Home Blog Page 273

મહારાષ્ટ્રનાં પ્રથમ મહિલા ડેપ્યુટી CM બન્યાં સુનેત્રા પવાર

મુંબઈઃ રાજ્યસભાનાં સાંસદ સુનેત્રા પવારે શનિવારે વિધાનસભા ભવનમાં યોજાયેલી બેઠકમાં પાર્ટીના વિધાનસભા દળના નેતા તરીકે સર્વસંમતિથી પસંદ થયા બાદ મહારાષ્ટ્રનાં પ્રથમ મહિલા ઉપ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. તેમણે રાજ્ય મંત્રીમંડળમાં પોતાના દિવંગત પતિ અને NCPપ્રમુખ અજિત પવારનું સ્થાન લીધું છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને શપથ અપાવ્યાં હતા. અજિત પવારના અવસાનના ત્રણ દિવસ બાદ તેમની જગ્યાએ પત્ની સુનેત્રા પવારને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. અજિત પવાર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા હતા અને તેમનું અવસાન એક વિમાન દુર્ઘટનામાં થયું હતું. 28 જાન્યુઆરીએ બારામતીમાં તેમનો પ્લેન ક્રેશ થયો હતો2024ની લોકસભા ચૂંટણી સુધી સુનેત્રા પવાર જાહેર જીવનથી દૂર રહ્યાં હતાં. તે વર્ષે તેમણે બારામતીમાંથી NCPના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, પરંતુ પોતાની ભાભી અને હાલનાં NCP (SP) સાંસદ સુપ્રિયા સુળે સામે પરાજય પામ્યાં હતાં. ત્યાર બાદ તેઓ રાજ્યસભામાં ચૂંટાયાં હતાં.

કોણ છે સુનેત્રા પવાર?

સુનેત્રા પવાર ધારાશિવ જિલ્લાની રહેવાસી છે. તેઓ NCPના વરિષ્ઠ નેતા પદ્મસિંહ પાટીલનાં બહેન છે. તેમનું બાળપણ ધારાશિવના ટેર ગામમાં વીત્યું હતું. તેઓ કહે છે કે રાજકારણ અને સામાજિક કાર્ય પ્રત્યેનો જુસ્સો તેમને તેમના પિતા પાસેથી મળ્યો, જે એક સ્વતંત્રતાસેનાની હતા અને ગામના પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક હતા. પદ્મસિંહ પાટીલ અને શરદ પવારની મિત્રતાને કારણે સુનેત્રા અને અજિત પવારનાં લગ્ન થયાં. વર્ષ 1980માં લગ્ન બાદ સુનેત્રા બારામતી આવી ગયાં હતાં. અજિત પવારે જ્યારે રાજકીય કારકિર્દી શરૂ કરી, ત્યારે શરૂઆતનાં કેટલાક વર્ષો સુધી સુનેત્રાએ ઘર સંભાળ્યું હતું.

પવાર પરિવાર અને પાર્ટીના નિર્ણયો પર મતભેદ

NCP (SP) અને શરદ પવારના પરિવાર સાથે જોડાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને સુનેત્રા પવારના ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ સરકારમાં જોડાવાના નિર્ણય અંગે કોઈ જાણકારી નહોતી. મુખ્ય મંત્રી દેવન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ભાજપ અજિત પવારના પરિવાર અને પાર્ટી દ્વારા લેવામાં આવેલા કોઈ પણ નિર્ણયને સમર્થન આપશે. NCPપ્રમુખ શરદ પવારે આ ઘટનાક્રમથી પોતાને અલગ રાખતાં કહ્યું કે તેમને સુનેત્રા પવારના શપથ ગ્રહણ અંગેની જાણકારી મિડિયા અહેવાલોમાંથી મળી હતી અને એવું લાગે છે કે આ નિર્ણય NCPએ લીધો છે.

મર્દાનીનું ત્રીજું ચેપ્ટર વધુ ડાર્ક, વધુ ડેડલી…

રાની મુખર્જીને મુખ્ય પાત્રામાં ચમકાવતી મરદાની-સિરીઝની ફિલ્મો જોનાર રસિક પ્રેક્ષકોને ખ્યાલ હશે જ કે, એના વાર્તા સમાજના સિતમની ભઠ્ઠીમાં શેકાતી માસૂમ બાળા, મહિલાઓ પર ત્રાસ ગુજારતા નરાધમોની પાછળ આદું ખાઈને પાછળ પડી જતી નીડર મહિલા કૉપ શિવાની શિવાજી રૉય (રાની)ની આસપાસ ફરતી હોય છે. પહેલા પાર્ટમાં નરાધમ અથવા વિલન હતો તાહિર રાજ ભસીન, બીજામાં અમુક અંશે ભેજાગેપ પણ ખતરનાક એવો વિશાલ જેઠવા. ત્રીજા પાર્ટમાં, અમ્માના પાત્ર માટે યશરાજ ફિલ્મ્સની વિશ્વાસુ કાસ્ટિંગ ડિરેક્ટર શાનૂ શર્માએ પંસદ કરી છે કન્નડ સિનેમાની અનુભવી અભિનેત્રી મલ્લિકા પ્રસાદને. પણ સબૂર. આ શું? અહીં બીજો પણ ખતરનાક વિલન (પ્રજેશ કશ્યપ) છે, જેનો પરિચય ઈન્ટરવલની જરીક પહેલાં કરાવવામાં આવે છે.

રાઈટર આયુષ ગુપ્તાએ દીપક કિંગરાણી-બલજીતસિંહ મારવા સાથે મળીને સત્યઘટના આધારિત લખેલી વાર્તા કંઈ આવી છેઃ

અન્ડરકવર જાસૂસ બનીને સુંદરબન્સમાં ડ્રગ્સની હેરફેર કરનારાઓનું રેકેટ ખુલ્લું પાડનારી શિવાની રૉયને તાકીદે દિલ્હી બોલાવવામાં આવે છે. દિલ્હીમાં ફેમિલી સાથે છુટ્ટી પર આવેલા ઈન્ડિયન ડિપ્લોમેટ (ઈન્દ્રનીલ ભટ્ટાચાર્ય)ની બાલિકાનું અપહરણ થાય છે. સાથે ફાર્મહાઉસના ગરીબ કેરટેકરની પુત્રીને પણ અપહરકારો લઈ ગયા છે. આ હાઈ-પ્રોફાઈલ કિડનેપિંગ કેસ શિવાની રૉયને સોંપવામાં આવે છે. અપહરણકારોનું પગેરું મેળવતાં ખબર પડે છે કે આ કામ બેગર-માફિયા અમ્માનું છે, જેનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલું છે. છીંડું શોધતાં લાધી પોળ એ ન્યાયે શિવાનીને એક મોટા ઈન્ટરનેશનલ રેકેટની જાણ થાય છે. એ અમ્માના આ ખતરનાક સામ્રાજ્યને ખતમ કરવા માગે છે, પરંતુ કૉર્પોરેટ જેવી માનસિકતા ધરાવતા દિલ્હીમાં બેઠેલા તેના ઉપરી અધિકારીઓ એને સતત વઢ્યા કરે છેઃ “એ બધું છોડ- તું ખાલી ડિપ્લોમેટની દીકરીની ચિંતા કર. એને પાછી લાવ.”

ફિલ્મ વિશેની આ એકમાત્ર વાત (હકીકત) મને ગમી ગઈઃ કિડનેપિંગ રેકેટની સૂત્રધાર અમ્મા શિવાનીને કહે છે કે “એ (અમ્મા) વર્ષોથી ગરીબ, હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગનાં બાળકોને ગાયબ કરીને જ પોતાનો ધંધો ચલાવે છે, કારણ કે સમાજ આવાં બાળકોની દરકાર નથી કરતો, નથી કાયદાને આ લોકોની કંઈ પડી…” સાંભળીને શિવાનીનો અંતરાત્મા જાગે છે. એ યુનિફૉર્મની ઐસીતૈસી કરીને મોટા રેકેટ પાછળ પડે છે. આમાં એના સાથ આપે છે કોન્સ્ટેબલ ફાતિમા (જાનકી બોડીવાલા) અને અન્ય…

ઓકે, ‘મર્દાની-3’ ખરાબ ફિલ્મ નથી, બસ, એમાં લોજિકની કમી છે. લોજિક છે, પણ એ ઈલ્લ-લોજિક છે. ઈન્ટરવલ સુધી ફિલ્મ સ-રસ બની છે, જકડી રાખે છે. ઈન્ટરવલ પછી ગોથાં ખાવા માંડે છે, ક્લાઈમેક્સ આવતાં સુધીમાં ઊંધા માથે પટકાય બની જાય છે. ડિરેક્ટર અભિરાજ મીનાવાલા કદાચ ઉતાવળમાં હશે. ગરીબ, માસૂમ બાળાઓને શું કામ કિડનેપ કરવામાં આવે છે એ મેડિકો-લીગલ રેકેટના લખાણમાંથી બુદ્ધિ-તર્ક ગાયબ છે. આગલી બે ફિલ્મમાં શિવાની રોયના કેરેક્ટરમાં છવાઈ ગયેલી રાની આ વખતે (મને) નહીં ગમી. જાનકી બોડીવાલા રાબેતા મુજબ સરસ. બન્ને વિલન પણ પ્રભાવ છોડી જાય છે. ટૂંકમાં, મર્દાની-ફ્રેન્ચાઈઝનો ત્રીજો ડાર્ક, ડેન્જરસ હફતો એવરેજ છે.

અયોધ્યાના GST ડેપ્યુટી કમિશનર પ્રશાંત કુમાર સિંહે રાજીનામું પાછું ખેંચ્યું

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં GST ડેપ્યુટી કમિશનર પ્રશાંત કુમાર સિંહે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમણે આ નિર્ણય કોઈપણ દબાણ વિના લીધો છે અને હાલમાં તેઓ તેમની ઓફિસમાં કાર્યરત છે. પ્રશાંત કુમાર સિંહે તેમના ભાઈ વિશ્વજીત સિંહ સામે પણ ગંભીર ગુનાહિત આરોપો લગાવ્યા હતા. પ્રશાંત કુમાર સિંહે કહ્યું, “મેં મારું રાજીનામું પાછું ખેંચી લીધું છે. મારા પર કોઈ દબાણ નથી. મેં કોઈપણ દબાણ વિના મારું રાજીનામું પાછું ખેંચી લીધું છે. આજે હું મારી ઓફિસમાં છું અને કામ કરી રહ્યો છું.” તેમણે સ્પષ્ટતા કરી કે આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે.

તેમણે આરોપ લગાવ્યો કે તેમનો ભાઈ વિશ્વજીત સિંહ મુખ્તાર અંસારીની માઉ ગેંગનો સક્રિય સભ્ય છે અને તેમના નાણાકીય સલાહકાર પણ રહ્યા છે. તેમના મતે, વિશ્વજીત સિંહ સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેમણે કહ્યું કે વિશ્વજીત સિંહે તેમના માતાપિતા પર હુમલો કર્યો હતો, જેના માટે FIR દાખલ કરવામાં આવી છે.

પ્રશાંત કુમાર સિંહે એવો પણ આરોપ લગાવ્યો કે તેમના ભાઈએ Jio શાખાના મેનેજરને મારી નાખવાની ધમકી આપી હતી અને લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા. તેમણે કહ્યું, તેમનું કામ લોકો પર પૈસા માટે દબાણ કરવાનું છે; તે ગુનેગાર છે. પ્રશાંત કુમાર સિંહે નકલી અપંગતા પ્રમાણપત્ર કેસ અંગે પોતાનો પક્ષ પણ રજૂ કર્યો. તેમણે સમજાવ્યું કે 2021 માં, તેમના ભાઈ, વિશ્વજીત સિંહે, માઉના મુખ્ય તબીબી અધિકારીને અરજી સુપરત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રશાંત કુમાર સિંહને આપવામાં આવેલ અપંગતા પ્રમાણપત્ર નકલી હતું કારણ કે તેમાં તારીખ અને ડૉક્ટરની સહીઓ નહોતી.

તેમણે કહ્યું કે નકલી પ્રમાણપત્ર બનાવનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાને બદલે, માઉના મુખ્ય તબીબી અધિકારીએ સીધા જ તેમની સામે તપાસનો આદેશ આપ્યો, જોકે પ્રમાણપત્ર તે જ કાર્યાલયમાંથી જારી કરવામાં આવ્યું હતું. તેમના મતે, પ્રમાણપત્ર સાચું છે કે નહીં તે નક્કી કરવા માટે પહેલા તપાસ થવી જોઈતી હતી.

પ્રશાંત કુમાર સિંહે જણાવ્યું કે તેઓ અયોધ્યાના મુખ્ય તબીબી અધિકારી સમક્ષ હાજર થયા. ત્યાંથી, માઉના મુખ્ય તબીબી અધિકારીને પ્રમાણપત્રની અધિકૃતતા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો. જવાબમાં, માઉના મુખ્ય તબીબી અધિકારીએ લેખિતમાં જણાવ્યું કે પ્રમાણપત્ર સાચું છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે પ્રમાણપત્ર સાચું જાહેર કરવામાં આવ્યું છે તો તેને વારંવાર નકલી કેમ કહેવામાં આવી રહ્યું છે.

બલૂચિસ્તાનમાં બળવાખોર બલૂચોનો એકસાથે 12 શહેરોમાં હુમલો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલૂચ બળવાખોરોએ ભારે વિનાશ વેર્યો છે. બલૂચ લિબરેશન આર્મી (BLA)એ બલૂચિસ્તાન પ્રાંતનાં અનેક શહેરોમાં એકસાથે હુમલા કરી અનેક પોલીસ સ્ટેશનો અને સરકારી ઇમારતો પર કબજો મેળવી લીધો છે. શનિવારે બલૂચિસ્તાનમાં બલૂચ બળવાખોરો- ખાસ કરીને બલૂચ લિબરેશન આર્મીના જયંદ ગ્રુપે “ઓપરેશન હેરોફ”ના ફેઝ-2 હેઠળ મોટા પાયે હુમલા કર્યા હતા.

બળવાખોર બલૂચોએ અનેક પોલીસ સ્ટેશનો પર કબજો કરી લીધો છે. અચાનક થયેલા આ હુમલાઓથી પાકિસ્તાની સેનાને બેકફૂટ પર જવું પડ્યું છે અને તેમને પોતાની પોસ્ટો છોડીને ભાગવું પડી રહ્યું છે.

આ હુમલાઓમાં અત્યાર સુધી 10 સુરક્ષા કર્મચારીઓનાં મોત થયાં છે, જ્યારે પાકિસ્તાન સરકારનો દાવો છે કે 58 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ હુમલાઓ પાકિસ્તાની સુરક્ષા દળો, સરકારી સુવિધાઓ અને અન્ય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા. એકસાથે 12થી વધુ સ્થળોએ હુમલાની માહિતી મળી હોવાથી આ હુમલાઓને અત્યંત મોટા માનવામાં આવી રહ્યા છે. બળવાખોરોએ ક્વેટામાં સવારે લગભગ છ વાગ્યે જોરદાર વિસ્ફોટ સાથે હુમલો શરૂ કર્યો હતો. ત્યાર બાદ બે કલાક સુધી ભારે ગોળીબાર અને અનેક વિસ્ફોટો થયા હતા.

અનેક શહેરો પર કબજો

ક્વેટા ઉપરાંત બલૂચ બળવાખોરોને પસની, મસ્તુંગ, નુશ્કી અને ગ્વાદર જિલ્લાઓમાં પણ એકસાથે હુમલા કર્યા છે. બાગી બંદૂકો વડે હુમલા કરી રહ્યા છે અને અનેક સ્થળોએ આત્મઘાતી હુમલાઓ પણ કરવામાં આવી રહ્યા છે. બલૂચિસ્તાનનાં અનેક શહેરોમાં સશસ્ત્ર લોકોએ કબજો મેળવી લીધો છે. મસ્તુંગમાં બળવાખોરોએ પોલીસ સ્ટેશન અને શહેર પર કબજો કરી લીધો છે અને 30થી વધુ કેદીઓ ફરાર થયા છે.

ક્વેટામાં પણ સશસ્ત્ર લોકોએ અનેક વિસ્તારો પર કબજો કર્યો હોવાની માહિતી છે. ગ્વાદરમાં હુમલાની ખબર છે અને કલાતમાં પણ અથડામણો ચાલુ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે બળવાખોરોએ શહેરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ અને અન્ય કાયદો અમલમાં મૂકનારી એજન્સીઓએ તેમને અટકાવ્યા હતા. આ હુમલાઓ બાદ ક્વેટા, સિબી અને ચમનમાં મોબાઇલ ફોન સેવા તો ચાલુ હતી, પરંતુ ડેટા સેવા બંધ કરી દેવામાં આવી હતી.

PSI-LRD કેડરની 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા શરૂ

ગુજરાતમાં પોલીસ દળની શક્તિ વધારવા માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં હવે મહત્વનો તબક્કો શરૂ થયો છે. PSI અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે ચાલી રહેલી ભરતી અંતર્ગત લેખિત પરીક્ષા બાદ હવે શારીરિક કસોટીનો ચરણ શરૂ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રક્રિયાનું સંચાલન ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ભરતી બોર્ડ તરફથી મળતી માહિતી મુજબ, લેખિત પરીક્ષામાં રેકોર્ડ સંખ્યામાં ઉમેદવારોએ ભાગ લીધો હતો. લાખોની સંખ્યામાં થયેલી સ્પર્ધા બાદ આશરે પચાસ હજારથી વધુ ઉમેદવારોને આગામી તબક્કા માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ભરતી રાજ્યની સૌથી મોટી ભરતી પ્રક્રિયાઓમાંની એક માનવામાં આવી રહી છે.

હવે પસંદ થયેલા ઉમેદવારો માટે રાજ્યના વિવિધ શહેરો તેમજ SRP કેન્દ્રોમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવી રહ્યો છે. શારીરિક કસોટીમાં કોઈપણ પ્રકારની ભૂલ કે ભ્રષ્ટાચાર ન થાય તે માટે અદ્યતન ટેક્નોલોજી અપનાવવામાં આવી છે. RFID ચિપ દ્વારા દોડ અને સમય માપણી કરવામાં આવી રહી છે, જેથી દરેક ઉમેદવારને સમાન અને ન્યાયસંગત તક મળી શકે.

આ ઉપરાંત ભરતી સ્થળોએ બાયોમેટ્રિક ચકાસણી, CCTV નજરદારી અને ડિજિટલ સાધનો દ્વારા ઊંચાઈ સહિતની તમામ પ્રક્રિયાઓ પારદર્શક રીતે કરવામાં આવી રહી છે. જો કોઈ ઉમેદવારને માપણી અથવા પ્રક્રિયા અંગે શંકા હોય તો તરત જ સ્થળ પર અપીલ કરવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે, જેથી ઉમેદવારોનો વિશ્વાસ જળવાઈ રહે.

રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા આ ભરતીને સંપૂર્ણ રીતે પારદર્શક, ટેક્નોલોજી આધારિત અને ઉમેદવારમૈત્રી બનાવવા માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં આ પ્રક્રિયા પૂર્ણ થતાં ગુજરાત પોલીસને મોટી સંખ્યામાં નવા જવાન મળશે.

એલેના રિબાકીનાએ પહેલી વાર ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીત્યું

કઝાકિસ્તાનની એલેના રિબાકીનાએ 2026 ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. પાંચમી ક્રમાંકિત રાયબાકીનાએ શનિવારે (31 જાન્યુઆરી) મેલબોર્નના રોડ લેવર એરેના ખાતે રમાયેલી ફાઇનલમાં વિશ્વની નંબર 1 ખેલાડી આર્યના સબાલેન્કાને 6-4, 4-6, 6-4થી હરાવી. રાયબાકીનાએ ટાઇટલ જીતવા માટે બે કલાક અને 18 મિનિટનો સમય લીધો.

એલેના રાયબાકીનાએ ટાઇટલ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું, પહેલો સેટ જીતી લીધો. ત્યારબાદ સબાલેન્કાએ વાપસી કરી અને બીજો સેટ જીતીને સ્કોર 1-1થી બરાબર કર્યો. અંતિમ સેટમાં એક સમયે, સબાલેન્કાએ 3-0થી આગળ રહી, પરંતુ તેનો મોમેન્ટમ ધીમો પડી ગયો, અને રાયબાકીનાએ સેટ અને મેચ જીતી લીધી.

એલેના રાયબાકીના પહેલી વાર ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બની છે. અગાઉ, રાયબાકીના 2023 માં અહીં ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેણીને સબાલેન્કાએ હરાવી હતી. નોંધનીય છે કે રાયબાકીનાએ 2022 માં તેનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું, જ્યારે તે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સ ચેમ્પિયન બની હતી. હવે, રાયબાકીનાએ બીજી વખત ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે.

દરમિયાન, આર્યના સબાલેન્કાને ત્રીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતવાની તક મળી હતી, પરંતુ તે આ વખતે નિષ્ફળ ગઈ. તેણીએ 2023 અને 2024 માં અહીં ટાઇટલ જીત્યું હતું. કુલ મળીને, સબાલેન્કાએ ચાર ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે, જેમાં બે યુએસ ઓપન ટાઇટલ (2024 અને 2025)નો સમાવેશ થાય છે.

27 વર્ષીય આર્યના સબાલેન્કાએ સેમિફાઇનલમાં યુક્રેનની એલિના સ્વિટોલીનાને 6-2, 6-3 થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. દરમિયાન, 26 વર્ષીય એલેના રાયબાકીનાએ સેમિફાઇનલમાં યુએસએની જેસિકા પેગુલાને 6-3, 7-6 (7) થી હરાવી હતી.

બજેટઃ ટેક્સમાં રાહત, ડિફેન્સ અને હેલ્થકેરમાં મધ્યમ વર્ગને મોટી અપેક્ષાઓ

નવી દિલ્હીઃ બજેટ 2026-27 વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું એક મહત્વપૂર્ણ બજેટ માનવામાં આવે છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામન આવતી કાલે સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે. ગયા વર્ષનું બજેટ લોકપ્રિય ગણાયું હતું, જેમાં મિડલ ક્લાસને મોટી રાહત આપવામાં આવી હતી. આ બજેટમાં ઇન્કમ ટેક્સમાં છૂટ, સેલેરીડ વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન, ખેડૂત ક્રેડિટ કાર્ડની મર્યાદામાં વધારો, સસ્તી દવાઓ અને ઇન્શ્યોરન્સ સેક્ટરમાં સુધારા જેવા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ વર્ષે સરકારનું મુખ્ય ધ્યાન અર્થતંત્રના મજબૂતીકરણ પર કેન્દ્રિત છે.

ભારતીય શેરબજારમાં પણ કાલે સામાન્ય દિવસોની જેમ જ ટ્રેડિંગ થશે. બજેટને કારણે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) રવિવારે ખુલ્લા રહેશે. ઇન્ડસ્ટ્રીના અનેક સ્ટેકહોલ્ડર્સ સરકાર સમક્ષ પોતાની અપેક્ષાઓ રજૂ કરી રહ્યા છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે આવનારા બજેટમાં આ પ્રાથમિકતાઓને સ્થાન મળશે.

શું સોનું-ચાંદી પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થશે?

બજેટ 2026માં શું સરકાર સોનું અને ચાંદી પર લાગુ કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરશે? અને જો આવું થાય તો શું ઘરેલુ બજારમાં તેની કિંમતો ખરેખર ઘટશે? છેલ્લાં કેટલાંક વર્ષોના બજેટ નિર્ણયોને જોતાં સ્પષ્ટ થાય છે કે કસ્ટમ ડ્યુટીમાં ફેરફારની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર પડે છે, પરંતુ આ અસર હંમેશા લાંબો સમય સુધી ટકશે જ એવું જરૂરી નથી.

રામાસિવિલ ઈન્ડિયાના ડિરેક્ટર પરવીન ગુપ્તા કહે છે, યૂનિયન બજેટ 2026ના સંદર્ભમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને EPC સેક્ટર દેશની દીર્ઘકાલીન આર્થિક વૃદ્ધિ અને સ્પર્ધાત્મકતાનો મજબૂત આધાર બની રહ્યા છે. શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક કોરિડોર અને લોજિસ્ટિક્સમાં મૂડી ખર્ચ પર સતત ફોકસ જાળવવું જરૂરી છે, જેથી કન્સ્ટ્રક્શન વેલ્યૂ ચેનમાં ગતિ બની રહે.

અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની સતત ચોથા વર્ષે વડોદરામાં પ્રસ્તુતિ

વડોદરા: શહેરના કલારસિકો ફરી એકવાર કલાત્મક સર્જનની ભવ્યતામાં ડૂબકી લગાવશે. ટોરેન્ટ ગ્રુપ-સમર્થિત UNM ફાઉન્ડેશન દ્વારા અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટનું સતત ચોથા વર્ષે વડોદરામાં આયોજન કરવામાં આવ્યું છે.આ વર્ષે વડોદરા શહેર ખાતેના અભિવ્યક્તિના સંસ્કરણમાં અમદાવાદ અને વડોદરાના કલાકારો દ્વારા નાટ્ય, નૃત્ય અને સંગીતના કેટલાક ખૂબ પ્રશંસા પામેલા સર્જનો રજૂ કરવામાં આવશે. આ આવૃત્તિમાં વડોદરામાં પ્રથમ વખત, કલા રસિકોને વિઝ્યુઅલ આર્ટ્સ પ્રદર્શનમાં ઇન્ટરેક્ટિવ અને મલ્ટીમીડિયા કલા કૃતિઓ નિહાળવાની તક મળશે.

અલેમ્બિક આર્ટ ડિસ્ટ્રિક્ટ ખાતે આયોજન

આ પ્રસ્તુતિઓ તા. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2026ના રોજ અલેમ્બિક આર્ટ ડિસ્ટ્રિક્ટ, વડોદરા ખાતે યોજાશે. વિઝ્યુઅલ આર્ટ્સ પ્રદર્શન સાંજે 6:00 વાગ્યાથી શરૂ થશે, ત્યારબાદ સાંજે 7:30 વાગ્યે અને 8:30 વાગ્યે એમ બે પ્રસ્તુતિઓ રજૂ થશે.

પ્રથમ દિવસે, એટલે કે 31 જાન્યુઆરી ના રોજ, બે પ્રસ્તુતિઓ યોજાશે જેમાં વડોદરાના શિરાઝેદિન ઘીયા કલેક્ટિવ દ્વારા “ફકીરનામા: ટેલ્સ ઓફ અ મોડર્ન ફકીર” નામની સંગીત પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે, ત્યારબાદ અમદાવાદની શ્રુત ચાંગાવવાલા દ્વારા પોતાની નૃત્ય પ્રસ્તુતિ “ધ બ્લુ અવર” રજૂ કરવામાં આવશે.બીજા દિવસે, એટલે કે 1 ફેબ્રુઆરી ના રોજ, અમદાવાદના ગૌરાંગ રાવલ દ્વારા નાટ્ય પ્રસ્તુતિ “એ.કે.” રજૂ થશે, ત્યાર બાદ વડોદરાના સમીરખાનની કલેક્ટિવ દ્વારા સંગીત પ્રસ્તુતિ “ઇક ખ્વાબ સી” રજૂ કરવામાં આવશે.

આ તમામ પ્રસ્તુતિઓ અમદાવાદ ખાતે નવેમ્બર- 2025માં યોજાયેલા “અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ”ની સાતમી આવૃત્તિમાં “સ્ટોરીઝ વેટિંગ ટુ બી ટોલ્ડ” થીમ હેઠળ રજૂ કરાયેલ પર્ફોર્મન્સમાંથી પસંદ કરવામાં આવ્યા છે. આ તમામ પ્રસ્તુતિઓનું ક્યુરેશન પ્રખ્યાત ક્યુરેટર્સ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ગોપાલ અગ્રવાલ (નૃત્ય), તપસ રૈલિયા (સંગીત), ગુરલીન બજ (નાટ્ય) અને જયુ ઠક્કર (વિઝ્યુઅલ આર્ટ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કલાકારોને અમૂલ્ય માર્ગદર્શન પૂરૂ પાડનાર અનુભવી માર્ગદર્શકોમાં કૃતિ મહેશ (નૃત્ય), રાજત ધોળકિયા (સંગીત), સૌમ્ય જોશી (નાટ્ય) અને અંજન દલાલ (વિઝ્યુઅલ આર્ટ) નો સમાવેશ થાય છે.

વર્ષ 2018માં અભિવ્યક્તિનો પ્રારંભ થયો હતો, ત્યારથી અત્યાર સુધી અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ હેઠળ 2,500થી વધુ કલાકારો દ્વારા 550થી વધુ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી છે, જેને કુલ 1 મિલિયનથી વધુ કલા રસિકોએ માણી છે. આ અનોખો કલા મહોત્સવ અમદાવાદથી આગળ વધીને વડોદરા, રાજકોટ, સુરત અને ભુજ જેવા ગુજરાતના અન્ય શહેરોમાં પણ પોતાની હાજરી નોંધાવે છે.

રાજ્યના આરોગ્ય વિભાગમાં મોટા ફેરફાર

ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં મહત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ નિયંત્રણ તંત્રને વધુ અસરકારક બનાવવા માટે અધિકારીઓની બઢતી તથા બદલીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ફેરફારો હેઠળ કુલ 83 અધિકારીઓને નવી જવાબદારીઓ સાથે નવી જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

સરકારી સૂત્રો અનુસાર, આ ફેરબદલનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવાનો અને દવાઓ તથા ખાદ્ય પદાર્થોની નિયમન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાનો છે. વર્ગ-1 અને વર્ગ-2 કક્ષાના અધિકારીઓને વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લાઓ અને કચેરીઓમાં મોકલવામાં આવ્યા છે.

ખાસ કરીને મદદનીશ કમિશનર કક્ષાના અધિકારીઓને બઢતી આપીને વધુ જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ડ્રગ ઇન્સપેક્ટર અને ઔષધ નિરીક્ષકોને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફીલ્ડ લેવલ પર તૈનાત કરવામાં આવ્યા છે. આ બદલીઓથી દવા ગુણવત્તા, લાયસન્સિંગ અને તપાસ પ્રક્રિયામાં વધુ કડક દેખરેખ રાખવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ વહીવટી ફેરફારને આરોગ્ય વિભાગમાં લાંબા સમયથી ચાલી રહેલી પુનર્રચના પ્રક્રિયાનું એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી વધુ સક્રિય અને પરિણામકારક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

બિન હથિયારી PSI ભરતીને લઈને મોટા સમાચાર

ગાંધીનગરથી બિન હથિયારધારી PSI ભરતીને લઈને ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. રાજ્યમાં પોલીસ વિભાગ માટે ચાલી રહેલી આ ભરતી પ્રક્રિયામાં હવે લેખિત પરીક્ષા બાદ દસ્તાવેજ ચકાસણીનો તબક્કો શરૂ થવાનો છે. કુલ 472 જગ્યાઓ માટે ચાલી રહેલી ભરતીમાં મેરિટના આધારે એક હજારથી વધુ ઉમેદવારોને આગામી ચરણ માટે પસંદ કરવામાં આવ્યા છે.

ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, પસંદ થયેલા ઉમેદવારોને નિર્ધારિત તારીખો દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાજર રહેવાનું રહેશે. આ પ્રક્રિયા રાજ્ય સ્તરે આયોજનબદ્ધ રીતે યોજાશે, જેમાં ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, ઓળખપત્ર અને અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.

ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ ચકાસણી માટેના કોલ લેટર સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાશે, જેથી તેઓ સમયસર ડાઉનલોડ કરીને તૈયારી પૂર્ણ કરી શકે. ભરતી પ્રક્રિયા હવે અંતિમ પસંદગી તરફ આગળ વધી રહી હોવાથી ઉમેદવારોમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ બંને જોવા મળી રહ્યા છે.

અધિકારીઓ તરફથી ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ નિર્ધારિત સમય અને સ્થળે તમામ જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહે, જેથી પ્રક્રિયા સરળ અને વિઘ્ન વિના પૂર્ણ કરી શકાય. ભરતીની આગળની કાર્યવાહી પણ આ ચકાસણી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.