Home Blog Page 4645

JNU હુમલાની જવાબદારી આ સંગઠને સ્વીકારીઃ પોલીસ તપાસ ચાલુ

નવી દિલ્હીઃ હિંદુ રક્ષક દળે જેએનયૂના હુમલાની જવાબદારી લીધી છે. આ મામલે દિલ્હી પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હિંદુ રક્ષક દળના નેતા પિંકી ચોધરીએ વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની સંપૂર્ણ જવાબદારી લીધી છે. આ હિંસામાં કુલ 30 થી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. પિંકી ચોધરીએ જણાવ્યું કે, જેએનયૂ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓનું કેન્દ્ર છે. અમે આને સહન ન કરી શકીએ. અમે જેએનયૂ હુમલાની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ અને હુમલો કરનારા લોકો અમારા કાર્યકર્તા હતા.

કેટલાક લોકોનું કહેવું છે કે ભાજપના વિદ્યાર્થી સંગઠન ABVP વિરુદ્ધના આરોપોને છુપાવવા માટે આ ગ્રુપ કામ કરે છે. તો જેએનયૂમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર થયેલા હુમલામાં શામિલ લોકોની ઓળખ માટે પોલીસ વિડીયો ફૂટેજ અને ચહેરાને ઓળખવાનો પ્રયત્ન કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે જેએનયૂ પરિસરમાં રવિવારે રાત્રે લાકડીઓ અને લોખંડના ડંડાથી કેટલાક નકાબધારી લોકોએ પરિસરમાં પ્રવેશ કરીને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પર હુમલો કર્યો હતો અને પરિસરમાં રહેલી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. બાદમાં પ્રશાસને પોલીસને બોલાવી હતી. આ હુમલામાં આઈશી ઘોષ સહિત 34 જેટલા લોકો ઘાયલ થયા હતા.

દિલ્હીની ચૂંટણીઃ પડઘા આખા દેશમાં પડશે

2014માં દિલ્હીમાં પરિવર્તન આવ્યું હતું. પ્રથમવાર બિનકોંગ્રેસી સરકાર એકલા હાથે બહુમતી સાથે સરકારમાં હતી. ભાજપની આગેવાની હેઠળ એનડીએ ગઠબંધન હતું, પણ ભાજપની પોતાની 283 બેઠકો હતી અને તે મહત્ત્વનું પરિવર્તન હતું. 2014 પહેલાં જે સ્થિતિ ઊભી થઈ હતી, તેમાં કોંગ્રેસના 10 વર્ષના શાસનને ચેલેન્જ કરવામાં બીજો એક પક્ષ અથવા કહો કે સંગઠન વધુ પ્રબળપણે પ્રગટ થયું હતું. તે હતો આમ આદમી પક્ષ, જે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન સંગઠનમાંથી ઊભો થયો હતો.

સોશ્યલ મીડિયાના પ્રભાવની એ શરૂઆત હતી. ભાજપે તેનો ભરપુર લાભ ઉઠાવ્યો હતો, પણ બીજા નંબરે આ જૂથના યુવાન અને ટેક્નોક્રેટ કાર્યકરો હતો. પરિવર્તન માટે ઝંખતા યુવાનોને સોશ્યલ મીડિયાના માધ્યમથી એક કરીને, સાથે જ મીડિયાની કાર્યપ્રણાલી સમજીને તેનો મહત્તમ લાભ ઊઠાવીને દેશભરમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ઊભું કરવામાં આવ્યું હતું.

અરવિંદ કેજરીવાલ નામના ભૂતપૂર્વ વેરા અધિકારી અને મેગ્સેસે એવોર્ડ મેળવી ચૂકેલા એનજીઓ ચલાવતા કાર્યકર અચાનક લાઇમલાઇટમાં આવી ગયા હતા. કેજરીવાલ અને તેમના ચાલાક સાથીઓ ચાલાકીપૂર્વક ભોળા અન્ના હજારેનો ઉપયોગ કરી ગયા. 2011માં અન્ના હજારેના નામે આંદોલન ચાલ્યું અને કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે લોકપાલ ખરડો પસાર કરવો પડ્યો.

લોકપાલ આજે ક્યાં છે કોઈને ખબર નથી, પણ કોંગ્રેસનો ઘડોલાડવો થઈ ગયો અને ભાજપનો ઉદય થયો. કેજરીવાલે સંગઠનથી જુદા પડીને રાજકીય પક્ષની રચના કરી અને 2013માં દિલ્હીમાં પહેલે જ ધડાકે 28 બેઠકો જીતી લીધી. સત્તા ના મળી, પણ સાવ નવા પક્ષનું આટલું જોર ધ્યાન ખેંચતું હતું.

કેજરીવાલે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે રહેલા નરેન્દ્ર મોદીને પણ ભીંસમાં લેવાની કોશિશ કરી હતી. એવું લાગતું હતું કે મોદીને ચેલેન્જ કરી શકે તો કેજરીવાલ જ, પરંતુ દેશમાં ઊભા થયેલા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનો ફાયદો ઊઠાવવા માટે ભાજપ પાસે દેશવ્યાપી સંગઠનનું માળખું તૈયાર હતું. આપનું માળખું હજી બન્યું નહોતું. કેજરીવાલની મહત્ત્વાકાંક્ષાઓ ત્યારે વધારે પડતી લાગતી હતી, પણ ચાલાક કેજરીવાલ કદાચ ગણતરીપૂર્વકના જોખમ સાથે કોંગ્રેસની સાથોસાથ ભાજપ સામે પણ ભીડાવાનું નક્કી કર્યું હતું.

2014માં આપને પંજાબ સિવાય કશે ફાયદો થયો નહિ. કેજરીવાલે હવે માત્ર દિલ્હી પર જ ધ્યાન કેન્દ્રીત કરવાનું નક્કી કર્યું. સમગ્ર દેશમાં ભાજપનો ભગવો ફરી વળ્યો હતો, ત્યારે દિલ્હી વિધાનસભામાં સત્તા મેળવવી પણ આસાન લાગતી હતી. કોંગ્રેસના 15 વર્ષના શાસન પછી રકાસ થયો હતો. આમ જેવો નવો પક્ષ ઊભો થયો હતો, જેણે કોંગ્રેસને તોડી હતી. તેથી ભાજપને લાગતું હતું કે પોતાના માટે તક છે.

જોકે 2015માં વિધાનસભાની ચૂંટણી ફરી આવી ત્યારે ઇતિહાસ રચાયો. 70માંથી 67 બેઠકો બહુ નાની વયનો રાજકીય પક્ષ જીતી ગયો. 95 ટકા કરતાંય વધુ બેઠકો સાથેની જીત એક રેકર્ડ હતો. ભાજપ માટે બહુ આઘાતજનક સમાચાર હતા, કેમ કે હજી વર્ષ પહેલાં જ સમગ્ર દેશમાં ફરી વળ્યા પછી દિલ્હીમાં જ નાના અને નવા પક્ષ સામે મોટી પછડાટ મળી હતી.

પાંચ વર્ષમાં દેશમાં રાજકારણ બહુ બદલાયું છે અને 2020ની ચૂંટણી ફરી આવી છે ત્યારે ફરી એકવાર દિલ્હી વિધાનસભાની ચૂંટણી અગત્યની બની છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપે બેઠકો ગુમાવી અને મહારાષ્ટ્રમાં સત્તા પર. ઝારખંડમાં સંપૂર્ણપણે સત્તા ગઈ, ત્યારે હવે દિલ્હીના પરિણામોની સીધી અસર બિહાર અને પશ્ચિમ બંગાળ પર આગામી સમયે પડશે.

ભાજપ સામેના વિપક્ષમાં અત્યારે સૌથી વધુ ચાલાક કેજરીવાલ છે. તેમણે નરેન્દ્ર મોદીની અને ભાજપની ટીકા કરવાનું એકાદ વર્ષથી બંધ કરી દીધું છે. તેમણે માત્ર દિલ્હીના રાજકારણ પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમની આક્રમકતા ગાયબ થઈ ગઈ છે અને ભાજપ સરકારની ટીકા પણ બેકારી, અર્થતંત્ર, પ્રદૂષણ નિયંત્રણ, વાહનવ્યવહાર, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દે જ કરે છે. તેમને વિચારધારાની લડાઈમાં જાણે રસ જ ના હોય તેવું વલણ લીધું છે.

જાણકારો કહે છે કે આ વલણ જ કદાચ કેજરીવાલને કામ આવશે. વિપક્ષ ભાજપ અને મોદીની એવી રીતે ટીકા કરે છે કે ભાજપનો ઢીલો પડી રહેલો ટેકેદાર સજ્જડ થઈ જાય અને અનિર્ણાયક રહેલો મતદાર વિચારે કે આ લોકોને ક્યારેય અક્કલ આવશે નહિ, મેલ કરવત ભાજપ ને ભાજપ.

સોમવારે ચૂંટણી પંચે તારીખો જાહેર કરી દીધી અને 8 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે તે નક્કી થયું તે પછી પ્રથમ પત્રકાર પરિષદમાં પણ કેજરીવાલે માત્ર સરકારની કામગીરીની જ વાત કરી. તેમણે કહ્યું કે હું લોકો પાસે મારા કામને પારખીને મત માગીશ. મતદારો તમને લાગે કે મેં કામ કર્યું છે તો જ મત આપજો નહિ તો નહિ આપતા. ભાજપ અને કોંગ્રેસના મતદારોને પણ અપીલ કરી કે દિલ્હી માટે તો તમે મારા કામને જ જોજો.

તેમનો ઇશારો એવો હતો કે લોકસભામાં તમે જે કર્યું હોય તે, વિધાનસભા માટે જુદી પસંદગી કરજો. આ સ્ટ્રેટેજી ઉપયોગી થાય તેવી છે, કેમ કે 2014 પછી દેશમાં મતદારોનો મિજાજ આ પ્રકારનો જોવા મળ્યો છે. 2014 વખતે ઓડિશા અને અમુક અંશે તેલંગણા-આંધ્રમાં સ્પષ્ટપણે વિધાનસભા અને લોકસભા માટે અલગ અલગ મતો આપ્યો. 2014 પછી તરત જ દિલ્હીમાં મતદારોએ ભાજપના બદલે કેજરીવાલને મત આપ્યા હતા. રાજસ્થાનમાં ભાજપની વિરુદ્ધ મતદાન કરીને કોંગ્રેસને જીતાડી હતી. એમપી, છત્તીસગઢ પણ ખરું. ગુજરાતમાં બેઠકો ઘટી ગઈ. હરિયાણા અને મહારાષ્ટ્રમાં કલમ 370 અને રામમંદિર કશું કામમાં ના આવ્યું. ઝારખંડમાં પણ નહિ. અને તેથી જ કેજરીવાલને લાગે છે કે કેન્દ્ર મેં મોદી, રાજ્યમાં કેજરીવાલ ચાલશે. રાજસ્થાનનું પેલું સૂત્ર અહીં કામ આવી રહ્યું છે – મોદી તુજ સે બૈર નહિ, વસુંધરા તેરી ખૈર નહિ.

ચૂંટણી પંચે બહુ ટૂંકો સમયગાળો રાખ્યો છે, જેથી મહિનામાં ચૂંટણી પૂરી પણ થઈ જશે. 55 દિવસ સુધી આચારસંહિતા ચાલતી હતી, તેના બદલે ગાળો ટૂંકો થતો રહ્યો છે. નજીક નજીકના મહિનામાં ચૂંટણીઓ હોય તો પણ રાજ્યોની ચૂંટણી અલગ અલગ થઈ. ઝારખંડ અલગ, દિલ્હી અલગ. આ બધાની વચ્ચે ચૂંટણી કમિશનર એવું બોલ્યા કે વિશિષ્ઠ સંજોગોમાં ચૂંટણી રદ પણ કરી શકાય છે. તેથી ઘણાના કાન સરવા થયા છે – શું એવું લાગે કે ભાજપને મોટી હાર મળી રહી છે તો ચૂંટણી કોઈ બહાને રદ થશે? કે પછી એવા કોઈ મોટા બનાવ બનવાના છે કે ચૂંટણી રદ થઈ શકે?

આવી ચર્ચાનું કારણ એ કે દિલ્હીમાં ચૂંટણીની જાહેરાત થઈ તેના આગલા દિવસે જેએનયુમાં મોટી બબાલ થઈ હતી. તેની અસર સીધી રીતે નહિ, પણ આડકતરી રીતે થતી રહેવાની છે. ભાજપ તેના બહાને વિચારધારાનું અને અર્બન નક્સલીનું અને ડાબેરીવિરોધનું રાજકારણ કરવા માગે છે, પણ કેજરીવાલ તેમાં પડતા માગતા નથી. વિપક્ષની જેમ કેજરીવાલ ટ્રેપમાં આવી જતા નથી. તેથી ટિકિટોની વહેંચણી પહેલાંનું આગામી અઠવાડિયું અગત્યનું સાબિત થશે.

પ્રારંભિક સર્વે પણ આવી ગયા છે અને તેમાં આમ આદમી પાર્ટીને 50 ટકા કરતાં વધુ મતદારોનું સમર્થન હજીય જણાઈ રહ્યું છે. ભાજપની સ્થિતિ મામુલી સુધરી રહી છે, જ્યારે કોંગ્રેસ ત્યાંની ત્યાં છે. ગયા વખતની જેમ કદાચ 95 ટકા નહિ, પણ બે તૃતિયાંશ બહુમતી આપને ફરી મળે તેવા અણસાર પ્રારંભિક સર્વેમાં છે. ભાજપ માટે દિલ્હી નાનું રાજ્ય છે, પણ 20 વર્ષથી સત્તા હાથમાં આવી નથી. કેન્દ્રમાં આવી તોતિંગ સરકાર હોય અને છતાં સારો દેખાવ ના થાય ત્યારે સ્થાનિક નેતાગીરીની સાથે કેન્દ્રીય નેતાગીરી ફોકસમાં આવે. તેથી અઠવાડિયું રાહ જુઓ, ચિત્ર બદલાય છે કે કેમ અને કેવું બદલાય છે તે જોઈશું.

જેએનયુના પડઘા અમદાવાદમાં: વિદ્યાર્થી પાંખો વચ્ચે ઘર્ષણ

અમદાવાદ: દિલ્હીની જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં રવિવારે થયેલી હિંસાની દેશભરમાં નોંધ લેવાઈ રહી છે. ત્યારે આ ઘટનાના અમદાવાદમાં પણ પડઘા પડયા છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને લાકડી-ધોકાઓ વડે સામ-સામે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. એબીવીપી કાર્યાલય પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બીજીતરફ સ્થિતિને કાબૂમાં લેવાના નામે પોલીસે પણ એનએસયુઆઈના જ કાર્યકરોને ટાર્ગેટ કરીને માર્યા હોવાના આક્ષેપો થયા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી સહિત તેના પાંચ કાર્યકરોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવાયા છે. આ ઉપરાંત 10થી 12 લોકો ઘાયલ થયા છે. તો ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

જેએનયુમાં બુકાનીધારીઓના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો પર હુમલાના વિરોધમાં આજે સવારે એનએસયુઆઈના કાર્યકરો પાલડી સ્થિત એબીવીપીના કાર્યાલય પાસેથી ઝંડા લઈને વિરોધ પ્રદર્શન કરવાના હતા. સવારે એનએસયુઆઈના કાર્યકરો પાલડી પહોંચ્યા ત્યાં સુધી તો સ્થિતિ સામાન્ય હતી પરંતુ એકાએક ઉહાપોહ મચી ગયો હતો અને વિરોધ પ્રદર્શન સમરાંગણમાં ફેલાઈ ગયું હતું. પાઈપો, લાકડીઓ અને ધોકાઓ લઈને દોડી આવેલા યુવાનોએ એનએસયુઆઈના કાર્યકરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.

એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીએ આક્ષેપ કર્યો હતો કે, તેમના કાર્યકરો તો શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જે તેમનો અધિકાર છે. તેમણે ગઈકાલે સાંજથી જ આ માટે આહવાન પણ કરી દીધું હતું. પરંતુ એબીવીપીના કાર્યકરો અગાઉથી જ લાકડીઓ અને પાઈપો જેવા હથિયારો વડે સજ્જ હતા. જેવી અમારી રેલી તેમના કાર્યાલય પાસે પહોંચી કે તુરત તેઓ પૂર્વાયોજિત કાવતરાના ભાગરૂપે અમારી પર ચોતરફથી તૂટી પડ્યા હતા. તેમણે અમને ઘેરી લઈને અમારી પર હુમલો કર્યો હતો અને પથ્થરમારો પણ કર્યો હતો.

એનએસયુઆઈના કાર્યકરોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસને પણ આ હિંસા માટે જાણે અગાઉથી જ સૂચના હોય તે રીતે તેમણે એનએસયુઆઈના કાર્યકરોને જ નિશાન બનાવ્યા હતા. પોલીસ અચાનક દોડતી આવી અને એનએસયુઆઈના કાર્યકરોને એકલા પાડી-પાડીને તેમને મારમાર્યો હતો સંખ્યાબંધ કાર્યકરોને આ કારણે નાની-મોટી ઈજાઓ પહોંચી છે અને તેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે. પોલીસની આવી વરવી ભૂમિકાને પણ પ્રજા માફ નહીં કરે તેમ નિખિલ સવાણીએ કહ્યું હતું.

કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું કે, આ આખી પરિસ્થિતિને સમજવાની જરૂર છે કારણ કે જે રીતે એબીવીપીના કાર્યકરોએ પ્રિપ્લાન કરીને હુમલો કર્યો છે તે ઘણું કહી જાય છે. એનએસયુઆઈના કાર્યકરો તો લોકતાંત્રિક રીતે જેએનયુની હિંસા સંબંધે માત્રા રજૂઆત કરવા ગયા હતા. પરંતુ ભાજપ અને એબીવીપીના કાર્યકરોએ પૂર્વાયોજિત કાવતરું પાર પાડતા એનએસયુઆઈના કાર્યકરોને ઘેરીને બરાબરના માર્યા હતા. આમ, એબીવીપીનો ગુંડાગીરીનો ચહેરો દેશભરમાં ઉઘાડો પડી ગયો છે.

(તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ)

હવે સોનિયા ગાંધીની આ તપાસ સમિતિ કરશે જેએનયૂ હુમલાની તપાસ

નવી દિલ્હીઃ જેએનયૂમાં હુમલાને લઈને સર્જાયેલો વિવાદ સતત વધી રહ્યો છે. વિપક્ષે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર થયેલા હુમલાની સ્વતંત્ર ન્યાયિક તપાસની માંગ કરી છે જ્યારે ભાજપે આરોપ લગાવ્યો છે કે વિપક્ષ ઘટના પર રાજનનીતિ કરી રહ્યું છે. જેએનયૂ વિદ્યાર્થીઓ પર થયેલા આ હુમલાને લઈને સોનિયા ગાંધીએ હવે ચાર સભ્યોની એક ટીમ બનાવી છે.

હુમલા બાદ જેએનયૂ ગેટ પર પહોંચેલા કોંગ્રેસના પ્રવક્તા ઉદિત રાજનો આરોપ છે કે ભાજપના સ્થાનીય નેતા ભીડનું નેતૃત્વ કરી રહ્યા હતા. ભાજપે આ આરોપોને ફગાવી દીધા છે. ઉદિત રાજે કહ્યું કે, હું 9 વાગ્યે જેએનયૂ ગેટ પર પહોંચી ગયો હતો. મેં ત્યાં જોયું કે ભાજપ નેતાઓના નેતૃત્વમાં આશરે દોઢસો લોકો સુત્રોચ્ચાર કરી રહ્યા હતા. વામપંથી ગુંડાઓને ગોળી મારો-જે પરિસ્થિતિમાં જેએનયૂ વિદ્યાર્થીઓ પર હુમલો થયો તેને લઈને લેફ્ટ નેતાઓના પણ સવાલ છે.

સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે, જેએનયૂના વિદ્યાર્થીઓ પર જે હુમલો થયો છે તેની તપાસ હાઈએસ્ટ લેવલ પર કરવામાં આવવી જોઈએ, ભલે જ્યુડિશિયલ ઈન્કવાયરી હોય કે પછી કોઈ અન્ય ઉચ્ચસ્તરીય તપાસ. ભાજપે વિપક્ષ પર આ મામલે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

JNU હિંસામાં જખ્મી થયેલી એશી ઘોષ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે રવિવારના રોજ સાંજે જેએનયૂમાં થયેલી હિંસાથી એક દિવસ પહેલા યુનિવર્સિટીના સર્વર રુમમાં કથિત રુપથી તોડફોડ કરવા મામલે જેએનયૂ છાત્રસંઘ અધ્યક્ષ એશી ઘોષ અને 19 અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 3 જાન્યુઆરીના મામલે પણ એક એફઆઈઆર નોંધવામાં આવી છે, પરંતુ તેમાં ઘોષનું નામ નથી. જ્યારે લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓના નામ નોંધાયેલા છે. 4 જાન્યુઆરીના રોજ મારપીટ અને સર્વર રુમ તોડવાની એફઆઈઆર છે જેમાં એશી ઘોષ અને તેમના 7-8 સાથીદારોના નામ છે. આ બંન્ને એફઆઈઆર જેએનયૂ પ્રશાસન તરફથી નોંધાવવામાં આવી હતી. જેએનયૂમાં હિંસામાં કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 34 લોકો ઘાયલ થયા હતા. આ હિંસામાં એશી ઘોષને માથામાં ઈજા પહોંચી હતી.

તો બીજી બાજુ હાથોમાં ટેમ્બોરિન અને ગિટાર લઈને તેમજ ક્રાંતિના ગીત ગાતા પ્રદર્શનકારીઓ જેએનયૂમાં થયેલા હુમલાના વિરોધમાં ગેટવે એફ ઈન્ડિયા અને તાજ મહેલ પેલેસ હોટલ બહાર આખી રાત પ્રદર્શન કર્યું. પોલીસે જણાવ્યું કે જ્યારે પ્રદર્શનકારીઓને ગેટવે ઓફ ઈન્ડિયાથી હટાવીને આઝાદ મેદાન મોકલી દેવામાં આવ્યા છે. રવિવારના રોજ અડધી રાત્રે દક્ષિણ મુંબઈના કોલાબામાં ગેટવે ઓફ ઈન્ડિયા સામે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જમા થયા હતા. બાદમાં અનુરાગ કશ્યપ, સ્વરા ભાસ્કર અને વિશાલ દદલાણી જેવી બોલીવુડ હસ્તીઓ પણ અહીંયા પહોંચી.

ઉલ્લેખનીય છે કે જેએનયૂ પરિસરમાં રવિવારની રાત્રે લાકડીઓ અને લોખંડના ડંડાથી લેસ કેટલાક નકાબધારી લોકોએ પરિસરમાં પ્રવેશ કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કરી દીધો હતો અને પરિસરમાં સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. બાદમાં પ્રશાસનને પોલીસને બોલાવી હતી.

રાજકોટ સીવિલની કે.ડી ચિલ્ડ્રન હોસ્પિટલમાં વધુ 3 બાળકોના મોત

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં 111 બાળકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ જાન્યુઆરી મહિનાના પ્રથમ પાંચ દિવસમાં વધુ 13 બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે છેલ્લી એક રાતની અંદર વધુ 3 બાળકો મોતને ભેટ્યા છે. અને વધુ બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આથી બાળકોના મોતનો સિલસિલો યથાવત છે. કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે હોસ્પિટલની બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મીડિયાને અંદર જવા દેવામાં આવતું નથી તેમજ બાળકોના મોત અંગેની માહિતી છૂપાવવામાં આવી રહી છે.

સિવિલ હોસ્પિટલ બાળકોના મોતને રોકવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. ગઇકાલે પોતાના બાળકો મોતને ભેટશે તેવા ડરથી 51 પરિવારો પોતાના બાળકોને લઇને જતા રહ્યા હતા. NICUમાં બાળકોની ક્ષમતા અને સાર સંભાળ રાખી શકવાની કોઇ વ્યવસ્થાના અભાવે બાળકો મોતને ભેટી રહ્યા છે. 2019ના વર્ષમાં રાજકોટમાં 1235 બાળકો મોતને ભેટ્યા હતા.

ડો.રાકેશ પટેલના જણાવ્યા અનુસાર એનઆઈસીયુમાં દોઢ કિલો વજનનું બાળક આવે એટલે નક્કી કરેલો પ્રોટોકોલ હોય છે જેમાં ઈન્ફેક્શન કંટ્રોલ, હાઈપોથર્મિયા પ્રિવેન્શન તેમજ ન્યૂટ્રિશિયન કેર છે, આ બધુ ગર્ભમાં બાળકને મળે છે અને તેથી જ એનઆઈસીયુમાં બાળકને માતાના પેટમાં હોય તે રીતે સાચવવાનું હોય છે. આ બધે સરખા જ હોય છે. ફરક એટલો કે તેમની હોસ્પિટલમાં દર બે નવજાતે એક નર્સ હોય છે, એક નર્સ ઈમરજન્સી માટે હોય છે. 3 મેડિકલ ઓફિસર અને એક કો-ઓર્ડિનેટર ફરજ બજાવી રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ રાખે છે. જેથી દર મહિને માત્ર 1થી 2 ટકા જ મૃત્યુદર જળવાય છે. ડો. યજ્ઞેશ પોપટે જણાવ્યું કે, બાળકના પલ્સ અને શ્વાસ સતત ચકાસાય છે, વોર્મરમાં શરીરનું તાપમાન જાળવી રખાય છે તેમજ માતાનું દૂધ 1-1 એમએલ ગણીને દેવાય છે જેથી બાળકને નુકસાન ન કરે. જો ઈન્ફેક્શનની શંકા હોય તો સાથે સાથે તે પણ કરવું પડે.

બીજી તરફ રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં 54 બાળક 45 વોર્મરમાં રખાય છે. બે બાળકો દીઠ એક નર્સ તો દૂર સિવિલ પાસે માત્ર 35 નર્સ છે જેમાં વળી અલગ અલગ શિફ્ટમાં કામ કરે છે જેથી દર દસ બાળકે એક નર્સ રહે છે. આ નર્સ એક બાળકને જૂએ અને 10માં બાળક સુધી પહોંચવામાં ખાસ્સો સમય વીતી જાય છે. મેડિકલ ઓફિસર માત્ર એક જ છે જ્યારે બાકીની જવાબદારી 6 રેસિડેન્ટ ડોક્ટર પર છોડી દીધી છે જે શીખવા માટે કામ કરે છે અને અનુભવહીન છે. એક જ સિનિયર રેસિડેન્ટ છે તેમજ એચઓડી સહિત માત્ર એક ફેકલ્ટી જે વહીવટી કામોમાંથી ઊંચા નથી આવતા. આ કારણોથી જ મૃત્યુદરમાં મસમોટો તફાવત છે.

મુંબઈમાં ‘ફ્રી કશ્મીર’ પ્લેકાર્ડ સાથેની યુવતીનો વિવાદ…

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ગયા રવિવારે કરાયેલી મારપીટ સામે મુંબઈમાં 6 જાન્યુઆરી, સોમવારે રાતે દક્ષિણ મુંબઈસ્થિત ગેટવે ઓફ ઈન્ડિયા સ્મારક ખાતે લોકોએ દેખાવો કર્યા હતા. એ વખતે એક યુવતી ‘ફ્રી કશ્મીર’નું વિવાદાસ્પદ પ્લેકાર્ડ પકડીને ઊભેલી જોવા મળી હતી. પોલીસે બાદમાં દેખાવો કરનાર તમામ લોકોને ત્યાંથી હટાવીને આઝાદ મેદાન ખાતે શિફ્ટ કર્યા હતા.

પોલીસ અધિકારી (ડીસીપી-ઝોન-1) સંગ્રામસિંહ નિશાનદારે કહ્યું કે, ગેટવે ઓફ ઈન્ડિયા ખાતેના દેખાવો વખતે જોવા મળેલા ‘ફ્રી કશ્મીર’ પોસ્ટરની પોલીસે ગંભીર નોંધ લીધી છે. અમે ચોક્કસપણે એમાં તપાસ કરીશું.

દીપિકાએ એસિડ હુમલાની પીડિતાઓ સાથે બર્થડે ઉજવ્યો…

ગઈ પાંચ જાન્યુઆરીએ બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણનો 34મો જન્મદિવસ હતો. એ દિવસ એણે અંગત રીતે કોઈ મોટી ધામધૂમથી ઉજવ્યો નહોતો, પરંતુ લખનઉમાં એસિડ હુમલાઓનો શિકાર બનેલી યુવતીઓ સાથે મળીને જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે દીપિકા તેની નવી ફિલ્મ ‘છપાક’માં વાસ્તવિક જીવનમાં એસિડ હુમલાનો શિકાર બનેલી યુવતી લક્ષ્મી અગ્રવાલનો રોલ કરી રહી છે. લક્ષ્મી અગ્રવાલ લખનઉમાં તેનાં જેવી એસિડ હુમલાની પીડિત યુવતીઓ સાથે મળીને એક કેફે ચલાવે છે. લખનઉમાં બર્થડે ઉજવણી પ્રસંગે દીપિકાની સાથે એનો અભિનેતા પતિ રણવીર સિંહ પણ હતો. મેઘના ગુલઝાર દિગ્દર્શિત ‘છપાક’ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

લક્ષ્મી અગ્રવાલ અને એની પુત્રી સાથે દીપિકા

મોદીએ ટ્રમ્પને ફોન કરી નવા વર્ષની શુભેચ્છા આપી; દ્વિપક્ષી સંબંધો વિશે વાતચીત કરી

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રાતે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો હતો અને એમને નવા વર્ષ 2020ના આરંભ નિમિત્તે શુભેચ્છા આપી હતી.

મોદીએ ટ્રમ્પ, એમના પરિવાર તથા અમેરિકાની જનતાને માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ટ્રમ્પે પણ ભારતની જનતાને નવા વર્ષ માટે સમૃદ્ધિ અને પ્રગતિની શુભેચ્છા આપી હતી.

ભારત સરકારે બહાર પાડેલા નિવેદન અનુસાર, વડા પ્રધાન મોદીએ ફોન કરીને ટ્રમ્પ સાથે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં છેલ્લા અમુક વર્ષોમાં કેટલી મજબૂતી આવી છે અને વ્યૂહાત્મક ભાગીદારી કેટલી બધી ગાઢ બની છે તે વિશે વાતચીત કરી હતી.

પ્રમુખ ટ્રમ્પ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા તથા પરસ્પર હિતનાં વિસ્તારોમાં સહકાર વધારવાની ઈચ્છા પણ વડા પ્રધાન મોદીએ વ્યક્ત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા અમુક વર્ષોમાં ભારત-અમેરિકાના સંબંધોમાં હાંસલ કરવામાં આવેલી સિદ્ધિઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને દ્વિપક્ષી સહકારને વધારે ગાઢ બનાવવાની એમની તૈયારીનો પુનરોચ્ચાર કર્યો હતો.