Home Blog Page 2958

મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 29 એપ્રિલ સુધી વધી

નવી દિલ્હીઃ દિલ્હીની આબકારી નીતિના કૌભાંડ મામલે ભૂતપૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ફરી એક વાર વધારવામાં આવી છે. મનીષ સિસોદિયા હવે 27 એપ્રિલ સુધી CBIની કસ્ટડીમાં અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં 29 એપ્રિલ સુધી રહેશે. દિલ્હીમાં દારૂ નીતિ મામલે ED મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે.

CBIએ કોર્ટને જણાવ્યું હતું કે કૌભાંડથી જોડાયેલા ભ્રષ્ટાચારના મામલે તપાસ મહત્ત્વના તબક્કામાં છે. સિસોદિયાને 2021-22 માટે આબકારી નીતિ તૈયાર કરવા અને તેમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર માટે ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હીની દારૂ નીતિ કેસમાં અનિયમિતતાને લઈને CBIએ 17 ઓગસ્ટ, 2022એ કેસ નોંધ્યો હતો. દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએની 26 ફેબ્રુઆરીએ CBIએ આઠ કલાક પૂછપરછ પછી ધરપકડ કરી હતી.સાત દિવસ પછી CBI રિમાન્ડ પછી કોર્ટે છઠ્ઠી માર્ચે સિસોદિયાને 14 દિવસની ન્યાયિક ધરપકડ કર્યા પછી તિહાર જેલમાં મોકલ્યા હતા. EDએ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનથી દારૂ નીતિ કેસથી જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરી હતી. જેલમાં જ એજન્સીએ સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી.  

બીજી બાજુ, રવિવારે CBIએ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની સાડા નવ કલાક પૂછપરછ કરી હતી. એજન્સીએ 56 સવાલ કર્યા હતા. EDની ટીમે જણાવ્યું હતું કે નવી દારૂ નીતિ બનાવવામાં સાઉથ દિલ્હીના વેપારીઓથી રૂ. 100 કરોડની લાંચ લેવામાં આવી હતી. આ મામલે EDએ છઠ્ઠી માર્ચે હૈદરાબાદના બિઝનેસમેન અરુણ રામચંદ્ર પિલ્લઈ ને અમનદીપ ઢલની ધરપકડ કરી હતી.

 

 

 

પંદરમી મેથી એનએસઈમાં ડબ્લ્યુટીઆઈ ક્રૂડ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટનું ટ્રેડિંગ શરૂ થશે

મુંબઈ: અમેરિકાના ટેક્સાસના વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ આધારિત ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ શરૂ કરવાની મંજૂરી સેબી પાસેથી પ્રાપ્ત થઈ છે, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જે જણાવ્યું છે. એક્સચેન્જના કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ડબ્લ્યુટીઆઈ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ ટ્રેડિંગ માટે દાખલ કરવામાં આવ્યા છે. 15 મે, 2023થી આ કોન્ટ્રેક્ટ્સ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. ટ્રેડિંગ સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 9 વાગ્યાથી રાત્રે 11.30 કે 11.55 વાગ્યા સુધી (યુએસ ડેલાઈટ સેવિંગ ટાઈમિંગ અનુસાર) થશે, એમ એક્સચેન્જે અખબારી યાદીમાં જણાવ્યું છે.

આ પ્રત્યેક  કોન્ટ્રેક્ટ્સનું 100 બેરલના ગુણાંકમાં ટ્રેડિંગ થશે, જેની મહત્તમ ઓર્ડર સાઈઝ 10,000 બેરલની છે. ટીક સાઈઝ રૂ.1 છે અને બેરલદીઠ ભાવ ક્વોટ થશે.

ભારતીય શેર બજારમાં આજનો દિવસ નિરાશાજનક રહ્યો

ત્રણ દિવસની રજા બાદ આ સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે અત્યંત નિરાશાજનક રહ્યો હતો. ઈન્ફોસિસની આગેવાની હેઠળના આઈટી શેરોમાં ભારે ઘટાડાથી બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જોકે બજાર પણ નીચલા સ્તરેથી રિકવર થયું હતું. એક સમયે સેન્સેક્સ 1000 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં 254 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો, પરંતુ બેન્કિંગ અને એફએમસીજી શેરોમાં ખરીદીના કારણે બજાર સુધર્યું હતું અને આજના ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 520 પોઈન્ટ ઘટીને 59,910 પર 60,000ની નીચે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 121 પોઈન્ટના ઘટાડા સાથે 17,706 પોઈન્ટ પર બંધ થયો હતો.

આજના ટ્રેન્ડમાં બેન્કિંગ, એફએમસીજી, એનર્જી, ઓટો, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા છે. જ્યારે આઈટી, ફાર્મા, હેલ્થકેર જેવા સેક્ટરના શેર ઘટાડા સાથે બંધ થયા હતા. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 4.71 ટકા અથવા 1334 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સ શેર્સમાં ખરીદારી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 ઉંચા અને 14 નીચામાં બંધ રહ્યા હતા. જ્યારે નિફ્ટીના 50માંથી 31 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 19 નુકસાન સાથે બંધ થયા હતા.

તેજીવાળા શેરો

આજના કારોબારમાં નેસ્લે 4.03 ટકા, પાવર ગ્રીડ 2.29 ટકા, SBI 2.04 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.37 ટકા, કોટક મહિન્દ્રા 1.31 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.26 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે ઈન્ફોસિસ 9.40 ટકા, ટેક મહિન્દ્રા 5.25 ટકા, એચસીએલ ટેક 2.72 ટકા ઘટીને બંધ થયા હતા.

રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો

આજના ટ્રેડિંગ સેશનમાં પણ રોકાણકારોની સંપત્તિના આંકડામાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. BSE પર લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂ. 265.94 લાખ કરોડ થયું છે, જ્યારે અગાઉના ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 265.93 લાખ કરોડ હતું.

શિક્ષણ ભરતી કૌભાંડ : CBIએ TMC નેતા અભિષેક બેનર્જીને પાઠવ્યું સમન્સ

TMC નેતા અભિષેક બેનર્જીને સોમવારે શિક્ષણ ભરતી કૌભાંડમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે. તેમને આવતીકાલે એટલે કે મંગળવારે કોલકાતાના નિઝામ પેલેસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની પૂછપરછ કરવા તપાસ એજન્સીઓને નિર્દેશ આપતા કલકત્તા હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી.

સીબીઆઈએ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડના સંબંધમાં સોમવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ અભિષેક બેનર્જીને સમન્સ મોકલ્યા છે. તેમને મંગળવારે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. અગાઉ, સુપ્રીમ કોર્ટે સોમવારે સવારે કલકત્તા હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો, જેમાં પશ્ચિમ બંગાળ પોલીસને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં ન આવે તેવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, TMC સાંસદ અભિષેક બેનર્જી સુપ્રીમ કોર્ટના આદેશોનું કથિત ઉલ્લંઘન કરવા બદલ કોર્ટની અવમાનનાનો કેસ દાખલ કરી શકે છે. તમને જણાવી દઈએ કે સીબીઆઈ અને ઈડી પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડની તપાસ કરી રહી છે. આ કેસમાં ટીએમસીના ત્રણ ધારાસભ્યો પાર્થ ચેટર્જી, માણિક ભટ્ટાચાર્ય અને જીવન કૃષ્ણ સાહાની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના ઘણા પૂર્વ અધિકારીઓ અને ટીએમસીના ઘણા નેતાઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

શું છે મામલો?

આ કૌભાંડ 2014નું છે. તે પછી પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ (એસએસસી) એ પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી હાથ ધરી હતી. આ ભરતી પ્રક્રિયા 2016માં શરૂ થઈ હતી. તે સમયે પાર્થ ચેટર્જી શિક્ષણ મંત્રી હતા. આ મામલે કલકત્તા હાઈકોર્ટમાં અનિયમિતતાની અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.

બળાત્કારને મામલે યુવતીએ ફેરવી તોળવતાં હાઇકોર્ટ લાલઘૂમ

 લખનઉઃ બળાત્કારને મામલે અલાહાબાદ હાઇકોર્ટના તેવર એ સમયે તીખા થઈ ગયા, જ્યારે એને માલૂમ પડ્યું કે જે યુવતીએ આરોપ લગાવ્યો હતો, તેણે હવે પીછેહઠ થઈ ગઈ છે. તેણે તેના આરોપો મામલે ફેરવી તોળવ્યું હતું. જેથી હાઇકોર્ટ લાલઘૂમ થઈ ગઈ હતી હાઇકોર્ટે યોગી સરકારને આદેશ કર્યો હતો કે યુવતીને વળતર તરીકે જે રકમ આપવામાં આવી હતી, તે તત્કાળ પ્રભાવથી પરત લો. કોર્ટનું કહેવું હતું કે આ કાનૂનની મજાક છે. જનતાના પૈસા આમ જ બરબાદ ના કરવામાં આવે.

 અલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ બૃજરાજ સિંહ રેપના મામલાના આરોપીના જામીનની અરજી પર સુનાવણી કરી રહી હતી. હાઇકોર્ટને જ્યારે માલૂમ પડ્યું કે યુવતી તેના નિવેદનથી પીછેહઠ કરી રહી છે તો જજે કહ્યું હતું કે આવા મામલામાં આરોપીને જામીન પર છોડવો એ યોગ્ય છે જેથી હાઇકોર્ટે તેને જામીન પર છોડવા આદેશ કર્યો હતો. કોર્ટનું કહેવું હતું કે રેપ જેવા મામલાઓમાં આરોપ લગાવીને પીછેહઠ કરવી એ કાયદાની મજાક સમાન છે.આ મામલામાં ઉન્નાવ પોલીસની કરાયેલી ફરિયાદમાં એક સગીર યુવતીના ભાઈને આરોપી પર રેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે ફરિયાદની તપાસ કર્યા પછી પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ કોર્ટમાં મામલાની સુનાવણી શરૂ કરી હતી.

આશ્ચર્યની વાત ત્યારે જોવા મળી, જ્યારે જે ભાઈએ રેપના કેસની ફરિયાદ દાખલ કરી હતી, તે મેજિસ્ટ્રેટની સામે જઈને પોતાના નિવેદનથી ફરી ગયો હતો. આ યુવતીને કોર્ટમાં સાક્ષી માટે બોલાવવામાં આવી, ત્યારે તેણે આરોપીને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. તેનું કહેવું હતું કે તે તેની સાથે થયેલા બળાત્કારને સમયે આરોપીનો ચહેરો જોઈ નહોતી શકી.

 

 

 

IPL 2023: હાર્દિક પંડ્યાએ વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી

અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ રવિવારે રાજસ્થાન રોયલ્સની સામે IPL 2023ની 23મી મેચમાં એક વિશેષ ઉપલબ્ધિ પોતાને નામે કરી છે. પંડ્યાએ રોયલ્સની સામે 19 બોલમાં ત્રણ ચોક્કા અને એક છક્કાની મદદથી 28 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ IPLમાં એક દુર્લભ બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી અને જેક્સ કાલિસ, શેન વોટસન જેવા દિગ્ગજોની ક્લબમાં સામેલ થયો હતો. હાર્દિક ટીમ ઇન્ડિયાનો બીજો એકલો ક્રિકેટર બન્યો છે, જેણે 2000થી અથવા એનાથી વધુ રન અને 50થી વધુ વિકેટ લીધી છે.

હાર્દિક પંડ્યાથી પહેલાં આ કમાલ ચેન્નઈ સુપરકિંગ્સના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ કરી હતી. આમ તો હાર્દિક પંડ્યા IPLમાં 2000 રન અને 50 વિકેટ લેનારો  છઠ્ઠો ક્રિકેટર છે. શેન વોટસન, કિરોન પોલાર્ડ, જેક્સ કેલિસ, આંદ્રે રસલ, રવીન્દ્ર જાડેજા અને છઠ્ઠો હાર્દિક પંડ્યા છે.

હાર્દિક પંડ્યાએ IPLમાં 111 મેચોમાં આઠ અર્ધ સદીની મદદથી 2012 રન બનાવ્યા હતા. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 91 રન છે. તે 111 મેચોમાં 51 વિકેટ લઈ ચૂક્યો છે. IPL 2023ની વાત કરીએ તો હાર્દિકે ચાર મેચોમાં 49 રન બનાવ્યા છે, જેમાં RRની સામે તેણે 28 રન બનાવ્યા હતા, જે તેની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ હતી. વળી, હાલની IPLમાં તેને અત્યાર સુધી RR સામેની મેચમાં એક વિકેટ મળી છે.  હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે તેના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સને IPL ચેમ્પિયન બનાવી હતી.

 

 

 

મુંબઈના પોલીસ કમિશનર દ્વારા ડૉ. અમર કુમાર પાંડેના પુસ્તકનું વિમોચન

મુંબઈઃ રવિવારની સમી સાંજે (17 એપ્રિલે) મુંબઈના બીકેસી વિસ્તારમાં આવેલા મુંબઈ ક્રિકેટ ઍસોસિએશનના રિક્રિએશન સેન્ટરમાં શહેરના પોલીસ કમિશનર વિવેક ફણસળકરે આઈપીએસ અફસર (નિવૃત્ત) ડૉ. અમર કુમાર પાંડેના પુસ્તક ‘એ ‘ડૉન્સ નેમેસીસ’નું વિમોચન કર્યું ત્યારે આ અવસરને પોલીસ, સિવિલ સોસાયટી તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ઉપસ્થિત મહાનુભાવોએ તાળીના ગડગડાટથી વધાવી લીધો.

આ પુસ્તકમાં ડૉ. અમર કુમારે એક સમયના માફિયા ડૉન રવિ પુજારીનો પીછો પકડી એને કેવી રીતે ઝડપ્યો હતો એના સ્વાનુભવની સિલસિલાબંધ વિગતનું આલેખન કર્યું છે. વિમોચન બાદ અત્રે ઉપસ્થિત નિર્માતા રાકેશ ડાંગ અને દિગ્દર્શક ઉમેશ શુક્લાએ પુસ્તક પરથી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી.

ઉલ્લેખનીય છે કે 1990ના દાયકામાં પરદેશથી ભારતમાં એક્સટોર્શનનો કારભાર ચલાવનાર, ખાસ તો બોલિવૂડને ધાકધમકીથી ધ્રુજાવનાર ડૉન રવિ પૂજારીને છેલ્લા અઢી દાયકાથી કોઈએ જોયો નહોતો કે ન એની કોઈ તસવીર આવી હતી. આવા સંજોગોમાં એને છેક વેસ્ટ આફ્રિકાના અંતરિયાળ વિસ્તાર સેનેગલમાંથી શોધવો, શોધીને એની ઓળખ પાકી કરવી, અને એને ત્યાંથી ભારત લઈ આવીને જેલના સળિયા પાછળ ધકેલવા જેવું લગભગ અશક્ય લાગતું કાર્ય ડૉ. અમર કુમાર પાંડેએ 2020ના ફેબ્રઆરીમાં કર્યું. રવિ હાલ નવી મુંબઈની જેલમાં છે.

મૂળ બિહારના ભાગલપુરથી આવતા અને ઈન્ડિયન પોલીસ સર્વિસના 1989ના બેચના બાહોશ પોલીસ અધિકારી ડૉ. અમર કુમાર પાંડેએ આ અવસરે કહ્યું કે “રવિ પુજારીની અરેસ્ટ એ મારી કારકિર્દીનો સૌથી પડકાર રૂપ અને યાદગાર કેસ રહ્યો,” તો ‘મેરી ગો રાઉન્ડ સ્ટુડિયોઝ’ના નિર્માતા-દિગ્દર્શક તથા ‘ઓ માય ગૉડ’ જેવી નેશનલ એવૉર્ડથી સમ્માનિત ફિલ્મના ડિરેક્ટર ઉમેશ શુક્લાએ કહ્યું કે “આ એક એવી સત્ય ઘટના છે, જેના વિશે દેશ જાણે એ જરૂરી છે.” ઉમેશ શુક્લાનો ‘મેરી ગો રાઉન્ડ સ્ટુડિયોઝ’ ઉપરાંત ‘સીતા ફિલ્મ્સ ઍન્ડ પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ’ના રાકેશ ડાંગ, આશિષ વાઘ અને મધુકર વર્મા મળીને આ રોમાંચક થ્રિલરનું સર્જન કરી રહ્યા છે. ફિલ્મના કલાકાર-કસબી વિશેની વધુ માહિતી ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી

વેરાવળઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ રાજ્યના ઐતિહાસિક સોમનાથ મંદિરમાં  પૂજા-અર્ચના કરી હતી. તેમણે સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કર્યા પછી જણાવ્યું હતું કે હં ધન્યતા અનુભવી રહ્યો છું. જય સોમનાથ. તેઓ એ પછી સૌરાષ્ટ્ર-તમિળ સંગમના કાર્યક્રમમાં સામેલ થશે અને આ કાર્યક્રમનો શુભારંભ કરાવશે. 10 દિવસો સુધી ચાલનારા આ અનોખા સંગમમાં સમન્વય અને પરંપરાનો ઉત્સવ ઊજવવામાં આવશે.  તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે હું ઉત્સુક છું. સૌરાષ્ટ્ર-તમિળ સંગમ ગુજરાત અને તામિલનાડુની વચ્ચે સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધોમાં પ્રદર્શિત કરશે.

આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સિવાય તામિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિ અને કેન્દ્રીય પ્રધાન ડો. મનસુખ માંડવિયા અને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, પર્યટન મંત્રી મૂળુભાઈ બેરા અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી હાજર રહેશે. તેમણે સૌરાષ્ટ્ર-તમિળ સંગમનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે સોમવારે ભગવાન શિવની પવિત્ર ભૂમિ સદીઓ જૂના સૌરાષ્ટ્ર-તમિળ સંગમની સાક્ષી બનશે. સૌરાષ્ટ્ર-તમિળ સંગમના એક દિવસના પહેલાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે મંદિરમાં પૂરા-અર્ચના કરી હતી. આપણે બધા ભગવાન શિવની પવિત્ર ભૂમિક પર સદીઓ જૂના સૌરાષ્ટ્ર તમિળના સાક્ષી બનશે.  

તામિલનાડુથી વર્ષો પછી રાજ્યમાં આવનારા લોકો માટે વિશેષ ટ્રેનોનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ ટ્રેનો સીધી ગીર-સોમનાથ પહોંચશે. એના માટે પાછલા મહિને ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું.

 

 

 

કર્ણાટકમાં ભાજપને આંચકોઃ ભૂતપૂર્વ CM શેટ્ટાર કોંગ્રેસમાં જોડાયા

બેંગલુરુઃ કર્ણાટકમાં 10 મેએ થનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે. ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને પ્રભાવશાળી લિંગાયત નેતા જગદીશ શેટ્ટાર કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાંથી ટિકિટ નહીં મળતાં નારાજગી વ્યક્ત કર્યા પછી અસંતુષ્ટ ભૂતપૂર્વ મુખ્ય મંત્રી જગદીશ શેટ્ટારે એક દિવસ પહેલાં ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું.છ વાર વિધાનસભ્ય 67 વર્ષીય જગદીશ શેટ્ટાર કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા, કેસી વેણુગોપાલ, રણદીપ સૂરજેવાલા અને કર્ણાટકઅધ્યક્ષ ડીકે શિવકુમારની હાજરીમાં સોમવારે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા હતા. ભાજપ પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે જે લોકોએ પાર્ટી બનાવી- તેમને પાર્ટીની બહારથી બહાર કરવામાં આવી રહ્યા છે.

શનિવાર રાત્રે મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઈ અને બે કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જોશી અને ધર્મેન્દ્ર પ્રધાન સાથે વાતચીત નિષ્ફળ રહ્યા પછી શેટ્ટારે રવિવારે વિધાનસભામાં રાજીનામું આપ્યું હતું. શેટ્ટારે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે તેમને પાર્ટીએ ટિકિટ નહીં આપીને અપમાનિત કર્યા છે અને સત્તાધારી પક્ષમાં તેમની સામે એક કાવતરું રચવામાં આવ્યું હતું.

શેટ્ટારના કોંગ્રેસમાં સામેલ થવા પર કોંગ્રેસઅધ્યક્ષ ખડગેએ કહ્યું હતું કે એનાથી શક્તિ મળશે અને એકજુટતા પણ થશે. કર્ણાટકમાં જે હાલ વાતાવરણ બની રહ્યું છે, એનાથી બધા લોકો ખુશ છે અને બધા નેતા અમારી સાથે જોડાઈ રહ્યા છે. પ્રભાવશાળી લિંગાયત નેતાએ કહ્યું હતું કે કેટલાક લોકો પોતાના સ્વાર્થને કારણે તેમને ચૂંટણીમેદાનમાં નહીં ઉતારવા માગતા હતા.

 

 

 

 

કોરાનાના 9108 નવા કેસો, 24નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 9108 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 24 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,48,27,226 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,141 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,42,35,772 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 6313 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 60,313એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.13 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.68 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,08,436 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.38 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 6.78 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 4.49 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,26,522 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 198 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.