ભાજપની રાષ્ટ્રીય ટીમ, કેન્દ્રીય મંત્રીમંડળનું થશે વિસ્તરણ?

નવી દિલ્હીઃ ભાજપે ગુરુવારે ચાર મહત્વપૂર્ણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા પ્રદેશાધ્યક્ષોની જાહેરાત કરી છે. આ નિમણૂકો બાદ હવે પાર્ટી અને કેન્દ્ર સરકારમાં મોટા ફેરફારોની અટકળો તેજ બની છે. પાર્ટીનાં આંતરિક સૂત્રોનું માનવું છે કે આ માત્ર સંગઠનાત્મક બદલાવ નથી, પરંતુ આવનારા સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળ અને ભાજપની ટોચની નિર્ણય લેતી સમિતિઓમાં પણ ફેરફારો થવાની શક્યતા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પંજાબ, હરિયાણા, ત્રિપુરા અને દિલ્હીના નવા પ્રદેશાધ્યક્ષોનાં નામોની જાહેરાત કરી હતી. જાન્યુઆરીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ આ તેમનું પહેલું મોટું સંગઠનાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર આવનારા સમયમાં પાર્ટીની રાષ્ટ્રીય ટીમમાં પણ ફેરફારો જોવા મળી શકે છે અને તેમાં અનુભવી નેતાઓ સાથે નવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે.

દિલ્હીમાં લોકસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી હર્ષ મલહોત્રાને ભાજપના નવા પ્રદેશાધ્યક્ષ બનાવાયા છે. જ્યારે પંજાબમાં 76 વર્ષીય કેવલ સિંહ ઢિલ્લોંને પાર્ટીની કમાન સોંપવામાં આવી છે. હરિયાણામાં 58 વર્ષીય અર્ચના ગુપ્તાને પ્રદેશાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે ત્રિપુરામાં 44 વર્ષીય અભિષેક દેબ્રોયને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકો બાદ એવી ચર્ચા પણ તેજ થઈ છે કે ભાજપ ટૂંક સમયમાં પોતાની સંસદીય બોર્ડમાં ફેરફાર કરી શકે છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે સંગઠનમાં આ ફેરફારો સરકારમાં સંભવિત બદલાવના સંકેત પણ હોવાની શક્યતા છે.

ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે પાર્ટીના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પહેલાં ઓછામાં ઓછા 50 ટકા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ થવી જરૂરી હોય છે. બાકીનાં રાજ્યોમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કાર્યભાર સંભાળ્યા બાદ ચૂંટણીઓ યોજવામાં આવે છે. આ પ્રક્રિયા અંતર્ગત હવે નીતિન નવીન સતત નવા નિર્ણયો લઈ રહ્યા છે અને આવનારા સમયમાં અનેક મહત્વપૂર્ણ બદલાવોની જાહેરાત થઈ શકે છે. જ્યારે 46 વર્ષીય Nitin Navin ને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા હતા, ત્યારથી ચર્ચા ચાલી રહી હતી કે ભાજપ સંગઠન અને સરકાર બંનેમાં યુવા ચહેરાઓને આગળ લાવી શકે છે, પરંતુ ગુરુવારે થયેલી નિમણૂકોથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે પાર્ટી અનુભવ અને યુવા નેતૃત્વ વચ્ચે સંતુલન જાળવવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે.