરનું જડબેસલાક મટીરિયલ હતું. કમનસીબે એ તક સર્જકોએ વેડફી નાખી ને ફિલ્મ ફારસ-મેલોડ્રામાની વચ્ચે અટવાતી એક એવરેજ ફિલ્મ બનીને રહી ગઈ. કથા-પટકથા લખવામાં ડિરેક્ટર-લેખકોએ કોઈ હોમવર્ક કર્યું હોય એવું લાગતું નથી (લેખનનો શ્રેય ચાર લેખકોને આપવામાં આવ્યું છેઃ ભાવેશ માંડલિયા, ગૌરવ શુક્લા, વિનય છાવલ, સારા બોડિનાર). લંડનની યુનિવર્સિટીમાં ઍડમિશન મળ્યું જ નથી તો પોતે શું કામ લંડન જઈ રહી છે? એવો એક બેઝિક સવાલ તારિકા એના પપ્પાને-કાકાને પૂછતી નથી. કે નથી એ એના પિતાને પૂછતી કે મારો ત્યાં ભણવાનો-રહેવા-ખવાપીવાનો ખર્ચ તમે ક્યાંથી કાઢશો? લંડનમાં લૅન્ડ થયા બાદ ઈમિગ્રેશનના સીન્સ પણ આઘાતજનક નબળા છે. કસ્મટવાળા સાથે વાતચીતમાં લોચા મારવાને લીધે ચંપક-ગોપીને ડિપોર્ટ કરવામાં આવે છે, જ્યારે તારિકા બન્નેને શોધ્યા કરે છે. એ ઉદયપુર સગાને ફોન કરે છે, પણ ઍરપોર્ટ-સ્ટાફને પૂછતી નથી કે મારી સાથે આવેલા મારા પપ્પા-કાકા ક્યાં ગયા? એ જ ચંપક-ગોપી ફરી પાછા પાકિસ્તાની બનીને લંડન આવી જાય છે ને આસાનીથી ઈમિગ્રેશન પાસ કરી જાય છે. આખા ને આખાં હાથી પસાર થઈ જાય એવાં તો કંઈકેટલાં ગાબડાં છે ફિલ્મની પટકથામાં.
ઈરફાન ખાન, દીપક ડોબ્રિયાલથી લઈને મનુ રિશી, પંકજ ત્રિપાઠી, રણવીર શૌરી, ડિમ્પલ કાપડિયા, કરીના કપૂર જેવા કલાકારો એક ફિલ્મમાં હોય તો એ ફિલ્મ કેવી બને એની કલ્પના કરવી અશક્ય છે, પણ આપણી શ્રદ્ધા હોવી એ એક વાત ને વાસ્તવિકતા સામે આવે એ જુદી વાત… ફિલ્મમાં કેટલીક સાઈડસ્ટોરી છે. જેમ કે ઘસીટારામ હલવાઈના વારસ એવા ચંપક-ગોપી વચ્ચે બ્રાન્ડનેમ વાપરવાની કાનૂની લડાઈ, લંડનમાં વસતી ડિમ્પલ કાપડિયા ને એની પુલીસ અફસર દીકરી કરીના કપૂર વચ્ચે મનમુટાવ, વગેરે, પણ એમાંથી નિષ્પન્ન કંઈ જ થતું નથી.
‘અંગ્રેજી મિડિયમ’ હું જોવાની ભલામણ કરીશ માત્ર અને માત્ર ઈરફાન ખાન, દીપક ડોબ્રિયાલ, રાધિકા માદન માટે. વધારાનો અડધો સ્ટાર પણ આ માટે આપ્યો છે. બન્ને, ઈરફાન-દીપક ‘હિંદી મિડિયમ‘ને એક અલગ ઊંચાઈએ લઈ ગયેલા. અહીં પણ બન્ને છવાઈ ગયા છે. ટૉપર સ્ટુડન્ટની જેમ બન્ને ફિલ્મને ગ્રેસ માર્ક્સ અપાવે છે. એમાંયે ઈરફાન-રાધિકાના સીન કમાલ કરે છે, જે માટે લેખકોને ક્રેડિટ આપવી રહી. બાકી? વેલ…
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સિઝનને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પહેલા આ ટુર્નામેન્ટ 29 માર્ચથી શરુ થવાની હતી પરંતુ હવે આઈપીએલ 15 એપ્રિલથી આયોજિત કરવામાં આવશે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ આઠેય ફ્રેન્ચાઈસીઝને આની જાણકારી પણ આપી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બીસીસીઆઈના અધિકારીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું કે, નક્કી કરવામાં આવ્યું છે કે દુનિયાની સૌથી મોટી અને મોંઘી ક્રિકેટ લીગની મેચ હવે 15 એપ્રિલથી રમાશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના પ્રકોપના કારણે રાજનૈતિક, અધિકારિક, સંયુક્ત રાષ્ટ્ર/આંતરરાષ્ટ્રીય સંગઠનો, રોજગાર અને પરિયોજના વિઝાને છોડીને અન્ય તમામ વર્તમાન વિઝા 15 એપ્રીલ સુધી સ્થગિત રહેશે. દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 76 જેટલા કેસો સામે આવ્યા છે.
સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ સ્પષ્ટ કર્યું છે કે અમે આ આયોજનને રોકીશું નહી પરંતુ સરકારી દિશાનિર્દેશોનું ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે. વિદેશ મંત્રાલયે પણ ટૂર્નામેન્ટની તારીખને આગળ વધારવાની સલાહ નહોતી આપી પરંતુ તેણે આ નિર્ણય પૂર્ણ રીતે આયોજકો પર છોડી દીધો હતો.
બીસીસીઆઈના અધિકારીઓ આવતીકાલે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક શરુ થતા પહેલા ટૂર્નામેન્ટની ફ્રેન્ચાઈઝી ટીમોના માલીકો સાથે મુલાકાત કરશે. ત્યાર બાદ જ આના પર ચર્ચા કરવામાં આવશે.
(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ૧૬-૩૧ ઓગસ્ટ, ૧૯૯૨ અંકનો)
૧૯૭૫માં જ્યારે ‘શોલે’ બની રહી હતી ત્યારે ઈમ્તિયાઝ ખાને એના નાના ગોળમટોળ ભાઈ અમજદ ખાનનો પરિચય મને કરાવ્યો. હું મહેબૂબ સ્ટુડિયોઝની નજીક આવેલા ઘરમાં ઈમ્તિયાઝનો ઈન્ટરવ્યુ કરવા ગયેલો અને એ જ અમજદ ખાન ગબ્બર સિંગ બનીને છવાઈ ગયો.
‘મારા દરેક ફિલ્મના રોલને ‘શોલે’ના ગબ્બર સિંગ સાથે સરખાવવામાં આવતો.’
* એ રોલ લાભદાયક રહ્યો કે નુકસાનકારક?
– એ રોલે મને જે લાભ આપ્યો એ પ્રમાણમાં ઓછો છે કારણ ગેરલાભ જ વધુ થયા. સમસ્યા એ સર્જાઈ કે દરેક જણે આ રોલ સીમાચિન્હ બનાવીને મારે ગળે લટકાવી દીધો. મારા દરેક ફિલ્મના રોલને ‘શોલે’ના ગબ્બર સિંગ સાથે સરખાવવામાં આવતો. ‘દાદા’ની ભૂમિકા હોય કે ‘કુરબાની’ અથવા ‘લવ સ્ટોરી’ કે પછી ‘યારાના’. તેઓ મારા નામ પર શેરો મારી દેતા કે એ સારો છે પણ ‘શોલે’ વાલી બાત નહીં હૈ. લેકિન એક ફાયદા હુઆ. ‘શોલે’ મકબૂલ મશહૂર હુઆ સારી દુનિયામેં. દરેકને જાણ થઈ ગઈ કે હું સારો અદાકાર છું. ગેરલાભ એ થયો કે દરેક ધારી લેતા કે કોઈ પણ ફિલ્મનો મારો રોલ ગબ્બર સિંગનો બીજો અવતાર જ હશે. મને લાગ્યું કે પહેલા જ રાઉન્ડમાં મેં મારા હરીફને ચિત્ત કરી દીધો. તો કોની સાથે બીજો રાઉન્ડ ખેલું? કોની સાથે હું બૉક્સિગ કરું જ્યાં કોઈ હરીફ જ નહોતો બચ્યો? ‘શોલે’ અને એમાંના મારા રોલે જિંદગીમાં મંઝિલ કાયમ કરી દીધી.
* મોટે ભાગે દરેક નવોદિત ફિલ્મમાં હીરો બનવા આતુર હોય છે. તો તમે કેમ ખુંખાર વિલન બનવાનું પસંદ કર્યું?
– કારણ સાવ સાદું છે. મારા ઘરમાં આઈનો છે. હું રોજ જોઉં છું મને ખબર છે હું કેવો દેખાઉં છું. મારો ચહેરો કેવો છે. જો હું ગોગલ્સ ચડાવીને વૃક્ષોની આસપાસ ફેરફુદરડી ફરું તો મૂરખ જ લાગું. આ જ કારણસર હીરો બનવાની તમન્ના કદી મેં સેવી જ નથી. એ જમાનામાં એન્ટી હીરો હતો જ નહીં. હીરોનો ચહેરો એવો ચોકલેટી રહેતો કે માખણ મૂકો તો યે તરત જ પીગળી જાય. સાચું કહું તો હીરો બનવાની રુચિ પણ નથી. ઉપરાંત મને લાગે છે કે ચરિત્ર પ્રધાન ભૂમિકા કરતી વખતે પાત્રોના જુદાજુદા પાસાં અદા કરવાની મોજ પડે છે. હીરો તો ઢાંચામાં જ બંધાયેલો રહે. ખરી રીતે હીરોમાં એટલી બધી સારપ જ હોય છે.
* તમારા મર્હુમ પિતા જયંત પાસેથી કેટલા પ્રમાણમાં પ્રેરણા મળી?
– હું મારા વાલિદથી ખૂબ જ પ્રેરિત થયો. તેઓ મારા ગુરુ હતા અને હું ઘણું બધું એમની પાસેથી શીખ્યો છું. મને લાગે છે કે જેટલા વર્ષો એમનો સાથ રહ્યો એ દરમિયાન હું જે શીખ્યો એ છેલ્લી ઘડી સુધી મને સહાય કરશે. તેઓ માત્ર મહાન અભિનેતા જ નહોતા સાથોસાથ અદભુત ઈન્સાન પણ હતા. ૧૯૩૩માં હીરો તરીકે એમણે કારકિર્દી શરૂ કરેલી. દોઢસો ફિલ્મોમાં હીરો તરીકે ચમક્યા પછી એમણે ચરિત્ર અભિનેતા અને વિલન તરીકે નામના મેળવી. આજે હું જે કાંઈ છું એ મારા પિતાને કારણે જ છું.
* દરેક જણ તમને ‘શોલે’ના ગબ્બર સિંગ તરીકે જ જાણે છે. પડદા પાછળ તમારા બાળકો માટે તમે કેવા પિતા છો?
‘મારા ઘરની હું ઈજ્જત કરું છું. ઘણો ખરો સમય મારા પરિવાર સાથે વીતાવું છું.’
– સાચું કહું તો ભારતભરમાં સૌથી મૂરખ પિતા છું કારણ કે હું એવું વિચારું છું કે સૂર્ય ઊગે છે મારા બાળકોની પાછળ અને અસ્ત પણ એમની પાછળ થાય છે. મારા મજહબ અને માતા-પિતા પછી મારા સંતાનોને હું ખૂબ જ ચાહું છું. મારા બે પુત્રો અને એક પુત્રીનું સ્થાન કોઈ જ ન લઈ શકે. લોકો કહે છે કે મારા બાળકો સામે હું જોઉં ત્યારે ચહેરા પર એક ચમક એક આભા પ્રસરી જાય છે જો તમે સારા પિતા બનો તો જ આ શક્ય છે.
* પતિ તરીકે કેવા છો?
– પતિ તરીકે હું ખૂબ જ ઘટિયા આદમી છું કારણ મારી બીવી સાથે હું શૉપિંગ કે પાર્ટીઓમાં જતો નથી. મારો ઘણો ખરો સમય શૂટિંગોમાં કે કેટલાક સમારંભોમાં અથવા સમાજસેવા કરવામાં વીતી જાય છે. હું એવો પતિ નથી જે પત્નીને કહું ચલો સજ-ધજકે કોઈ પાર્ટીમાં જઈએ. હું મારી બીવીને ખૂબ જ પ્યાર કરું છું પરંતુ સામાજિક દ્રષ્ટિએ નકામો પતિ છું. મારા ઘરની હું ઈજ્જત કરું છું. ઘણો ખરો સમય મારા પરિવાર સાથે વીતાવું છું.
* તમે ફિલ્મોમાં વ્યસ્ત હો ત્યારે પરિવાર સાથે સમય ક્યાંથી વીતાવી શકો?
– આજકાલ ફિલ્મ મેકર્સ કંબાઈને કલાકારો પર રોજની એક જ શિફ્ટની મર્યાદા લાદી દીધી છે. એક સમય એવો હતો જ્યારે અમે રોજની છ થી આઠ શિફ્ટો કરતા હતા. ત્યારેય મારા બાળકો માટે હું સમય ફાજલ પાડતો હતો. મારી સાથે એમને શૂટિંગોમાં લઈ જતો. વૅકેશન હોય ત્યારે આઉટડૉર પણ લઈ જતો. જે દિવસે શૂટિંગ ન હોય ત્યારે ઘેર રહેવાનું પસંદ કરતો કારણ ઘર બૈઠે બૈઠે ઘણા કામ પૂરા કરી શકાય. ઈન્સાન કા સબ સે બડા ફર્ઝ હોતા હૈ કિ વો અપને પરિવાર કો સમય દે. બીજાઓની માફક તમે મને ફુરસદના સમયે આમ તેમ રખડતો નહીં જુઓ.
* અદાકાર તરીકે તમે આટલા વ્યસ્ત હતા છતાં દિગ્દર્શનનું જોખમ કેમ ઉપાડ્યું?
– મને નથી લાગતું કે એ જોખમ હતું. દરેક કલાકાર બંધાયેલો રહે છે. કોઈક એને સંવાદો કેમ બોલવા એની તાકીદ કરે છે. તો કોઈક ટેમ્પો શીખવે છે. કૅમેરામૅન તમને લાઈટિંગના હિસાબે ક્યાં ઊભા રહેવું એ જણાવે છે તેથી એ કઠપૂતળી જેવો જ હોય છે એટલે કભી ના કભી તો કઠપૂતળીનોય દોર પોતાના હાથમાં લેવાનું મન થાયને. ડાયરેક્શન કા એક અપના નશા હોતા હૈ. મહત્ત્વનું એ છે કે તમારી ફિલ્મ સારી બનવી જોઈએ. ટિકિટ બારીએ ચાલે કે ન ચાલે એ જુદી વાત છે.
* ‘ચોરપોલીસ’ અને ‘અમીર આદમી ગરીબ આદમી’ની નિષ્ફળતા પછી કેમ તમે બીજી કોઈ ફિલ્મ ન બનાવી?
– તમને કોણે કહ્યું? મેં મારા સેક્રેટરી વિનયકુમાર સિંહા માટે ભોજપુરી ફિલ્મ બનાવી. એ સુપરહિટ સાબિત થઈ. ગુલશનકુમાર માટે મેં એક ટીવી ફિલ્મ ‘અભી તો મૈં જવાન હૂં’ પણ બનાવી હતી.
* સંગીતમાં કેટલા ડૂબેલા છો?
– ફિલ્મ અદાકાર, નાટકનો અદાકાર કે ડાન્સર સૌને સંગીતનો સંબંધ સાંકળી જ રાકે છે. જહાં તક મેરા તાલ્લૂક હૈ અદાકારીમાં એક તાલ-રીધમ હોય જ છે. જેને સંગીત ન ગમે એ ખાલી જ હોય. રંગ વિહીન હોય. સંગીત તો જિંદગીનો મહત્ત્વનો હિસ્સો છે. સંગીત સાંભળીને તમે નિરાંત અનુભવી શકો છો. એ દવાની ગરજ સારે છે. મારામાં ગાવાની હિંમત નથી કારણ હું નથી ચાહતો કે હું ગાઉં ત્યારે આસપાસ કે તમામ બકરે ઔર બૈલ જમા હો જાયે. પરંતુ સંગીતનો જબરો રસિયો જરૂર છું.
* તમને કેવા રોલ્સ, ભજવવા ગમે?
– મને કૉમેડી રોલ્સ ભજવવા ગમે કારણ રોજ બરોજના જીવનમાં લોકોને જાત જાતના ટેન્શન સતાવે છે. રેશન ન મળે તો ટેન્શન, બાળકના ઍડ્મિશનના ડૉનેશનનું ટેન્શન, પત્ની નવી સાડીની માંગણી કરે તો યે ટેન્શન, એટલા માટે પડદા પર કૉમેડી કરીને એટલો વખત લોકોને હસાવું તો થોડો ટાઈમ ચિન્તામુક્ત તો કરી શકું. ખરું ને?
* કૉલેજના દિવસો વાગોળી શકશો?
– એ દિવસોમાં હું તોફાની જાનવર જ હતો. મારામારી, લડાઈ ઝગડા કરતો જ રહેતો. જો કે એ બધું કારણસર જ કરતો. હું બીજાઓ માટે ઝગડતો. અંગત ઝગડો ન કરતો. એમ.એ. પાસ થયો ત્યાં સુધી માંડ છ લેક્ચરો સાંભળ્યા હશે. હું ક્લાસમાં પુષ્કળ મસ્તી કરતો એથી મારા પ્રિન્સિપાલ અને પ્રાધ્યાપકો મને ક્લાસમાં હાજર ન રહેવાનું કહેતા અને મારી હાજરી પૂરતા.
* તમે જવાન હતા ત્યારે નાટકોમાં વ્યસ્ત હતા. આજે એ ખોટ સાલે છે?
– તમે એવી વાત કરો છો જાણે હું ૩૦ વર્ષનો ડોસો હોઉં. આજેય મારા વાળ ધોળા નથી થયા. મારા દાંત મજબૂત છે. નાટકોમાં કામ એટલા માટે નથી કરતો કે એના માટે પુષ્કળ સમય ફાળવવો પડે. રોજના આઠ કલાકના રિહર્સલો કરવા પડે. માત્ર પોતાને ખાતર નહીં પણ અન્ય કલાકારો ખાતર રિહર્સલો તો કરવા જ પડે. ટેક્નિશિયનો અને સાઉન્ડ ડિપાર્ટમેન્ટ પણ રિહર્સલો માંગે. જે ફિલ્મોમાં વ્યસ્ત હોઈએ તો આટલો બધો સમય નાટકો માટે ફાળવી ન જ શકાય. સતત ત્રણ મહિના નવરો પડું તો જરૂર નાટક કરું.
* ‘માયા’માં બાળ કલાકાર તરીકે તમે કારકિર્દી શરૂ કરેલી?
– નહીં ‘માયા’ અગાઉ પણ ‘ઈન્સાનિયત’માં દેવસાબ, દિલીપસાબ અને મારા ડેડ જયંતસાબ સાથે બાળ કલાકાર તરીકે મેં કામ કર્યું હતું. રાજ કપૂર નિર્મિત અને અમરકુમાર નિર્દેશિત ‘અબ દિલ્હી દૂર નહીં’માં પણ હું હતો. મારા અંકલે ‘નાઝનીન’ ફિલ્મ બનાવી. ત્યારે ચાર વર્ષની ઉંમરે હું ચમક્યો હતો. નાસિર ખાન હીરો હતા. અને હીરોઈન હતી મધુબાલા. આજે હું ૪૮નો થયો. એનો અર્થ ઈન્ડસ્ટ્રીમાં મેં ૪૪ વર્ષો ગાળ્યા. સિનિયોરિટીની દ્રષ્ટિએ ઘણા પીઢ અભિનેતાઓથી હું સિનિયર ગણાઉં. એટલું જ નહીં આ ઈન્ડસ્ટ્રીના વૃદ્ધ લોકો કરતાં પણ હું સિનિયર છું.
* તમારા ફેવરીટ કલાકારો કોણ છે?
– મધુબાલા મારી હંમેશાં ફેવરીટ રહી છે. એની હસવાની સ્ટાઈલ, સંવાદો બોલવાની લઢણ, અભિનય છટા મને ખૂબ ગમતી. અદભુત ઈન્સાન અને ખૂબસૂરત સ્ત્રી હતી. બીજી ઘણી હીરોઈનો કરતાં મધુબાલા પછી નરગીસ અને ગીતા બાલી પણ ગમતા. તેઓ અનુકરણ કરવા યોગ્ય અભિનેત્રીઓ હતી. એ જમાનામાં આ ત્રણેય અભિનેત્રીઓ પૂરી ફિલ્મનો ભાર ઊંચકી શકતી. મને નથી લાગતું કે આજની કોઈ હીરોઈન મધુબાલા, નરગીસ કે ગીતા બાલીની નજીક આવી શકે.
* તમારો પ્રિય ગાયક?
– નિ:શંક રીતે રફીસાબ. જબ તક હિંદુસ્તાની ફિલ્મ સંગીત રહેગા તબ તક રફીસાબકા નામ અમર રહેગા. રફીસાબ સૌથી ઘટિયા ગીત પણ એવા હાવભાવ અને અંદાજથી ગાતા કે રંગ જામતો. એમના સ્વરમાં જાદુ હતો. રફીસાબનો જબરો પ્રશંસક છું. રફીસાબ, કિશોરદા અને મુકેશજી તો એમની કલાના બાદશાહ હતા. આજનો કોઈ ગાયક એમની તોલે ન આવે. મને રફીસાબે ગાયેલું ‘હમ બેખુદી મેં તુમકો પુકારે ચલે ગયે’. ખૂબ જ પસંદ છે.
* તમારી જિંદગીનો સૌથી મોટો અફસોસ કયો?
– મારા પિતાજી ‘શોલે’ જોવા ન પામ્યા કારણ કે દોઢ મહિના પૂર્વે જ એમનું મૃત્યુ થયેલું. એ અફસોસ રહી ગયો છે.
* આજકાલ ફિલ્મો કેમ ઓછી કરો છો?
– છેલ્લાં ૧૯ વર્ષોમાં લગભગ ૩૫૦ ફિલ્મો કરી. હવે કંટાળી ગયો છું. મારા મગજમાં જે પાત્રો સંઘરી રાખેલા એ બધા ભજવી નાખ્યા. હવે કોઈ એવું પાત્ર બચ્યું નથી. જૂની ફિલ્મો પૂરી કરવી છે. એથી નવી સ્વીકારતો નથી. એનએફડીસીની ‘રૂદાલી’માં મારાં ગણ્યાગાંઠ્યા પાંચ જ સીન છે પણ કલ્પના લાજમીના દિગ્દર્શનમાં કામ કરવાની મજા પડી.
* આર.ડી. બર્મન સાથેની આત્મીયતાની વાત કરોને?
સંગીતકાર આર.ડી. બર્મન અને અમજદ ખાન અચ્છા દોસ્ત હતા
– બીજા એને પંચમદા કહે છે. હું એને પંચ અથવા ચમ કહું છું. સુરીલા અચ્છા બંદા હૈ. ચૂંકિ નસલ (ખાનદાન) અચ્છી હૈ. એસ.ડી. બર્મન સાબ કા લડકા હૈ. રજવાડી ખાનદાન છે. ક્યારેક તો ફોન કરીને રાત્રે સાડા આઠે ખાવાનું મંગાવે ડ્રાઈવર આવીને કહે સાબનો મૂડ નથી તેથી પાર્સલ ઘરે લઈ જાય. ક્યારેક આવે, અમારી સાથે જમે અને લંચ કે ડિનર પતે એટલે હાથ ધોઈને અદ્રશ્ય થઈ જાય. બરસાત કા મેંઢક (દેડકો) જેવો છે. જો મળે તો રોજ મળે નહીંતર છ મહિના સુધી મોઢું ન દેખાડે. એ ગમે ત્યાં હોય ‘આંધી’ની એની તર્જ ‘કિસી મોડ પે’ મને ખૂબ જ પરેશાન કરે છે.
* સત્યજિત રે વિષે કંઈ કહો?
– રે તો આપણા દેશનું રતન હતા. હયાત હતા ત્યારે જ ‘ભારત રત્ન’, ‘ઑસ્કાર’ અને શ્રેષ્ઠ દિગ્દર્શનનો એવૉર્ડ મળ્યા એ દેશની ખુશનસીબી છે. આટલી પદ્ધતિપૂર્વક અને સંપૂર્ણતાથી કામ કરવાની સ્ટાઈલ મેં બીજા કોઈની જોઈ નથી. કલાકારોના સૂચનો ધીરજથી સાંભળે યોગ્ય લાગે તો ઉપયોગ પણ કરે. સેટ પર એ સૂચનનું શ્રેય પણ આપે. એમને કદી એવું નહોતું લાગતું કે તેઓ એટલા મહાન છે.
* તમારું મનગમતું ગીત કયું?
– ‘વક્ત ને કિયા ક્યા હંસી સીતમ’ જ્યારે પણ સાંભળું છું ત્યારે ગુરુ દત્ત, ગીતા દત્ત, તરુણ, અરુણ અને મીના યાદ આવ્યા વિના રહેતા નથી. ગુરુ અને ગીતાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણું ઘણું આપ્યું છે.
‘શોલે’ના સેટ પર અમે પહેલી વાર મળ્યા ત્યારથી જ અમને પરસ્પર ફાવી ગયું. અમે એકમેકને ટૂંકા ઉપનામથી સંબોધતા. ‘શોલે’માં અમે સામસામે બાખડ્યા. ‘લાવારિસ’માં અમજદે મારા પિતાની ભૂમિકા અદા કરી. ‘યારાના’માં મારો રમૂજી જીગરી દોસ્ત બની ગયો. સાથી કલાકાર તરીકે એ અદભુત હતો. અને સામી વ્યક્તિ પાસે ઉત્કૃષ્ટ કામ કરાવતો. એની પ્રતિક્રિયા જ એવી જબરદસ્ત રહેતી કે ટક્કર ઝીલવાનું મન થાય.
અમજદમાં વિચિત્ર રમૂજવૃત્તિ હતી. ગંભીર ચહેરે એ બુદ્ધિપૂર્વક રમૂજી ટુચકા સંભળાવતો. વાસ્તવમાં કેટલોક સમય અમે મળતા નહોતા. પરંતુ થોડા સમય અગાઉ એણે મને બે ટુચકાઓ કહેવા ફોન કરેલો. એની ઈચ્છા હતી કે એની આગામી ફિલ્મ લંબાઈ (હું) ચૌડાઈ (અમજદ)માં હું કામ કરું. સર્વ પ્રથમ અલાહાબાદની ચૂંટણીઓમાં ગૂંથાયેલો રહ્યો અને પછી બીમારીએ જકડી લીધો તેથી આ ફિલ્મ તો અમે સાથે ન કરી શક્યા પરંતુ મેં એને ક્યારેક સાથે કામ કરવાનું વચન આપેલું.
જો પેલી કહેવત સાચી હોય કે ભોળા લોકો દર મિનિટે જન્મે છે તો હું કહીશ કે અમજદ ખાન દર ત્રીસ સેકંડે જન્મ્યો હતો. કોઈ વળતરની અપેક્ષા વિના દીન-દુ:ખિયાને એ સહાય કરતો. સિને આર્ટિસ્ટસ ઍસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે એણે વિનામૂલ્ય સુંદર સેવા બજાવી હતી. અભિનેતાઓની સમસ્યાનો તોડ કાઢવામાં એ સદા મોખરે રહેતો. હું કેટલાક મિત્રો સાથે ગપ્પા મારતો હતો ત્યારે રાતે અગિયાર વાગે મને એના મોતના સમાચાર મળ્યા. હું સાચું જ ન માની શક્યો તેથી ખાતરી કરીને હું એને ઘેરે ગયો ત્યારે રસ્તામાં પણ સતત એવું ઝંખ્યા કરતો કે સમાચાર ખોટા સાબિત થાય.
પહેલી વાર મેં અમજદ ખાનને નાટકમાં અભિનય કરતો જોયો ત્યારે ઘરેડ બહારનો એનો અભિનય મને આકર્ષી ગયો. ઈમ્તિયાઝના દિગ્દર્શન હેઠળ રંગભેદની સમસ્યા વિષેનું અંગ્રેજી નાટક હતું. ‘ટુ ધીસ નાઈટ ધ ડૉન’ એમાં એણે નીગ્રોની ભૂમિકા કરેલી. મારી બહેન સોની પણ એ નાટકમાં હતી. એની છાપ વર્ષો સુધી સંઘરાઈ રહી. ‘શોલે’ અંતિમ શ્ર્વાસ સુધી રહેશે.
(જ્યોતિ વેંકટેશ)
પૂછપરછઃ સવાલ-જવાબ
(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના અંકોમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)
કઈ ધાર્મિક ફિલ્મ સુપરહિટ બનેલી? (જી – 1/15 સપ્ટેંબર, 1998)
પ્રકાશ જોશી (આદિતપરા)
સવાલઃ કઈ ધાર્મિક ફિલ્મ સુપરહિટ બનેલી? એના નિર્દેશક અને સંગીતકાર કોણ હતા?
જવાબઃ 1975માં ‘જય સંતોષી મા’ ફિલ્મે તે જમાનામાં 6 કરોડ રૂપિયાનો ધંધો કરીને વિક્રમ નોંધાવ્યો હતો. એના નિર્દેશક હતા વિજય શર્મા અને સંગીતકાર હતા સી. અર્જુન.
જયંતની પ્રથમ અને છેલ્લી ફિલ્મ? (જી – 16-30 જૂન, 1992)
બાલાભાઈ ચાવડા (ધારી)
સવાલઃ અમજદ ખાનના પિતા જયંતની પ્રથમ અને છેલ્લી ફિલ્મ?
જવાબઃ પ્રથમ ફિલ્મ ‘ચેલેન્જ’ હતી, છેલ્લી ફિલ્મ ‘લવ એન્ડ ગોડ’ હતી.