Home Blog Page 28

બિહારમાં સમ્રાટ સરકાર કરશે મદરેસાઓની તપાસ

પટનાઃ બિહારમાં મદરેસાઓને લઈને સમ્રાટ ચૌધરી સરકારે લાલ આંખ કરી છે. હવે રાજ્યની તમામ અનુદાનિત મદરસાઓની તપાસ કરવામાં આવશે. સરકારે આ માટે સત્તાવાર આદેશો જારી કરી દીધા છે. સરકારના નિર્ણય અનુસાર શિક્ષણ વિભાગે રાજ્યના તમામ જિલ્લાધિકારીઓને પત્ર મોકલી મદરસાઓની વ્યાપક તપાસ અને નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યની મદરેસાઓની તપાસ ત્રણ સભ્યોની સમિતિ દ્વારા કરવામાં આવશે. સમિતિને 10 દિવસની અંદર પોતાનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

શિક્ષણની ગુણવત્તાની સમીક્ષા કરીને તૈયાર થશે અહેવાલ

આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે તમામ મદરેસાઓમાં શિક્ષણ અને તેની ગુણવત્તાની સમીક્ષા કરીને અહેવાલ તૈયાર કરવામાં આવે અને તેને 10 દિવસની અંદર સરકારને સોંપવામાં આવે. ત્રણ સભ્યોની સમિતિ રાજ્યની તમામ મદરેસાઓની મુલાકાત લઈ ત્યાં કાર્યરત શિક્ષકો અને કર્મચારીઓની નિમણૂક, તેમની હાજરી તેમ જ શૈક્ષણિક વ્યવસ્થાની તપાસ કરશે.

RJDનો આરોપ: સમ્રાટ સરકાર એજન્ડાનું રાજકારણ કરી રહી છે

અનુદાનિત મદરેસાઓની તપાસના નિર્ણય અંગે શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીએ જણાવ્યું કે લાંબા સમયથી મદરેસાઓની તપાસ થઈ નથી. એક વખત તપાસ થયા બાદ જે ખામીઓ અને સમસ્યાઓ સામે આવશે, તેને દૂર કરવામાં આવશે. બીજી તરફ, સરકારના આ નિર્ણયની ટીકા કરતાં RJDના પ્રવક્તા એજાઝ અહમદે કહ્યું હતું કે મદરેસાઓની તપાસને નામે લોકોને શિક્ષણથી વંચિત ન રાખવામાં આવે. તેમણે આરોપ લગાવ્યો હતો કે એનડીએ સરકાર રાજ્યમાં એજન્ડા આધારિત રાજકારણ કરી રહી છે.

સરકારની જવાબદારી

સરકારી આદેશમાં જણાવવામાં આવ્યું છે કે બિહારના વિવિધ જિલ્લાઓમાં બિનસરકારી માન્યતા પ્રાપ્ત અનુદાનિત મદરસાઓ કાર્યરત છે. આ મદરેસાઓમાં નિયમિત રીતે નિયુક્ત શિક્ષકો અને કર્મચારીઓને બિહાર સરકાર દ્વારા વેતન માટે અનુદાન આપવામાં આવે છે. આથી રાજ્ય સરકારની જવાબદારી બને છે કે તે સુનિશ્ચિત કરે કે મદરસાઓમાં વિદ્યાર્થીઓ નિયમિત રીતે અભ્યાસ કરવા આવે છે અને તેમને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહ્યું છે. આ જ કારણસર મદરસાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે સ્થળ પર જઈ તપાસ (ફિઝિકલ ઇન્સ્પેક્શન) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લાડકી બહેન યોજનામાં ગેરરીતિ: 16,000 પુરુષો લેતા હતા લાભ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારની બહુચર્ચિત મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજનામાં મોટા પાયે ગેરરીતિઓ સામે આવ્યા બાદ લગભગ 80 લાખ લાભાર્થીઓને યોજનામાંથી બહાર કરવામાં આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે 16,000પુરુષોએ મહિલાને નામે અરજી કરીને યોજનાનો લાભ લીધો હતો, જ્યારે લાખો લાભાર્થીઓ ઉંમર, આવક અને અન્ય પાત્રતા માપદંડો પર ખરા ઊતરતા નહોતા. હાલમાં રાજ્યમાં આશરે 1.60 કરોડ મહિલાઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે.

મુખ્ય મંત્રી ફડણવીસે જણાવ્યું હતું કે યોજના શરૂ કરતી વખતે પાત્રતા માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી હતી, પરંતુ શરૂઆતના તબક્કામાં સ્વ-પ્રમાણપત્ર (Self Certification)ને આધારે અરજીઓ સ્વીકારવામાં આવી હતી. ત્યાર બાદ Comptroller and Auditor General of India (CAG)એ લાભાર્થીઓના ચકાસણી પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેને પગલે રાજ્ય સરકારે વ્યાપક તપાસ અને કેવાયસી અભિયાન શરૂ કર્યું હતું.

તપાસમાં સામે આવેલા ચોંકાવનારા આંકડા

સરકાર દ્વારા વિવિધ સરકારી ડેટાબેઝનું વિશ્લેષણ કર્યા બાદ અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આશરે 16,000 પુરુષોએ પોતાને મહિલા બતાવીને યોજનાનો લાભ મેળવ્યો હતો.

એ ઉપરાંત લગભગ:

  • પાંચ લાખ સરકારી કર્મચારીઓ
  • 10 લાખ આવકવેરા (ઇન્કમ ટેક્સ) દાતાઓ
  • ચારથી પાંચ લાખ એવા લાભાર્થીઓ, જેમના પરિવારો પાસે ચાર પૈડાંવાળા વાહનો છે

યોજનાના નિયમો મુજબ આ તમામ લોકો લાભ મેળવવા માટે પાત્ર નહોતા.

સરકારી આંકડા મુજબ 74,000 મહિલાઓની ઉંમર 21 વર્ષથી ઓછી હોવાનું જાણવા મળ્યું, જ્યારે લગભગ બે લાખ મહિલાઓની ઉંમર 65 વર્ષથી વધુ હતી. આ બંને વર્ગો યોજનાની પાત્રતા શરતોથી બહાર આવે છે.

ઈ-કેવાયસી ન કરાવનારાઓ સામે પણ કાર્યવાહી

તપાસમાં એ પણ સામે આવ્યું કે લગભગ 62 લાખ લાભાર્થીઓએ વારંવાર તક આપ્યા છતાં ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નહોતું. સરકારે ઈ-કેવાયસી માટેની સમયમર્યાદા ત્રણ વખત લંબાવી હતી અને લગભગ પાંચ મહિના સુધી દસ્તાવેજોની ચકાસણી માટે સમય આપ્યો હતો. તેમ છતાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ પ્રક્રિયા પૂર્ણ કરી નહોતી.

સુષ્મિતા સેનને ગોલ્ડ ડિગર કહેવા પર લલિત મોદીએ આપી પ્રતિક્રિયા

અભિનેત્રી સુષ્મિતા સેન અને લલિત મોદી એક સમયે રિલેશનશિપમાં હતા. હવે, લલિત મોદીએ તેમના સંબંધો અને સુષ્મિતા સેનને ગોલ્ડ ડિગર વ્યક્તિ કહેવા અંગે વાત કરી છે.

થોડા વર્ષો પહેલા અભિનેત્રી સુષ્મિતા સેન અને ઉદ્યોગપતિ લલિત મોદીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.આ ફોટામાં તેઓ રોમેન્ટિક ક્ષણો શેર કરતા જોવા મળ્યા હતા. એક ફોટામાં સુષ્મિતાએ મોટી હીરાની વીંટી પહેરી હતી, અને લોકોએ તેને ” ગોલ્ડ ડિગર” કહી હતી.લલિત મોદીએ તેમના સંબંધો અને અભિનેત્રીને ” ગોલ્ડ ડિગર” કહેવા વિશે ખુલ્લેઆમ વાત કરી છે.

સુષ્મિતા એક સફળ મહિલા છે. હ્યુમન્સ ઓફ બોમ્બે સાથે વાત કરતા લલિત મોદીએ કહ્યું,”સુષ્મિતા એક સુંદર, સફળ અને સ્વ-નિર્મિત મહિલા છે. હું જાણું છું કે ભાગ્યે જ કોઈ પાસે તેના કરતા વધુ હીરા હોય. તે બધા તેણે જાતે કમાયા હતા.તે હીરાની દુકાનો પણ ચલાવતી હતી.”

સુષ્મિતાએ પૈસા ચૂકવ્યા

એવો ક્યારેય સમય નહોતો જ્યારે અમે બહાર ગયા હોય અને મારે કંઈપણ ચૂકવવું પડતું હોય. તેણીએ બધું જ ચૂકવ્યું.હું એક પ્રકારનો ‘કેપ્ત બોયફ્રેન્ડ’જેવો હતો.તેણીએ ક્યારેય કોઈની પાસેથી કંઈ લીધું નથી.તેથી જ્યારે લોકો તેને ‘ગોલ્ડ ડીગર’કહે છે ત્યારે તે સંપૂર્ણપણે ખોટું છે. જો કંઈ હતું તો લલિત ડાયમંડ ડિગર હતો. તે ખરેખર એક હિરો છે.

સુષ્મિતા મારી નજીકની મિત્ર

સુષ્મિતા સેન અને લલિત મોદી થોડા દિવસો માટે જ સાથે હતા અને પછી તેઓ અલગ થયા. લલિત કહે છે કે સુષ્મિતા હજુ પણ તેમની “નજીકની મિત્ર” છે. તેમણે કહ્યું, “મારી તેની સાથે ઘણી મીઠી યાદો છે અને તે આજે પણ ખૂબ જ નજીકની મિત્ર છે.”

સુષ્મિતાએ ફોટા ડિલીટ કરવાનું કહ્યું ન હતું

મોદીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કરીને તેમના સંબંધની પુષ્ટિ કરી. આ અંગે તેમણે કહ્યું, “મેં તે તેની સામે કર્યું. તેણીને નહોતું લાગતું કે હું ખરેખર તે પોસ્ટ કરીશ. અમે વિમાનમાં દલીલ કરી રહ્યા હતા અને તેણીએ કહ્યું,તું આ પોસ્ટ નહીં કરે.હું હસ્યો અને બટન દબાવ્યું.” તેણે આગળ કહ્યું કે સુષ્મિતાએ ક્યારેય તેને ફોટા ડિલીટ કરવાનું કહ્યું નથી.

જોકે, સુષ્મિતા હાલમાં કોઈને ડેટ કરી રહી નથી, પરંતુ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રોહમન શાલ સાથેની તેની નિકટતા હંમેશા સમાચારમાં રહે છે.

ખેલો થશે?: મમતા બેનર્જી પાસેથી TMC, ચૂંટણી ચિહ્ન છીનવાવાની શક્યતા

કોલકાતા: ચૂંટણીમાં કારમી હાર બાદ TMCમાં બળવાખોરીના સંકેતો સતત વધી રહ્યા છે. અહેવાલો અનુસાર, TMCના 80 ધારાસભ્યોમાંથી 50થી વધુ ધારાસભ્યોએ હોટેલ ગેટવેમાં બળવાખોર અને પાર્ટીમાંથી હકાલપટ્ટી કરાયેલા નેતાઓ ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહા સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓને મમતા બેનર્જીએ કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી બહાર કાઢ્યા હતા. પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય પલટો  આવે એવી શક્યતા છે. પહેલેથી જ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી વિરુદ્ધ ખુલ્લો વિરોધ જોવા મળી રહ્યો છે. TMCના ઘણા નેતાઓ અને ધારાસભ્યો પાર્ટીની હાલત માટે તેમને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમના પર ભ્રષ્ટાચાર, અહંકાર, પરિવારવાદ, વરિષ્ઠ નેતાઓને બાજુએ ધકેલવા અને I-PACના વ્યાવસાયિકો મારફતે પાર્ટીને પોતાની મિલકતની જેમ ચલાવવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

રવિવારે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં માત્ર 20 ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ નગરપાલિકાઓના આશરે 100 TMC કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું હોવાનું કહેવામાં આવે છે. ઘણા નેતાઓ BJP સાથે સંપર્કમાં હોવાનું પણ કહેવાય છે. જ્યારે ફિલ્મનિર્માતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય રાજ ચક્રવર્તી જેવા કેટલાક લોકોએ ચૂંટણીમાં હાર બાદ રાજકારણને સંપૂર્ણપણે અલવિદા કહી દીધી છે.

ખુલ્લેઆમ ઊઠી રહ્યા છે વિરોધના અવાજ

કેટલાક નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે 15 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ પાર્ટી જમીની હકીકતોથી દૂર થઈ ગઈ છે. પાર્ટી ‘સિન્ડિકેટ’ અને ‘કટ-મની’ (કમિશન)ની સંસ્કૃતિમાં ફસાઈ ગઈ છે અને અતિશય અહંકારી બની ગઈ છે.

કુણાલ ઘોષની અપીલ પણ બેઅસર?

અહેવાલ મુજબ જો TMCના 80 ધારાસભ્યો અને 29 સાંસદોમાંથી અડધાથી વધુ (આશરે 40-45 ધારાસભ્યો અને 15-18 સાંસદો) અલગ થઈને ‘જોડા ઘાસ-ફૂલ’ ચૂંટણી ચિહ્ન પર દાવો કરવા માટે ચૂંટણી પંચનો સંપર્ક કરે, તો તે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીના પાર્ટી પરના દાવાને પડકારવા માટે પૂરતા બની શકે છે.

સોમવારે TMCના નેતા કુણાલ ઘોષે પાર્ટીના નેતાઓને હાથ જોડીને અપીલ કરી હતી કે તેઓ ડૂબતા જહાજને છોડીને ન ભાગે. જોકે, હાલની પરિસ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે પાર્ટી નેતૃત્વને પોતાના સાથીઓ પર પણ સંપૂર્ણ વિશ્વાસ રહ્યો નથી કે તેઓ કોઈ ‘લાઇફબોટ’ પકડીને અલગ માર્ગ ન અપનાવે.

જતિન ખન્નાની ‘રાજેશ ખન્ના’ અને ‘કાકા’ બનવાની વાતો!

ફિલ્મ ‘જબ જબ ફૂલ ખીલે’ (Jab Jab Phool Khile, 1965) માં એક નવા કલાકારને લેવામાં આવ્યા હતા, જેમની સાથે નંદાની સગાઈ થવાની હોય છે. તે અભિનેતાનું અસલી નામ જતિન ખન્ના હતું.

બરાબર એ જ સમયે બોલીવૂડમાં અન્ય એક યુવાન પણ જતિન ખન્ના નામથી પોતાની કારકિર્દી શરૂ કરી રહ્યો હતો. એક જ નામવાળા બે કલાકારો ન થાય તે માટે બીજા જતિન ખન્નાએ પોતાનું નામ બદલીને ‘રાજેશ ખન્ના’ રાખ્યું હતું.

‘જબ જબ ફૂલ ખીલે’ (Jab Jab Phool Khile) વાળા જતિન ખન્ના આગળ વધી શક્યા નહીં, પરંતુ રાજેશ ખન્ના ક્યાં પહોંચ્યા તે ઇતિહાસ છે. જ્યારે ‘જબ જબ ફૂલ ખીલે’ (Jab Jab Phool Khile) નું શૂટિંગ અને કાસ્ટિંગ ચાલી રહ્યું હતું ત્યારે આ ફિલ્મમાં કામ કરનાર કલાકારનું અસલી નામ જતિન ખન્ના જ હતું અને ક્રેડિટ્સમાં પણ તેમનું નામ જતિન ખન્ના જ રાખવામાં આવ્યું હતું.

‘જબ જબ ફૂલ ખીલે’ (Jab Jab Phool Khile) જેવી સુપર-ડુપર હિટ ફિલ્મમાં એક મહત્વનો અને સારો રોલ મળવા છતાં આ જતિન ખન્નાની ફિલ્મી કારકિર્દી આગળ વધી શકી નહીં. તેઓ બોલીવૂડમાં કોઈ મોટી ઓળખ બનાવી શક્યા નહીં અને સમય જતાં ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયા.

બરાબર એ જ સમયગાળામાં (1965-66ની આસપાસ) બોલીવૂડમાં એક અન્ય યુવાન થિયેટર આર્ટિસ્ટ પણ ફિલ્મોમાં એન્ટ્રી કરવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, જેનું અસલી નામ પણ જતિન ખન્ના હતું. ઇન્ડસ્ટ્રીમાં એક જ નામવાળા બે કલાકારો ન હોય અને ભવિષ્યમાં કોઈ ગૂંચવણ ઊભી ન થાય તે માટે બીજા જતિન ખન્નાએ પોતાના કાકાની સલાહથી પોતાનું ફિલ્મી નામ બદલીને ‘રાજેશ ખન્ના’ રાખી લીધું હતું.

રાજેશ ખન્નાએ હસતા-હસતા એકવાર સ્વીકાર્યું હતું કે જ્યારે તેઓ ફિલ્મોમાં આવ્યા ત્યારે તેમનું અસલી નામ ‘જતિન’ તેમને વાપરવા જ ન મળ્યું. ઇન્ડસ્ટ્રીના નિયમો અને સંયોગો એવા બન્યા કે તેમણે પોતાની સાચી ઓળખ (નામ) પાછળ છોડવી પડી.

તેમણે કહ્યું હતું કે, “એક કલાકાર તરીકે જ્યારે તમે કારકિર્દી શરૂ કરો અને પહેલું જ પગલું નામ બદલવાનું હોય ત્યારે અંદરથી થોડી અજીબ લાગણી થાય છે. પરંતુ ફિલ્મી દુનિયાના દસ્તૂર આગળ તમારે ઝૂકવું પડે છે.”

રાજેશ ખન્નાએ જણાવ્યું હતું કે કે. કે. તલવાર અને તેમના પરિવારે તેમને સમજાવ્યા હતા કે, “‘જતિન’ નામ ઘણું સાદું અને સોફ્ટ લાગે છે. જો તારે હીરો બનવું હોય અને થિયેટરના પડદા પર નામ ચમકાવવું હોય તો નામમાં થોડો વટ, વજન અને રોમેન્ટિક ટચ હોવો જોઈએ. ‘રાજેશ’ નામમાં એ કિંગવાળી ફીલિંગ છે.”

રાજેશ (જતિન) નો જન્મ અમૃતસરમાં લાલા હીરાનંદ ખન્ના અને ચંદ્રાણી ખન્નાને ત્યાં થયો હતો. પરંતુ લાલા હીરાનંદના ભાઈ એટલે કે જતિનના કાકા કમલ કૃષ્ણ અને કાકી લીલાવતીને કોઈ સંતાન ન હતું. તેથી પારિવારિક સંમતિથી જતિનને તેમના કાકા-કાકીએ દત્તક લીધા હતા.

શરૂઆતમાં તેઓ જતિનના ફિલ્મોમાં જવાના નિર્ણયની વિરુદ્ધ હતા, પરંતુ જ્યારે તેમણે જતિનનો થિયેટર પ્રત્યેનો અજોડ પ્રેમ જોયો ત્યારે તેમણે તેમને પૂરો સાથ આપ્યો. તેમણે જ જતિન ખન્નાને બદલે ‘રાજેશ ખન્ના’ નામ રાખવાની કિંમતી સલાહ આપી હતી.

રાજેશ ખન્નાએ કાકાની આ વાતને હસતા-હસતા શિરોધાર્ય કરી લીધી હતી. પાછળથી આખું બોલીવૂડ અને ચાહકો તેમને પ્રેમથી ‘કાકા’ જ કહેવા લાગ્યા, જે એક અનોખો સંયોગ હતો.

રાજેશ ખન્નાને તેમના કાકા-કાકીએ દત્તક લીધા હોવાથી તેઓ નાનપણથી જ આખા પરિવારમાં બધાના લાડકા હતા. ઘરમાં અને નજીકના મિત્રવર્તુળમાં તેમને બધા ‘કાકા’ કહીને જ બોલાવતા હતા.

જ્યારે તેઓ ફિલ્મોમાં આવ્યા ત્યારે તેમના જૂના મિત્રો અને સંબંધીઓ તેમને સ્ટુડિયો પર પણ ‘કાકા’ કહીને જ બોલાવતા. ધીમે-ધીમે આખું બોલીવૂડ તેમને એ જ નામથી સંબોધવા લાગ્યું.

રાજેશ ખન્નાએ એક કિસ્સો શેર કરતાં કહ્યું હતું કે, “શરૂઆતમાં જ્યારે હું નિર્માતાઓની ઓફિસે મારી તસવીરો લઈને જતો ત્યારે લોકો પૂછતા કે, ‘નામ શું છે?’ જ્યારે હું ‘રાજેશ ખન્ના’ કહેતો ત્યારે મને પોતાને પણ થોડા સમય સુધી એવું લાગતું કે હું કોઈ બીજા વ્યક્તિની વાત કરી રહ્યો છું!”

પરંતુ યુનાઇટેડ પ્રોડ્યુસર્સ ટેલેન્ટ હન્ટ (United Producers Talent Hunt) — જે સ્પર્ધા જીતીને તેઓ હીરો બન્યા — તેના સમય સુધીમાં તેઓ આ નવા નામ સાથે સંપૂર્ણપણે જોડાઈ ગયા હતા.

ચીભડાના ચોરને ફાંસીની સજા

 

ચીભડાના ચોરને ફાંસીની સજા

ન્યાયનો સામાન્ય સિદ્ધાંત છે – જેવો ગુનો તેવી સજા. આ સિદ્ધાંતને ઉવેખીને જ્યારે કોઈ નાનો ગુનો થયો હોય અને તે સામે ઘણી મોટી સજા આપવામાં આવે ત્યારે આ પ્રકારના અંધેરી નગરીના ઇન્સાફને વર્ણવવા આ કહેવત ‘ચીભડાના ચોરને ફાંસીની સજા’ વપરાય છે.

જે જમાનામાં આ કહેવત ચલણમાં આવી હશે ત્યારે ચીભડું સાવ મફતના ભાવે મળતી, લગભગ કિંમત વગરની, વસ્તુ હશે અને એની ચોરી કરી હોય તે સામે દેહાંત દંડ જેવી આકરી સજા એટલે કે ફાંસીની સજા આપવામાં આવે તે કુદરતી ન્યાયના સિદ્ધાંત સાથે જરાય સુસંગત નથી.

આ પરિસ્થિતિમાં ખૂબ નાના ગુના બદલ થયેલ લગભગ અંતિમ કક્ષાની સજા જેવા અન્યાયનું નિરૂપણ આ કહેવત કરે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

સરકારી હંગામી કર્મચારી પણ પેન્શન માટે હકદારઃ SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અસ્થાયી શ્રમિકોના સામાજિક અધિકારો અંગે એક ઐતિહાસિક અને માર્ગદર્શક ચુકાદો આપ્યો છે. સોમવારે એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ સરકારી વિભાગમાં લાંબા સમય સુધી સતત સેવા આપનાર અનિયમિત અથવા અસ્થાયી કર્મચારીઓ પણ પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભોના હકદાર છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એ. જી. મસિહની બેન્ચે સરકારની આ દલીલને નકારી કાઢી કે આવા કર્મચારીઓને પેન્શન આપવાથી સરકારી તિજોરી પર વધારાનો નાણાકીય બોજ પડશે.

એક વિધવા મહિલાની 18 વર્ષની કાનૂની લડત સફળ રહી

આ ઐતિહાસિક ચુકાદો બિહારની એક ગરીબ વિધવા મહિલાના લાંબા સંઘર્ષનું પરિણામ છે. મહિલાના પતિએ પોસ્ટ વિભાગમાં લગભગ 30 વર્ષ સુધી અસ્થાયી કર્મચારી (નાઇટ ગાર્ડ) તરીકે સેવા આપી હતી. તેના નિધન બાદ સરકારે તેને પેન્શન આપવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તે ‘અસ્થાયી કર્મચારી’ હતો અને ક્યારેય નિયમિત (Regularise) કરવામાં આવ્યો નહોતો.

મહિલાએ હાર ન માની અને 18 વર્ષ સુધી કાનૂની લડત લડી. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT), પટના હાઈકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલી આ લડતમાં આખરે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની અરજી ફગાવી દીધી અને મહિલાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.

‘પેન્શન કોઈ ખેરાત કે ભીખ નથી, તે કર્મચારીનો બંધારણીય અધિકાર છે’

અદાલતે સરકારને કડક શબ્દોમાં ઠપકો આપતાં જણાવ્યું હતું કે પેન્શન કોઈ ખેરાત, અનુગ્રહ કે ભીખ નથી, જેને નોકરીદાતા પોતાની આર્થિક સુવિધા અથવા ઇચ્છા મુજબ આપે કે ન આપે. તે કર્મચારીનો અમલમાં મૂકી શકાય એવો બંધારણીય અધિકાર છે, જે તેણે પોતાના જીવનના લાંબા અને કીમતી વર્ષો સેવા આપીને મેળવ્યો છે. પેન્શન એ સ્થગિત વેતન (Deferred Wage) સમાન છે.

અહેવાલો અનુસાર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર તમામ બાકી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. જો સરકાર આ સમયમર્યાદામાં ચુકવણી નહીં કરે તો તેને છ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવી પડશે. આ કેસમાં થયેલા ભેદભાવને લઈને પણ સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું.

પંચાંગ 02/06/2026

૦૨ જૂન ૨૦૨૬

આરપારની લડાઈ : ‘કોકરોચ જનતા પાર્ટી’ ના ફાઉન્ડર આવશે ભારત

દેશભરમાં લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી નીટ (NEET) પરીક્ષાના વિવાદ અને કથિત પેપર લીક મામલે દેશભરમાં વિદ્યાર્થીઓ અને યુવાનોનો ગુસ્સો ચરમસીમાએ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘કોકરોચ જનતા પાર્ટી’ ના સ્થાપક તરીકે જાણીતા અભિજીત દિપકેએ એક મોટું એલાન કરીને કેન્દ્ર સરકારની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. અભિજીત દિપકેએ જાહેરાત કરી છે કે તેઓ આગામી 6 જૂન, શનિવારના રોજ વિદેશથી ભારત પરત ફરી રહ્યા છે અને દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે એક વિશાળ અને શાંતિપૂર્ણ પ્રદર્શનનું નેતૃત્વ કરશે. અભિજીત દિપકેએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો સંદેશ જાહેર કરીને પોતાના તમામ ફોલોઅર્સ, સમર્થકો અને પીડિત વિદ્યાર્થીઓને આ આંદોલનમાં જોડાવા માટે હાકલ કરી છે.

અભિજીત દિપકેએ વીડિયો સંદેશમાં શું અપીલ કરી?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અભિજીત દિપકેએ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને એક થવા માટે જણાવ્યું છે. તેમણે વીડિયોમાં કહ્યું કે, “હવે સમય આવી ગયો છે કે આપણે બધાએ એકસાથે આવવું પડશે. ભારતીય બંધારણના માર્ગ પર ચાલતા રહીને આપણે શાંતિપૂર્ણ રીતે આપણી વાત સરકાર સામે રાખવાની છે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવાની છે. જો આપણે બધા એક થઈને અવાજ ઉઠાવીશું, તો સરકારે આપણી ન્યાયી માંગણીઓ સાંભળવી જ પડશે.”

તેમણે પોતાના પ્લાનિંગ અંગે વિગતો આપતા જણાવ્યું કે, 6 જૂન, શનિવારની સવારે તેઓ દિલ્હી એરપોર્ટ પર ઉતરશે. તેમણે પોતાના સમર્થકોને મોટી સંખ્યામાં એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા અને ત્યાં એકઠા થવા ગુજારીશ કરી છે. એરપોર્ટ પર એકઠા થયા બાદ તેઓ તમામ લોકો સાથે મળીને સૌથી પહેલા સંસદ માર્ગ પોલીસ સ્ટેશને જશે અને ત્યાંથી જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા માટેની સત્તાવાર મંજૂરી માંગશે.

લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, જવાબદારી નક્કી થવી જરૂરી

અભિજીત દિપકેનો આરોપ છે કે પરીક્ષામાં થયેલી ગંભીર ગેરરીતિઓ, વિવાદો અને પેપર લીકના કારણે દેશના લાખો હોશિયાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ ગયું છે અને તેઓ માનસિક રીતે ખૂબ જ પરેશાન છે. આથી સરકારની જવાબદારી અને પારદર્શિતા નક્કી થવી ખૂબ જ જરૂરી છે. શિક્ષણ વ્યવસ્થામાં થયેલી આટલી મોટી લાપરવાહી માટે કોઈને કોઈ વરિષ્ઠ અધિકારી કે મંત્રીએ નૈતિક જવાબદારી સ્વીકારવી જ પડશે અને તેના ભાગરૂપે જ તેઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અડગ છે.

તેમણે વધુમાં દાવો કર્યો છે કે, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગને લઈને શરૂ કરવામાં આવેલી એક ઓનલાઇન પિટિશન (Online Petition) ને પણ અત્યાર સુધીમાં લાખો લોકો પોતાનું સમર્થન આપી ચૂક્યા છે. આ સિવાય દેશના અલગ-અલગ રાજ્યો અને હિસ્સાઓમાં પણ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. દિપકેએ સ્પષ્ટ કર્યું કે ભારતીય બંધારણ દરેક નાગરિકને લોકશાહી ઢબે પોતાની વાત રજૂ કરવાનો અધિકાર આપે છે અને તેમનું આ સૂચિત આંદોલન સંપૂર્ણપણે બંધારણીય દાયરામાં રહીને જ કરવામાં આવશે.