નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાં ફરી એક વાર વધતા પ્રદૂષણ મુદ્દે ચિંતા દર્શાવી છે. પ્રદૂષણ પર નિયંત્રણ કરવા માટે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (AQMC)એ અપેક્ષા મુજબ કામ નથી કર્યું. કોર્ટે કમિશનને ફટકાર લગાવતાં સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યા છે. ત્રીજી ઓક્ટોબરે આગામી સુનાવણી થશે.
આ કેસમાં કોર્ટ દ્વારા નિયુક્ત વકીલ અપરાજિતા સિંહે કહ્યું હતું કે પંજાબ અને હરિયાણામાં ફરી એક વાર ખેડૂતોએ પરાળી બાળવાનું શરૂ કર્યું છે. આ વર્ષે પ્રદૂષણની સ્થિતિ ગંભીર થતાં પહેલાં જ ખેડૂતોને પરાળી બાળવાથી રોકવા જરૂરી છે. જસ્ટિસ અભય એસ. ઓક અને ઓગસ્ટિન મસીહની ખંડપીઠે કમિશનને કહ્યું હતું કે ખેડૂતોને પરાળી નષ્ટ કરવા માટે આપવામાં આવેલાં મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.
કોર્ટે એ વાત આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે કમિશનની સબ-કમિટીની બેઠક વર્ષમાં માત્ર ચાર વાર જ થાય છે. કોર્ટે આ બેઠકોની વિગતો માગી હતી. કોર્ટે એ પણ કહ્યું હતું કે પંચ CAQM એક્ટની કલમ 14માં પ્રદૂષણ કરવાવાળાઓ પર સખત કાર્યવાહી કરવાનો અધિકાર છે, પરંતુ કમિશનની 2021માં રચના પછી કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રતિ વર્ષ આ જ થાય છે. પ્રતિ વર્ષ પરાળી બાળવામાં આવે છે. શું એમાં કોઈ ઘટાડો થયો છે? શું દિલ્હીમાં પ્રદૂષણનો સ્તર ઓછો થઈ રહ્યો છે કે વધી રહ્યો છે. એના પર CQAMએ કહ્યું હતું કે પરાળી બાળવાની સંખ્યામાં ઘટાડો થયો છે, ત્યારે કોર્ટે સવાલ કર્યો હતો કે શું વાયુ ગુણવતા સુધરી છે?
અમદાવાદમાં વક્ફ બોર્ડ મુદ્દે મળેલી JPCની બેઠકમાં વિવાદ થયો છે. વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે શાબ્દિક ચકમક થઈ. ત્યારે બીજી બાજું બેઠકમાંથી બહાર આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ રોષ વ્યક્ત કર્યો.
કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આરોપ લગાવ્યો કે ‘સરકાર અને ગૃહ રાજ્યમંત્રી ફક્ત દેખાડો કરી રહ્યા છે. વક્ફ બોર્ડના સભ્યોએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન પણ સરકારે કહ્યા મુજબનું છે, અને આ પ્રેઝન્ટેશન અમારા સમર્થનમાં નથી. અમે અમારા મુદ્દાઓ પર વળગેલા છીએ અને કલેક્ટરને સત્તા આપવા મુદ્દે અમારો વિરોધ યથાવત્ રહેશે’ કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસદુસીન ઓવૈસી સહિતના 31 સભ્યો અમદાવાદ સિંધુભવન રોડ સ્થિત એક હોટલમાં ભેગા થયા હતા. સંયુક્ત સંસદીય કમિટી ગુજરાત વક્ફ બોર્ડના સભ્યો તેમજ રાજકીય પાર્ટીના સભ્યો અને ધારાસભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા.
Presented the state government views in the Joint Parliamentary Committee meeting on the Waqf (Amendment) Bill, 2024, alongside key stakeholders, also discuss vital amendments addressing current challenges. The bill, introduced by the central ministry proposes approximately 40… pic.twitter.com/8qNqw5OcFV
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પ્રત્યેક નાગરિકોના હિતમાં સુધારાને લગતાં રાજ્ય સરકારના તમામ સૂચનો JPC કમિટીને આપી દેવાયા છે. JPCની વાતો બહાર ન થઈ શકે પરંતુ નાગરિકોના હિતમાં જે વિષય હતા તે મુદ્દે મેં ફરજ અદા કરી છે. સૂચનોની સંપૂર્ણ માહિતી JPC કમિટીના નિયમ પ્રમાણે સૌ મીડિયાને આપી દેવાશે. વક્ફ બોર્ડના નિયમો અને કાયદાને લઈને થયેલી બોલાચાલીના મુદ્દે તેમણે કંઈપણ બોલવાની મનાઈ કરી હતી. JPC આગામી દિવસોમાં હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગ્લોરમાં પણ બેઠકો યોજાવાની છે. વક્ફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે આ JPC એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં 31 સાંસદોનો સમાવેશ થાય છે. કમિટીમાં 21 લોકસભાના અને 10 રાજ્યસભાના સાંસદો છે.
રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવી મચ્છરજન્ય બીમારીનો ઉપદ્રવ યથાવત્ છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં એક મહિનામાં જ ડેન્ગ્યુના 700થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સપ્ટેમ્બરના 22 દિવસમાં સોલા સિવિલ હૉસ્પિટલમાં ડેન્ગ્યુના 1839 શંકાસ્પદ કેસમાંથી 357 પોઝિટિવ આવ્યા હતા. જેમાં બીજીથી આઠમી સપ્ટેમ્બરમાં 152, 16મીથી 22મી સપ્ટેમ્બરમાં 89 કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બર મહિનામાં સોલા સિવિલમાં ડેન્ગ્યુના રોજના સરેરાશ 16 કેસ સામે આવે છે. બીજી તરફ અસારવા સિવિલમાં ઑગસ્ટમાં 243 કેસ નોંધાયા હતા. જ્યારે સપ્ટેમ્બરના 26 દિવસમાં ડેન્ગ્યુના 343 કેસ નોંધાયા છે. સોલા સિવિલમાં મેલેરિયાના 86 કેસ નોંધાયા છે. જેમાં બીજીથી આઠમી સપ્ટેમ્બરમાં 33, નવમીથી 15મી 29, 16મીથી 22મી સપ્ટેમ્બરમાં 24 કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સપ્ટેમ્બરમાં ચિકનગુનિયાના 28 કેસ નોંધાયેલા છે. વાયરલ ઇન્ફેક્શનના સોલા સિવિલમાં 6109 કેસ સામે આવ્યા છે. આ પૈકી 16મીથી 22મી સપ્ટેમ્બરમાં 1938 કેસનો સમાવેશ થાય છે.
ત્યારે બીજી બાજું વડોદરા શહેરમાં ગઈકાલે ડેન્ગ્યૂના 7 કેસ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે કમળા અને ટાઇફોઇડના એક-એક તેમજ ઝાડાના 106 કેસ નોંધાયા હતા. બીજી તરફ પાણીજન્ય રોગચાળામાં ક્લોરિન ટેસ્ટિંગના કુલ 1139 ટેસ્ટ કરાયા હતા. જેમાંથી 1134 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે શહેરમાં એક જ દિવસે ઝાડાના 106 કેસ નોંધાયા હતા. શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યૂના 52 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાંથી ખોડિયારનગર, મકરપુરા, શિયાબાગ-2, ગોકુલનગર, ભાયલી અને મકરપુરા સહિતના વિસ્તાર 7 કેસ પોઝિટિવ આવ્યા હતા. બીજી તરફ મલેરિયાનાં શંકાસ્પદ 1088 સેમ્પલ લેવાયાં હતાં. આ સિવાય કલાલીમાંથી કમળાનો એક કેસ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ખોડિયારનગર વિસ્તારમાંથી એક ટાઇફોઇડનો કેસ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગે 37,687 ઘર તપાસીને 19,827 મકાનમાં ફોગિંગ કર્યું હતું.
રાજ્યમાં સાયબર ફ્રોડના અવાર નવાર કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે પાછલા કેટલાક સમયમાં સાયબર ફ્રોડના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં ચાલતા વિવિધ કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને પોતાની જાળમાં ફસાવી લોકોના રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે સીબીઆઇની 350થી વધુ લોકોની ટીમે ગુજરાતમાં મોટી રેડ પાડી છે. જેમાં શહેરમાં ગેરકાયદે ચાલતા 35થી વધુ કોલ સેન્ટરો પર સિકંજો કસ્યો હતો. ઉલ્લેખનીય છે કે રેડની પુર્ણ થયા બાદ ચોંકાવનારા ખુલાસા થવાની પણ સંભાવના સેવાય રહી છે.
છેલ્લા ઘણાં સમયથી સીબીઆઈ દ્વારા સાઈબર ફ્રોડના કેસ અને તેને લગતા કોલ સેન્ટરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન સીબીઆઈ વિશાખાપટ્ટનમ, કોલકાતા, હૈદરાબાદ જેવા શહેરોમાં દરોડા પાડી ચૂકી હતી. જ્યાંથી અમદાવાદ સાથેની લિંક મળતાં 350 જેટલાં સીબીઆઈના અધિકારીઓની ટીમે ગેરકાયદે રીતે ચાલતા કોલ સેન્ટરો પર તવાઈ બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે એવા અનેક ગેરકાયદે કોલ સેન્ટર અમદાવાદમાં સંચાલિત છે જ્યાંથી અમેરિકા જેવા દેશોમાં કોલ કરીને લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે લોકોને ડરાવી-ધમકાવી કે ફસાવીને ઉઘરાણી કરવામાં આવે છે. તેમને લોન ઓફર કરીને તેમની પાસેથી પૈસા ઉઘરાવી લેવાતા હતા. જેની ઘણી ફરિયાદો મળી હતી. ડોલરમાં આવક મેળવનારા આવા કોલ સેન્ટર માલિકોની તંત્ર કે પોલીસ સાથે સાંઠગાંઠ હોય તેવું પણ બની શકે છે. જોકે સીબીઆઈના દરોડામાં આવા લોકો પર તવાઈ બોલાવી દેવાઇ છે. આખી રાત દરમિયાન રેડની કાર્યવાહી કરવામાં આવી હતી. કારણ કે આવા કોલ સેન્ટર ખાસ કરીને રાતે જ ધમધમતા હોય છે.
આસામ: પર્યટન ક્ષેત્રના મહત્વને ઉજાગર કરવા અને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર વિશ્વમાં 27મી સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે વાત કરીએ આસામમાં આવેલા વિશ્વના સૌથી મોટા નેશનલ પાર્ક કાઝીરંગાની. આમ તો આસામ ચા માટે જાણીતું છે પરંતુ આજે વર્લ્ડ ટુરિઝમ ડેની ઉજવણી થાય છે ત્યારે કાઝીરંગાની એક મુલાકાત કરીએ.
સૌથી જૂનું ઉદ્યાન
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામના ગોલાઘાટ અને નાગાંવ ક્ષેત્રમાં સ્થિત છે. આસામનું સૌથી જૂનું ઉદ્યાન છે જે ઉત્તરમાં બ્રહ્મપુત્રા નદીના કિનારે અને દક્ષિણમાં કાર્બી આંગલોંગ હિલ્સના 430 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વભરમાં એક શિંગડાવાળા ગેંડા એટલે કે રાયનો માટે પ્રખ્યાત છે. આ જ કારણ છે કે યુનેસ્કોએ આ રાષ્ટ્રીય ઉદ્યાનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કર્યું છે. કાઝીરંગા વિશ્વના સૌથી શ્રેષ્ઠ અને પ્રખ્યાત પાર્કમાંનું એક છે. જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.ઇતિહાસ
ભારતના વાઇસરોય લોર્ડ કર્ઝન પત્ની મેરી કર્ઝન સાથે જયારે 1904માં કાઝીરંગા આવ્યા, ત્યારે એમણે અહીં બહુ ઓછી વસ્તી ધરાવતા એક શિંગડાવાળા રાયનો જોયા. આ લુપ્ત થતાં રાયનોની પ્રજાતિના રક્ષણ કરવા માટે તેમણે સ્થાનિક તંત્રને કહ્યું. ત્યાર પછી 1908માં આ સ્થળને પૂર્ણ રીતે આરક્ષિત અભયારણ્ય જાહેર કરાયું. 1950માં આનું નામ બદલીને કાઝીરંગા વન્યજીવ અભ્યારણ્ય કરાયું.બિગ ફાઈવ તરીકે જાણીતું પાર્ક
યુનેસ્કોએ આ પાર્કને વર્ષ 1985માં વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કર્યું હતું. રાયનો ઉપરાંત વાઈલ્ડ બફેલો, સ્વેમ્પ ડિયર, હાથી અને વાઘ એમ કુલ પાંચ પ્રાણીઓ એક સાથે જોવા મળે એવું આ એકમાત્ર નેશનલ પાર્ક છે. જેના કારણે આ વિસ્તાર બિગ ફાઈવ તરીકે પણ જાણીતો છે. આ પાંચ ઉપરાંત અન્ય પ્રાણીઓ પણ અહીં જોવા મળે છે. આ નેશનલ પાર્કમાં પ્રવાસીઓ જીપ સફારીની મજા માણી શકે છે.
આમ પણ જ્યાં પ્રકૃતિ હોય ત્યાં માનવ મન મંત્રમુગ્ધ થઈ જાય છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વભરના સ્થળાંતર કરનારા પક્ષીઓ અને ઘણી લુપ્તપ્રાય પ્રજાતિઓ માટે આશ્રયસ્થાન છે.
રાયનોની સંખ્યા સૌથી વધુ
વર્તમાન સમયની વાત કરીએ તો અહીં 2,613 રાયનો, 104 વાઘ, 1,089 હાથી અને 1,129 સ્વેમ્પ ડિયર તેમજ 1,937 વાઈલ્ડ બફેલોની વસ્તી છે.
ડિસેમ્બરમાં પ્રવાસીઓનો ધસારો
આ વિશે ચિત્રલેખા. કોમ સાથે વાત કરતા વન અધિકારી તરુણ ગોગી કહે છે કે, “જૂનથી ઓક્ટોબર મહિના દરમિયાન આ પાર્ક બંધ રહે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓનો ભારે ઘસારો રહે છે. રોજના અંદાજે ત્રણથી ચાર હજાર પ્રવાસીઓ અહીં આવે છે. ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં લોકો વધારે આવે છે. આ સમય દરમિયાન વિદેશી પ્રવાસીઓ પણ વધારે આવે છે.”
કાઝીરંગા પ્રવાસીઓ માટે પ્રથમ
છેલ્લા 16 વર્ષથી કાઝીરંગા નેશનલ પાર્કમાં ગાઈડની જોબ કરતા પિંકુ બોરા ચિત્રલેખા. કોમને રાયનો વિશે વાત કરતા કહે છે કે, “રાયનો દેખાવમાં ખૂબ શાંત લાગે છે પણ એ ખૂબ જ અગ્રેસિવ છે. આમ તો એ પ્રવાસીઓને ક્યારેય નુકશાન પહોંચાડતા નથી. પણ હા જો કોઈ અવાજ કરે તો એમને પસંદ ન પડે તો ક્યારેક જીપનો પીછો પણ કરે છે. જો કે એ સમયે અમે ધ્યાન રાખી ત્યાંથી ફટાફટ નીકળી જઈએ છીએ.”
આમ તો આપણા ગુજરાતમાં પણ અનેક પ્રવાસન સ્થળ છે. પરંતુ જો દેશની અને એમાં પણ આસામની વાત કરીએ તો કાઝીરંગા પ્રવાસીઓ માટે પ્રથમ પસંદગીનું સ્થાને છે.
હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં માનવતાને શરમમાં મૂકે એવી ઘટના બની છે. તંત્ર-મંત્ર અને કાળા જાદુ માટે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. અહીં સ્કૂલની પ્રગતિ માટે ડિરેક્ટર અને તેના તાંત્રિક પિતાએ ધોરણ બેના નવ વર્ષના વિદ્યાર્થીનો બલિ ચઢાવી દીધો છે. ડિરેક્ટરના પિતાનું માનવું હતું કે તંત્ર-મંત્ર અને કોઈ બાળકની બલિ આપવાથી સ્કૂલની પ્રગતિ થશે. ડિરેક્ટર અને એના તાંત્રિક પિતા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે 23 સપ્ટેમ્બરે વિદ્યાર્થીનો મૃતદેહ આગરાથી 35 કિલોમીટર દૂર સાદાબાદ વિસ્તારમાં સ્કૂલ ડિરેક્ટરની કારમાં મળ્યો હતો. ASP અશોકકુમારે કહ્યું હતું કે સ્કૂલ ડિરેક્ટર દિનેશ બઘેલ, તેના પિતા જશોધન સિંહ અને સ્કૂલ શિક્ષકો રામ પ્રકાશ સોલંકી, વીરપાલ સિંહ ને લક્ષ્મણ સિંહની ધરપકડ કરવામાં આવી છે.
આ હત્યા પાછળ કાળા જાદુની યોજના હતી, એટલે કે ડિરેક્ટર અને શિક્ષકોનું માનવું હતું કે વિદ્યાર્થીના બલિ આપવાથી સ્કૂલની પ્રસિદ્ધિ મળશે અને ડિરેક્ટરના પરિવારની સમસ્યાઓ દૂર થશે. સ્કૂલના એક રૂમમાંથી એક દોરડું મળ્યું છે, ધાર્મિક ફોટો અને ચાવી પણ મળ્યાં છે. ડિરેક્ટરના પિતા એક અનુષ્ઠાન કરવાના હતા, જેથી બાળકનો બલિ એમાં ચઢાવવાનો હતો, પણ વિદ્યાર્થી અડધી રાતે જાગી જતાં અને રડતાં તેનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું.
ડિરેક્ટરના પિતા જાદુ-ટોણામાં વિશ્વાસ કરતા હતા અને તેમણે તેમના પુત્ર (ડિરેક્ટર)ને એક સગીર બાળકનો બલિ ચઢાવવાની સલાહ આપી હતી, પણ યોજના સફળ ના થઈ શકી. પિતાથી પૂછપરછ દરમ્યાન તેણે જઘન્ય ગુનાની કબૂલાત કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
નવી દિલ્હીઃ ભેળસેળયુક્ત ઘી પછી મિલાવટી દવાઓના રિપોર્ટમાં માલૂમ પડ્યું છે કે દેશમાં 53 દવાઓમાં ભેળસેળ માલૂમ પડી હતી. આ દવાઓમાં તાવ, એસિડિટી, બ્લડપ્રેશર અને ડાયાબિટીસની દવાઓ પણ સામેલ છે. આ દવાઓ બનાવતી કંપનીઓમાં મોટી-મોટી બ્રાન્ડેડ કંપનીઓ પણ સામેલ છે.
આ ફાર્મા કંપનીઓ કોંગ્રેસ, ભાજપ સહિત રાજકીય પાર્ટીઓને ચૂંટણી બોન્ડ દ્વારા ફંડ આપે છે તો પછી આ કંપનીઓ સામે સરકાર પગલાં લેશે એવી આશા ઠગારી છે.
આ ભેળસેળવાળી દવાઓની કંપનીઓમાં ટોરન્ટ ફાર્મા પણ જેની બે દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ખરાબ નીકળી છે. આમાં Shelcal અને Montair LC દવા સામેલ છે. આ ફાર્મા કંપનીએ કુલ 77.50 કરોડનાં ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે, જેમાં કંપનીએ ભાજપને રૂ. 61 કરોડ, કોંગ્રેસને રૂ. પાંચ કરોડ, SPને રૂ. ત્રણ કરોડ અને આપ પાર્ટીનાં ચૂંટણી બોન્ડ ખરીદ્યાં છે.
આવી જ રીતે બીજી ફાર્મા કંપની છે એલ્કેમ હેલ્થ સાયન્સ અને એ કંપની PAN-D દવા બનાવે છે, જેણે ભાજપને રૂ. 15 કરોડનાં ચૂંટણી બોન્ડ આપ્યા છે. આ જ રીતે ત્રીજી ફાર્મા કંપની હેટરો લેબ લિ. છે. આ કંપનીએ તેલંગાણામાં રૂ. 25 કરોડના ચૂંટણી બોન્ડ BRS પાસેથી ખરીદ્યાં છે અને રૂ. પાંચ કરોડના ચૂંટણી બોન્ડ ભાજપ પાસેથી ખરીદ્યાં છે.
હવે જે ફાર્મા કંપનીઓની દવાઓમાં ભેળસેળ છે, એ કંપનીઓએ મોટી-મોટી પાર્ટીઓને ચૂંટણી બોન્ડ ખરીદીને ફંડ આપ્યાં છે, એમની સામે કાર્યવાહી થવાની શક્યતા નહીંવત્ છે. જોકે આ કંપનીઓએ કહ્યું હતું કે આ ભેળસેળયુક્ત દવાઓ પકડાઈ છે, એ દવાઓ નકલી છે. આમ ચલક ચલાણું પેલે ઘેર ભાણું જેવો ઘાટ છે.
ચાઈનીઝ લસણ કે ચાઈનાથી આવતું લસણ બજારોમાં આડેધડ વેચાઈ રહ્યું હોવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે શુક્રવારે ઉત્તર પ્રદેશ સરકારના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગના નામાંકિત અધિકારીને સમન્સ પાઠવ્યું અને પૂછ્યું કે પ્રતિબંધિત ‘ચાઈનીઝ લસણ’ હજુ પણ બજારમાં કેવી રીતે ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે દેશના જુદા જુદા ભાગોના બજારોમાં ચાઈનીઝ લસણ વેચાઈ રહ્યું હોવાના અહેવાલો છે. મામલો વેગ પકડ્યા પછી કાર્યવાહી શરૂ થઈ અને ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં કેટલાક ક્વિન્ટલ ચાઈનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું. જાણીએ કે આ લસણ પર આટલો બધો હંગામો શા માટે છે.
ચાઈનીઝ લસણનો મામલો હાઈકોર્ટમાં કેમ પહોંચ્યો?
મોતીલાલ યાદવ નામના વકીલે ચાઈનીઝ લસણને લઈને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. વકીલે પોતાની અરજીમાં કહ્યું હતું કે ‘ચાઈનીઝ લસણ’ તેના હાનિકારક પ્રભાવોને કારણે દેશમાં પ્રતિબંધિત છે, તેમ છતાં તે લખનૌ સહિત સમગ્ર દેશમાં સરળતાથી ઉપલબ્ધ છે. અરજીની સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે કેન્દ્રના વકીલને દેશમાં આવા માલના પ્રવેશને રોકવા માટેના ચોક્કસ મિકેનિઝમ વિશે પણ પ્રશ્ન કર્યો અને એ પણ પૂછ્યું કે તેના પ્રવેશના સ્ત્રોતને શોધી કાઢવા માટે શું કરવામાં આવશે આ માટે કોઈ પગલા લેવામમાં આવ્યા છે? અરજદારે કોર્ટની કાર્યવાહી દરમિયાન ન્યાયાધીશો સમક્ષ લગભગ અડધો કિલો ‘ચાઈનીઝ લસણ’ તેમજ સામાન્ય લસણ રજૂ કર્યું હતું.
ચાઈનીઝ લસણ કેમ ખતરનાક માનવામાં આવે છે?
ચાઈનીઝ લસણ વિશે એવું કહેવાય છે કે તેમાં રહેલ ફૂગ ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. આ ઉપરાંત ચાઈનીઝ લસણમાં પણ જંતુનાશકોનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું છે. જંતુઓથી બચાવવા માટે તેના પર મિથાઈલ બ્રોમાઈડનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે આ લસણ ખાવાથી પેટના રોગો જેવા કે અલ્સર, ઈન્ફેક્શન વગેરેનો ખતરો વધી જાય છે. આ ઝેરી લસણનું સેવન કરવાથી કિડની સંબંધિત બીમારીઓ થાય છે. જો કે, સ્થાનિક લસણ કરતાં ચાઈનીઝ લસણ સસ્તું છે, તેથી પ્રતિબંધ હોવા છતાં વધુ નફો મેળવવા માટે તેને બજારોમાં આડેધડ વેચવામાં આવી રહ્યું છે.
ભારતીય અને ચાઈનીઝ લસણ વચ્ચે શું તફાવત છે?
હવે પ્રશ્ન એ છે કે બે લસણ વચ્ચે કેવી રીતે તફાવત કરવો. તમને જણાવી દઈએ કે જો તમે થોડું ધ્યાન આપો તો ચાઈનીઝ લસણને સરળતાથી ઓળખી શકાય છે. તેનો રંગ, આકાર અને ગંધ સ્થાનિક લસણથી તદ્દન અલગ છે. ચાઈનીઝ લસણનો રંગ આછો સફેદ અને આછો ગુલાબી છે. જ્યારે, જો આપણે સ્થાનિક લસણ વિશે વાત કરીએ તો તે કદમાં નાનું છે અને તેનો રંગ સફેદ અથવા ક્રીમ રંગનો છે. બંનેની ગંધમાં ફરક છે. એક તરફ દેશી લસણની ગંધ તીવ્ર હોય છે જ્યારે ચાઈનીઝ લસણની ગંધ હળવી હોય છે.
રાજ્યમાં ચોમાસાની વિદાય પહેલા ફરી ધમાકેદાર રાઉન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પાછલા 24 કલાકમાં 212 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. સોનગઢમાં 6.25 ઇંચ, જૂનાગઠના વિસાવદરમાં 6 ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ 6 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના પ્રમાણે મધ્ય મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાત તરફ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે મેઘમહેર થવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીની સાથે જ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લો તથા દમણ અને દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદમાં આજે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. વહેલી સવારથી શહેરના એસજી હાઇવે, બોપલ, સરખેજ, શિવરંજની અને નવા વાડજ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. એને કારણે 27 અને 28 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની સંભાવના છે. એને કારણે આ સમયગાળા દરમિયાન માછીમારોને માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદના ઉજ્જવલ શાહને મુંબઈના બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલા “એપલ” કંપનીના અદ્યતન સ્ટોરમાં પ્રવેશીને નવા રજૂ થયેલા આઈફોન 16ના પહેલા ગ્રાહક બનવું હતું. આ માટે એ સ્ટોરની બહાર 21 કલાક લાઈનમાં ઊભો રહ્યો. સવારે સ્ટોર ખૂલ્યો ને આઈફોનનો દિલફાડ પ્રેમી ઉજ્જવલકુમાર આઈફોન 16 ખરીદનારો ફર્સ્ટ કસ્ટમર બનીને જ જંપ્યો.
આજથી દસ-બાર વર્ષ પહેલાં ચીનના એક 17વર્ષી યુવાને આઈફોન અને આઈપૅડ ખરીદવા પોતાની કિડની વેચી કાઢેલી. ફોન માટે કિડની વેચવાનું ગાંડપણ શું કામ? એવા સવાલનો જવાબ આપતાં એણે કહ્યું કે “બે કિડનીની મારે શું જરૂર? એક ઈનફ છે.” કમનસીબે ગેરકાયદે કિડની કઢાવીને વેચવામાં એવો લોચો પડી ગયો કે એ હંમેશ માટે પથારીવશ થઈ ગયો.
આજકાલ આઈફોન હસ્તગત કરવા જેવી દીવાનગી “કોલ્ડપ્લે”ની ટિકિટ મેળવવાની જોવા મળી રહી છે. સોશિયલ મિડિયા, આઈટી ઑફિસો, કૉલેજ-કેન્ટીન કે કૉફી શૉપ્સમાં “કોલ્ડપ્લે” “કોલ્ડપ્લે”નાં જ ભજન-કીર્તન થઈ રહ્યાં છે. એ પહેલાં અરજિતિસિંહ, દિલજિત દોસાંજનાં કન્સર્ટ્સ તથા એની ટિકિટના ભાવ છાપે ચડ્યા.
ઓક્કે, જે વાચકો મોડા પડ્યા છે એમને માટે ઝડપી રિરનઃ 2025ના જાન્યુઆરીમાં નવી મુંબઈમાં બ્રિટિશ બૅન્ડ “કોલ્ડપ્લે”ના લાઈવ કન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થયાના માત્ર અડધા કલાકમાં વેચાઈ ગઈ. કહે છે કે કન્સર્ટની ટિટિક માટે એક કરોડથી વધુ સંગીતદીવાના (ઑનલાઈન) કતારમાં ઊભા છે. એમના માટે કિંમત કોઈ ઈશ્યુ નથીઃ લાખ-બે લાખ-પાંચ લાખ? તમે ખાલી ભાવ બોલો.
“કોલ્ડપ્લે” એક બ્રિટિશ રૉક બૅન્ડ છે, જેની શરૂઆત લંડનમાં 1997માં થયેલી. આ સંગીતટોળી એના લાઈવ પરફોરમન્સ માટે જાણીતી છે, કારણ કે એ પોતાની કળાથી પૉપ્યુલર કલ્ચર પર જબરદસ્ત અસર કરે છે. બૅન્ડમાં હાલ જૉની બકલૅન્ડ-ક્રિસ માર્ટિન-ગાય્ બેલ્મિન અને વિલ ચૅમ્પિયન છે.
ધોળિયા સંગીતકાર-ગાયકો માટે આપણે ત્યાં આવું ગાંડપણ જોઈને ઈન્ટરનેટ પર એની ઠઠ્ઠા-મશ્કરી ચાલી, જાતજાતનાં મીમ્સ, જોક્સ બન્યાં. પછી સમાચાર આવ્યા કે નવી મુંબઈના જે સ્ટેડિયમમાં આ કન્સર્ટ યોજાયો છે તે વિસ્તારની હોટેલોનાં ભાડાં (કન્સર્ટને દિવસે) પાંચ-દસ ગણા વધી ગયા છે.
આવું ગાંડપણ શીદને? પણ એ પછી- પહેલાં તમે આ વાંચોઃ
થોડા સમય પહેલાં એક જાણીતા ગુજરાતી નાટ્ય-ફિલ્મદિગ્દર્શક સાથે વાત ચાલી રહી હતી. નેશનલ એવૉર્ડથી સમ્માનિત એ ડિરેક્ટરે ખેદ વ્યક્ત કરતાં કહ્યું કે “કોવિડ પછી ગુજરાતી રંગભૂમિના પ્રેક્ષકો ઘટી રહ્યા છે. ઓર્કેસ્ટ્રામાં પિક્ચરનાં ગીત સાંભળવા હજાર-બે હજાર રૂપિયા ખર્ચનારા નાટકની ટિકિટના પાંચસો-સાતસો કેમ ખર્ચતા નથી? ગીતો, ખરેખર તો, સાંભળવાનાં છે, જ્યારે નાટક જોવા-માણવાનો એક જીવંત અનુભવ છે. ઑનલાઈન (મ્યુઝિક) સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સના યુગમાં લાઈવ કન્સર્ટ્સનું આવું આકર્ષણ શું કામ?”
-કારણ કે સંગીત જલસો માત્ર સંગીત વિશે નથી, પણ એક અનુભવ છેઃ વિરાટ સ્ટેજ, સેટિંગ્સ, અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ અને માહોલ. આજના હડહડતા સોશિયલ મિડિયા યુગમાં લાઈવ કન્સર્ટમાં સહભાગી થવાનું સૌથી મોટું આકર્ષણ છેઃ “આપણે પણ ત્યાં હતા હોં” એવી હોંશિયારી અને “ત્યાં” એટલે કે કન્સર્ટ (કે એવા કોઈ મોટા ઈવેન્ટમાં) હોવાની સાબિતી રૂપે ઈન્સ્ટા, ફેસબુક, સ્નૅપચૅટ પર અપલોડ થતા ફોટા-વિડિયો.
જેમ કે, પૉપના પાદશાહ મરહૂમ માઈકલ જેક્સનનો ભારતમાં પહેલો ને છેલ્લો, એકમાત્ર કન્સર્ટ 1996માં મુંબઈમાં થયેલો. એમાં સહભાગી થનારા મારા જેવા આશરે પાંત્રીસેક હજાર લોકો એ સંગીતજલસાની લોકકથા આજે પણ સગર્વ કહે છે. “કોલ્ડપ્લે” હોય, અરિજિતસિંહ હોય કે દિલજિત દોસાંજ હોય, લાઈવ કન્સર્ટમાં ચાહકો પોતાના સ્ટાર સાથે લાઈવ સંવાદ સાધી શકે છે. ચાહક માટે આ દિવ્યતાનો અનુભવ હોય છે.
બીજી બાજુ કલાકારો માટે પણ સંગીતજલસા એવી જગ્યા હોઈ શકે, જ્યાં તેઓ ચાહકો સાથે કનેક્ટ થઈ શકે. આ વર્ષના મે મન્થમાં મુંબઈના વિશ્વવિખ્યાત ષણ્મુખાનંદ ઑડિટરિયમમાં “શતાયુ મુકેશ” કાર્યક્રમમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. સુપ્રસિદ્ધ હાસ્યલેખક રતિલાલ બોરીસાગરની પ્રેરણાથી મુંબઈના હરેશ મહેતા અને એમની ખંતીલી ટીમે સ્થાપેલા “શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન” સંચાલિત, સાવરકુંડલામાં નિઃશુલ્ક ઈલાજ કરતા “શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર”ના ફંડ રેઈઝર માટે યોજાયેલા આ કાર્યક્રમના મુખ્ય કલાકાર હતા મુકેશના પુત્ર નીતિન મુકેશ. હકડેઠઠ મેદની મનભરીને મુકેશનાં ગીતો માણી રહી હતી. અને જ્યાં નીતિનજીએ “જો તુમકો હો પસંદ વોહી બાત કરેંગે” રજૂ કર્યું ને 80-85 વર્ષના વડીલોથી લઈને મધ્યવયસ્ક સિનેમાસંગીત-પ્રેમીઓ સ્ટેજ પાસે આવીને નાચવા લાગ્યા. પછી તો નીતિનભાઈએ પપ્પાએ સ્વરબદ્ધ કરેલાં ગુજરાતી ગીતો રજૂ કર્યાં ત્યારે વાતાવરણમાં ઉન્માદ છવાઈ ગયો.
વાત આ જ છેઃ લાઈવ સંગીતજલસાનો સૌથી મોટો યુએસપી એ છે કે એ ફૅન્સને જીવનભરનું સંભારણું સર્જી આપે છે.
હવે આવતા સપ્તાહથી નવ-દસ દિવસ ગુજરાત, મુંબઈમાં ખેલૈયા વિવિધ કલાકારના કંઠે ગવાતા લાઈવ ગરબા, ગુજરાતી-હિંદી ગીતોના તાલે ઝૂમશે.
ભલે. જેને જે ગમે એ એન્જોય કરે, પણ પ્લીઝ પ્લીઝ… ગુજરાતી નાટકો પણ જોવા જાઓ. કોમેડી, પારિવારિક, સસ્પેન્સ, સાઈકોલોજિકલ થ્રિલર જેવાં નાટકનાં મંચન આપણા પ્રતિભાશાળી નાટ્યકારો કરે છે. આ વીકએન્ડમાં જ જાઓ.