Home Blog Page 349

2025માં પાંચ IPOએ 77 ટકાથી 135 ટકા સુધીનું રિટર્ન આપ્યું

અમદાવાદઃ વર્તમાન વર્ષ IPO માર્કેટ માટે મિશ્ર રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધી કુલ 107 મેઈનબોર્ડ IPO લિસ્ટ થયા છે. તેમાંના 56 શેરો IPO પ્રાઈસની સરખામણીએ નફામાં ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 51 શેરો પોતાના ઈશ્યુ પ્રાઈસથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે, એટલે કે લગભગ 48 ટકા  IPOએ હાલ સુધી નેગેટિવ રિટર્ન આપ્યુ છે.

વર્ષ 2025માં એવા પાંચ IPO રહ્યા છે જેમાં ઈશ્યુ પ્રાઈસની સરખામણીએ 77 ટકાથી 135 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. ચાલો જાણીએ…

2025ના ટોપ 5 સુપરહિટ IPO

  1. આદિત્ય ઇન્ફોટેક

IPO પ્રાઈસની સરખામણીએ રિટર્ન: 127 ટકા

આદિત્ય ઇન્ફોટેકનો શેર 5 ઓગસ્ટે સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઈસ બેન્ડ રૂ. 675 હતો, જ્યારે લિસ્ટિંગ દિવસે શેર રૂ. 1083 પર બંધ થયો. એટલે કે લિસ્ટિંગ દિવસે જ આશરે 60 ટકાનો ઉછાળો જોવા મળ્યો. હાલ શેરનો ભાવ રૂ. 1531 છે, જે IPO પ્રાઈસથી 127 ટકા વધુ છે.

  1. સ્ટેલિયન ઈન્ડિયા ફ્લોરોકેમિકલ્સ

IPO પ્રાઈસની સરખામણીએ રિટર્ન: 135 ટકા

સ્ટેલિયન ઈન્ડિયા ફ્લોરોકેમિકલ્સનો શેર 23 જાન્યુઆરીએ લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઈસ બેન્ડ રૂ. 90 હતી, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર રૂ. 126 પર બંધ થયો હતો. એટલે લિસ્ટિંગના દિવસે આશરે 40 ટકાનો ઉછાળો રહ્યો. હાલ શેરનો ભાવ રૂ. 211 છે, જે IPO પ્રાઈસથી 135 ટકા વધુ છે.

  1. એથર એનર્જીઃ

IPO પ્રાઈસની સરખામણીએ રિટર્ન: 125 ટકા

એથર એનર્જીનો શેર 6 મેએ લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઈસ બેન્ડ રૂ. 321 હતી, પરંતુ લિસ્ટિંગ દિવસે શેર  રૂ. 302 પર બંધ થયો, એટલે આશરે 6 ટકાનો ઘટાડો થયો હતો. હાલ શેરનો ભાવ રૂ. 722 છે, જે IPO પ્રાઈસથી 125 ટકા વધુ છે.

  1. મીશો લિ.

IPO પ્રાઈસની સરખામણીએ રિટર્ન: 77 ટકા

મીશોનો શેર 10 ડિસેમ્બરે લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઈસ બેન્ડ રૂ. 111 હતી, જ્યારે લિસ્ટિંગ દિવસે શેર રૂ. 170 પર બંધ થયો. એટલે આશરે 53 ટકાનો ઉછાળો જોવા મળ્યો. હાલ શેરનો ભાવ રૂ.197 છે, જે IPO પ્રાઈસથી 77 ટકા વધુ છે.

  1. બેલરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ

IPO પ્રાઈસની સરખામણીએ રિટર્ન: 92 ટકા

બેલરાઈઝ ઇન્ડસ્ટ્રીઝનો શેર 28 મેએ લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઈસ બેન્ડ રૂ. 90 હતી, જ્યારે લિસ્ટિંગ દિવસે શેર રૂ. 97 પર બંધ થયો. એટલે આશરે 8 ટકાનો ઉછાળો થયો. હાલ શેરનો ભાવ રૂ. 173 છે, જે IPO પ્રાઈસથી 92 ટકા વધુ છે.

કરણ જોહરને પોતાની પ્રતિભા પર ઉઠ્યો સવાલ, શા માટે?

રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. કરણ જોહરે ફિલ્મ વિશે કેટલીક ટિપ્પણીઓ કરી છે જે ચર્ચાનો વિષય બની છે. નિર્માતા-દિગ્દર્શક કરણે એવું તે શું કહ્યું?

આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ‘ધુરંધર’ રિલીઝ થયાના 25 દિવસ પછી પણ સિનેમાઘરોમાં રહે છે અને બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં 1000 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મને સેલિબ્રિટીઓ તરફથી પણ પ્રશંસા મળી છે. હવે નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે ફરી એકવાર ધુરંધરની પ્રશંસા કરી છે. તે કહે છે કે આ ફિલ્મે તેને પોતાની પ્રતિભા પર પ્રશ્ન ઉઠાવવા મજબૂર કરી દીધો.

અનુપમા ચોપરા સાથેની એક રાઉન્ડટેબલ મુલાકાતમાં કરણ જોહરે ફરીવાર ‘ધુરંધર’ ની પ્રશંસા કરી. 2025માં પોતાનો સિનેમેટિક અનુભવ શેર કરતા કરણે કહ્યું કે તેના માટે વર્ષ અહાન પાંડે અને અનિત પદ્દાની “સૈયારા” થી શરૂ થયું અને “ધુરંધર” સાથે સમાપ્ત થયું. તેણે કલ્યાણી પ્રિયદર્શન અભિનીત મલયાલમ ફિલ્મ “લોકા ચેપ્ટર 1: ચંદ્રા” ની પણ ખુલ્લેઆમ પ્રશંસા કરી. તેણે કહ્યું,’લોકા’ જોયા પછી હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

ધુરંધરની પ્રશંસા કરતા કરણ જોહરે કહ્યું, “ધુરંધરે મને સંપૂર્ણપણે મંત્રમુગ્ધ કરી દીધો. તેને જોઈને મને એવું લાગ્યું કે મારી કલા મર્યાદિત છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો કેટલો અદ્ભુત ઉપયોગ. મને ધુરંધર વિશે જે ગમ્યું તે એ હતું કે દિગ્દર્શકે પોતાની કારીગરી બતાવવાનો પ્રયાસ કર્યો ન હતો. મને લાગ્યું કે તે દેખાડો કરી રહ્યો નથી, છતાં તે વાર્તા સરળતાથી કહી રહ્યો હતો. મને ક્યારેય એવું લાગ્યું નહીં કે તેણે ઘણા બધા વાઇડ એંગલનો ઉપયોગ કર્યો છે અથવા કોઈ અદભુત ફ્રેમ બતાવવાનો પ્રયાસ કર્યો છે. મને લાગ્યું કે તે કોઈપણ ઢોંગ વિના સુંદર રીતે શૂટ કરવામાં આવ્યું છે. તેનાથી મને એક ફિલ્મ નિર્માતા તરીકે મારી પોતાની ક્ષમતાઓ પર પ્રશ્ન થાય છે, અને તે હંમેશા મારા માટે સારી વાત છે.”

ધુરંધર બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત આ સ્પાય-થ્રિલરમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલ, સંજય દત્ત અને સારા અર્જુન મુખ્ય ભૂમિકામાં છે. બોક્સ ઓફિસ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કરતી આ ફિલ્મે ભારતમાં 700 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તેનું વિશ્વવ્યાપી કલેક્શન પણ 1,000 કરોડને વટાવી ગયું છે.

ગુજરાતના સાણંદમાં હિંસા: બે જૂથો વચ્ચે પથ્થરમારો, 40 થી વધુ ધરપકડ

ગુજરાતના સાણંદ તાલુકાના કલાણા ગામમાં પથ્થરમારો થયો હોવાના અહેવાલ છે. સોમવાર રાત્રે અને મંગળવારે સવારે જૂની દુશ્મનાવટને લઈને બે જૂથો વચ્ચે તણાવ હિંસામાં ફેરવાઈ ગયો હતો. આ વિવાદ સોશિયલ મીડિયા પોસ્ટથી શરૂ થયો હોવાના અહેવાલ છે, જેના કારણે બંને પક્ષના યુવાનો વચ્ચે ઉગ્ર દલીલ અને ઝઘડો થયો હતો.

મીડિયા અહેવાલો અનુસાર, પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે ગામમાં પથ્થરમારો શરૂ થયો, જેનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ ગ્રામીણ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક (SP) અને DySPનો સમાવેશ થાય છે, ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા.

ગામમાં શાંતિ જાળવવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, અને સઘન કોમ્બિંગ ઓપરેશન ચાલી રહ્યું છે. હિંસાના ડરથી, ઘણા ગ્રામજનો તેમના ઘરો છોડીને સુરક્ષિત સ્થળોએ ગયા છે, જેના કારણે ગામના ઘણા ભાગો શાંત સ્થિતિમાં છે.

પોલીસે આ ઘટનાના સંદર્ભમાં અત્યાર સુધીમાં 40 થી વધુ લોકોની અટકાયત કરી છે, અને બંને પક્ષો દ્વારા ક્રોસ-ફરિયાદો દાખલ કરવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે હિંસામાં સામેલ કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં, અને સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવનારાઓ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળે છે, પરંતુ સાવચેતી તરીકે સુરક્ષા દળો તૈનાત છે.

રોહિત શર્મા અને કોહલીને લઈને ભૂતપૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો દાવો

રોહિત શર્મા અને વિરાટ કોહલી હાલમાં ફક્ત ODI ફોર્મેટમાં સક્રિય છે. બંને દિગ્ગજોએ 2024 T20 વર્લ્ડ કપ પછી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લીધી હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ વિરાટ કોહલી અને રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. જ્યારે આ દિગ્ગજ જોડીએ મે મહિનામાં અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, ત્યારે આ નિર્ણયથી સમગ્ર ક્રિકેટ જગત ચોંકી ગયું. હાલમાં, ‘રો-કો’ ફક્ત ODI ફોર્મેટમાં ભારત માટે રમી રહ્યું છે.

શું રો-કોને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ફરજ પડી હતી?

તેમની યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત એક વિડિઓમાં, રોબિન ઉથપ્પાએ દાવો કર્યો હતો કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બિલકુલ સ્વાભાવિક નથી લાગતી. તેમણે કહ્યું કે આ અચાનક નિર્ણય પાછળના વાસ્તવિક કારણની ચર્ચા કરવાનું બંને ખેલાડીઓ પર નિર્ભર છે, પરંતુ તેમને લાગે છે કે આ નિર્ણય બળજબરીથી લાગે છે.

ઉથપ્પાએ કહ્યું, મને ખબર નથી કે તે બળજબરીથી શરણાગતિ હતી કે નહીં, પરંતુ તે સ્વાભાવિક રીતે વિદાય જેવું બિલકુલ લાગતું નથી. તે બંને પોતાના સમયમાં સત્ય જાહેર કરશે. પરંતુ મને નથી લાગતું કે તે સ્વાભાવિક નિર્ણય હતો.
રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ ખૂબ જ આઘાતજનક હતું. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન બાદ, બંનેએ લાંબા વિરામ પછી રણજી ટ્રોફીમાં પાછા ફર્યા હતા જેથી તેઓ પોતાની ટેસ્ટ કારકિર્દી આગળ વધારી શકે. જોકે, આ હોવા છતાં, બંનેએ મે મહિનામાં રહસ્યમય રીતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. દરમિયાન, ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા શુભમન ગિલને નવા ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ઉથપ્પાએ વધુમાં કહ્યું, “જ્યારે રોહિત ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રન બનાવી રહ્યો ન હતો, ત્યારે મેં વિચાર્યું કે તેણે છ મહિનાનો વિરામ લેવો જોઈએ અને તેની ફિટનેસ પર કામ કરવું જોઈએ. મને વિશ્વાસ હતો કે રોહિત ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં મજબૂત વાપસી કરશે. પરંતુ એવું થયું નહીં.”

પશ્ચિમ બંગાળના લોકો ઘૂસણખોરીને લઈને ચિંતિતઃ શાહ

કોલકાતાઃ ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળ સરકાર પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના લોકો ઘૂસણખોરીને લઈને ચિંતિત છે, પરંતુ મમતા બેનર્જી ચૂંટણીલાભ માટે બાંગ્લાદેશી ઘૂસણખોરીને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે કહ્યું હતું કે ભાજપની સરકાર બનશે ત્યારે માત્ર ઘૂસણખોરોની ઓળખ જ નહીં કરવામાં આવે, પરંતુ તેમને બહાર પણ કાઢવામાં આવશે.

શાહે દાવો કર્યો કે પશ્ચિમ બંગાળના અર્થતંત્રમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે અને ઉદ્યોગો રાજ્ય છોડીને જઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસે ભય અને હિંસાના રાજકારણમાં વામપંથીઓને પણ પાછળ છોડી દીધા છે. તેમણે કહ્યું હતું કે 2026માં પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે અને ભાજપ પૂર્વી સરહદોથી ઘૂસણખોરી રોકશે તથા સત્તામાં આવ્યાના બાદ બંગાળના પુનરુત્થાનને સુનિશ્ચિત કરશે.

તેમણે કહ્યું હતું કે બંગાળની જનતાએ કોંગ્રેસ, વામપંથી અને તૃણમૂલને શાસન કરવાની તક આપી છે. હવે હું તેમને ભાજપને એક તક આપવા માટે અપીલ કરું છું.

હું પશ્ચિમ બંગાળના નાગરિકોને આશ્વાસન આપવા માગું છું કે રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ રાજ્ય સરકારની તમામ હાલની યોજનાઓ ચાલુ રહેશે. અમે જે યોજનાઓનું વચન આપીએ છીએ, તે બધાને જમીન પર અમલમાં મૂકવામાં આવશે. કોમ્યુનિસ્ટોના શાસન દરમિયાન, ટીએમસીના શાસન પહેલાં, પશ્ચિમ બંગાળની પ્રતિ વ્યક્તિ આવક રાષ્ટ્રીય સરેરાશથી 127 ટકા વધુ હતી. આજે જો દેશનો નાગરિક રૂ. 100 કમાય છે, તો બંગાળનો નાગરિક માત્ર રૂ. 73 કમાય છે. મમતા સરકારને તેનો જવાબ આપવો પડશે. એક સમય હતો જ્યારે દરેક પ્રકારના ઉદ્યોગની શરૂઆત પશ્ચિમ બંગાળની જમીન પરથી થઈ હતી. આજે બંગાળમાં ભ્રષ્ટાચાર, ઘૂસણખોરી અને ટોલબાજીના કારણે સમગ્ર ઉદ્યોગ રાજ્ય છોડીને જઈ રહ્યા છે.

કેન્દ્ર સરકારની યોજનાઓ અમલમાં મૂકવામાં રાજ્ય સરકારને પોતાનો વોટબેંક ગુમાવવાનો ભય છે. પીએમ કિસાન યોજના મોડેથી લાગુ કરવામાં આવી, જેને કારણે બંગાળના ખેડૂતોને રૂ. 10,000 કરોડનું નુકસાન થયું. આયુષ્માન ભારત યોજના આજદિન સુધી લાગુ કરવામાં આવી નથી, એમ તેમણે કહ્યું હતું.

મુંબઈ બસ અકસ્માતમાં કચડાયા 13 લોકો, ચાર લોકોના મોત

મુંબઈમાં એક બસ અકસ્માતથી હોબાળો થયો છે. ભાંડુપ સ્ટેશનની બહાર એક BEST ઇલેક્ટ્રિક બસ વળાંક લઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે અચાનક કાબુ ગુમાવ્યો. અનિયંત્રિત બસ ભીડમાં ઘૂસી ગઈ અને અકસ્માત થયો. ઘટનામાં આશરે 13 લોકો અથડાયા. અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

મુંબઈના ભાંડુપમાં, એક અનિયંત્રિત BEST બસે 13 લોકોને કચડી નાખ્યા, જેમાંથી 4 લોકોના મોત થયા. જેમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. નવ લોકો ઘાયલ થયા છે અને તેમને મુંબઈની રાજવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના CCTV ફૂટેજમાં જોવા મળે છે કે કેટલાક લોકો સાડીની દુકાનની બહાર વાત કરી રહ્યા હતા. અચાનક, બસ કાબૂ બહાર ગઈ અને ભીડમાં ઘૂસી ગઈ. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે દુકાનની અંદર દોડી ગયા, પરંતુ કેટલાક બસની ટક્કરમાં ફસાઈ ગયા.

ડ્રાઇવરે ઝડપથી દોડતી બસ પર કાબુ ગુમાવ્યો

સોમવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો. BEST ઇલેક્ટ્રિક બસ ભાંડુપ સ્ટેશનની બહાર વળતી હતી ત્યારે ડ્રાઇવરે અચાનક કાબુ ગુમાવ્યો. અનિયંત્રિત બસ ભીડમાં ઘૂસી ગઈ, જેમાં આશરે 13 લોકો અથડાઈ ગયા. અકસ્માતની ગંભીરતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે ટક્કરથી લોખંડનો ઇલેક્ટ્રિક થાંભલો પણ વળી ગયો.

એક્સીલેટર આકસ્મિક રીતે દબાઈ ગયો – બસ ડ્રાઈવર

પોલીસે બસ ડ્રાઈવરની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી બસ ડ્રાઈવરે પોલીસને જણાવ્યું હતું કે તેણે વળતી વખતે ભૂલથી એક્સીલેટર દબાવ્યું હતું અને હેન્ડબ્રેક પરનો કાબુ ગુમાવ્યો હતો. પોલીસ આ દાવાની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, બસ ડ્રાઈવર દારૂના નશામાં નહોતો. પોલીસ વિસ્તારના વધારાના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.

મુખ્યમંત્રી ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અકસ્માત પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને રાજ્ય સરકાર તરફથી ₹5 લાખના વળતરની જાહેરાત કરી. તેમણે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી.

દિલ્હીનાં 21 કેન્દ્રોમાં AQI અત્યંત ખરાબઃ સમિતિની રચના

નવી દિલ્હીઃ હવામાન વિભાગ (IMD)એ દિલ્હીમાં ગાઢ ધુમ્મસને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે મંગળવારે મહત્તમ તાપમાન અંદાજે 21 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન લગભગ 8 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ અનુસાર શહેરની હવાની ગુણવત્તા મંગળવાર અને બુધવારે ‘અત્યંત ખરાબ’ શ્રેણીમાં રહેવાની શક્યતા છે, ત્યાર બાદ નવા વર્ષના દિવસે તે ફરીથી ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચવાની શક્યતા છે.

દિલ્હી, નોઇડાથી ગાજિયાબાદ સુધી નવા વર્ષનું સ્વાગત વરસાદ સાથે થવાની શક્યતા છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ પહેલી જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ અથવા ઝરમર વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે 30 ડિસેમ્બરથી પશ્ચિમી હિમાલય વિસ્તારમાં એક પશ્ચિમી વિક્ષેપ સર્જાઈ રહ્યો છે, જેને કારણે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ મેદાની વિસ્તારોમાં તેની અસર જોવા મળવાની શક્યતા છે. જ્યારે પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં 29 અને 30 ડિસેમ્બરે વરસાદ થવાની આગાહી છે.

પ્રદૂષણ સામે લડવા નિષ્ણાતોની સમિતિ

દિલ્હી સરકારે હવાની ગુણવત્તાના સંકટથી નિકળવા માટે ઉપાયો સૂચવવા નિષ્ણાતોની એક સમિતિની રચના કરી છે. સરકારની પાંચ સૂત્રીય પ્રદૂષણ નિયંત્રણ વ્યૂહરચના હેઠળ આ સમિતિ બનાવવામાં આવી છે. આ વ્યૂહરચનામાં નવા ઉપાયો અપનાવવા, ધૂળ અને ઘન કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવો, પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે કાર્યવાહી, વાહનોમાંથી થતા ઉત્સર્જનમાં ઘટાડો અને દિલ્હીને હરિત તથા સ્વસ્થ બનાવવા માટે દીર્ઘકાલીન પ્રયાસોનો સમાવેશ થાય છે.

દિલ્હીનો AQI અત્યંત ખરાબ

દિલ્હીની હવાની ગુણવત્તામાં ભલે થોડો સુધારો થયો હોય, છતાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 388 સાથે ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં નોંધાયો છે. મંગળવારની સવારે AQI 388 રહ્યો, જે સોમવારની તુલનામાં નાનો સુધારો દર્શાવે છે. સોમવારે શહેરની હવાની ગુણવત્તા 401 સાથે ‘ગંભીર’ શ્રેણીમાં હતી.

(CPCBના આંકડા અનુસાર મંગળવારે 16 હવા ગુણવત્તા મોનિટરિંગ કેન્દ્રો ‘ગંભીર’ શ્રેણીમાં હતાં, જ્યારે 21 કેન્દ્રોમાં હવાની ગુણવત્તા ‘અત્યંત ખરાબ’ શ્રેણીમાં નોંધાઈ. આંકડાઓ મુજબ જહાગીરપુરી અને આનંદ વિહારમાં હવાની ગુણવત્તા સૌથી ખરાબ રહી, જ્યાં AQIનું સ્તર 451 સુધી પહોંચી ગયું હતું.

ખાલિદા ઝિયા કોણ હતા? પતિની હત્યાથી લઈ બાંગ્લાદેશના પ્રથમ મહિલા PM બનવાની કહાની

બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન અને લશ્કરી શાસનના ચેમ્પિયન ખાલિદા ઝિયાનું મંગળવારે 80 વર્ષની વયે અવસાન થયું. ખાલિદા ઝિયાનો અવામી લીગના નેતા શેખ હસીના સાથે લાંબો ઝઘડો હતો, અને બંને નેતાઓએ બાંગ્લાદેશી રાજકારણને આકાર આપ્યો.

બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન ખાલિદા ઝિયાનું 30 ડિસેમ્બર, 2025 ના રોજ 80 વર્ષની વયે અવસાન થયું. તેમના પક્ષ, બીએનપી, એ સોશિયલ મીડિયા પોસ્ટમાં જાહેરાત કરી કે તેમનું સવારે 6 વાગ્યે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના પુત્ર, તારિક રહેમાન, 17 વર્ષના દેશનિકાલ પછી લંડનથી ઢાકા પરત ફર્યા છે.

ખાલિદા ઝિયાનું રાજકારણ

ખાલિદા ઝિયા 1991માં પહેલી વાર બાંગ્લાદેશના વડા પ્રધાન બન્યા, જેનાથી તેમને પ્રથમ મહિલા વડા પ્રધાન બનવાનો ગૌરવ પ્રાપ્ત થયો. ત્યારબાદ તેમણે 2001 થી 2006 સુધી બીજા કાર્યકાળ માટે વડા પ્રધાન તરીકે સેવા આપી. તેમના પતિ ઝિયાઉર રહેમાન 1977 થી 1981 સુધી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ રહ્યા. તેમણે 1987માં બીએનપી પાર્ટીની સ્થાપના કરી. લશ્કરી શાસકમાંથી રાજકારણી બનેલા ઝિયાઉર રહેમાનની 30 મે, 1981ના રોજ લશ્કરી બળવામાં હત્યા કરવામાં આવી હતી. તેમના પતિના મૃત્યુ પછી ખાલિદા ઝિયાની રાજકીય કારકિર્દી શરૂ થઈ.

3 જાન્યુઆરી, 1982 ના રોજ, ખાલિદા ઝિયાએ બીએનપીના સભ્ય તરીકે તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી. બાદમાં તેઓ બીએનપીના પ્રમુખ બન્યા, આ પદ તેમણે તેમના મૃત્યુ સુધી જાળવી રાખ્યું. તેઓ બાંગ્લાદેશમાં લશ્કરી શાસન સામે એક અગ્રણી અવાજ તરીકે ઉભરી આવ્યા. તેમણે લશ્કરી શાસન સામે લોકોને એક કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી.

1986માં, તત્કાલીન લશ્કરી જનરલ ઇર્શાદે રાષ્ટ્રપતિની ચૂંટણીઓની જાહેરાત કરી. ખાલિદા ઝિયાના ગઠબંધન અને શેખ હસીનાના ગઠબંધન બંનેએ તેમના માટે પ્રચાર શરૂ કર્યો. જોકે, બંને ગઠબંધનોએ પાછળથી બહિષ્કારની જાહેરાત કરી, જેનાથી ખાલિદા ઝિયાની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો. જોકે, શેખ હસીનાના નેતૃત્વ હેઠળના ગઠબંધને પાછળથી ચૂંટણીમાં ભાગ લીધો. એચ.એમ. ઇર્શાદે શેખ હસીનાને અટકાયતમાં રાખીને ચૂંટણીમાં ગોટાળો કર્યો. અંતે, ડિસેમ્બર 1990માં ઇર્શાદનું શાસન સમાપ્ત થયા પછી, કાર્યકારી સરકાર હેઠળ ચૂંટણીઓ યોજાઈ. આ ચૂંટણીઓમાં બીએનપીએ સરકાર બનાવી. ખાલિદા ઝિયાએ બંધારણમાં સુધારો કર્યો, દેશમાં સંસદીય વ્યવસ્થા લાગુ કરી અને દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન બન્યા.

શેખ હસીના સાથે લાંબા સમયથી ચાલતી દુશ્મનાવટ

ખાલિદા ઝિયાને આવામી લીગ પાર્ટીના નેતા શેખ હસીના સાથે લાંબા સમયથી દુશ્મનાવટ હતી. આ બે મહિલાઓએ દાયકાઓ સુધી બાંગ્લાદેશી રાજકારણ પર પ્રભુત્વ જમાવ્યું. બંને નેતાઓએ બાંગ્લાદેશી રાજકારણને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે, છેલ્લા ઘણા વર્ષોથી બાંગ્લાદેશી રાજકારણમાં શેખ હસીનાનું શાસન મુખ્યત્વે ખાલિદા ઝિયાના સ્વાસ્થ્યને કારણે હતું. ઝિયા લાંબા સમયથી બીમાર હતા અને સારવાર માટે વિદેશમાં ઘણો સમય વિતાવતા હતા.

 

શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા પછી, ખાલિદા ઝિયા તાજેતરમાં ઢાકા પરત ફર્યા, પરંતુ તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું હતું, અને તેઓ જાહેર જીવનથી દૂર રહ્યા. તેઓ લીવર સિરોસિસ, સંધિવા, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત અનેક સમસ્યાઓથી પીડાતા હતા. 2018 માં, ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જોકે, ખાલિદા ઝિયા અને તેમના પક્ષે આને શેખ હસીના દ્વારા રાજકીય રીતે પ્રેરિત પગલું ગણાવ્યું હતું.

2020 માં આવામી લીગ સરકારે ખાલિદા ઝિયાની તબીબી સજામાં ઘટાડો કર્યો અને તેમને નજરકેદ કરવાનો આદેશ આપ્યો. જોકે, તેમને વિદેશ પ્રવાસ કરવા અને રાજકારણમાં સક્રિય રીતે ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શેખ હસીનાને સત્તા પરથી દૂર કર્યા પછી જ આ પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા. આ વર્ષના જાન્યુઆરીમાં, બાંગ્લાદેશની વચગાળાની સરકારે ખાલિદા ઝિયાને સારવાર માટે વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી આપી હતી. વચગાળાની સરકાર સત્તામાં આવ્યા પછી, ખાલિદા ઝિયા સામેના તમામ આરોપો ધીમે ધીમે રદ કરવામાં આવ્યા હતા, અને તેમને ભ્રષ્ટાચારના કેસોમાં પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

ખાલિદા ઝિયાનો જન્મ 15 ઓગસ્ટ, 1946ના રોજ અવિભાજિત ભારતના દિનાજપુર જિલ્લામાં થયો હતો. તેમની માતાનું નામ તૈયબા હતું અને તેમના પિતાનું નામ ઇસ્કંદર મજુમદાર હતું. ખાલિદાનો પરિવાર જલપાઇગુડીમાં ચાના વેપાર સાથે સંકળાયેલો હતો અને દિનાજપુર સ્થળાંતરિત થયો હતો. 1960માં ખાલિદા ઝિયાએ આર્મી કેપ્ટન ઝિયાઉર રહેમાન સાથે લગ્ન કર્યા, જે પાછળથી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બન્યા. 1983માં જ્યારે ખાલિદા બીએનપીના વડા બન્યા, ત્યારે તેમના પક્ષના ઘણા વરિષ્ઠ નેતાઓએ તેમની ક્ષમતાઓ પર શંકા વ્યક્ત કરીને પક્ષ છોડી દીધો. જોકે, ખાલિદા પાછળથી ફરી એક થઈ અને પક્ષને મજબૂત બનાવ્યો. ખાલિદા ઝિયાની સરકાર દરમિયાન બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધો બહુ સારા નહોતા, અને ખાલિદા ઝિયાએ જ ચીન અને ઇસ્લામિક દેશો સાથે બાંગ્લાદેશના સંબંધો મજબૂત કર્યા હતા. જોકે, તેમણે બે વાર ભારતની મુલાકાત લીધી હતી.

ખાલિદા ઝિયાના પુત્ર, તારિક રહેમાન, જે હવે બીએનપીના કાર્યકારી અધ્યક્ષ છે, ગયા અઠવાડિયે બાંગ્લાદેશ પાછા ફર્યા. તેમના બીજા પુત્રનું 2015 માં હૃદયરોગના હુમલાથી અવસાન થયું.

કન્નડ અભિનેત્રી નંદિની સીએમે કરી આત્મહત્યા કરી

બેંગલુરુઃ તમિળ અને કન્નડ ટીવીની અભિનેત્રી નંદિની સીએમે બેંગલુરુમાં પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી છે. પોલીસને એક દુઃખદ સુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર તેમની ડાયરીમાં પરિવારના દબાણને કારણે અભિનય છોડીને સરકારી નોકરી સ્વીકારવા અંગેના તણાવના સંકેતો મળ્યા છે.

નંદિનીના પિતાનું નિધન વર્ષ 2021માં થયું હતું. પિતાના નિધન બાદ 2023માં તેમને સહાનુભૂતિને આધારે તાલુકા કચેરીમાં સરકારી નોકરીની ઓફર આપવામાં આવી હતી, પરંતુ પરિવારની ઇચ્છા હોવા છતાં નંદિનીએ આ નોકરી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને પોતાના અભિનયનાં સપનાંઓને આગળ વધારવાનો નિર્ણય લીધો. ઓગસ્ટ, 2025માં તે ‘ઇન્સ્ટા લિવિંગ પીજી’માં રહેવા માટે શિફ્ટ થઈ હતી

પોલીસ રિપોર્ટ અનુસાર 28 ડિસેમ્બર, 2025ની રાત્રે લગભગ 11:23 વાગ્યે નંદિનીએ રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો હતો. જ્યારે તે ફોન કોલ્સનો જવાબ આપી નહોતી રહી, ત્યારે પીજી મેનેજરની મદદથી દરવાજો તોડવામાં આવ્યો. અંદર તેઓ બારીની ગ્રિલ સાથે દુપટ્ટાની મદદથી લટકેલી હાલતમાં મળી આવી હતી.

તમિળ ટીવી ઇન્ડસ્ટ્રીમાં નંદિનીને તેની સિરિયલ ગૌરીમાં ભજવેલા રોલ માટે ઓળખવામાં આવતી હતી. આ સિરિયલમાં તેના પાત્રે ઝેર પી લીધું હતું. આ ઉપરાંત નંદિનીએ કન્નડ ટીવી સીરિયલ્સ જેમ કે “જીવા હૂવાગિડે, મધુમાગલુ, “નેનેડે ના* અને સંઘર્ષમાં પણ કામ કર્યું હતું.

 પોલીસ તપાસમાં શું સામે આવ્યું

પોલીસે સુસાઇડ નોટને મુખ્ય પુરાવા તરીકે માન્યા છે અને તેની તપાસ ચાલી રહી છે. કેંગેરી પોલીસ સ્ટેશનમાં આ મામલે BNSS એક્ટ, 2023ની કલમ 194 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ અનુસાર, નંદિનીનું મૃત્યુ 28 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર વચ્ચે થયું હોવાનું માનવામાં આવે છે. પોલીસને આ ઘટનાની જાણ સવારે લગભગ 9:15 વાગ્યે કરવામાં આવી હતી.

નંદિનીનું શિક્ષણ

નંદિનીએ વર્ષ 2018માં બલ્લારીમાંથી પોતાની PUC (પ્રી-યુનિવર્સિટી કોર્સ) પૂર્ણ કરી હતી. ત્યાર બાદ તેણે ચિત્તકબનાવારા સ્થિત આરઆર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો, પરંતુ બાદમાં તે અધવચ્ચે છોડ્યો હતો. નંદિનીના નિધનને લઈને તેમના અનેક ચાહકો અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ શોક વ્યક્ત કર્યો છે.

બાંગ્લાદેશનાં પ્રથમ મહિલા PM બેગમ ખાલિદા જિયાનું નિધન

નવી દિલ્હીઃ બાંગ્લાદેશનાં પ્રથમ મહિલા PM અને મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)નાં પ્રમુખ બેગમ ખાલિદા જિયાનું 80 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી ગંભીર બીમારીઓથી પીડિત હતાં. તેમના નિધન સાથે બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસનો એક મહત્વપૂર્ણ યુગ પૂર્ણ થયો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ખાલિદા જિયાની તબિયત અત્યંત નાજુક હતી. ઢાકાની એવરકેર હોસ્પિટલના ડોક્ટરો અનુસાર તેઓ લિવર સિરોશિસ, ફેફસાંમાં ચેપ, ગંભીર આર્થરાઇટિસ, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીઓથી પીડિત હતાં. તબિયત વધુ બગડતાં તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતાં. ડોક્ટરોના તમામ પ્રયત્નો છતાં તેમના શરીરનાં અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

જ્યારે પણ બાંગ્લાદેશનો રાજકીય ઇતિહાસ લખાશે, તેમાં ખાલિદા જિયાનું નામ નિશ્ચિત રીતે સામેલ થશે. બાંગ્લાદેશના રાજકારણ અને તેની રાજકીય કહાણીઓ તેમના વિના અધૂરી છે. તેમના સમર્થકો પણ હતાં અને સમાલોચકો પણ, પરંતુ તેમને અવગણવા કોઈ માટે શક્ય નહોતું.

ખાલિદા જિયાનો જન્મ 1945માં પશ્ચિમ બંગાળમાં થયો હતો. 15 વર્ષની વયે તેમનાં લગ્ન આર્મી ઓફિસર જિયાઉર રહમાન સાથે થયાં હતાં. જિયાઉર રહમાને 1971માં પાકિસ્તાનથી સ્વતંત્ર થવાનો સંકલ્પ લીધો હતો અને બાંગ્લાદેશનું અસ્તિત્વ ઊભું થયું. 1977માં જિયાઉર રહમાન સેના પ્રમુખ બની ચૂક્યા હતા અને તે સમયે સૈન્ય સત્તા પર કાબૂમાં હતું. આવી સ્થિતિમાં જિયાઉર રહમાને પોતાને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ જાહેર કર્યા. જિયાઉર રહમાનનું નિધન બાંગ્લાદેશની કિસ્મત બદલનાર સાબિત થયું.

એક ઐતિહાસિક રાજકીય સફર

ખાલિદા જિયાએ 1991માં બાંગ્લાદેશનાં પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે પદ સંભાળ્યું હતું. તેઓ કુલ ત્રણ વખત દેશનાં વડા પ્રધાન રહ્યાં. તેમની અને શેખ હસીનાની વચ્ચેની રાજકીય પ્રતિસ્પર્ધાને ‘બેટલ ઓફ બેગમ્સ’ તરીકે ઓળખવામાં આવતી હતી, જે દાયકાઓ સુધી બાંગ્લાદેશના રાજકારણને પ્રભાવિત કરતી રહી.

1981માં તેમના પતિ અને રાષ્ટ્રપતિ જિયાઉર રહમાનની હત્યા બાદ તેમણે રાજકીય જવાબદારી સંભાળી અને સૈન્ય શાસન સામેના લોકશાહી આંદોલનની પ્રતીક બની હતી.