Home Blog Page 4646

IPL2020: પંજાબ ટીમે શોર્ટ-રન માટે મેચ રેફરીને અપીલ કરી

દુબઈઃ કિંગ્સ ઈલેવન પંજાબ ટીમનો ગઈ કાલે અહીં દિલ્હી કેપિટલ્સ સામેની આઈપીએલ-2020 લીગ મેચમાં સુપર ઓવર પરિણામમાં પરાજય થયો હતો. પરંતુ તે મેચમાં ફિલ્ડ અમ્પાયરે કરેલી ભૂલ સામે પંજાબ ટીમે મેચ રેફરી જાવાગલ શ્રીનાથને ફરિયાદ કરી છે.

કિંગ્સ ઈલેવન પંજાબની ફરિયાદ છે કે ઓન-ફિલ્ડ અમ્પાયર નીતિન મેનને એક ખોટો નિર્ણય લઈને ટીમને એક રન ઓછો આપ્યો હતો. પરિણામે મેચ ટાઈ થઈ હતી અને પરિણામ માટે સુપર ઓવર રમાડવી પડી હતી. તે ઓવરમાં દિલ્હી ટીમનો વિજય થયો હતો.

પંજાબ ટીમના કેપ્ટન લોકેશ રાહુલે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. દિલ્હીની ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 8 વિકેટે 157 રન કર્યા હતા. તેના જવાબમાં પંજાબે પણ 20 ઓવરમાં 8 વિકેટે 157 રન કર્યા હતા.

આખરી ઓવરમાં પંજાબને જીત માટે 13 રનની જરૂર હતી. અગ્રવાલ પહેલા 3 બોલમાં 12 રન કરવામાં સફળ થયો હતો. જો એમાંનો એક ‘શોર્ટ રન’ પંજાબના ટોટલમાં ઉમેરાયો હોત તો પંજાબ ટીમ 3 બોલ ફેંકાવાના બાકી રાખીને જીતી ગઈ હોત. એને બદલે એણે છેલ્લા બે બોલમાં બે વિકેટ ગુમાવી હતી અને તે પહેલાં ચોથો બોલ ડોટ ગયો હતો. પરિણામે મેચ સુપર ઓવરમાં ગઈ હતી.

સુપર ઓવરમાં પંજાબ ટીમે બે વિકેટ ખોઈ હતી અને માત્ર બે રન કર્યા હતા. દિલ્હી ટીમે બે બોલમાં જીત માટે જરૂરી 3 રન કરીને મેચ જીતી લીધી હતી.

પંજાબ ટીમની ફરિયાદ છે કે જો અમ્પાયરે તે એક રન ઓછો આપ્યો ન હોત તો પંજાબ ટીમે રેગ્યૂલર સમયમાં જ મેચ જીતી લીધી હોત અને સુપર ઓવર નાખવાની જરૂર પડી ન હોત. તે ઘટના પંજાબના દાવની 19મી ઓવરમાં બની હતી. મયંક અગ્રવાલે ફટકો માર્યો હતો અને તે અને ક્રિસ જોર્ડન બે રન દોડ્યા હતા. સ્ક્વેર-લેગ સ્થાને ઊભેલા અમ્પાયર નીતિન મેનને એવો નિર્ણય આપ્યો હતો કે જોર્ડને પહેલો રન દોડવામાં એનું બેટ સ્ટ્રાઈકર એન્ડ પર ક્રીઝની અંદર મૂક્યું નહોતું.

પરંતુ, ટીવી રીપ્લેઝમાં જોઈ શકાયું છે કે જોર્ડને એનું બેટ ક્રીઝની અંદર મૂક્યું જ હતું અને પછી જ બીજો રન લેવા દોડ્યો હતો.

કિંગ્સ ઈલેવન પંજાબના સીઈઓ સતિષ મેનને પત્રકારોને જાણકારી આપતાં કહ્યું કે અમે મેચ રેફરીને અપીલ કરી છે. માનવ ભૂલ થવી શક્ય છે, અમે એ સમજીએ છીએ, પરંતુ જ્યારે આઈપીએલ જેવી વર્લ્ડ ક્લાસ ટુર્નામેન્ટ રમાતી હોય ત્યારે માનવ ભૂલોને અવકાશ હોવો ન જોઈએ. આ એક રન અમારું પ્લે-ઓફ્ફમાંનું સંભવિત સ્થાન છીનવી શકે છે.

જોકે પંજાબ ટીમની આ અપીલથી મેચના પરિણામ પર કોઈ અસર થવાની શક્યતા નથી, કારણ કે આઈપીએલની રમતની શરતો અંગેની રૂલ બુકમાંનો નિયમ 2.12 (અમ્પાયરના નિર્ણય) વિશે એમ જણાવે છે કે, અમ્પાયર કોઈ પણ નિર્ણયને બદલી શકે છે, પરંતુ શરત એ કે એ ફેરફાર ત્વરિત કરાયો હોય. વળી, અમ્પાયરનો નિર્ણય એક વાર લેવાઈ જાય પછી એ આખરી બની જાય છે.

રવિવારની મેચમાં અમ્પાયરનો નિર્ણય ખોટો હતો એવું ટેક્નોલોજી પરથી પુરાવો મળ્યો હતો તે છતાં અમ્પાયરનો નિર્ણય ફેરવી શકાયો નહોતો.

દિલ્હીના માર્કસ સ્ટોઈનીશને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે 21 બોલમાં 7 ચોગ્ગા, 3 છગ્ગા સાથે 53 રન કર્યા હતા. પંજાબ ટીમના ઓપનર મયંક અગ્રવાલે 60 બોલમાં 7 ચોગ્ગા, 4 છગ્ગા સાથે 89 રન કર્યા હતા. સ્ટોઈનિસે બોલિંગમાં અગ્રવાલ સહિત બે વિકેટ પણ લીધી હતી.

કૃષિ ખરડા મામલે વિરોધ પક્ષો સંગઠિતઃ 25 સપ્ટેમ્બરે ‘ભારત-બંધ’ એલાન

નવી દિલ્હીઃ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં કૃષિ સંબંધિત ખરડાઓના મામલે વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્રણેય ખરડા લોકસભામાં પસાર થઈ ચૂક્યાં છે. રાજ્ય સભાએ બે ખરડા પાસ કર્યા છે. કૃષિ ક્ષેત્ર સંબંધિત ત્રણેય બિલ જે રીતે પાસ થયાં છે તેને કારણે કોંગ્રેસ સહિત વિપક્ષે સરકાર સામે મોરચો ખોલી દીધો છે. કોંગ્રેસ પાર્ટીએ આ બિલોની સામે દેખાવો શરૂ કરી દીધા છે. કોંગ્રેસ સહિત અનેક વિરોધપક્ષોએ 25 સપ્ટેમ્બરે ‘ભારત બંધ’નું આહવાન કર્યું છે. કોંગ્રેસે બધા રાજ્યોની પ્રદેશ કોંગ્રેસ કમિટીઓને આદેશ આપ્યો છે કે એ આ મુદ્દાને પંજાબ અને હરિયાણામાં મજબૂતીથી ઉઠાવે.

કૃષિ બિલોને જે રીતે રાજ્યસભામાં પાસ કરાવવામાં આવ્યાં છે, એ પછી કુલ 12 વિરોધ પક્ષોએ રવિવારે રાજ્યસભામાં ઉપસભાપતિની સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કોંગ્રેસ, TMC, સપા, TRS, CPI,CPM, DMK, આપ, IEUML  અને કેરળ કોંગ્રેસના ઉપસભાપતિની સામે આ અવિશ્વાસ રજૂ કર્યો હતો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ રાજ્યસભામાં જે રીતે આ બિલોને રજૂ કરવામાં આવ્યા એની તીખી આલોચના કરતાં કહ્યું હતું કે આ ખેડૂતોનું ડેથ વોરંટ છે. તેમણે કહ્યું હતું કે જે ખેડૂત ધરતી પર સોનું ઉગાડે છે, મોદી સરકારનો ઘમંડ એને લોહીના આંસુ રોવડાવે છે. રાજ્યસભામાં આજે જે રીતે કૃષિ વિધેયકના રૂપે સરકારે ખેડૂતોની સામે મોતનું ફરમાન કાઢ્યું છે, એનાથી લોકતંત્ર શરમ અનુભવે છે. બીજી બાજુ સરકાર સતત આ બિલનું સમર્થન કરી રહી છે અને એનું કહેવું છે કે આ બિલ ખેડૂતોને તેમની ઊપજના મોંમાગી કિંમતે વેચવાની સ્વતંત્રતા છે. તેઓ જ્યાં ઇચ્છે ત્યાં પોતાની ઊપજ વેચી શકે છે.

દેશભરમાં ખેડૂતો આ કૃષિ વિધેયકોનો વિરોધ કરી રહ્યા છે. સૌથી વધુ વિરોધ હરિયાણા અને પંજાબમાં થઈ રહ્યો છે. આ બિલના વિરોધમાં હરિયાણાના ખેડૂતો રસ્તા પર ઊતરી આવ્યા છે. બીજી બાજુ, પંજાબમાં ખેડૂતોનું પ્રદર્શન ઉગ્ર થઈ ગયું છે. ભારતીય કિસાન યુનિયન સહિત 17 કિસાન અને મજદૂર સંગઠનોએ આજે એના વિરોધમાં ચક્કા જામનું એલાન કર્યું છે. જોકે ખેડૂતોના આંદોલનને પહોંચી વળવા માટે પોલીસ સતર્ક થઈ ગઈ છે. કિસાન આંદોલનને લઈ હરિયાણામાં અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગાંધીયન એન્જિનિયરિંગનો આઇડિયા છે તમારી પાસે?

સુરતઃ આમ તો એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે અનેક સ્પર્ધાઓ અને પ્રવૃતિઓ ચાલતી જ હોય છે. પણ આગામી ગાંધી જયંતીએ ગાંધી બાપુની 151મી જયંતી છે, આને નિમિત્ત બનાવીને સુરતમાં આવેલી ઓરો યુનિવર્સિટીએ એન્જિનિયરિંગની એક વિશેષ સ્પર્ધાનું આયોજન કર્યું છે. જેમની પાસે ગાંધી વિચારને પરિભાષિત કરતા કોઈ સંશોધન હોય, આઇડિયા હોય એ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.

પદ્મવિભૂષણ અને જાણીતા સંશોધનકર્તા આર. એ. માશેલકર એ સૌપ્રથમ “ગાંધીયન એન્જિનિયરિંગ”ની પરિભાષાનો પ્રયોગ કર્યો હતો. આ જ પરિભાષાને સાચી ઠેરવતા હોય એવા સંશોધન કોઈ પણ કોલેજના વિદ્યાર્થી કે કોલેજે કર્યા હોય એ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. આઇડિયા અને ડિઝાઇન એમ બે વિભાગમાં એન્ટ્રી મોકલી શકાશે. આગામી 25 સપ્ટેમ્બર સુધી એન્ટ્રી મોકલી આપવાની રહેશે. એન્ટ્રી અને વિગત માટે ઓરો યુનિવર્સિટીના વિભાગ અધ્યક્ષ સંદીપ શર્માનો સંપર્ક- 99252 40386, aiic@aurouniversity.edu.in ઉપર કરવો.

 

 

 

શહેરો કરતાં ગામડાઓમાં ઈન્ટરનેટ-યૂઝર્સની સંખ્યા વધી ગઈ છેઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું છે કે દેશમાં આવતા 4-5 વર્ષમાં માળખાકીય સવલતોના વિકાસ માટે રૂ. 110 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. દુનિયામાં એ દેશે જ સૌથી ઝડપથી પ્રગતિ કરી છે જેણે પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ગંભીરતાપૂર્વક મૂડીરોકાણ કર્યું છે.

મોદીએ બિહારમાં કનેક્ટિવિટી વધારતી 9 હાઈવે યોજનાઓનો આજે વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ સંપન્ન કર્યો હતો. તે ઉપરાંત એમણે ઘર-સુધી-ફાઈબર નેટવર્ક યોજનાનો શુભારંભ પણ કરાવ્યો છે.

‘ઘર-તક-ફાઈબર’ યોજનાના આરંભ સાથે બિહાર રાજ્યમાં 45,945 ગામડાઓને ઈન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી છે.

વડા પ્રધાને કહ્યું કે ભારતમાં દાયકાઓ સુધી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા અને વ્યાપક પરિવર્તનો લાવવા પર ખાસ ધ્યાન અપાયું નહોતું. હવે આવનારા 4-5 વર્ષોમાં આ માટે રૂ. 110 લાખ કરોડનો ખર્ચ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આમાં 19 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ હાઈવે બાંધકામો સાથે જોડાયેલા છે.

મોદીએ કહ્યું કે દેશમાં ગામડાઓમાં ઈન્ટરનેટ ટેક્નોલોજીનો ઉપયોગ કરનારાઓની સંખ્યા શહેરો કરતાં વધી જશે એવું હજી અમુક જ વર્ષો પહેલાં વિચારવું પણ મુશ્કેલ હતું, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને તે વાત હકીકત બની ગઈ છે. આજે ગામડાઓમાં ખેડૂતો, યુવાલોકો, મહિલાઓ આસાનીથી ઈન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા છે. હવે જ્યારે ગામડાઓમાં ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે ત્યારે એ જોવું પણ જરૂરી છે કે ગામડાઓમાં સારી ક્વોલિટી, સ્પીડવાળું ઈન્ટરનેટ ઉપલબ્ધ થાય. સરકારના પ્રયાસોથી દેશના આશરે દોઢ લાખ પંચાયતો સુધી ઓપ્ટિકલ ફાઈબર પહોંચાડવામાં આવ્યું છે. વીતેલા 6 વર્ષોમાં દેશભરમાં 3 લાખથી વધારે કોમન સર્વિસ સેન્ટરો પણ ઓનલાઈન જોડી દેવાયા છે. હવે આ જ કનેક્ટિવિટી દેશના પ્રત્યેક ગામ સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે દેશ આગળ વધી રહ્યો છે.

 

પરિષદચૂંટણીઃ ઘટમાં ઘોડા થનગન્યા, પણ આતમ ક્યાં વીંઝશે પાંખ?

પેલી જાણીતી રમૂજ યાદ છે? ગાંધીજીને જો પૂછવામાં આવ્યું હોત કે આઝાદી પછી તમે ચૂંટણી કેમ ન લડ્યા તો ગાંધીજી ચૂંટણી-રાજકારણના એમના પહેલા જ કડવા અનુભવ પરથી કહી દેત કે ‘આ ચૂંટણી લડવુંબડવું ને મ્હાળુ પછી હારવુંબારવું આપણને નો ફાવે!!’

યસ, ગાંધીજી એમના જીવનમાં ફક્ત એક જ ચૂંટણી લડ્યા હતા અને એમાં ય એ હાર્યા હતા! એ ચૂંટણી હતી ગુજરાતી સાહિત્ય પરિષદના છઠ્ઠા પ્રમુખના પદ માટેની. વર્ષ હતું 1920.

આજે 2020માં એટલે કે બરાબર 100 વર્ષ પછી એ જ પરિષદના બાવનમા પ્રમુખના પદ માટેની હાલ ચૂંટણી યોજાઈ રહી છે અને સોશિયલ મિડીયામાં ઉમેદવારોએ પોતાનો પ્રચાર ધામધૂમથી શરૂ કરી દીધો છે એટલે ગુજરાતી સાહિત્યરસિકડાંઓનું ધ્યાન આજકાલ આ ચૂંટણી પર છે.

વેલ, સામાન્ય લોકોને પહેલાં તો એવા સવાલ થાય કે આજના મોબાઈલ-ઈન્ટરનેટિયા યુગમાં, મનોરંજનનાં અધધધ સાધનો વચ્ચે, માહિતીવિસ્ફોટના કાટમાળમાં પણ આ બધાં સાહિત્યો ને આ બધી સંસ્થાઓ ને આ બધી ચૂંટણીઓ ને આ બધા પ્રમુખપદો ને એની મધ્યસ્થ સમિતિઓની જફા શા માટે? જફા હોય તો ય એમાં ય ચૂંટણીની જફા શા માટે? શા માટે?

માન્યું કે, સો-સવાસો વરસ પહેલાં આ બધાની જરૂર હતી એટલે એ સમયના જ્ઞાની અને ગુણીજનોએ રાત-દિવસ જોયા વગર મહેનત કરી, લોકોને સાહિત્યરસ-કલારસમાં તરબોળ રાખવા આવીબધી સંસ્થાઓ ઊભી કરી, પણ હવે એ સંસ્થાઓની ભૂમિકા સામે ય કેટલાકે લોકો જ્યારે સવાલો ઉઠાવી રહયા છે ત્યારે એમાં વળી આવી ચૂંટણી યોજીને આવા વાંકાદેખાઓને વધારે સવાલો ઉઠાવવાની તક શા માટે આપવાની? શા માટે?

વેલ, આ વાતોના જવાબ મેળવતાં પહેલાં ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે થોડું જાણી લઇએ.

વર્ષ 1905માં સ્થપાયેલી સાહિત્ય પરિષદે નિઃશંકપણે ગુજરાતી ભાષા-સાહિત્યને સમૃદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ 115 વરસમાં પરિષદના પહેલા પ્રમુખ રહેલા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીથી લઇને હાલના 51મા પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્ર સુધીના વિદ્વાન પ્રમુખોનાં નામ અને સમાજ-સાહિત્યમાં એમના પ્રદાનને જોઈએ તો પણ ખયાલ આવે કે પરિષદની પ્રવૃત્તિઓ આ સદીમાં કેવા સમર્થ હાથોથી પોષાઈ છે. પરિષદની પ્રવૃત્તિઓમાં પુસ્તક પ્રકાશન, સાહિત્યિક સંશોધન, અનુવાદ, સંપાદન, કાર્યશાળાથી લઈ અનેક સાહિત્યિક કાર્યક્રમ-ઉપક્રમનો સમાવેશ થાય છે. પરિષદ દ્વારા વિવિધ શહેરમાં દર વર્ષે જ્ઞાનસત્ર અને અધિવેશન વારાફરતી યોજાય છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ એ લોકોના અનુદાનથી ચાલતી પ્રજાકીય સંસ્થા છે, જે એક રીતે પ્રજા માટે અને પ્રજા દ્વારા જ ચાલે છે. પરિષદની કામગીરી અને સંચાલન એના પ્રતિનિધિઓ અને હોદ્દાની જવાબદારી સંભાળતા સાહિત્યકારો દ્વારા થાય છે. તમામ હોદ્દેદારોની નિમણૂક પરિષદના આજીવન સભ્યો દ્વારા પોસ્ટલ ચૂંટણીથી કરવામાં આવે છે. દર ત્રીજા વર્ષે ચૂંટણીમાં મધ્યસ્થ સમિતિમાં 40 જેટલા પ્રતિનિધિ અને એક પ્રમુખ ચૂંટાય છે. મધ્યસ્થ સમિતિના પ્રતિનિધિઓ એક કાર્યવાહક સમિતિ ચૂંટે છે, જેમાં બે ઉપપ્રમુખ, છ મંત્રી, કોષાધ્યક્ષ, સંસ્થા પ્રતિનિધિઓ વગેરે માટે જવાબદારી પ્રમાણે પ્રતિનિધિ ચૂંટાય છે. ટૂંકમાં, લોકશાહી ઢબે ચૂંટાઇ આવેલા આ પ્રતિનિધિઓ પરસ્પર ચર્ચાવિચારણાથી પરિષદની પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે.

આ વખતની ચૂંટણીમાં મધ્યસ્થ સમિતિમાં 81 અને પ્રમુખપદ માટે ત્રણ-ત્રણ ધરખમ ઉમેદવાર મેદાનમાં છે. ધરખમ એ અર્થમાં કે, ત્રણેય ઉમેદવારો પોતપોતાના સર્જન-ક્ષેત્રમાં નામ ધરાવે છે. અહીં એ પણ નોંધવું પડે કે પરિષદના પ્રમુખપદ માટે કોઈ ઉમેદવાર પોતે ઉમેદવારી નથી કરી શકતો, પણ ઓછામાં ઓછા દસ આજીવન સભ્ય દ્વારા જે નામની ભલામણ થઈ હોય એ જ નામ ઉમેદવારીમાં ગણાય છે.

આ વખતે પહેલીવાર પરિષદમાં દ્વિપક્ષી નહીં, પણ ત્રિપાંખીયો જંગ છે. ‘બાંકડે બેઠો છું’-ફેમ 82 વર્ષના લોકપ્રિય કવિ હરિકૃષ્ણ પાઠક, ‘નિરીક્ષક’ સામયિક-ફેમ 80 વર્ષના જાણીતા પત્રકાર-લેખક પ્રકાશ ન. શાહ અને ‘શબ્દસૃષ્ટિ’ સામયિક-ફેમ 62 વર્ષના સાહિત્યકાર હર્ષદ ત્રિવેદી!

(હરિકૃષ્ણ પાઠક)

હવે સ્વાભાવિક છે કે, ચૂંટણી શબ્દ આવે એટલે આપણા જેવા ઘણાના માનસ પર હોદ્દા માટે ખેંચાખેંચ કરતા દાવેદારો ઊભરી આવે. ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો જાણે મેદાનમાં કુસ્તી કરવા ઉતર્યા હોય એમ સામસામે આક્ષેપ-પ્રતિઆક્ષેપના દાવપેચ રમાતા હશે. સામસામે શબ્દ-બાણ પણ છોડાતા હશે….

ના, સદભાગ્યે આ ઉમેદવારો કાદવ-કીચડ ઉછાળની આ પ્રવૃત્તિમાં પડયા નથી અને વળી, પરિષદના પ્રમુખપદ સાથે એવા કોઈ લાભ-ગેરલાભ પણ જોડાયેલા નથી એટલે ચૂંટણીમાં આપણે જે જોવા ટેવાયેલા છીએ એ રાજકીય મનોરંજન આ ચૂંટણીમાં જોવા મળતું નથી.

ઉદાહરણ તરીકે, મધ્યસ્થ સમિતિમાં જ ગુજરાતની સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના પ્રચાર-પ્રસાર માટે સમર્પિતભાવથી કામ કરતા સિનિયર પત્રકાર ભીખેશ ભટ્ટ પણ ઉમેદવાર તરીકે મેદાનમાં છે. સાલસ સ્વભાવના ભીખેશભાઇ પરિષદની મધ્યસ્થ સમિતિમાં હોય કે ન હોય, એ ચૂંટાય કે ન ચૂંટાય, પણ પરિષદ અને સાહિત્યની સેવાકીય પ્રવૃત્તિ માટે એ કાયમ તૈયાર જ હોય એવું વ્યક્તિત્વ છે. આવા ઉમેદવારોના કારણે આવી ચૂંટણીઓ રાજકીય અખાડો બનતા અટકતી હોય છે એટલે એ આ ચૂંટણીનું વિશેષ પાસું છે.

(ભીખેશ ભટ્ટ)

હા, પ્રમુખપદના ઉમેદવારો કે મધ્યસ્થ સમિતિના ઉમેદવારો સોશિયલ મિડીયાના માધ્યમથી પોતાનો પ્રચાર જરૂર કરતા જોવા મળે છે અને એમાં કશું ખોટું ય નથી.

રહી વાત ચૂંટણીના મુદ્દાની, તો છેલ્લાં કેટલાક વર્ષોથી ચાલ્યો આવતો ‘સાહિત્ય અકાદમી’ ની સ્વાયત્તાનો મુદ્દો પરિષદની આ ચૂંટણીમાં પણ પહેલો મુદ્દો રહ્યો છે. અત્યારના ત્રણેય ઉમેદવાર પણ એ મુદ્દે તો એકસ્વરે કહે છે કે “અકાદમીની સ્વાયત્તા માટેની લડત તો ચાલુ જ રહેશે.”

અલબત્ત, એ પછીય આજના સમયમાં સાહિત્ય પરિષદની ભૂમિકા, ડિજિટલ યુગના આક્રમણ અને વાચકોની બદલાઇ રહેલી રૂચિ, સાહિત્યકારો અને પરિષદની બદલાયેલી ભૂમિકા વિશે આ ત્રણેય ઉમેદવાર સાથે chitralekha.com એ વાત કરી તો ઘણા રસપ્રદ જવાબ જાણવા મળ્યા.

કવિ હરિકૃષ્ણ પાઠક chitralekha.com સાથે વાત કરતા કહે છે કે ‘પરિષદ તરફથી સ્વાયત્તાની માંગ તો ચાલુ જ રહેશે. પરિષદને ખર્ચમાં કરકસર લાવી આર્થિક રીતે વધુ સદ્ધર કરવાની જરૂર છે. પરિષદના પોતે કરવાના કામમાં સક્રિયતા લાવવાની જરૂર છે. બીજી વાત, ડિજિટલ માધ્યમમાં સત્વશીલતા શોધવી અઘરી છે એટલે સારા સાહિત્યકારોએ ચિંતા કરવાની જરૂર નથી. લાઈકથી અંજાઈ જનારા એ વાત ચૂકી જાય છે કે લખાણોને સ્થાયી મૂલ્ય તો કાવ્યસંગ્રહ કે પુસ્તકમાં જ મળે છે. સાહિત્યના સ્થાયી મૂલ્ય માટેની પ્રવૃત્તિઓ પરિષદ એકસો પંદર વર્ષથી કરી રહી છે એટલે એ ગઈકાલ જેટલી જ આજે પ્રસ્તુત છે અને આવતીકાલે પણ એટલી જ પ્રસ્તુત રહેશે.’

(પ્રકાશ ન. શાહ)

તો પ્રકાશ ન. શાહ chitralekha.com ને જણાવે છે કે ‘પરિષદે કોરોનાકાળમાં પણ સિતાંશુભાઈના વડપણમાં નોળવેલની મ્હેક નામે ડિજિટલ આગેકદમી યોજી જે ખૂબ નોંધનીય છે. જો કે ડિજિટલમાં સમસ્યા એ છે કે એમાં ખૂંપી જવાથી વાસ્તવબોધ ગુમાવી દેવાનો ભય રહે છે. નવા માધ્યમોનો ઉપયોગ જરૂરી છે, પણ લિખિત-મુદ્રિત અક્ષરોના વિકલ્પે નહીં. લિખિત-મુદ્રિત અક્ષરનો એક નોખો ચાર્મ છે, એમની જુદી ભૂમિકા પણ છે. એ ભૂમિકા છે વિચાર પેદા કરવાની. ડિજિટલ વર્ડ્સ ઝડપી માહિતી માટે સારા છે, પણ પ્રિન્ટેડ વર્ડ્સ જેટલા માનસમાં ખૂંપી જવાની ક્ષમતા નથી ધરાવતા. ટૂંકમાં, ડિજિટલ માધ્યમ મદદરૂપ છે, પણ પરંપરાગત માધ્યમનું રિપ્લેસમેન્ટ નથી. હા, સાહિત્યકારોનું મૂળ કામ લોકોને રસ પડે એવું ગુણવત્તાસભર સાહિત્ય સર્જતા રહેવાનું છે. વર્ગખંડમાં પણ સાહિત્યશિક્ષણને વધારે રસપૂર્વક ભણાવવાની જરૂર છે, જેનાથી બાળકોની સમજ ખીલી શકે છે.’

(હર્ષદ ત્રિવેદી)

ત્રીજા ઉમેદવાર હર્ષદ ત્રિવેદી કહે છે કે ‘આજનો સમય ઘણો પડકારજનક છે. સમાજમાં ઘસાતાં જતાં જીવનમૂલ્યો સામે માણસને સંવેદનશીલ રાખવાનું કામ સાહિત્ય અને બીજી કલાઓ કરે છે. એ રીતે સાહિત્ય તો હંમેશાં પ્રસ્તુત રહેવાનું જ છે. આ સાહિત્યને વધારે સમૃદ્ધ કરવાનું-એનો પ્રચાર-પ્રસાર કરવાનું કામ સાહિત્ય પરિષદ છેલ્લાં 115 વર્ષથી કરી રહી છે. આજે એ આપણી સંસ્કારિતાનું કેન્દ્ર છે. આજના ડિજિટલ યુગમાં સાહિત્યિક સંસ્થાઓએ અભિગમ બદલવાની જરૂર છે. પરંપરા જાળવી રાખીને નવીનતા સાથે કદમ મેળવવાની જરૂર છે. જોકે અત્યાર સુધી પણ પરિષદ દ્વારા ઘણાં કામ થયાં છે-થઈ રહ્યાં. એને વધુ વેગ આપવાની જરૂર છે. મારો પ્રયાસ છે કે સાહિત્યની જૂની ને નવી પેઢી વચ્ચે એક સેતુની ભૂમિકા ભજવી શકાય તો ઘણું થઈ શકે છે.’

હવે આ ત્રણ મહારથીમાંથી પરિષદના રથની લગામ કોના હાથમાં આવે છે એ તો મતદાતાઓ નક્કી કરશે, પણ પરિષદ પાસે આજના ગુજરાતની તાતી માગ છે સાહિત્યશિક્ષણની-ભાષાશિક્ષણની! ગુજરાતી ભાષામાં અડધોઅડધ નાપાસ થતા વિદ્યાર્થીઓના આંકડાઓ જ આ વાત કહી આપે છે.

છેલ્લાં દોઢેક દાયકાથી તો સાવ કથળેલી શિક્ષણવ્યવસ્થા, લાચાર શિક્ષકો, ઊંડી સમજ વગરનાં પાઠ્યપુસ્તકો અને રાજ્યભરમાં નકરી આપલેની નીતિથી ચાલતા સ્તર વગરના સાહિત્યિક કાર્યક્રમો વચ્ચે ભવિષ્યની પેઢીમાં સાહિત્યરસ સીંચાય એવા કોઈ સંકેત નથી દેખાતા. રાજ્યના પચાસ ટકાથી વધારે વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા બરાબર લખતા-વાંચતા પણ નથી આવડતી ત્યારે પરિષદ જેવી સંસ્થાઓ અત્યાર સુધી એ વિશે સક્રિય ચિંતા કરવામાં ઊણી ઊતરી છે, પણ હજી એ દિશામાં યોગ્ય પગલાં ભરી શકાય છે.

નોંધનીય છે કે પરિષદના બંધારણના પહેલા ચારેય ચાર હેતુમાં ‘ભાષા સંરક્ષવા’ની વાત છે ને ચોથા હેતુમાં તો સ્પષ્ટ લખ્યું છે કે શિક્ષણમાં ગુજરાતી ભાષા સુબોધ અને પ્રાણવાન બને એ માટે પ્રયત્ન કરવા!’

નવા પ્રમુખ માટે આ પડકાર ય છે ને અવસર પણ.

(અહેવાલઃ સુનીલ મેવાડા)

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

કોરોના સંક્રમિતોના 86,961 નવા કેસ, 1130નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 54 લાખને પાર થયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 86,961 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1130 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત 19 દિવસથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 54,87,580 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 87,882 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 43,96,399 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 10,03,299 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78.64 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.63 ટકા થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

મહારાષ્ટ્રના ભિવંડીમાં બિલ્ડિંગ પડવાથી 10 લોકોનાં મોત

 મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુંબઈથી નજીક ભિવંડીમાં ધામણકર નાકાની પાસે પટેલ કમ્પાઉન્ડ ક્ષેત્રમાં સવારે એક ત્રણ માળનું બિલ્ડિંગ તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 30થી 40 લોકો હજી બિલ્ડિંગના કાટમાળમાં ફસાયા હોવાની આશંકા દર્શાવવામાં આવી છે. આ દુર્ઘટના સવારે આશરે 3.40 મિનિટે થઈ હતી. સ્થાનિક રહેવાસીઓ અને ફાયરબ્રિગ્રેડ વિભાગ રાહત કાર્યોમાં લાગેલો છે. NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. પ્રાપ્ત માહિતી મુજબ જિલાની નામના આ બિલ્ડિંગના કાટમાળમાંથી અત્યાર સુધી 20 લોકોને કાઢવામાં આવ્યા છે.

નેશનલ ડિઝેસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), ફાયરબ્રિગ્રેડ અને પોલીસની ટીમો રાહત કાર્યમાં લાગેલી છે. આ બિલ્ડિંગમાં 40 પરિવાર રહેતા હતા, આ બિલ્ડિંગ 40 વર્ષ જૂનું છે, એમ NDRFના પ્રમુખ સત્ય પ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું હતું.

 આ બિલ્ડિંગ જોખમી બિલ્ડિંગોની યાદીમાં નહીં

ભિવંડી નિઝામપુર નગર નિગમે જણાવ્યું હતું કે જિલાની એપાર્ટમેન્ટ જોખમી બિલ્ડિંગની યાદીમાં નહોતું. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ અને ત્રણ માળ હતા. આ બિલ્ડિંગમાં 40 ફ્લેટ હતા, જેમાં 150 લોકો રહેતા હતા.

આ બિલ્ડિંગના કાટમાળમાં  બહાર કાઢવામાં આવેલા લોકોમાં મોબિન શેખ, સલમાની, રુક્શાર કુરેશી, મોહમ્મદ અલી, સબીર કુરેશી સામેલ છે. આ સિવાય માર્યા ગયેલાઓમાં ઝુબૈર, ફૈઝા, આયશા અને બબ્બુ સામેલ છે.

પ્યારની વાત – ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૦

પ્યારની વાત – ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 21/09 થી 27/09/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

અંગત કામ થવાના કારણે તમને કામકાજમા ધ્યાન ઓછુ અને અન્યપ્રવૃત્તિમા ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન વધુ પડતા વિચારો આવવાના કારણે તમને તમારા કામમા રૂચી ઓછી જળવાય તેમજ કામ પરાણે કરતા  હોવ તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે,  સાસરીપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.


સંતાન બાબત અને પ્રેમસંબંધમા કઈક નવીનતા બની શકે છે,  લગ્નબાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારૂ પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો,  બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ પણ બની શકે છે .


નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ ઘણી નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને  સહયોગી થવામા થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામા થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે.


આતુરતાવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થસંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ  કામ કરવાથી માનસિકઅશાંતિમા વધારો થાય, બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.


પરિસ્થિતિમા ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા  કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુનાઅટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્યબાબતમા બેદરકાર ના બનાય તેનુ ધ્યાન રાખવુ.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે.  અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો  અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ  ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો.  બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.


તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા  અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાનીનાની વાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા  મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજનપૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.

૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦

૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦