Home Blog Page 4643

દીપિકા, સારા, શ્રદ્ધા, રકુલને પૂછપરછ માટે હાજર થવાનું સમન્સ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત મોતના કેસમાં જોડાયેલા ડ્રગ્સના મામલાની તપાસમાં એક આશ્ચર્યજનક વળાંક આવ્યો છે, જેમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ બોલીવૂડ અભિનેત્રીઓ – દીપિકા પદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલપ્રીત સિંહ સહિત સાત જણને પૂછપરછ માટે હાજર થવાનું સમન્સ મોકલ્યું છે. અભિનેત્રીઓને આગામી ત્રણ દિવસમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે. દીપિકાની શુક્રવારે, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની 26 સપ્ટેમ્બરે પૂછપરછ કરવામાં આવશે, જ્યારે રકુલ પ્રીત અને સિમોન ખંભાતાની આવતી કાલે પૂછપરછ કરવામાં આવશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ અભિનેત્રીઓએ ડ્રગ્સ માગી હોવાની એમનાં વિશેની બાતમી મળી છે અને એના સંબંધમાં પૂછપરછ કરવામાં આવશે. અત્યાર સુધી આ મામલે 18 જણની ધરપકડ થઈ ચૂકી છે.

સુશાંત મોતના મામલે તપાસનો દાયરો વધવાથી અને એમાં ડ્રગ્સનો એન્ગલ જોડાયા પછી બોલિવુડના કેટલાય મોટાં નામ આ મામલે સામે આવ્યાં છે. સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેના મુંબઈસ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

ગઈ કાલે NCBએ રિયા ચક્રવર્તીના મોબાઇલથી પ્રાપ્ત કરેલા વોટ્સએપ ચેટને આધારે દીપિકા પદુકોણના મેનેજર કરિશ્મા પ્રકાશની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ડ્રગ્સની આપ-લે મુદ્દે વાતચીત થઈ હતી.

આ ઉપરાંત NCBને કરિશ્મા પ્રકાશના ફોન પર વોટ્સએપ ચેટ મળ્યા છે, જે ડ્રગ્સની વ્યવસ્થા કરવા માટે એક D અને Kની વચ્ચેની વાતચીત માલૂમ પડે છે.

28 વર્ષીય એક્ટર રિયા ચક્રવર્તીની ઊલટતપાસ દરમ્યાન 59 ગ્રામ મારીજુઆના જપ્ત કર્યા પછી એની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર એન્ટિ-ડ્રગ્સ એજન્સી દ્વારા બોલિવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત- તેના પ્રેમી માટે ડ્રગ્સની વ્યવસ્થા કરવાનો આરોપ છે.

તેને અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીને છ ઓક્ટોબર સુધી જેલમાં મોકલી દેવામાં આવ્યાં છે. સુશાંત સિંહ રાજપૂતના બે કર્મચારી અને ફિલ્મ લાઇનમાં જોડાયેલા ડ્રગ ડીલરની પણ ધરપકડ કરાયેલા લોકોમાં સામેલ છે.

સુશાંત સિંહ રાજપૂતના બંને સહ કલાકારો- સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરનાં નામ રિયા ચક્રવર્તીની પૂછપરછ દરમ્યાન સામે આવ્યાં હોવાનું કહેવાય છે.

NCBના સૂત્રોનું કહેવું છે કે બધાની સામે પુરાવા એકત્ર કરી લેવામાં આવ્યા છે. કેટલાય લોકોનાં નિવેદનો નોંધવામાં આવી ચૂક્યાં છે. રિયા ચક્રવર્તીનું નિવેદન પણ આ મામલે નોંધવામાં આવ્યું છે. NCBએ આ સ્ટાર્સની સામે પુરાવા એકત્ર કરતાં પહેલાં અનેક ડ્રગ્સ પેડલર્સની પૂછપરછ કરી હતી.

24-કલાકમાં ભારતની ડબલ સફળતાઃ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલનું પરીક્ષણ સફળ

નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ અહમદનગરસ્થિત કેકે રેન્જમાં લેસર નિર્દેશિત ટેન્ક-વિરોધી ગાઈડેડ મિસાઇલનું અર્જુન ટેન્ક પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ ફાયર દરમ્યાન ટેન્ક-વિરોધી ગાઈડેડ મિસાઇલે ત્રણ કિલોમીટર દૂરના લક્ષ્ય પર સચોટ નિશાન સાધ્યું હતું. આ મિસાઇલને અનેક પ્લેટફોર્મથી લોન્ચ કરવાની ક્ષમતાની સાથે વિકસિત કરવામાં આવ્યું છે અને હજી એનાં પરીક્ષણ કરવામાં આવી રહ્યાં છે. DRDO ભારતના સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગ દ્વારા સંચાલિત એજન્સી છે.

આ મિસાઇલ પુણે સ્થિત આર્માંમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ARDE), હાઇ એનર્જી મટિરીયલ રિસર્ચ લેબોરેટરી અને દહેરાદૂન સ્થિત ઇન્સ્ટ્રુમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટે સાથે મળીને વિકસાવી છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ટેન્ક-વિરોધી મિસાઇલના સફળ પરીક્ષણ માટે DRDOને અભિનંદન આપ્યા છે. DRDOના અધ્યક્ષે પણ મિસાઇલના સફળ પરીક્ષણ માટે બધા વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી છે.

ભારતની પાસે ‘નાગ’ જેવી ગાઇડેડ મિસાઇલ પહેલેથી જ છે. હાલ NAMICA મિસાઇલ કેરિયર (Nag Missile Carrier) પરથી છોડવામાં આવે છે. ‘નાગ’ મિસાઇલ મોટી-મોટી ટેંક્સને કોઈ પણ મોસમમાં નિશાન બનાવી શકે છે. આમાં ઇન્ફ્રારેડ પણ છે, જે લોન્ચથી પહેલાં લક્ષ્યને લોક કરે છે. આ મિસાઇલ અચાનક ઉપર ઊઠે છે અને પછી ઝડપથી એન્ગલ પર વળીને લક્ષ્ય તરફ જાય છે.

DRDOએ મંગળવાર પણ એક મોટી સફળતા હાંસલ કરી હતી. એણે ઓડિશાના બાલાસોરમાં સ્વદેશી ફાઈટર ડ્રોન  ‘અભ્યાસ’ (હાઇ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ – HEAT)નું સફળ પરીક્ષણ કર્યું હતું. આ સ્વદેશી ડ્રોન તમામ પેરામીટર્સમાં સફળ રહ્યું હતું. આ મિસાઇલ વેહિકલ પાંચ કિલોમીટરની ઊંચાઈ પર ઊડી શકે છે. એની ઝડપ અવાજની ઝડપ કરતાં અડધી છે. આમાં 2G ક્ષમતા છે અને 30 મિનિટ સુધી ઓપરેટ કરવાની ક્ષમતા છે. ‘અભ્યાસ’ ડ્રોન ખતરાની જાણકારી આપે છે. આની મદદથી જુદી જુદી મિસાઈલો અથવા હવામાં ફાયર કરાતા શસ્ત્રોનું પરીક્ષણ કરી શકાય છે. ‘અભ્યાસ’ને ઓટોપાઈલટની મદદથી સ્વાયત્ત ઉડ્ડયન માટે તૈયાર કરવામાં આવ્યું છે.

મેઘતાંડવઃ મુંબઈ નગરી ફરી જળબંબાકાર…

મુંબઈમાં મંગળવાર, 22 સપ્ટેમ્બરની મોડી સાંજથી શરૂ થયેલો અનરાધાર વરસાદ 23 સપ્ટેમ્બર, બુધવારે સાંજે પણ ચાલુ હતો. શહેરના જૂના વિસ્તારો (દક્ષિણ) તથા ઉપનગરોમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. વાહન વ્યવહારને અસર પહોંચી છે તો રેલવેના પાટાઓ પર પાણી ભરાતાં પશ્ચિમ અને મધ્ય, બંને વિભાગ પર ટ્રેન સેવા સ્થગિત કરી દેવી પડી છે. મુંબઈ મહાનગરપાલિકાએ નાગરિકોને અગાઉથી જ અપીલ કરી હતી કે હવામાન વિભાગે મુંબઈ શહેર, તથા પડોશના થાણે, પાલઘર, નવી મુંબઈ, રાયગડમાં અતિ ભારે વરસાદ સાથે યલો એલર્ટ ઘોષિત કર્યું હોવાથી લોકોએ ખાસ કામ ન હોય તો ઘરની બહાર નીકળવું નહીં.

મુંબઈમાં સપ્ટેમ્બર મહિનામાં કોઈ એક જ દિવસમાં આટલો બધો વરસાદ પડ્યો હોય એવું છેલ્લા 39 વર્ષોમાં અમુક જ વાર બન્યું છે.

મંગળવારે સવારે 8.30 વાગ્યાથી લઈને બુધવારે સવારે 8.30 વાગ્યા સુધીના 24 કલાકમાં કુલ 286.4 મિ.મી. વરસાદ પડ્યો હતો. વર્તમાન મોસમમાં ઉપનગરોમાં આ સૌથી વધારે વરસાદ પડ્યો છે

1974થી 2020 સુધીના વર્ષો દરમિયાન સપ્ટેમ્બરમાં 24-કલાકની દ્રષ્ટિએ આ ચોથા નંબરનો સૌથી વધુ વરસાદ થયો છે.

2016ની 20 સપ્ટેમ્બરે મુંબઈમાં એક જ દિવસમાં 303.7 મિ.મી. વરસાદ પડ્યો હતો. તે પહેલાં, 1993ની 23 સપ્ટેમ્બરે 312.4 મિ.મી. વરસાદ પડ્યો હતો અને 1981ની 23 સપ્ટેમ્બરે 318.2 મિ.મી. વરસાદ પડ્યો હતો, જે અત્યાર સુધીનો વિક્રમ છે. આ તસવીર મધ્ય રેલવેના ચુનાભટ્ટી સ્ટેશનની છે.

મુંબઈમાં સમગ્ર મોસમમાં કોઈ એક જ દિવસમાં સૌથી વધારે વરસાદનો ઓલટાઈમ રેકોર્ડ છે 2005ની સાલની 26 જુલાઈનો, જ્યારે 24 કલાકમાં 39 ઈંચ વરસાદ પડ્યો હતો. આખું શહેર પૂરગ્રસ્ત બન્યું હતું.

શારજાહમાં ધોનીએ બોલાવી છગ્ગાની રમઝટ; છતાં ચેન્નાઈને હારતા બચાવી ન શક્યો

શારજાહઃ અહીં મંગળવારે રમાઈ ગયેલી આઈપીએલ-13ની લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો રાજસ્થાન રોયલ્સ સામે પરાજય થયો હતો, પરંતુ મેચની છેલ્લી ઓવરમાં ધોનીએ સિક્સરોની હેટ-ટ્રિક ફટકારીને એના જૂના દિવસોની યાદ ફરી તાજી કરાવી આપી હતી.

બીજા નંબરની સિક્સર તો 92 મીટર લાંબી હતી. બોલ સ્ટેડિયમની બહાર ઊભેલી એક કાર પર પડ્યો હતો. ત્યાં કારની બાજુમાં ઊભેલા એક શખ્સે બોલ પોતાની પાસે રાખી લીધો હતો.

આની એક વિડિયો ક્લિપ આઈપીએલના સત્તાવાર સોશિયલ મિડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે.

સંજુ સેમસન

ધોનીએ પોતાના દાવની શરૂઆત ધીમી કરી હતી, પણ આખરમાં એણે કમાલ બતાવી હતી. એણે 17 બોલમાં 29 રન કર્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો, જેમાં ત્રણ લગાતાર સિક્સરનો સમાવેશ થાય છે. સામે બોલર હતો ટોમ કરેન.

મંગળવારની મેચમાં, રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 16-રનથી પરાજય આપ્યો હતો.

સ્ટીવન સ્મીથ

રાજસ્થાન ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 7 વિકેટે 216 રન કર્યા હતા. વિકેટકીપર સંજુ સેમસને 32 બોલમાં 74 રન ફટકાર્યા હતા, જેમાં 9 સિક્સર અને એક બાઉન્ડરીનો સમાવેશ હતો. એણે કેપ્ટન સ્ટીવન સ્મીથ (69)ની સાથે મળીને બીજી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. સ્મીથે 4 સિક્સ અને 4 બાઉન્ડરી ફટકારી હતી. 9મા ક્રમે આવેલો જોફ્રા આર્ચર 8 બોલમાં 27 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એણે 4 સિક્સ ફટકારી હતી.

ચેન્નાઈ ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 200 રન કરી શકી હતી. ફાફ ડુ પ્લેસીએ 72, શેન વોટસને 33, મુરલી વિજયે 21 રન કર્યા હતા. ધોની 29 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

જોફ્રા આર્ચર

સમગ્ર મેચમાં કુલ 33 સિક્સરો લાગી હતી. સેમસને 9, સ્ટીવ સ્મીથે 4, આર્ચરે 4, શેન વોટ્સને 4, ફાફ ડુ પ્લેસીએ 7, સેમ કરને 2 અને ધોનીએ 3 સિક્સ ફટકારી હતી. 2018ની સ્પર્ધાની મેચમાં પણ આટલી જ સંખ્યામાં સિક્સરો લાગી હતી. તે મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની હતી.

રાજસ્થાન રોયલ્સના સંજુ સેમસનને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

રિલાયન્સ જિયોએ ટેરિફ વોર શરૂ કરતાં ટેલિકોમ શેરોમાં નરમાઈ

મુંબઈઃ રિલાયન્સ જિયો ઇન્ફોકોમે ગઈ કાલે પાંચ પોસ્ટપેઇડ ટેરિફ પ્લાન રજૂ કર્યા એ પછી હવે પોસ્ટપેઇડ સેગમેન્ટમાં પણ ટેરિફ વોર શરૂ થવાના અણસાર છે. રિલાયન્સ જિયોએ પોસ્ટપેઇડ પ્લાન રજૂ કર્યા પછી ટેલિકોમ શેરોમાં સવારથી વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. જેથી એસ એન્ડ પી બીએસઈ ટેલિકોમ ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડેમાં સાત ટકાથી વધુ તૂટ્યો હતો. ઇન્ડેક્સ 7.36 ટકા ઘટીને 1048.42ના મથાળે બંધ આવ્યો હતો. એરટેલ અને ભારતી ઇન્ફ્રાટેલ પણ સાત ટકાથી વધુ તૂટ્યા હતા. ભારતી એરટેલ 8.09 ટકા તૂટીને 432.95 રૂપિયા બંધ રહ્યો હતો, આ શેરમાં 17,82,532 શેરોનું વોલ્યુમ હતું, જેમાં છેલ્લા પાંચ દિવસનું સરેરાશ 7,55,399 શેરોનું હતું, જેમાં 135.97 ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે ઇન્ફ્રાટેલ 7.90 ટકા ઘટીને 166.05 રૂપિયા બંધ આવ્યો હતો. 

વોડાફોન આઇડિયા 11.02 ટકા ઘટીને 9.12ના મથાળે બંધ રહ્યો હતો, જેમાં છેલ્લા પાંચ દિવસનું સરેરાશ વોલ્યુમં 53,710660 શેરોનું રહ્યું હતું. આ શેરના વોલ્યુમમાં 13.92 ટકાનો વધારો થયો હતો. ભારતી ઇન્ફ્રાટેલ દિવસ દરમ્યાન 164.60 રૂપિયાના લો બનાવીને 8.57 ટકા ઘટીને 164.85 રૂપિયા બંધ આવ્યો હતો.

NSE  પર સૌથી વધુ સક્રિય શેરોમાં ભારતી એરટેલમાં 5,94,53,689 શેરોનાં કામકાજ થયાં હતાં, જ્યારે વોડાફોનમાં 42,19,86,944 શેરોનાં કામકાજ થયાં હતા.    

રિલાયન્સ જિયોએ જિયો પોસ્ટપેઇડ નામથી નવા પોસ્ટપેઇડ પ્લાન રજૂ કર્યા છે, જે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ, ડિઝની + હોટસ્ટાર અને નેટફ્લિક્સના મફત સબસ્ક્રિપ્શન અને અન્ય લાભો સાથે ઓફર કર્યા છે. કંપનીએ 399 રૂપિયાથી માંડીને 1499 રૂપિયાની વચ્ચે ટેરિફની સાથેના જિયો પોસ્ટપેઇડ પ્લાન ઓફર કર્યા છે, જે 24 સપ્ટેમ્બરથી જિયો સ્ટોર્સ અને હોમ ડિલિવરીના માધ્યમથી ઉપલબ્ધ થશે, વળી આમાં એક્ટિવેશન પણ ફ્રી છે.

ભારતી ઇન્ફ્રાટેલના ચેરમેન અખિલ ગુપ્તાએ કહ્યું હતું કે કામચલાઉ રીતે ફ્લોર પ્રાઇઝ નિર્ધારિત કરવાથી ઉદ્યોગની નાણાકીય સ્થિતિને જાળવી રાખવા માટે મદદ મળે છે, વળી આગામી ત્રણથી ચાર વર્ષ માટે એક કમસે કમ કિંમતો નિર્ધારિત હોવી જોઈએ. જેમ-જેમ પરિસ્થિતિ સામાન્ય થતી જાય એને બંધ કરવામાં આવવી જોઈએ.

બોલીવૂડ નિર્માતા અનુરાગ કશ્યપ સામે બળાત્કારની ફરિયાદ કરાઈ

મુંબઈઃ એક અભિનેત્રીએ પોતાની પર બળાત્કાર કર્યાની હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા-દિગ્દર્શક અનુરાગ કશ્યપ સામે મુંબઈ પોલીસમાં કાયદેસર ફરિયાદ નોંધાવી છે.

આ અભિનેત્રી પાયલ ઘોષ છે અને તે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનય માટે જાણીતી છે. અંધેરી (વેસ્ટ) ઉપનગરના વર્સોવા પોલીસ સ્ટેશને અભિનેત્રીની ફરિયાદને પગલે FIR ફાઈલ કરી છે. હવે કશ્યપની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે.

પોલીસના જણાવ્યા મુજબ, અભિનેત્રી પાયલે ગયા શનિવારે એક ટ્વીટ કર્યું હતું કે કશ્યપે એની જાતીય સતામણી કરી હતી.

કશ્યપે તે આક્ષેપોને રદિયો આપ્યો હતો. એમને તેમની ભૂતપૂર્વ પત્ની કલ્કી કોએચલીન સહિત બોલીવૂડની અનેક હસ્તીઓએ ટેકો આપ્યો છે.

અભિનેત્રીનાં વકીલે વર્સોવા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે કશ્યપ સામે બળાત્કાર, ગેરકાયદેસર રીતે ગોંધી રાખવા અને સ્ત્રીનો વિનયભંગ કરવાની કલમ હેઠળ એફઆઈઆર નોંધી હતી. સાતપુતેએ બાદમાં એમના વેરીફાઈડ ટ્વિટર એકાઉન્ટ પર આ જાણકારી આપતું ટ્વીટ પણ કર્યું હતું. એમાં તેમણે પાયલ ઘોષને ટેગ કરી છે.

પોલીસે ફરિયાદી મહિલાનું નિવેદન રેકોર્ડ કર્યું છે. તેનો આરોપ છે કે કશ્યપે 2013ની સાલમાં વર્સોવા વિસ્તારમાં આવેલા યારી રોડ સ્થિત એમના નિવાસસ્થાને તેની પર બળાત્કાર કર્યો હતો.

અભિનેત્રીએ આ પહેલાં એવો આરોપ મૂક્યો હતો કે કશ્યપે એની છેડતી કરી હતી.

પોલીસે કહ્યું કે હવે આ સંબંધમાં પૂછપરછ માટે કશ્યપને બોલાવવામાં આવશે.

ગયા શનિવારે તે અભિનેત્રીએ પોતાનાં ટ્વીટમાં વડા પ્રધાનના કાર્યાલય અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને કશ્યપ સામે પગલું ભરવાની વિનંતી કરી હતી. મહિલાઓનાં અધિકારોનાં રક્ષણ માટે રચાયેલ રાષ્ટ્રીય પંચનાં અધ્યક્ષા રેખા શર્માએ પણ તરત જ એના પ્રતિસાદમાં ટ્વીટ કરીને લખ્યું હતું કે અભિનેત્રી મને આ વિશે વિગતવાર ફરિયાદ મોકલી શકે છે.

આ છે પાયલનું તે ટ્વીટ…

અનુરાગ કશ્યપે ‘ગુલાલ’, ‘દેવ.ડી’, ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘બોમ્બે ટોકિઝ’, ‘અગ્લી’, ‘રામન રાઘવ 2.0’, ‘મુક્કાબાઝ’, ‘મનમરઝિયાં’ જેવી ફિલ્મો બનાવી છે.

કોરોના સંક્રમિતોની સંખ્યા 56 લાખને પારઃ સિરમે વેક્સિનનું ઉત્પાદન શરૂ કર્યું

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 56 લાખને પાર થયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 83,527 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1085 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત 21 દિવસથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 55,62,663 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 90,020 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 45,87,613 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,68,377 પહોંચી છે. રિકવરી રેટ વધીને 80 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.60 ટકા થયો છે.

સિરમે વેક્સિનનું ઉત્પાદન શરૂ કર્યું

સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ભારતમાં કોવિડ-19 વેક્સિનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ વેક્સિન ઉત્પાદનના મામલામાં દુનિયાની સૌથી મોટી કંપની છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના કોરોના વેક્સિન પ્રોજેક્ટમાં પાર્ટનર છે અને ભારતમાં આ વેક્સિનનું ટ્રાયલ કરાવી રહ્યું છે. ઓક્સફોર્ડની વેક્સિન સફળ થશે તો ભારતમાં તેની ઉપલબ્ધતામાં કોઈ મુશ્કેલી આવશે નહીં. આ કંપનીએ એસ્ટ્રાઝેનકા નામની એ કંપની સાથે ટાઇ-અપ કરી રાખ્યું છે, જે ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને વેક્સિન તૈયાર કરી રહી છે. ઓક્સફોર્ડનો પ્રોજેક્ટ સફળ થવાની સાથે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા વેક્સિનના 100 કરોડ ડોઝ તૈયાર કરશે. જેમાં 50 ટકા ભારત માટે હશે અને 50 ટકા ગરીબ અને મધ્યમ આવકવાળા દેશો માટે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

અમેરિકાના આર્થિક વિકાસની તાકાત ભારતીય-અમેરિકનોઃ બિડેન

વોશિંગ્ટનઃ ભારતીય મૂળના અમેરિકનોની આકરી મહેનત અને ઉદ્યોગ સાહસિકતાને લીધે અમેરિકાનો મજબૂત આર્થિક વિકાસ થયો છે અને દેશમાં સાંસ્કૃતિક ગતિશીલતા રાખવામાં મદદ મળી છે, એમ ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ અને ડેમોક્રેટિક પક્ષના રાષ્ટ્રપતિના ઉમેદવાર જો બિડેને કહ્યું હતું. ભારતીય મૂળના અમેરિકનો દ્વારા આયોજિત નેશનલ વર્ચ્યુઅલ ફંડ એકત્ર કરવાના આયોજિત એક કાર્યક્રમને સંબોધતાં બિડેને સમુદાયના સભ્યો અને મોટા દાનવીરોને આશ્વાસન આપ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ બનશે તો H-1B વિઝા મામલે અને કાયદેસરના ઇમિગ્રન્ટ્સ માટે ઘટતું કરશે અને અમેરિકાના ઉજ્જવળ ભવિષ્ય માટે નિર્ણય લેશે.

ભારતીય મૂળના અમેરિકન સમુદાયે દેશ માટે શું કર્યું છે એ વિચારો, એમ કહેતાં તેમણે કહ્યું હતું કે ઉદ્યોગ સાહસિકોએ દેશ અને વિદેશમા વેપાર-ધંધા ચલાવી રહ્યા છે અને જે સિલિકોન વેલીનો પાયો નાખ્યો છે અને વિશ્વની સૌથી પ્રભાવશાળી કંપનીઓનું નેતૃત્વ કર્યું છે, એમ વાઇસ પ્રેસિડેન્ટે કહ્યું હતું.

તમે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ગતિશીલતા બનાવી રાખવામાં મદદ કરી છે. આપણે કોણ છીએ, આપણે દેશના ઇમિગ્રન્ટ્સ છીએ, એમ તેમણે કહ્યું હતું.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે H-1B, વંશીય અન્યાય અથવા જળવાયુ સંકટ પર ટ્રમ્પે વિરુદ્ધ પગલાં ભર્યાં છે. આ બાબતોને રાષ્ટ્રપતિને સારા નહીં ખરાબ બનાવે છે, એમ તેમણે કહ્યું હતું. એ માતા-પિતા પણ અહીં આવ્યાં ત્યારે જેવું ભવિષ્ય હતું, એવું જ ભવિષ્ય તેમનાં બાળકો માટે વિચારે છે ત્યારે તેમને આશ્ચર્ય થાય છે.

રાષ્ટ્રપતિ (બનીશ તો) તરીકે હું તમને વચન આપું છું કે હું તમારા માટે સૌથી સારું કરીશ, આ રોગચાળાને હરાવીશ અને અર્થતંત્રને પાટે ચઢવામાં મદદ કરીશ, આપણાં બાળકોને સારું શિક્ષણ મળે અને સ્વાસ્થ્ય સેવાઓ માટે અધિકાર નહીં વિશેષાધિકાર છે, ઇમિગ્રેશન પદ્ધતિમાં સુધારા કરીશ, જેથી દેશનું અર્થતંત્ર મજબૂત બને, અમારાં મૂલ્યોને દર્શાવે છે, એમ તેમણે કહ્યું હતું.

ભૂતપૂર્વ અમેરિકી વાઇસ પ્રેસિડન્ટના પ્રવક્તા રેમી યમામોટોના જણાવ્યાનુસાર 268 લોકોએ આમાં ભાગ લીધો હતો. હજી અમે ભારતીય મૂળના અમેરિકનોએ અમેરિકાના આર્થિક ગ્રોથમાં કેટલું યોગદાન આપ્યું એ વિશે પર્યાપ્ત વાતચીત નથી કરી શક્યા, એમ તેમણે કહ્યું હતું. ભારતીય અમેરિકનોના સાંસ્કૃતિક, સામાજિક અને પારિવારિક મૂલ્યોની પ્રશંસા કરી હતી, બિડેને કહ્યું હતું કે અમેરિકાના આર્થિક વિકાસ માટે ભારતીય-અમેરિકનોનું યોગદાન મોટું છે, જેથી તેઓ તેમને બહુ મહત્ત્વ આપે છે.

 

 

 

મુંબઈમાં સપ્ટેમ્બરમાં અનરાધાર વરસાદઃ 24 કલાકમાં 286.4 મિ.મી. પાણી ખાબક્યું

મુંબઈઃ શહેર અને ઉપનગરોમાં મંગળવાર મોડી સાંજથી પડેલા અને આખી રાત ચાલુ રહેલા ધોધમાર વરસાદને કારણે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને લોકલ ટ્રેન સેવા સ્થગિત થઈ ગઈ. મુંબઈમાં સપ્ટેમ્બર મહિનામાં કોઈ એક જ દિવસમાં આટલો બધો વરસાદ પડ્યો હોય એવું છેલ્લા 39 વર્ષોમાં અમુક જ વાર બન્યું છે.

મંગળવારે સવારે 8.30 વાગ્યાથી લઈને બુધવારે સવારે 8.30 વાગ્યા સુધીના 24 કલાકમાં કુલ 286.4 મિ.મી. વરસાદ પડ્યો હતો. વર્તમાન મોસમમાં ઉપનગરોમાં આ સૌથી વધારે વરસાદ પડ્યો છે અને છેલ્લા 26 વર્ષોમાં (1994-2020) સપ્ટેમ્બર મહિનામાં 24-કલાકના ગાળામાં પડેલો આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. જ્યારે 1974થી 2020 સુધીના વર્ષો દરમિયાન સપ્ટેમ્બરમાં 24-કલાકની દ્રષ્ટિએ આ ચોથા નંબરનો સૌથી વધુ વરસાદ થયો છે.

2016ની 20 સપ્ટેમ્બરે મુંબઈમાં એક જ દિવસમાં 303.7 મિ.મી. વરસાદ પડ્યો હતો. તે પહેલાં, 1993ની 23 સપ્ટેમ્બરે 312.4 મિ.મી. વરસાદ પડ્યો હતો અને 1981ની 23 સપ્ટેમ્બરે 318.2 મિ.મી. વરસાદ પડ્યો હતો, જે અત્યાર સુધીનો વિક્રમ છે.

આટલો બધો વરસાદ અતિવૃષ્ટિ વખતે પડતો હોય છે.

મુંબઈમાં સમગ્ર મોસમમાં કોઈ એક જ દિવસમાં સૌથી વધારે વરસાદનો ઓલટાઈમ રેકોર્ડ છે 2005ની સાલની 26 જુલાઈનો, જ્યારે 24 કલાકમાં 39 ઈંચ વરસાદ પડ્યો હતો. આખું શહેર પૂરગ્રસ્ત બન્યું હતું.

રેલવેના પાટા પર પાણી ભરાતાં પશ્ચિમ અને મધ્ય, બંને વિભાગ પર ટ્રેન સેવા સ્થગિત કરી દેવી પડી છે.

પશ્ચિમ રેલવેએ જાહેરાત કરી છે કે ચર્ચગેટ અને અંધેરી વચ્ચે અનેક જગ્યાએ પાટા પર પાણી ભરાવાથી આ બે સ્ટેશન વચ્ચે ટ્રેન સેવા હાલ સ્થગિત કરવામાં આવી છે. અંધેરી અને વિરાર વચ્ચે ટ્રેન સેવા ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસના ફેલાવાને કારણે લોકલ ટ્રેનોમાં હાલ સામાન્ય જનતાને પ્રવાસ કરવા દેવાતો નથી. માત્ર સરકારી કર્મચારીઓ તથા આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને જ પ્રવાસ કરવા દેવામાં આવે છે.

પરંતુ, વરસાદ, રસ્તાઓ જળબંબાકાર થવાથી અને લોકલ ટ્રેન સેવા સ્થગિત કરાતાં કામ પર નીકળેલાં કર્મચારીઓને ભારે હાલાકી વેઠવી પડી છે.

મધ્ય રેલવેના સાયન, પરેલ સ્ટેશનો ખાતે પણ પાટા પર પાણી ભરાઈ જતાં લોકલ ટ્રેન સેવા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

મધ્ય મુંબઈના સાયન (શીવ) સ્ટેશનનું દ્રશ્ય

હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે પણ ભારે વરસાદ પડી શકે છે. તેથી મહાનગરપાલિકા તરફથી ટ્વિટરના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવી છે કે ખાસ કામ હોય તો જ ઘરની બહાર નીકળવું.

મહાપાલિકાએ તેના ટ્વિટર પરથી જાહેરાત કરી છે કે દક્ષિણ મુંબઈના ભેંડીબજાર, ગોળ દેવળ, નાના ચોક, મુંબઈ સેન્ટ્રલ જંક્શન, બાવલા કમ્પાઉન્ડ, જે.જે. જંક્શન, હિંદમાતા, કાલાચોકી, સારથી બાર, વરલી સી ફેસ વિસ્તારોમાં પાણી ભરાયા છે.

તમામ વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે.

 

૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦

૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦