મહારાષ્ટ્રનાં પ્રથમ મહિલા ડેપ્યુટી CM બન્યાં સુનેત્રા પવાર

મુંબઈઃ રાજ્યસભાનાં સાંસદ સુનેત્રા પવારે શનિવારે વિધાનસભા ભવનમાં યોજાયેલી બેઠકમાં પાર્ટીના વિધાનસભા દળના નેતા તરીકે સર્વસંમતિથી પસંદ થયા બાદ મહારાષ્ટ્રનાં પ્રથમ મહિલા ઉપ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. તેમણે રાજ્ય મંત્રીમંડળમાં પોતાના દિવંગત પતિ અને NCPપ્રમુખ અજિત પવારનું સ્થાન લીધું છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને શપથ અપાવ્યાં હતા. અજિત પવારના અવસાનના ત્રણ દિવસ બાદ તેમની જગ્યાએ પત્ની સુનેત્રા પવારને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. અજિત પવાર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા હતા અને તેમનું અવસાન એક વિમાન દુર્ઘટનામાં થયું હતું. 28 જાન્યુઆરીએ બારામતીમાં તેમનો પ્લેન ક્રેશ થયો હતો2024ની લોકસભા ચૂંટણી સુધી સુનેત્રા પવાર જાહેર જીવનથી દૂર રહ્યાં હતાં. તે વર્ષે તેમણે બારામતીમાંથી NCPના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, પરંતુ પોતાની ભાભી અને હાલનાં NCP (SP) સાંસદ સુપ્રિયા સુળે સામે પરાજય પામ્યાં હતાં. ત્યાર બાદ તેઓ રાજ્યસભામાં ચૂંટાયાં હતાં.

કોણ છે સુનેત્રા પવાર?

સુનેત્રા પવાર ધારાશિવ જિલ્લાની રહેવાસી છે. તેઓ NCPના વરિષ્ઠ નેતા પદ્મસિંહ પાટીલનાં બહેન છે. તેમનું બાળપણ ધારાશિવના ટેર ગામમાં વીત્યું હતું. તેઓ કહે છે કે રાજકારણ અને સામાજિક કાર્ય પ્રત્યેનો જુસ્સો તેમને તેમના પિતા પાસેથી મળ્યો, જે એક સ્વતંત્રતાસેનાની હતા અને ગામના પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક હતા. પદ્મસિંહ પાટીલ અને શરદ પવારની મિત્રતાને કારણે સુનેત્રા અને અજિત પવારનાં લગ્ન થયાં. વર્ષ 1980માં લગ્ન બાદ સુનેત્રા બારામતી આવી ગયાં હતાં. અજિત પવારે જ્યારે રાજકીય કારકિર્દી શરૂ કરી, ત્યારે શરૂઆતનાં કેટલાક વર્ષો સુધી સુનેત્રાએ ઘર સંભાળ્યું હતું.

પવાર પરિવાર અને પાર્ટીના નિર્ણયો પર મતભેદ

NCP (SP) અને શરદ પવારના પરિવાર સાથે જોડાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને સુનેત્રા પવારના ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ સરકારમાં જોડાવાના નિર્ણય અંગે કોઈ જાણકારી નહોતી. મુખ્ય મંત્રી દેવન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ભાજપ અજિત પવારના પરિવાર અને પાર્ટી દ્વારા લેવામાં આવેલા કોઈ પણ નિર્ણયને સમર્થન આપશે. NCPપ્રમુખ શરદ પવારે આ ઘટનાક્રમથી પોતાને અલગ રાખતાં કહ્યું કે તેમને સુનેત્રા પવારના શપથ ગ્રહણ અંગેની જાણકારી મિડિયા અહેવાલોમાંથી મળી હતી અને એવું લાગે છે કે આ નિર્ણય NCPએ લીધો છે.