Home Blog Page 27

‘કોકટેલ 2’ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં શાહિદ,રશ્મિકા અને કૃતિનો સ્ટાઈલિશ લૂક

શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના સ્ટારર રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘કોકટેલ 2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.મુંબઈમાં એક ઈવેન્ટમાં ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું.

લાંબા સમય સુધી રાહ જોયા પછી ફિલ્મ “કોકટેલ 2” નું ટ્રેલર આખરે આજે રિલીઝ થયું છે. આ ફિલ્મનું દિગ્દર્શન હોમી અડાજાનિયા દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે 2012 ની સુપરહિટ ફિલ્મ “કોકટેલ” નું પણ દિગ્દર્શન કર્યું હતું.

ફિલ્મ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના સામેલ થયા હતાં.

કોકટેલ ફિલ્મમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટીએ અભિનય કર્યો હતો. જોકે, આ વખતે સિક્વલમાં સંપૂર્ણપણે નવી સ્ટાર કાસ્ટ છે. કોકટેલ 2 માં શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા છે.

ફિલ્મનું સંગીત પ્રીતમ દ્વારા આપવામાં આવ્યું છે અને ગીતો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. આ ફિલ્મ દિનેશ વિજન અને લવ રંજન દ્વારા નિર્મિત છે. “કોકટેલ 2” 19 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

(તસવીર: માનસ સોમપુરા)

બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 5થી વધુના મોત

સુરત: બારડોલી નજીક ઉવા ગામ પાસે બે બસો વચ્ચે ભયંકર ટક્કર બાદ એક બસ પલટી મારી જતા તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોથી વધુના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. બે સરકારી એસ.ટી. બસો વચ્ચે ખતરનાક ટક્કર વાગતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને બસ મહારાષ્ટ્ર પાસિંગની છે.

ઘટના એમ છે કે, હાઈવે પર એક ટેન્કર પલટી મારી ગયું હતું. આમ પાછળ આવતી બસના ચાલકે ટેન્કર સાથે અથડામણ ટાળવાનો પ્રયત્ન કરતા બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેમાં બસ ડીવાઈડર કૂદી સામે આવતી અન્ય બસ સાથે ભયંકર રીતે ટકરાઈ હતી.

ગમખ્વાર અકસ્માતમાં એક બસ CNG હોવાથી ટક્કર બાદ તેમાં આગ ફાટી નીકળી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 5થી વધુ લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બસ અકસ્માતની ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

અન્નામલાઈએ આપ્યું રાજીનામું, નવી પાર્ટી લોન્ચ કરવાની તૈયારી

નવી દિલ્હીઃ તામિલનાડુના ભૂતપૂર્વ ભાજપ પ્રદેશાધ્યક્ષ કે. અન્નામલાઈએ મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય મહાસચિવને મળીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. અન્નામલાઈના રાજકીય ભવિષ્ય અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે આ મુલાકાતો મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર ભૂતપૂર્વ IPS અધિકારી અન્નામલાઈ નવી રાજકીય પાર્ટી શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમના નજીકના સહયોગીઓના જણાવ્યા મુજબ આ પાર્ટીનો અભિગમ “ધર્મનિરપેક્ષ” અને “તમિળ ફર્સ્ટ” રહેશે. તેમણે ભાજપના નેતાઓને પાંચ પાનાંનું રાજીનામું સોંપ્યું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

આગામી છથી 8 મહિનામાં આ નવા રાજકીય સંગઠનની શરૂઆત થઈ શકે છે. આ પાર્ટી તામિલનાડુમાં ભાજપ અને દ્રવિડ પક્ષો બંનેના વિકલ્પ તરીકે પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. અન્નામલાઈના નજીકના લોકોનું કહેવું છે કે તેઓ એવી રાજકીય પાર્ટી ઊભી કરવા માગે છે જે તમિળ ઓળખને રાષ્ટ્રીય દૃષ્ટિકોણ સાથે જોડે અને વિરોધી પક્ષો સામે મુદ્દા આધારિત રાજકારણ કરે.

આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે છેલ્લા ઘણા મહિનાઓથી અન્નામલાઈ અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે તામિલનાડુમાં પાર્ટીની રાજકીય વ્યૂહરચના અંગે મતભેદોની ચર્ચા ચાલી રહી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ દ્વારા AIADMK સાથે ફરી ગઠબંધન કરવાનો નિર્ણય અને તાજેતરની વિધાનસભા ચૂંટણી પહેલાં ઉમેદવારોની પસંદગીના કેટલાક મુદ્દાઓથી અન્નામલાઈ અસંતુષ્ટ હતા. મંગળવારે અન્નામલાઈએ ગૃહ મંત્રી અમિત  શાહ સાથે પણ મુલાકાત કરી હતી અને તેમને પોતાનું એક પુસ્તક ભેટમાં આપ્યું હતું.

કેન્દ્રની આ નીતિનો પણ કર્યો હતો વિરોધ

અન્નામલાઈના ભવિષ્ય અંગેની અટકળો ત્યારે વધુ તેજ બની જ્યારે તેમણે તાજેતરમાં કેન્દ્ર સરકારની CBSE ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓને ફરજિયાત બનાવવાની નીતિની ટીકા કરી હતી. તેમણે આ નિર્ણયને તામિલનાડુના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચિંતાજનક ગણાવ્યો હતો. જોકે અન્નામલાઈએ સત્તાવાર રીતે ભાજપ છોડવાની કે નવી પાર્ટી બનાવવાની જાહેરાત હજુ સુધી કરી નથી. તેથી આ તમામ માહિતી હાલમાં સૂત્રો અને અહેવાલોને આધારે સામે આવી રહી છે.

રાજ્યમાં શરૂ થયું ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’

ગાંધીનગર: રાજ્યમાં ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ક્રાઈમના વધતા જતા ગ્રાફ વચ્ચે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક ઈમરજન્સી વીડિયો કોન્ફરન્સ યોજીને કડક નિર્ણયો લીધા છે. જે અંતર્ગત બીજી જૂનથી રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ લોન્ચ કરીને સાયબર ગુનેગારો સામે એક વ્યાપક અને આક્રમક મોરચો ખોલવામાં આવ્યો છે.

હાઈલેવલ બેઠકથી દોડધામ

ગૃહમંત્રી દ્વારા અચાનક બોલાવવામાં આવેલી આ મધરાતની હાઈપ્રોફાઈલ બેઠકને પગલે સચિવાલયના ગૃહ વિભાગમાં ભારે સળવળાટ જોવા મળ્યો હતો. રાજ્યના પોલીસ વડા સહિતના તમામ ટોચના પોલીસ અધિકારીઓ સચિવાલય ખાતે દોડી આવ્યા હતા. આ વીડિયો કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ કમિશનરો (CP), રેન્જ આઈજી (IG) અને ડીઆઈજી (DIG) અને જિલ્લા પોલીસ વડાઓ (SP) સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ મોડી રાત્રે લાઈવ જોડાયા હતા અને પોતપોતાના વિસ્તારની વર્તમાન સુરક્ષા સ્થિતિ તેમજ સાયબર ક્રાઈમના કેસોનો ચિતાર ગૃહમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો.

શું છે ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’?

આ સમગ્ર ઓપરેશનનો મુખ્ય એજન્ડા ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવાનો અને સાયબર માફિયાઓના આખા નેટવર્કને નેસ્તનાબૂદ કરવાનો છે. સાયબર ગુનેગારો સામાન્ય, ગરીબ કે લાલચુ લોકોના બેન્ક એકાઉન્ટ્સ (જેને ટેકનિકલ ભાષામાં ‘મ્યુલ એકાઉન્ટ’ કહેવાય છે) ભાડે રાખતા હોય છે અને લોકો સાથે છેતરપિંડી કરીને મેળવેલા કરોડો રૂપિયા આ જ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરતા હોય છે.

સાયબર ઠગાઈના પૈસા જે બેન્ક એકાઉન્ટ્સમાં જમા થાય છે. એવા તમામ શંકાસ્પદ અને ભાડે આપેલા એકાઉન્ટ્સને તાત્કાલિક ધોરણે ટ્રેક કરવામાં આવે. ભાડે આપેલા આ મ્યુલ એકાઉન્ટ્સના માધ્યમથી ગુના આચરનારા અસલી માસ્ટરમાઈન્ડ અને તેમની આંતરરાષ્ટ્રીય લિંક્સ સુધી પહોંચીને આખું નેટવર્ક તોડી પાડવામાં આવે. સાયબર ઠગાઈના આ કાળા કારોબારમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનારા તમામ તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય, ચાર દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી મુજબ જ સમગ્ર રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગે 2થી 5 જૂન સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 50થી 60 કિમી સુધી રહેવાની છે તેમ પણ જણાવ્યું હતું. હાલમાં રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે.આ ત્રણ સિસ્ટમોમાં બે સાયકલોનિક સર્ક્યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે, જેની અસર સમગ્ર ગુજરાતમાં અનુભવાઈ રહી છે. આજે અને આવતીકાલે (2 અને 3 જૂન) ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે પવન, ગાજવીજ અને વરસાદને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. આ બન્ને શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

બીજી તરફ, દક્ષિણ ભારતમાં ચોમાસાની પ્રગતિને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, કેરળમાં 4 જૂનથી ચોમાસાનું સત્તાવાર આગમન થવાની શક્યતા છે.

આ પહેલાં 1 જૂનની રાત્રે અને 2 જૂનની વહેલી સવારે અમદાવાદ સહિત સુરત, નવસારી, વલસાડ, બોટાદ, પાટણ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવન, ધૂળની ડમરીઓ અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત નાગરિકોને ગરમીથી મોટી રાહત મળી છે, પરંતુ વાવાઝોડાને કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા અનેક શહેરો અને ગ્રામ્ય પંથકોમાં અંધારપટ છવાયો હતો.

સપ્લાય ચેઇન ખોરવાતાં સૂકા મેવાના ભાવ વધવાનાં એંધાણ

નવી દિલ્હીઃ તહેવારોની સીઝન શરૂ થવામાં હજુ થોડો સમય બાકી છે, પરંતુ ડ્રાયફ્રૂટ બજારમાં હાલચલ તેજ બની ગઈ છે. વેપાર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આ વર્ષે દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન પિસ્તા, બદામ, અંજીર, ખજૂર અને અન્ય ડ્રાયફ્રૂટ્સની કિંમતો ગ્રાહકોનાં ખિસ્સાં પર ભાર મૂકે એવી શક્યતા છે. જોકે તેનું સૌથી મોટું કારણ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી પરિસ્થિતિઓ છે. ઈરાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી ભારત મોટી માત્રામાં ડ્રાયફ્રૂટ્સ આયાત કરે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ત્યાં વધેલા તણાવપૂર્ણ વાતાવરણ અને યુદ્ધ જેવી સ્થિતિઓએ સપ્લાય ચેઇનને ગંભીર રીતે અસર કરી છે. ડ્રાયફ્રૂટ વેપાર સાથે જોડાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે સમસ્યા માત્ર માલની અછતની નથી. શિપિંગ, પરિવહન, વીમા, ફ્રેટ ચાર્જ અને યુદ્ધ સંબંધિત વધારાના ખર્ચને કારણે સમગ્ર સપ્લાય ચેઇન મોંઘી બની ગઈ છે. તેની સીધી અસર બજારમાં કિંમતો પર જોવા મળી રહી છે.

સપ્લાય ચેઇન પર મોટી અસર

વેપારીઓના જણાવ્યા મુજબ પહેલાં અફઘાનિસ્તાન અને ઈરાનમાંથી ડ્રાયફ્રૂટ્સ સરળતાથી ભારત પહોંચી જતા હતા, પરંતુ હવે ઘણા માર્ગો પ્રભાવિત થયા છે. અફઘાનિસ્તાનથી આવતો માલ પહેલેથી જ અનેક અવરોધોનો સામનો કરી રહ્યો હતો, અને હવે ઈરાનથી આવતી સપ્લાય પણ અસરગ્રસ્ત બની છે. પરિસ્થિતિ એવી છે કે કેટલીક જગ્યાએ બંદરોનું સંચાલન પ્રભાવિત થયું છે, જ્યારે અનેક શિપિંગ કંપનીઓએ વધારાના ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. જે માલ પહેલાં થોડા દિવસોમાં ભારત પહોંચી જતો હતો, તેને હવે પહોંચવામાં ઘણી વધુ સમય લાગી રહ્યો છે.

કિંમતોમાં કેટલો વધારો થયો?

કુલ મળીને ઘણા મુખ્ય ડ્રાયફ્રૂટ્સની કિંમતોમાં 10થી 25 ટકા સુધીનો વધારો થઈ ચૂક્યો છે. ઉપરાંત ડોલર સામે રૂપિયાની સ્થિતિ અને વધતી આયાત કિંમતને કારણે પણ કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે.

દિવાળી દરમિયાન વધી શકે છે મુશ્કેલીઓ

હાલમાં ઉનાળાની ઋતુ હોવાથી ડ્રાયફ્રૂટ્સની માંગ સામાન્ય છે. પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બરથી તહેવારોની સીઝન શરૂ થશે. ત્યારબાદ દિવાળી સુધી બજારમાં માંગ ઝડપથી વધે છે. નિષ્ણાતોનું કહેવું છે કે વાસ્તવિક પડકાર ત્યારે શરૂ થશે. જો ત્યાં સુધી સપ્લાય સામાન્ય નહીં બને તો ડ્રાયફ્રૂટ્સની કિંમતોમાં વધુ વધારો જોવા મળી શકે છે.

વડોદરા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું દુઃખદ નિધન, 36 વર્ષ MLA પદે રહ્યા

વડોદરા: માંજલપુર વિધાનસભા બેઠકના વરિષ્ઠ અને લોકપ્રિય ભાજપ ધારાસભ્ય યોગેશભાઈ નારાયણદાસ પટેલનું દુઃખદ નિધન થયું છે. છેલ્લા કેટલાય સમયથી હૃદયરોગની બીમારીથી પીડાતા હતા. તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં બે દિવસ અગાઉ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આમ ફરી ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. આ પહેલાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું 6 માર્ચ, 2026ના રોજ અવસાન થતાં બેઠક ખાલી પડી હતી. જોકે પેટાચૂંટણી બાદ તેમના પુત્રની જીત થઈ હતી.યોગેશ પટેલ વડોદરાની જનતામાં અભૂતપૂર્વ લોકચાહના ધરાવતા હતા. તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો વિરલ રેકોર્ડ ધરાવે છે. તેમણે શરૂઆતમાં વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠક પરથી સતત ચૂંટણીઓ જીતીને ભાજપનો ગઢ મજબૂત કર્યો હતો. સીમાંકન બદલાયા બાદ તેઓ માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ત્યાં પણ જંગી મતોની સરસાઈથી વિજેતા બનતા રહ્યા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે આ બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો હતો. તેઓ ગુજરાતના વરિષ્ઠ ધારાસભ્ય તરીકે ઓળખાતા હતા.

યોગેશ પટેલને લોકો કાકાના હુલામણા નામે ઓળખતા હતા. રાજ્ય સરકારમાં પણ તેમણે મહત્વની જવાબદારીઓ સંભાળી છે. રૂપાણીની સરકારમાં તેઓ રાજ્ય કક્ષાના નર્મદા વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. મંત્રી પદ દરમિયાન વડોદરા અને મધ્ય ગુજરાતના વિકાસ કાર્યોને વેગ આપ્યો હતો. સામાન્ય નાગરિકો માટે તેઓ ચોવીસ કલાક ઉપલબ્ધ રહેતા નેતા હતા. વડોદરાના સ્થાનિક પ્રશ્નો, રસ્તા, પાણી, અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ માટે તેઓ પોતાની જ સરકાર સામે પણ અવાજ ઉઠાવવામાં અચકાતા નહોતા. 8 ટર્મની લાંબી સંસદીય સફર અને જનતા સાથેનું સીધું જોડાણ તેમને વડોદરાના રાજકીય ઇતિહાસના સૌથી કદાવર અને આદરણીય નેતા બનાવે છે. તેઓના નિધનના પગલે રાજકારણીઓમાં પણ ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.

અમદાવાદમાં સામાન્ય બોલાચાલીમાં ધોળા દિવસે યુવકની હત્યા

AI Generated

અમદાવાદ: મેઘાણી નગર વિસ્તારમાં આવેલી ગુલબર્ગ સોસાયટીની બહાર ચહલપહલથી ધમધમતા જાહેર રસ્તા પર ધોળા દિવસે એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી. ભરચક વિસ્તારમાં બધાંની વચ્ચે અચાનક ચીસાચીસ થાય છે અને કાયદાના લીરેલીરા ઉડાડતો એક લોહિયાળ ખેલ ખેલાઈ જાય છે.

ધોળા દિવસે ઘાતકી ખેલ

મૃતક યુવકની ઓળખ હરેશભાઈ પટણી તરીકે થઈ છે, જે મેઘાણીનગર વિસ્તારમાં જ આવેલા લક્ષ્મીનગરનો રહેવાસી હતો. 2 જૂનના રોજ સવારે 11:00 વાગ્યાની આસપાસ હરેશ પોતાના ઘરની બહાર નીકળીને રિક્ષામાં બેસી ગુલબર્ગ સોસાયટી પાસે સમય પસાર કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. હરેશ સાથે કોઈ બાબતે બોલાચાલી શરૂ કરી હતી. જોતજોતામાં આ બોલાચાલીએ અત્યંત ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હુમલો એટલો ઘાતકી હતો કે યુવક ઘટનાસ્થળે જ ઢળી પડ્યો. રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આ સનસનીખેજ હત્યાકાંડને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાય છે.

ખાખીની બીક ક્યાં? 

જે વિસ્તારમાં આ ઘટના બની તે મેઘાણી નગરનો વ્યસ્ત રોડ છે. સવાલ ઊભો થાય છે કે જાહેર રોડ પર આ પ્રકારે બેખૌફ બનીને હત્યા કરવાનું સાહસ ગુનેગારોમાં ક્યાંથી આવે છે? ધોળા દિવસે આ પ્રકારે આચરાયેલો ગુનો એ સાબિત કરે છે કે અસામાજિક તત્વોમાં ‘ખાખી’નો કોઈ ખોફ રહ્યો નથી. આવી ઘટનાઓથી સામાન્ય નાગરિકો હવે તે રસ્તા પર નીકળતા પણ ડરી રહ્યા છે.

તપાસનો ધમધમાટ

જાહેર રોડ પર હત્યાની જાણ થતાં જ મેઘાણી નગર પોલીસ મથકનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે એકત્રિત થયેલા ટોળાંને વિખેરી નાખ્યું હતું. ત્યારબાદ ક્રાઈમ સીનને કોર્ડન કરી, જરૂરી પુરાવા એકત્રિત કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસની સર્જિકલ સ્ટ્રાઈકઃ રૂ. 2289 કરોડની છેતરપિંડીનો ખુલાસો

અમદાવાદઃ સાયબર ગુનાઓ સામે રાજ્ય પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતાં ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ સફળતાપૂર્વક અમલમાં મૂક્યું છે. આ અભિયાન હેઠળ મ્યુલ એકાઉન્ટ્સ મારફતે ચલાવવામાં આવતા મોટા સાયબર છેતરપિંડી નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે રૂ. 2289 કરોડની આર્થિક છેતરપિંડીનો પર્દાફાશ કરીને સેંકડો આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. આ અભિયાનનો હેતુ સામાન્ય નાગરિકોની મહેનતની કમાણી સાયબર ગુનેગારો પાસેથી સુરક્ષિત રાખવાનો અને દોષિતોને કડક સજા અપાવવાનો છે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ડેપ્યુટી ઉપ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યમાં વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (CCE) દ્વારા આ અભિયાનનું સંચાલન કરવામાં આવ્યું અને વિવિધ જિલ્લાઓમાં સંકલિત કાર્યવાહી કરીને સાયબર ગુનાખોરીના મોટા નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યું હતું.

આ અભિયાનનું મુખ્ય કેન્દ્રબિંદુ મ્યુલ એકાઉન્ટ્સ રહ્યા. મ્યુલ એકાઉન્ટ્સ એવા બેંક ખાતાં હોય છે, જેનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિંડીથી મેળવેલા નાણાં જમા કરવા, ટ્રાન્સફર કરવા અને મની લોન્ડરિંગ માટે કરે છે. આવાં ખાતાંના માલિકોને ‘મની મ્યુલ’ કહેવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં લોકો જાણીને તો કેટલાક કિસ્સાઓમાં અજાણતાં પણ પોતાના ખાતાઓ સાયબર ગુનેગારોના ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવે છે. વર્ષ 2025માં શરૂ કરાયેલા ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0માં રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ વડાઓ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર પોલીસ સ્ટેશનોને સામેલ કરવામાં આવ્યા હતા.

પોલીસે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP), સમન્વય પોર્ટલ અને 1930 હેલ્પલાઇનમાંથી પ્રાપ્ત માહિતીનું વ્યાપક વિશ્લેષણ કર્યું. ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0ની મુખ્ય ઉપલબ્ધિઓ:

  • કુલ 565 FIR નોંધવામાં આવી.
  • 638 આરોપીઓની ધરપકડ કરવામાં આવી.
  • 193 મ્યુલ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી.
  • 4052 ગુનાઓની ઓળખ કરવામાં આવી, જેમાંથી 491 કેસ ગુજરાત સાથે સંબંધિત હતા.
  • કુલ રૂ. 2289 કરોડની આર્થિક છેતરપિંડીનો પર્દાફાશ થયો.

આ અભિયાનની અસર બેંકિંગ વ્યવહારોના પેટર્નમાં પણ જોવા મળી. પોલીસના જણાવ્યા અનુસાર, ચેક દ્વારા થતી ઉપાડની લેવડદેવડમાં લગભગ 75 ટકા ઘટાડો નોંધાયો છે. માસિક ચેક ઉપાડ રૂ. 126 કરોડથી ઘટીને માત્ર રૂ. 25 કરોડ રહ્યો, જે લગભગ 80 ટકાના ઘટાડાને દર્શાવે છે.

ધર્મેન્દ્રની બાયોપિક કોણ કરી શકે? બોબી દેઓલે આપ્યો આવો જવાબ

દિવંગત અભિનેતા ધર્મેન્દ્રની બાયોપિકમાં મુખ્ય અભિનેતા કોણ હશે તે અંગેના પ્રશ્નનો બોબી દેઓલે શું જવાબ આપ્યો તે જાણો.

બોલિવૂડના સૌથી પ્રખ્યાત અભિનેતા બોબી દેઓલ, તેમની આગામી ફિલ્મ “બંદર” માટે સમાચારમાં છે. તેમણે અગાઉ તેમના પિતા, મહાન અભિનેતા ધર્મેન્દ્ર વિશે ઘણી રસપ્રદ વાતો જાહેર કરી હતી, જેમનું ગયા વર્ષે અવસાન થયું હતું. તેમને તાજેતરમાં પૂછવામાં આવ્યું હતું કે જો ધર્મેન્દ્રની બાયોપિક બનાવવામાં આવે તો કોણ શ્રેષ્ઠ ભૂમિકા ભજવશે? બોબી દેઓલે આવો જવાબ આપ્યો.

ધર્મેન્દ્રની અભિનય કુશળતાનું અનુકરણ કોણ કરી શકે?

બોબી દેઓલ ઇન્ડિયા ટીવીના કાર્યક્રમ “આપ કી અદાલત” માં જોવા મળ્યા હતા. પ્રેક્ષકોમાંથી એક સભ્યએ પૂછ્યું,”જો ક્યારેય મહાન અભિનેતા ધર્મેન્દ્ર પર બાયોપિક બનાવવામાં આવે, તો તેમને કોણ લાગે છે કે તેમને પડદા પર શ્રેષ્ઠ રીતે રજૂ કરી શકે?” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ કે તેમના મોટા ભાઈ, સની દેઓલ, આ ભૂમિકા માટે શ્રેષ્ઠ રહેશે, ત્યારે બોબીએ જવાબ આપ્યો,”કોઈ નહીં.” તેમણે ઉમેર્યું, “કોઈ પણ તેમના જેવું ન હોઈ શકે. કોઈ પણ ક્યારેય તેમના જેવો વ્યક્તિ ન હોઈ શકે.”

જ્યારે પ્રેક્ષકોમાંથી એક સભ્યએ ધર્મેન્દ્રના કથિત ગુસ્સા પર ટિપ્પણી કરી જે લોકો તેની સાથે અસભ્ય વર્તન કરતા હતા, ત્યારે બોબીએ તેના પિતાનો બચાવ કરતા કહ્યું,”પપ્પા એક એવા માણસ હતા જે કોઈનું અસભ્ય કે અપમાનજનક વર્તન સહન કરી શકતા ન હતા.એ સાચું છે કે તે પોતાનો હાથ ઉંચો કરતા અને જોરથી માર પણ મારતા. પરંતુ પછીથી, તે તે જ વ્યક્તિને અંદર બોલાવતા, તેમને ખવડાવતા અને તેમને નવા કપડાં પણ ખરીદી આપતા. તે આ પ્રકારના વ્યક્તિ હતા.”

બોબી દેઓલને તેમના પિતાનો એવોર્ડ મળ્યો

તાજેતરમાં યોજાયેલા ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026માં ધર્મેન્દ્રને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બોબી દેઓલે તેમના પિતા વતી આ સન્માન સ્વીકાર્યું હતું.બોબી દેઓલ ટૂંક સમયમાં અનુરાગ કશ્યપની ફિલ્મ “બંદર” માં જોવા મળશે.