Home Blog Page 4297

ફાઇઝરની કોરોના વેક્સિન ફેઝ-3 ટ્રાયલમાં 90 ટકા અસરકારક

નવી દિલ્હીઃ કોરોના વાઇરસની વેક્સિન બનાવવામાં વ્યસ્ત ફાઇઝરે જણાવ્યું હતું કે ત્રીજા તબક્કામાં કોવિડ-19 વેક્સિન 90 ટકા અસરકારક છે. કંપનીએ જણાવ્યું હતું કે વેક્સિન ડેટા પર પ્રારંભિક નજર રાખવાથી માલૂમ પડે છે વેક્સિન કોવિડ-19ને અટકાવવા માટે 90 ટકા અસરકારક છે. કંપનીએ કહ્યું હતું કે કંપની આ મહિનના અંત સુધીમાં અમેરિકી નિયામકોની સાથે વેક્સિનને ઇમર્જન્સીમાં ઉપયોગમાં લેવા માટે અરજી કરવા માટે ટ્રેક પર છે.

વિશ્વમાં કોરોનાના કેસો પાંચ કરોડને પાર

વિશ્વભરમાં કોવિડ-19 વૈશ્વિક રોગચાળાના મામલા પાંચ કરોડને પાર થઈ ગયા છે. કોવિડ-19ના મામલા પર નજર રાખતી અમેરિકી યુનિવર્સિટી જોન હોપકિન્સના જણાવ્યાનુસાર રવિવારે વિશ્વમાં કોરોના વાઇરસના કેસો વધીને 5.2 કરોડને પાર થયા છે.

વિશ્વભરમાં વાઇરસથી 12 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર કોવિડ-19થી સૌથી પ્રભાવિત અમેરિકામાં સંક્રમણના 98 લાખથી વધુ કેસો નોંધાયા છે અને 2,37,000થી વધુ લોકોનાં મોત થયાં છે.

યુનિવર્સિટીના અનુસાર અમેરિકામાં કોવિડ-19નો કેર હજી પણ જારી છે. શનિવારે 1.26 લાખથી વધુ કેસો સામલે આવ્યા છે અને 1000થી વધુ લોકોનાં મોત થયાં છે.

 

 

 

‘કોમ્પ્યુટર પ્રોગ્રામર’ તરીકે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ

અમદાવાદઃ અમદાવાદ સ્થિત ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના બીજા ધોરણના એક વિદ્યાર્થી અર્હમ ઓમ તલસાણિયાએ છ વર્ષની ઉંમરે શક્તિશાળી પાયથન પ્રોગ્રામિંગ લેન્ગવેજની પરીક્ષા પાસ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પરીક્ષા 23 જાન્યુઆરી, 2020એ માઇક્રોસોફ્ટ દ્વારા પ્રમાણિત પિયર્સન વુ ટેસ્ટ સેન્ટરમાં યોજવામાં આવી હતી. અનેક એન્જિનિયરો માટે અઘરી ગણાતી આ પરીક્ષાને આ તેજસ્વી વિદ્યાર્થીએ પાસ કરીને વિશ્વના સૌથી નાની વયના કોમ્પ્યુટર પ્રોગ્રામનું બિરુદ મેળવ્યું છે.

‘માઇક્રોસોફ્ટ ટેક્નોલોજી એસોસિયેટ’ તરીકે ઓળખ

અર્હમે પાકિસ્તાન મૂળના અને હાલ બ્રિટનમાં રહેતા સાત વર્ષના મુહમ્મદ હમજા શહેજાદનો અગાઉનો ગિનિસ રેકોર્ડ તોડ્યો હતો. આ પરીક્ષામાં 1000માંથી 700 માર્ક્સ મેળવવાના રહે છે. અર્હમ હાલ સાત વર્ષનો છે, પણ જ્યારે તેણે પરીક્ષા આપી ત્યાતે તે છ વર્ષનો હતો. તેણે પરીક્ષામાં 1000માંથી 900 માર્ક્સ મેળવીને માઇક્રોસોફ્ટ ટેક્નોલોજી એસોસિયેટ તરીકે ઓળખ મેળવી હતી.

પોતાની સ્કૂલના વિદ્યાર્થીએ મેળવેલી સફળતા વિશે સ્કૂલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોકસીએ જણાવ્યું હતું કે અમારા માટે આ ગૌરવની ક્ષણ છે. છ વર્ષની ઉમરે અર્હમ જે લોજિકલ સ્ટ્રક્ચર અને કોડિંગ એક્સપર્ટાઇઝ ધરાવે છે એ અભૂતપૂર્વ છે. અમે એક તેજસ્વી પ્રતિભાને ઊભરતી જોઈ રહ્યા છીએ અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

અર્હમના માતાપિતા બંને સોફ્ટવેર એન્જિનિયર છે. તેને વિડિયો ગેમ્સ રમવાનો ખૂબ શોખ હતો અને તે પોતાની વિડિયો ગેમ બનાવવા માગતો હતો, જેથી તેણે પાયથન શીખવાનું શરૂ કર્યું હતું. આ નાનકડો કોમ્પ્યુટર પ્રોગ્રામર તેના પિતાને આદર્શ માને છે. હાલ અર્હમ પોતાની વિડિયો ગેમ બનાવી રહ્યો છે.

 

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનાં અસ્થિઓનું વિસર્જન

વેરાવળઃ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના અસ્થિ વિસર્જન આજે ત્રિવેણી સંગમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ. કેશુભાઈ પટેલના પરિવારજનો-સ્વજનો, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર, સાથે ટ્રસ્ટના અધિકારી-કર્મચારીઓ, પ્રભાસપાટણના અગ્રણીઓ,તીર્થ પુરોહિતો સહિત લોકો જોડાયા હતા.

સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે અસ્થિ વિસર્જન વિધિ દરમિયાન કેશુભાઈ પટેલના ત્રણે પુત્રો ભરતભાઈ, અશોકભાઈ અને મહેશભાઈ હાજર રહ્યા હતા. આ સાથે જ તેમના દીકરી સોનલબહેન અને જમાઈ મયૂરભાઈ પણ હાજર રહ્યા હતા. તેમના અસ્થિ વિસર્જન વિધિ સ્વ. કેશુભાઈ પટેલના 50 જેટલા પરિવારના સભ્યો જોડાયા હતા.

29 ઓક્ટોબર જ ગુજરાતના 10મા મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનું નિધન થયું હતું. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલને  શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં અચાનક તેમનું નિધન થયું હતું.

 

 

 

 

PM મોદીએ વારાણસીને રૂ. 700 કરોડની દિવાળી ગિફ્ટ આપી

વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીને સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીને દિવાળીએ કરોડો રૂપિયાની ભેટ આપી છે. વડા પ્રધાને વર્ચ્યુઅલ કોન્ફરન્સ દ્વારા આશરે રૂ. 700 કરોડથી વધુની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે કાશીમાં જે પણ કંઈ થઈ રહ્યું છે, એ બાબા વિશ્વનાથની કૃપાથી થઈ રહ્યું છે. હવે કાશી આરોગ્ય સુવિધાનું હબ બની રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું. વોકલ માટે લોકલ બનવા અપીલ

હવે કાશી આરોગ્ય સુવિધાનું હબ બની રહ્યું છે. કાશીએ મેં જે માગ્યું છે, મને મન ભરીને આપ્યું છે, પણ મેં મારા માટે કંઈ નથી માગ્યું. હું અપીલ કરું છું કે તમે લોકલ સામાનનો જ પ્રયોગ કરો. માત્ર દીવા ખરીદવા એ જ લોકલ નથી,એમ તેમણે કહ્યું હતું.

કોરોના કાળમાં પણ કાશી અટકી નથી, સતત કામ જારી છે, યુપીમાં કોરોના કાળમાં પણ વિકાસ કાર્ય અટક્યું નથી. એટલા માટે યોગીજીની ટીમને બહુ અભિનંદન. વારાણસીમાં શહેર-દેહાતની વિકાસ યોજનાઓમાં સંસ્કૃતિ-આધુનિકતાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

સ્થાનિક રોજગાર વધશે

કાશીમાં હવે ઘાટોની તસવીર બદલાઈ રહી છે, જે યોજનાઓનો પ્રારંભ થઈ રહ્યો છે, એનાથી સ્થાનિક રોજગાર વધશે, ગામ, ગરીબ અને ખેડૂત આત્મનિર્ભર ઝુંબેશના સૌથી મોટા સ્તંભ અને લાભાર્થી છે. હાલમાં જે કૃષિ સુધારો થયો છે, એનાથી ખેડૂતોને સીધો લાભ થવાનો છે. ખેડૂતોના નામ પર ખેડૂતોની મહેનત હડપ કરનારા વચેટિયાઓની સિસ્ટમને દૂર કરવામાં આવી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

કાશીમાં મોટી સમસ્યા લટકતા વીજળીના તારોની છે, પણ આજે કાશીનું એક મોટું ક્ષેત્ર એનાથી મુક્ત થયું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે પહેલાં અહીં 12 ફ્લાઇટ ચાલતી હતી, પણ હવે ચાર ગણ ફ્લાઇટ ચાલે છે. કાશીના ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચરના વિકાસમાં અહીં રહેતા અને બહારથી આવતા લોકોને લાભ થઈ રહ્યો છે.

ગામમાં રહેતા લોકોને ગામની જમીન, ગામનું ઘર, કાનૂની અધિકાર આપવા માટે સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે. ગામોમાં ઘર-મકાનને લઈને જે વિવાદ થતા હતા, આ યોજનાથી મળેલા પ્રોપર્ટી કાર્ડ પછી એની ગુંજાઇશ નહીં રહે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

BSEનો ત્રિમાસિક કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 28 ટકા વધ્યો

મુંબઈઃ દેશના અગ્રણી શેરબજાર BSEએ તેની 30 સપ્ટેમ્બર, 2020એ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની કામગીરી જાહેર કરી છે, જે મુજબ BSEનો શેરહોલ્ડર્સને વહેંચણીપાત્ર કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ. 36.69 કરોડથી 28 ટકા વધીને રૂ. 46.81 કરોડ થયો છે. વ્યાજ, વેરા અને ઘસારા પૂર્વેનો કોન્સોલિડેટેડ કાર્યકારી નફો રૂ. 22.34 કરોડ થયો છે. આગલા વર્ષના સમાન ગાળાના રૂ.8.39 કરોડની કાર્યકારી ખોટ હતી, એ જોતાં આ વર્ષે કાર્યકારી નફામાં રૂ.30.73 કરોડનો વધારો થયો છે.

 

એક્સચેન્જના સ્ટાર MF પ્લેટફોર્મ પર ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા આગલા વર્ષના સમાન ગાળાના 2.50 કરોડથી 60 ટકા વધીને ચાર કરોડની થઈ છે.

ઈક્વિટી સેગમેન્ટમાં દૈનિક સરાસરી ટર્નઓવર આગલા વર્ષના 30 સપ્ટેમ્બર પૂરા થતા છ મહિનાના રૂ. 2563 કરોડથી 44 ટકા વધીને સપ્ટેમ્બર, 2020ના અંતે રૂ.3,703 કરોડ થયું છે.

30 સપ્ટેમ્બર, 2020ના અંતે પૂરા થયેલા છ મહિનામાં SIPની સંખ્યામાં 195 ટકાનો વધારો થયો છે. 30 સપ્ટેમ્બર, 2020ના અંતે પૂરા થયેલા છ મહિનામાં 6.19 લાખ SIP રજિસ્ટર થઈ હતી, જે આગલા વર્ષના સમાન ગાળામાં 2.10 લાખ નોંધવામાં આવી હતી.

 

 

ફાધર વાલેસ સાથે એક સંસ્કૃતિની ય વિદાય

કેટલાક લોકો એવી પ્રતિજ્ઞા લે છે કે રોજ કોઇ એક સુકૃત્ય કરવું જેથી કંઇ નહીં તો એટલું સારું સ્મરણ દિવસમાં રહે અને એક શુભ કાર્યના પૂણ્યથી આખો દિવસ સારો ગયો એમ કહી શકાય. દિવસ ગમે તેવો ગયો હોય પણ તેને માથે એક સુકૃત્યનો ચાંલ્લો આવ્યો એટલે આખો દિવસ પવિત્ર બન્યો…..કોઇ વિશિષ્ટ કૃત્યની જરુર નથી, કોઇ સોનાની ઇંટની જરુર નથી. હોય તો સારું છે…પણ એ ન હોય તોય દિવસને મંગળ કહીશું. દરેક કાર્ય હોવું જોઇએ તેવું હોય, એટલું જ જરુરી છે. ખાવાનું તો ખાવાનું અને વાંચવાનું તો વાંચવાનું. વાતચીત તો વાતચીત અને પ્રાર્થના તો પ્રાર્થના. દરેક પોતાના સમયે થાય, પોતાની રીતે થાય, આનંદથી થાય…….દરેકમાં ધ્યાન દરેકથી સંતોષ…એ રીતે સારો દિવસ થાય. એ રીતે સારું જીવન જીવાય. આજનો દિવસ એવો જીવીએ…

આ ગદ્યાંશ છે ‘આજનો દિવસ’ નામના એક નિબંધનો. અને એ લખ્યો હતો ફાધર વાલેસે. આવી રીતે, પોતે જેવું લખ્યું એવું ફ્કત દિવસો જ નહીં પરંતુ પૂરા 95 વર્ષ જીવનારા ફાધર વાલેસનું આજે અવસાન થયું. એક એવું વ્યક્તિત્વ, જેને કોઇ પરિચયની જરુર નથી. ગુજરાતીઓ એમને સવાયા ગુજરાતી તરીકે ઓળખે છે. એમણે ગુજરાતી ભાષા અને ગુજરાતને પ્રેમ કર્યો છે, તો ગુજરાતીઓએ એમને હંમેશા પોતીકાં ગુજરાતી જ ગણ્યા છે.

25 નવેમ્બર, 1920ના રોજ જન્મેલા ફાધર ગુજરાતી ભાષાને હંમેશા માતૃતૂલ્ય ગણતા. જે લોકો ગુજરાતી લખી-વાંચી શકે છે એ લોકોની આંખે આ નામ ન ચડ્યું હોય તો જ નવાઇ. ગુજરાતી પ્રજાની એક નહીં, કદાચ બે બે જનરેશન એમને વાંચીને મોટી થઇ છે. એમના નિબંધો, કેળવણી વિશેના લેખો, શિક્ષણ પ્રથા માટેનું ચિંતન એવું ઘણું ઘણું છે, જે આજે પણ એટલું જ મૂલ્યવાન છે. વાંચવાની બહુ ટેવ ન હોય તો પણ સ્કૂલમાં ગયેલા વિદ્યાર્થીને ‘ભાષા જાય તો સંસ્કૃતિ જાય’ એવો એમનો નિબંધ યાદ જ હોય….

 

કાર્લોસ જી. વાલેસ એમનું મૂળ નામ, પણ જગત ઓળખે એમને ફાધર વાલેસના નામે. વતની એ સ્પેનના, પરંતુ રહ્યા ગુજરાતમાં. અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણાવ્યું. આમ તો એ સ્પેનના કે ગુજરાતના એવું કહેવું જ ખોટું. એ ખરા અર્થમાં વિશ્વ નાગરિક હતા. ગ્લોબલ પર્સન. 1949માં ચોવીસ વર્ષની ઉંમરે એ ભારત આવ્યા. ગ્રીક લિટરેચર અને ફિલોસોફીની ડીગ્રી એમની પાસે હતી. શબ્દોનો આ માણસ ચેન્નઇમાં આંકડા ભણ્યો એટલે કે ગણિતની ડીગ્રી લીધી. 1 મે 1960ના દિવસથી અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત વિષયનું અધ્યાપન શરુ કર્યું. ગુજરાત અને ગુજરાતી ભાષા સાથેના એક યાદગાર સંબંધના મંડાણ થયા એ દિવસથી.

ગુજરાતી ભાષા, વિવિધ ધર્મોના પણ અભ્યાસુ જીવ. ફાધર વાલેસે ગણિત વિષયની સમજૂતી સરળતાથી મળે એવા પુસ્તકો ગુજરાતીમાં લખ્યા. અંગ્રેજી ભાષાના અનેક શબ્દો આપણને એમની પાસેથી ગુજરાતી રુપે મળ્યા. આપણે એમને નિબંધકાર તરીકે, ભાષાકર્મી તરીકે ઓળખીએ છીએ, પરંતુ ગણિત એમનો મુખ્ય અને રસનો વિષય હતો અને સંશોધન તથા અનુવાદનો પણ. અમદાવાદમાં સાઇકલ પર એમને ફરતા જોનાર લોકો આજે પણ મોજુદ છે.

ઝેવિયર્સ કોલેજે ફાધર વાલેસને એમના નેવુંમા જન્મદિવસની શુભેચ્છા પાઠવવા આજથી પાંચેક વર્ષ પહેલાં ઓનલાઇન સેલિબ્રેશન કર્યું હતું. વિદ્યાર્થીઓએ એમને સ્પેનિશમાં શુભેચ્છા પાઠવી તો એમણે જવાબ ગુજરાતીમાં આપેલા!

ગુજરાતના મોટા ગજાના સાહિત્યકાર, ગદ્યકારની સાથે, સમકક્ષ એમનું નામ પૂરા આદરથી લેવાતું આવ્યું છે. 1966 માં એમને કુમાર ચંદ્રક અને 1978 માં ગજુરાતી સાહિત્યનો સર્વોચ્ચ ગણાતો રણજિરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. ગુજરાતી વ્યાકરણ પર પણ એમણે સરસ પુસ્તક લખ્યું છે. એમનું ‘લગ્ન સાગર’ નામનું પ્રચલિત પુસ્તક હિન્દુ સંસ્કૃતિ, લગ્ન સંસ્કારની એક શ્રેષ્ઠ કહી શકાય એવી રેફરન્સ બુક છે.

(જ્વલંત છાયા-રાજકોટ)

કોરોનાના 45,903 નવા કેસ, 490નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 85 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 45,903 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 490 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 85,53,657 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,26,611  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 79,17,373 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 48,405 દર્દીઓ ઠીક થયા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,09,673એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.32 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

દિલ્હીમાં કોરોનાનો કેર

દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 7745 નવા કેસ સામે આવ્યા છે આથી કુલ કેસની સંખ્યા વધીને 4,38,529 સુધી પહોંચી ગઈ છે. આ દરમ્યાન 6069 દર્દી સાજા પણ થયા. અત્યાર સુધી કુલ 3,89,683 દર્દી સાજા થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 77 દર્દીનાં મોત થયા છે આથી અત્યાર સુધીમાં કુલ 6989 લોકોના મોત થઈ ગયાં છે.

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 50,754 ટેસ્ટ કરાવ્યા, જેથી કરીને અત્યાર સુધીમાં કુલ 50,99,774 ટેસ્ટ કરાવી ચૂકયા છે

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

ટ્રમ્પને બેવડો મારઃ મેલાનિયા સાથે ડિવોર્સની શક્યતા

લંડનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં રાજકીય મોરચે ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડનથી હારનો સામનો કરી રહેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘરમાં પણ મુશ્કેલીઓનો સામનો કરે એવી શક્યતા છે. આવનારા દિવસોમાં ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયા ટ્રમ્પની વચ્ચે છૂટાછેડા થાય એવી શક્યતા છે. વ્હાઇટ હાઉસ છોડવાની સાથે મેલાનિયાની યોજના ટ્રમ્પનો સાથ છોડવાની છે.

ડેલી મેઇલના ભૂતપૂર્વ સહયોગીએ દાવો કર્યો

ડેલી મેઇલે મેલાનિયાના એક ભૂતપૂર્વ સહયોગીના હવાલેથી આ દાવો કર્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મેલાનિયા ટ્રમ્પ પોતાની હાર સ્વીકાર કરવાની અને વ્હાઇટ હાઉસ છોડવાની રાહ જોઈ રહી છે. બાઇડનથી હાર્યા પછી ટ્રમ્પે સત્તાવાર રીતે પોતાની હારનો સ્વીકાર નથી કર્યો. બલકે ડેમોક્રેટ ઉમેદવાર ચૂંટણીમાં ગેરરીતિ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટ્રમ્પના ભૂતપૂર્વ સહયોગી ઓમારોસા મેનીગોલ્ટ ન્યુમેને કહ્યું હતું કે મેલાનિયા માત્ર ટ્રમ્પના વ્હાઇટ હાઉસથી નીકળવાની ઘડીની રાહ જોઈ રહી છે. ટ્રમ્પના બહાર જવાની સાથે બંને વચ્ચે ડિવોર્સ થવાની શક્યતા છે.

બંને વચ્ચે તાલમેલ નથી

ભૂતપૂર્વ સહયોગીનું કહેવું છે કે ટ્રમ્પ અને મેલાનિયાની વચ્ચે લગ્ન ટ્રાન્ઝેક્શનલ છે અને બંનેની વચ્ચે બધું સમુસૂતરું નથી. ટ્રમ્પ અને મેલાનિયાની વચ્ચે જો ડિવોર્સ થશે તો બંનેના 15 વર્ષ જૂના લગ્નનો સંબંધ પૂરો થઈ જશે. ન્યુમેને વધુમાં કહ્યું હતું વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પના રહેતાં મેલાનિયા જો તેમને છોડીને ચાલી જાય છે તો એવામાં ટ્રમ્પ તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરે એવી સંભાવના છે.

લગ્ન તૂટ્યા પછી એગ્રીમેન્ટ પર કામ કરી રહી છે મેલાનિયા

ભૂતપૂર્વ સ્લોવની-અમેરિકી મોડલ લગ્ન તૂટ્યા પછી એગ્રીમેન્ટ પર કામ કરી રહી છે, એમ ટ્રમ્પના ભૂતપૂર્વ સહયોગી સ્ટેફની વોલકોફના હવાલેથી અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. એ ઇચ્છે છે કે તેમણે ટ્રમ્પના પુત્ર બેરનને મિલકતમાં સમાન હિસ્સો મળે. રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ આવી ગયા હતા, પણ મેલાનિયા આશરો પાંચ મહિના પછી ન્યુ યોર્કથી વોશિંગ્ટન પહોંચી હતી. અહેવાલો મુજબ મેલાનિયા પોતાના પુત્રનું શિક્ષણ પૂરું કરવા માટે ન્યુ યોર્ક રોકાયાં હતાં.

વર્ષ 2005માં મેલાનિયા અને ટ્રમ્પનાં લગ્ન થયાં હતાં

મેલાનિયા અને ટ્રમ્પના લગ્ન 2005માં થયાં હતાં. લગ્નના એક વર્ષ પછી 2006માં બેરનનો જન્મ થયો હતો. મેલાનિયા માર્ચ, 2001થી અમેરિકી નાગરિક છે. મેલાનિયાના હવાઇટ પહોચ્યા પછી બંનેના સંબંધો સામાન્ય નહોતા રહ્યા. ટ્રમ્પ અને મેલાનિયાની વચ્ચે મનભેદ પહેલાં પણ આવી ચૂક્યા છે. મેલાનિયા હંમેશાં ટ્રમ્પની સાથે ઊભેલા નજરે ચઢ્યાં છે. 2016ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં તેમણે જોરશોરથી પ્રચાર કર્યો હતો અને સભાઓમાં ટ્રમ્પની સાથે હતાં, પણ 2020માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં તેઓ ટ્રમ્પની સામે ઓછા દેખાયાં હતાં. વળી, ચૂંટણીના અંતિમ તબક્કામાં મેલાનિયા એક રીતે ગાયબ જ હતાં.

 

 

 

 

પહેલીવાર ફાઈનલમાં પહોંચવાનો આનંદ થયો છેઃ ઐયર

અબુ ધાબીઃ દિલ્હી કેપિટલ્સને આખરે પહેલી જ વાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચાડવામાં કેપ્ટન શ્રેયસ ઐયરને સફળતા મળી છે. ગઈ કાલે અહીં આઈપીએલ-13ની ક્વાલિફાયર-2 મેચમાં દિલ્હી ટીમે ડેવિડ વોર્નરના નેતૃત્ત્વવાળી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમને 17-રનથી પરાજય આપ્યો હતો.

દિલ્હી કેપિટલ્સે પોતાના હિસ્સાની 20 ઓવરમાં 3 વિકેટે 189 રન કર્યા હતા. જેમાં શિખર ધવને 78, હેટમેયરે અણનમ 42, સ્ટોઈનીસે 38 રનનું યોગદાન આપ્યું હતું.

તેના જવાબમાં, સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 172 રન જ કરી શકી હતી. કેન વિલિયમ્સનનો 67- રનનો લડાયક સામનો ફોગટ ગયો હતો. દિલ્હીના ફાસ્ટ બોલર કેગીસો રબાડાએ 29 રનમાં 4 વિકેટ લીધી હતી, પણ સ્ટોઈનીસ બોલિંગમાં પણ ઝળક્યો હતો અને 26 રનમાં 3 વિકેટ લઈને મેન ઓફ ધ મેચ બન્યો હતો.

હવે 10 નવેમ્બરે દુબઈમાં રમાનાર આઈપીએલ-13 ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ગયા વર્ષના ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. આ જ ટીમ સામે ક્વાલિફાયર-1 મેચમાં દિલ્હીનો પરાજય થયો હતો. બંને ટીમ ફરી આમનેસામને આવી છે.

ગઈ કાલની મેચ બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું કે, ટીમ પહેલી વાર આઈપીએલ ફાઈનલમાં પહોંચી છે એનાથી ખૂબ જ આનંદની લાગણીનો અનુભવ થાય છે.

ફાઈનલ સુધીની અમારી સફર રોલર-કોસ્ટર જેવી રહી. ઘણા ઉતાર-ચડાવ આવ્યા, પણ અમારી ટીમ એક પરિવારની જેમ સંગઠિત બનીને રહી. ફાઈનલ મેચ પણ આવી જ રોમાંચક હશે એવી આશા રાખું છું. મુંબઈ ઈન્ડિયન્સ સૌથી બળવાન ટીમ છે. અમે એની સામે મુક્તપણે રમીશું.

હૈદરાબાદ ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરે કહ્યું હતું કે, દિલ્હી સામેની મેચમાં અમારી ફિલ્ડિંગ બહુ નબળી હતી. આવી ફિલ્ડિંગ સાથે ટુર્નામેન્ટ જીતી શકાય નહીં.

પ્યારની વાત – ૯ નવેમ્બર, ૨૦૨૦

પ્યારની વાત – ૯ નવેમ્બર, ૨૦૨૦