મુંબઈઃ ભારતની પ્રથમ એરિયલ (હવાઈ) એક્શન ફિલ્મ ‘ફાઈટર’નું ટીઝર તેના નિર્માતાઓએ આજે રિલીઝ કર્યું છે. આ ફિલ્મમાં હૃતિક રોશન, દીપિકા પદુકોણ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ત્રણેય જણ ફિલ્મમાં ભારતીય હવાઈ દળના ઓફિસરોનો રોલ ભજવી રહ્યાં છે. એક મિનિટ અને 13 સેકંડના ટીઝરમાં જેટ યુદ્ધવિમાનોની ઝડપના વિઝ્યુઅલ ઈફેક્ટ્સની ઝલક જોવા મળે છે. બેકગ્રાઉન્ડ સંગીત પણ અસરદાર છે. ટીઝરમાં હૃતિક અને દીપિકાની રોમેન્ટિક કેમિસ્ટ્રી અને કિસિંગના દ્રશ્યો ઘણા નેટયૂઝર્સને પસંદ પડ્યા છે. એની તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે. ઘણા યૂઝર્સ ટીઝરના વખાણ કરતાં થાકતાં નથી.
‘વોર’ અને ‘પઠાણ’ ફિલ્મો બનાવનાર સિદ્ધાર્થ આનંદ ‘ફાઈટર’ના દિગ્દર્શક છે. ફિલ્મ આવતા વર્ષની 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ કરાશે.
વોશિંગ્ટનઃ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર)નાં CEO લિન્ડા યાકારિનોએ એક પોસ્ટમાં કહ્યું હતું કે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ Xમાં ડિસેમ્બરમાં એક કરોડથી વધુ લોકોએ સાઇનઅપ કર્યું છે. જોકે વર્ષના અંત સુધીમાં કંપનીઓને એડ રેવેન્યુમાં 7.5 કરોડ ડોલરનું નુકસાન થવાની શક્યતા છે, કેમ કે મુખ્ય બ્રાન્ડોએ તેમનાં માર્કેટિંગ કેમ્પેન અટકાવી દીધાં છે, એમ ન્યુ યોર્ક ટાઇમ્સનો અહેવાલ કહે છે.
જોકે X નિયમિત રીતે યુઝર ડેટા જાહેર નથી કરતી, જેથી ડિસેમ્બરમાં કેટલા યુઝર્સ જોડાયા એના પર લિન્ડા તરત સંપર્ક સાધી શકાયો નહોતો. જોકે અબજોપતિ મસ્કે કહ્યું હતું કે જુલાઇમાં X વેબસાઇટ પર માસિક ધોરણે 54 કરોડ યુઝર્સ છે. વળી, વેબસાઇટ X પર એપલ, ડિઝની, વોર્નર બ્રધર્સ, ડિસ્કવરી, કોમકાસ્ટ, લાયન્સ ગેટ એન્ટરટેઇનમેન્ટ, પેરામાઉન્ટ ગ્લોબલ અને IBM સહિત અનેક કંપનીઓએ તેમની જાહેરાત વેબસાઇટ X પર અટકાવી દીધી હતી.
મસ્કે એ એડવર્ટાઇઝર્સને શાપ આપ્યો હતો કે જે ઉપયોગકર્તોથી સહમત થયા પછી મંચથી ભાગી ગયા હતા. તેમણે ટિપ્પણી કરી હતી કે યહૂદી લોકો ગોરા લોકો વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે. વોચડોગ ગ્રુપ મિડિયા મેટર્સના એક રિપોર્ટમાં X પોસ્ટની બાજુમાં મુખ્ય કંપનીઓની જાહેરાત મળી હતી, જે નાઝીવાદને ટેકો આપે છે. X પ્લેટફોર્મે મિડિયા મેટર્સની વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો.
હે દ્વારીકાધીશ. કેવું આ સપ્તાહ? કરણ જોહરની ફિલ્મ ‘કભી ખુશી કભી ઘમ’ જેવું. જેઓ મોડા પડ્યા છે એમને માટે એક ઝડપી રિરન. બૅડ ન્યુઝઃ ભારતીય ટેલિવિઝનના અતિલોકપ્રિય શો ‘સીઆઈડી’માં ફ્રેડીનું પાત્ર ભજવતા ઍક્ટર દિનેશ ફડનીસનું 57 વર્ષની વયે અવસાન…. ફૉર્થ સ્ટેજના સ્ટમક કૅન્સરથી ગ્રસ્ત, કોમિક રોલ માટે જાણીતા અભિનેતા જુનિયર મેહમૂદનો ઈન્તેકાલ. 67 વર્ષી મોહમ્મદ નઈમ ઉર્ફે જુનિયર મેહમૂદની અંતિમ ઈચ્છા હતી જિતેન્દ્ર અને સચીનને મળવું. બન્નેએ એમની એ લાસ્ટ વિશ પૂરી કરી. ઈશ્વર એમના આત્માને સદગતિ આપે… ઠીક ઠીક ફેમસ એવા ટીવીઍક્ટર ભૂપીન્દર સિંહે પડોશી સાથે ઝઘડો થતાં પોતાની લાઈસન્સ ગનથી એને (પડોશીને) શૂટ કરી નાખ્યો એ સમાચાર. હાલ ભૂપીન્દરભાઈ જેલના સળિયા કાઉન્ટ કરી રહ્યા છે.
ગુડ ન્યુઝઃ આજે એટલે 8 ડિસેમ્બરે ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોરે બર્થડે છે. ધરમ પાજી 88 વર્ષ પૂરાં કરીને 89મા વર્ષમાં પ્રવેશશે જ્યારે શર્મિલા ટાગોર 80મા વર્ષમાં.
-અને વન મોર ગુડ ન્યુઝ તે એ કે ફિલ્મસ્ટાર્સનાં બાલૂડાંવને ચમકાવતી ‘ધ આર્ચીઝ’ ગઈ કાલે (7 ડિસેમ્બરે) નેટફ્લિક્સ પર રિલીઝ થઈ. ‘લક બાય ચાન્સ’, ‘ઝિંદગી ના મિલેગી દોબારા’, ‘દિલ ધડકને દો,’ ‘ગલ્લી બૉય’ જેવી ફિલ્મનાં ડિરેક્ટર ઝોયા અખ્તરે જ્યારથી આ ફિલ્મના સર્જનની જાહેરાત કરી ત્યારથી એ ચર્ચામાં રહી. ખાસ તો, વગદાર સિનેસ્ટાર્સનાં સંતાન હોવા સિવાય બીજું કોઈ જ ક્વૉલિફિકેશન ન ધરાવતાં બચ્ચાં લોગને ડાયરેક્ટ ફિલ્મમાં એન્ટ્રી કરાવવા માટે. જો કે એ આખ્ખી જુદી ચર્ચાનો વિષય છે.
વાર્તા કંઈ આવી છેઃ ઉત્તર ભારતમાં કોઈ એક સ્થળે આવેલી એક કાલ્પનિક નગરી છે, રિવરડેલ. સમયકાળ છે 1964. રિવરડેલના નગરજનોમાં એન્ગ્લો ઈન્ડિયનની બહુમતી છે. બાય ધ વે હકીકત તે એ કે ઝોયા અખ્તરના નગરજનો ક્રિશ્ચન હોય તો જ ઓરિજિનલ આર્ચી-બેટ્ટી-વેરોનિકા-જગહેડ જેવાં પાત્રો તથા એમનાં જિવાતાં જીવન બતાવી શકાયને?
ઓક્કે. આર્ચી એન્ડ્ર્યુઝ (અગસ્ત્ય નંદા) આપણને એક લીલાછમ્મ ઉદ્યાન વિશે એની સાથે જોડાયેલો ઈતિહાસ વર્ણવે છે, જેનું નામ છેઃ ગ્રીન પાર્ક. આ આર્ચી બી એક ગમ્મત છેઃ ગ્રીન પાર્ક બચાવો ઉપરાંત એ વેરોનિકા (સુહાના ખાન) અને બેટ્ટી (ખુશી કપૂર)ને એકસાથે ચાહે છે. સુહાનાના મૂડીવાદી પપ્પા મિસ્ટર લોજ (અલી ખાન) ગ્રીન પાર્કનો ખુરદો બોલાવી એની પર ફાઈવસ્ટાર હોટેલ બાંધવાનું નક્કી કરે છે. અને આ સાંભળીને 17-17 વર્ષની સ્કૂલટોળકી ગ્રીન પાર્કને બચાવવાનું મિશન આદરે છેઃ સેવ ધ ગ્રીન.
આઠ દાયકા કરતાં વધુ સમયથી દુનિયાભરનાં ચિત્રપટ્ટીપ્રેમીઓને ઘેલું લગાડતા આર્ચીનાં પાત્રો પર આધારિત રીમા કાગતી, આયેશા દવિત્રે ઢિલ્લોં અને ઝોયા અખ્તરે લખેલી કથા-પટથામાં લાલચૂડા મૂડીવાદીઓથી શહેરની ઓળખ, પર્યાવરણ, નાના દુકાનદારોને બચાવવાવાળો વળાંક જ ફિલ્મમાં આપણો રસ જાળવી રાખે છે. બાકી આવી હાઈ સ્કૂલ મ્યુઝિકલની શ્રેણીમાં આવતી (આર્ચી કોમિક બુકથી પ્રેરિત) કેટલીયે ફિલ્મું આપણે જોઈ ચૂક્યા છીએઃ આપણા કુંદનભાઈ શાહની ‘કભી હા કભી ના’, ‘જો જીતા વોહી સિકંદર’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’, વગેરે. વળી અમેરિકન ધનાઢ્ય પરિવારમાંથી આવતો આર્ચી મૂડીવાદ સામે બાંયો ચડાવે એ બી થોડું અજીબ લાગે છે.
હા, એક વાત માટે ઝોયાને સોમાંથી સો માર્ક્સ આપવા પડેઃ કાલ્પનિક નગરી રિવરડેલનો નયનરમ્ય માહોલ સર્જવા માટે. સોડા શૉપ, ડેટ્સ પર જતાં ટીનએજર્સ, કૅન્ડી-કલરના પેટીકોટ, પોલકાંડૉટ સ્કાર્ફ… હકીકતમાં આશરે અઢી કલાકની ‘ધ આર્ચીઝ’ના રિયલ સ્ટાર્સ આ છેઃ પ્રોડક્શન ડિઝાઈન, આર્ટ ડિરેક્શન, કૉસ્ચ્યૂમ્સ, સિનેમેટોગ્રાફી, લોકેશન (ઊટી, મુંબઈનું રૉયલ પામ્સ, વગેરે) અને શંકર-એહસાન-લૉયનાં દિલડોલ ગીતસંગીત. અરે હા, ‘સુનો’ સોંગમાં જાવેદ અખ્તરે ‘સુહાની’ અને ‘ખુશી’ જેવા વર્ડિંગ વાપર્યા છે તે શું અકસ્માત્ હશે કે પછી…?
અભિનયમાં મને, પર્સનલી, આર્ચી એટલે અગસ્ત્ય નંદા ગમી ગયો. બાકી બધા ઓકે-ટાઈપ. ઓવરઑલ, ઈન્ગ્લિશ ફિલ્મ પર હિંદીનો ઢોળ ચડાવ્યા જેવી, અમેરિકાના ચૉકલેટ થિકશેક પર દેશી લીંબુ-મરીમસાલા ભભરાવીને રજૂ કરવામાં આવેલી વર્ણસંકર ‘ધ આર્ચીઝ’ ક્રિસમસ વૅકેશનમાં ઉપર લખ્યાં તે રિયલ સ્ટાર્સ માટે જોઈ કાઢજો.
ભગવાન શિવ કહે છે કે થોડા સમયની પ્રાપ્તિની ઈચ્છા બેહદની પ્રાપ્તિના પરિણામે પ્રાપ્ત થનાર સંતુષ્ટતાની અનુભૂતિથી વંચિત કરી દે છે. હદની પ્રાપ્તિ દિલમાં હદ ઉભી કરે છે. હદની ઈચ્છાનું ફળ પોતાને ગમે તેવું નથી હોતું. હદની ઈચ્છાનું ફળ ટુંકા ગાળાનું હોય છે. પરિણામે અત્યારે સંતુષ્ટતા અને થોડા સમય પછી અસંતુષ્ટતાનો અનુભવ થાય છે. ઈચ્છા ક્યારેય વ્યક્તિને સારો બનવા નથી દેતી. સારા વ્યક્તિને મૂલ્યોની તથા માનવતાની કદર હોય છે. ઈચ્છા વાળી વ્યક્તિ આ બંનેને છોડીને જડ પદાર્થો, સુખ, સગવડો તથા સાધનોની અપેક્ષા રાખે છે. ત્યાં સુધી કે ઈચ્છાઓને પૂરી કરવા માટે મનુષ્ય મૂલ્યોને પણ બાજુમાં મૂકી દે છે. દરરોજ ધન, પદ, માન વિગેરેની પ્રાપ્તિની ઈચ્છાઓમાં આંધળા બનીને મનુષ્ય કેવા કેવા ખરાબ કર્મ કરે છે તેના ઉદાહરણો દરરોજ ઓફિસો, ઘરો, રાજનીતિ તથા અન્ય જગ્યાઓએ ચર્ચામાં હોય છે. માટે ટૂંકા સમયની ઈચ્છાઓ કરવા કરતાં હૃદયમાં પ્રભુ પ્રેમને સ્થાન આપો. પ્રભુના સાથનો અનુભવ કરતા કરતા સંસાર સાગર થી હેમ ખેમ પાર થઈ જાવ.
વિજ્ઞાને જીવનના તમામ તબક્કાઓમાં ખૂબ મોટું પરિવર્તન લાવેલ છે. જુના જમાનાની વર્ષો પહેલાની જીવન પદ્ધતિ અને અત્યારની જીવન પદ્ધતિમાં રાત- દિવસ નું અંતર છે. પહેલા મનુષ્યએ દરેક કાર્ય પોતાની જાતે કરવું પડતું હતું, દરેક પ્રકારનો વજનદાર સામાન પોતાની પીઠ પર કે માથા પર મૂકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો પડતો હતો. પરંતુ આજે વિજ્ઞાનની કમાલના કારણે મનુષ્ય શારીરિક કસરત થી દૂર થઈ ગયો છે. જ્યાર પૈડાની શોધ થઈ છે ત્યારથી તેણે વાહનોની શોધ કરીને સડક પર દોડતા કરી દીધા છે.
ઉદાહરણ રૂપે આજે મનુષ્યના બુટમાં પણ પૈડા, મુસાફરી દરમિયાન સાથે રાખેલ બેગમાં પણ પૈડા, રસોડામાં રાખવામાં આવતા સ્ટેન્ડમાં પણ પૈડા હોય છે. પૈડા થી બનેલ સાધનો દ્વારા તે જમીન પર ઝડપથી પસાર થવાનો, પાણીમાં ઝડપથી પસાર થવાનો તથા હવામાં ઉડવાનો આનંદ લઈ રહેલ છે. વજનદાર ચીજો ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય છે. પરંતુ આટલી બધી સગવડો મળવા છતાં પણ શું મનુષ્ય સાચે સાચ હલકો છે? પ્રસન્ન ચિત્ત છે? શું તેને આંતરિક હલકા પન, નિશ્ચિંતતા, સંતુષ્ટતા તથા પ્રસન્નતા પ્રાપ્ત છે? આનો જવાબ છે – “ના”. કારણ કે ભૌતિક સુખ સગવડોએ ભલે ભૌતિક ચીજોના ભારને હલકો કરી દીધો છે, પરંતુ માનવીનું મન ખૂબ દબાણ ભાર અનુભવ કરી રહેલ છે. એ સત્ય છે કે આજે મનુષ્યના હાથોમાં, પીઠ ઉપર કે માથા ઉપર ભાર નથી પરંતુ મન અદ્રશ્ય ભારના ખૂબ દબાણમાં છે. સુતા-જાગતા, ચાલતા, ફરતા, ઉઠતા-બેસતા કાર્ય વ્યવહાર કરતા દરેક સેકન્ડે તેનું મન ભારે રહે છે. ઈચ્છા ન હોવા છતાં પણ મનના ભારને ઉઠાવવા માટે તે મજબૂર છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે દ્વિમાસિક ધિરાણ નીતિની સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રેપો રેટ 6.5 ટકાએ યથાવત રહેશે. તેમણે કહ્યું હતું કે ઓક્ટોબરમાં મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. એથી હાલ હોમ લોનના હપતા નહીં વધે કે ઘટે. RBIના નિર્ણયને પગલે NSEનો નિફ્ટી50 ઇન્ડેક્સ સૌપ્રથમ વાર 21,000ને પાર થયો હતો.રિઝર્વ બેન્કે ત્રણ દિવસની મોનિટરી પોલિસી મિટિંગ પૂરી થયા પછી રેપો રેટને 6.50 ટકા યથાવત્ રાખ્યો છે. આ સતત પાંચમી વાર RBIએ રેપો રેટમાં કોઈ બદલાવ નથી કર્યો.
ચાલુ નાણાકીય વર્ષ માટે વૃદ્ધિનો અંદાજ અગાઉના 6.5 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રાહક ભાવ આધારિત ફુગાવો (CPI) આધારિત છૂટક ફુગાવો 5.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. એ સાથે રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર છે. વ્યાજદરોમાં આજે ફેરફાર નહીં થવાને કારણે MSF રેટ અને બેન્ક રેટ 6.75 ટકા પર યથાવત છે. જ્યારે SDF 6.25 ટકા પર છે.
ચાલુ નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળા માટેનો આર્થિક વિકાસ દર ૭.૪૦ ટકા રહ્યો છે જે રિઝર્વ બેન્કની અપેક્ષા કરતા સારો છે. ઓકટોબરમાં ફુગાવો ઘટીને ૪.૭૦ ટકા આવ્યો છે અને દેશનો આર્થિક વિકાસ દર પણ સાનુકૂળ સ્થિતિમાં છે ત્યારે વ્યાજ દરમાં હવે વધારો નહીં પરંતુ આવનારા દિવસોમાં ઘટાડો જોવા મળવાની સંભાવના વધી ગઈ છે એમ એક ફાઈનાન્સ કંપનીના એક્ઝિકયૂટિવ ચેરમેને અગાઉ જણાવ્યું હતું.
કોઈ પણ વિષયને સમજ્યા વિના એના વિષે કશું પણ કહી ન શકાય. પણ આજકાલ લોકો ક્યાંકથી ઉછીનું જ્ઞાનન લઇ અને પંડિત દેખાવા પ્રત્યત્ન કરે છે. જેમને સાચી સમજણ છે એ લોકો વિસરાતા જાય છે. અને જેમને માત્ર દેખાડા કરતા આવડે છે એ પોતાનો પ્રભાવ દેખાડી શકે છે. ભારતીય શાસ્ત્રો એ માત્ર વાર્તાઓ નથી એમાં પણ ગણિત, વિજ્ઞાન જેવા અનેક વિષયો આવરી લેવામાં આવ્યા છે. વળી સંસ્કૃત સમયમાં જે લખાયું છે એ બધું જ આજે સંસ્કૃતમાં વંચાય છે એ નથી. કોઈ પણ વ્યક્તિ જે સંસ્કૃત જાણતી હોય તે આજની વાત પણ સંસ્કૃતમાં લખી શકે છે. ટેકનોલોજી ના વિકાસ સાથે આવું ઘણું થવાની સંભાવના વધી રહી છે. એવા સમયમાં આપણાથી મૂળ સાચવી રાખવા અત્યંત જરૂરી છે.
મિત્રો, આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: હું આજે એક પ્રદર્શન જોવા ગઈ હતી. એમાં એક વ્યક્તિએ વાસ્તુ આધારિત પ્રયોગો કર્યા હતા. એમના કહેવા પ્રમાણે માત્ર છજજાની આકૃતિ બદલવાથી જગ્યા વાસ્તુ પરફેક્ટ બની જાય છે. શું આ સાચું છે?
જવાબ: તમારો સવાલ ખુબ જ માર્મિક છે. આજના સમયમાં જેને વિષય વિષે કશું પણ જ્ઞાન નથી એવી વ્યક્તિઓ પણ એ વિષયને પોતાના ફાયદા માટે રજુ કરે છે. અને સહુથી આઘાતજનક વાત એ છે કે જેમને આ વિષય નથી સમજતો એ લોકો નિષ્ણાતની માફક એના પર વિમર્શ કરે છે. અને કદાચ ભવિષ્યમાં વાસ્તુશાસ્ત્રના કોર્સમાં માત્ર છજજાનો જ ઉલ્લેખ હોય એવું પણ બને. જો માત્ર છજજાના આક્રો બદલવાથી જ સકારાત્મક ઉર્જા મળતી હોત તો હજારો વરસ સુધી કોઈ આ વિષયના નિયમો શોધવા માટે પ્રયત્ન જ ન કરત. કોઈ પણ જગ્યા વાસ્તુ આધારિત છે એનું સર્ટીફીકેટ મળવાથી એ સકારાત્મક નથી બની જતી. એના માટે નિયમોનું પાલન ખુબ જરૂરી છે. શાસ્ત્રોમાં શોર્ટ કટ થોડા જ ચાલે?
સવાલ: મારા લગ્ન મારા મમ્મીની મરજીથી થયા. મારી પત્ની અને હું બંને ખુબ જ અલગ છીએ. મારી પત્ની ગામડામાં ભણી છે અને મારો અભ્યાસ વિદેશમાં થયો છે. એને લડવા જોઈએ છે અને મને શાંતિ. એને તેલમાં તરતું ખાવાનું ભાવે છે અને મને સાત્વિક. એને વાતને છુપાવવાની ગમે છે અને હું એને બધું જ સાચું કહું છુ. એને ઝગડા કરવા અને કંકાસ ગમે છે, મને શાંતિ. એને બાળકો નથી ગમતા અને મારા બાળકો મારાથી ખુબ નજીક છે. એને વાંધા કાઢવા ગમે છે અને મને સંતોષ. આ ઉપરાંત એ મને ગમે તેવું સંભળાવી અને પછી રાડારાડ કરે છે કે મને મારી નાખો. મારું તો નસીબ જ ખરાબ છે. સાહેબ, હું ભલો માણસ છુ તો પણ મારી પત્ની બધાને મારા વિષે ગમે તેવી વાતો કરે છે. મારે છુટા થવું છે. મારા ઘરના કહે છે કે એ ગમે તેવી હોય આપણે સંસ્કાર ન છોડાય. મારી ઉમર એકસઠની થઇ. મારા પોતાનો બીઝનેસ છે એટલે સારું કમાઉ છુ. એ બધાને એવું કહે છે કે હું કશું કમાતો નથી. હવે હદ થઇ ગઈ છે. એ દાદાગીરી કરીને મારી પાસે ઘરનું બધું કામ કરાવે છે. ધમકીઓ આપે છે કે હું તમારા વિષે અફવાઓ ફેલાવીને સમાજમાં રહેવાનું મુશ્કેલ કરી દઈશ. એ વારંવાર ભાગી જાય અને પાછી આવી પણ જાય છે. એને કશું પૂછીએ તો જવાબ આપવાના બદલે લડ્યા કરે છે. મારી તબિયત બગડી રહી છે. ક્યારેક તો લાગે છે કે એ મારા મરવાની જ રાહ જોઈ રહી છે. શું સંસ્કાર મારે જ દેખાડવાના? મોટી ઉમરે છુટા ન થવાય?
જવાબ: તમારે લગ્ન નહોતા કરવા પણ થઇ ગયા. કોઈ કારણ હશે. પણ એ પછી તમને અત્યારે સમજાયું કે નથી ફાવતું? મોટા ભાગે આપણે સંસ્કાર શબ્દને સમજ્યા જ નથી. વળી આખી જિંદગી લડ્યા કરવા કરતા છુટા થઇ જવું વધારે સારું છે. તમારા બંનેમાં કોઈ સામ્યતા નથી. મનમાં દ્વેષ રાખીને ન જ જીવાય. કોઈ વડીલની હાજરીમાં સાથે બેસીને વિચારો. અને જો સમાધાન ન દેખાય તો છુટા પડી જ શકાય. તમારા ઘરમાં ઉત્તરનો દોષ છે. રસોડાનું પ્લેટફોર્મ પશ્ચિમમાં છે. આવા સંજોગોમાં નારીને લડવું ગમે. બુધવારે સમળાના વૃક્ષને દૂધ ચડાવો. શિવલિંગ પર પંચામૃતનો અભિષેક કરો.
સુચન: ઉત્તર મધ્યમાં કેસરી રંગ યુગલના સંબંધ પર નકારાત્મક અસર કરી શકે છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 130 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,02,561 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,306 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,691 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 63 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 744 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,78,247 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 85 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ ભારતની પહેલી બુલેટ ટ્રેન યોજનાના ટર્મિનલનું બાંધકામ અમદાવાદમાં જોરશોરથી ચાલી રહ્યું છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. દેશનું પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલ અમદાવાદમાં સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ ખાતે બનાવવામાં આવી રહ્યું છે. આ ટર્મિનલ અત્યાધુનિક આર્કિટેક્ચર ટેક્નોલોજીની કેવી કમાલવાળું હશે એની એક ઝલક વૈષ્ણવે શેર કરેલી ટૂંકી વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે. ટર્મિનલ ખાતે જે સુવિધા હશે તેને કારણે મોંઘેરા પ્રવાસીઓને અત્યંત આરામ અને પ્રવાસનો આનંદ પ્રાપ્ત થશે એમાં કોઈ બેમત નથી.
દેશની પ્રથમ બુલેટ ટ્રેન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એક સપનું રહ્યું છે. આ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડાવાશે. આ પ્રોજેક્ટ માટે આર્થિક તેમજ ટેકનિકલ મદદ માટે ભારત સરકારે જાપાનની સરકાર સાથે કરાર કર્યો છે.
આ વીડિયોએ નાગરિકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ પોસ્ટને લાખો વ્યૂઝ અને હજારો લાઈક્સ મળ્યા છે. અનેક યૂઝરે આ સૂચિત ટર્મિનલને ભવ્ય અને સુંદર કહી પ્રશંસા કરી છે.
બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો 2026ના ઓગસ્ટમાં પૂરો થવાની ધારણા છે. તે 50 કિ.મી.નો હશે અને ગુજરાતમાં સુરત અને બિલીમોરા વચ્ચે હશે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ 2017ના સપ્ટેમ્બરમાં અમદાવાદમાં કરવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 1.08 લાખ કરોડ છે. આ યોજના માટે કેન્દ્ર સરકાર રૂ. 10,000 કરોડ પૂરા પાડશે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રનું યોગદાન રૂ. 5,000 કરોડ પૈકી રહેશે. બાકીના ભંડોળ માટે જાપાન પાસેથી 0.1 ટકાના વ્યાજના દરે લોન મળશે.
મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા કોમેડિયન જુનિયર મેહમૂદનું પેટના કેન્સરની બીમારીને કારણે આજે વહેલી સવારે અહીં બાન્દ્રા ઉપનગરમાં નિધન થયું છે. એમનું ખરું નામ નઈમ સૈયદ હતું. તેઓ 67 વર્ષના હતા. જુનિયર મેહમૂદના પરિવારના એક મિત્રએ નિધનના સમાચાર આપ્યા હતા. એમણે કહ્યું, ‘જુનિયર મેહમૂદે ગઈ મધરાતે લગભગ બે વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. એમને ચોથા તબક્કાનું કેન્સર થયું હતું અને છેલ્લા કેટલાક દિવસોથી એમની તબિયત લથડી ગઈ હતી. છેલ્લા બે મહિનામાં એમની તબિયત વધારે બગડી હતી. એમના શરીરનું વજન ઓચિંતું ઘટવા લાગ્યું હતું. એમને લીવર, ફેફસાં અને આંતરડામાં કેન્સરની ગાંઠ થઈ હતી. વધુમાં એમને કમળો પણ થયો હતો. એમની દફનવિધિ આજે બપોરે સાંતાક્રુઝ ઉપનગરના કબ્રસ્તાનમાં કરવામાં આવશે.’ જુનિયર મેહમૂદના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે.
જુનિયર મેહમૂદ ‘બ્રહ્મચારી’, ‘કટી પતંગ’, ‘આન મિલો સજના’, ‘કારવાં’, ‘હાથી મેરે સાથી’, ‘નદિયા કે પાર’, ‘બાલિકા બધૂ’, ‘મેરા નામ જોકર’, ‘પરવરિશ’, ‘દો ઔર દો પાંચ’ સહિત અનેક ફિલ્મોમાં સગીર વયના બાળકની કોમેડી ભૂમિકા કરવા માટે પ્રખ્યાત થયા છે. એમણે હિન્દી ઉપરાંત મરાઠી તથા અન્ય ભાષાઓની ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. એમણે 200થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. બે હિન્દી ટીવી સિરિયલમાં પણ એમણે કામ કર્યું હતું.