અમદાવાદ: સુરતમાં આરોપીઓને જાહેરમાં હાથકડી પહેરાવીને રસ્તા પર ફેરવવા અને લાઠીઓ વડે માર મારવાના કથિત બનાવે રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. આ સમગ્ર ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ઉત્કર્ષ દવેએ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને 14 જુલાઈ, 2026ના રોજ પત્ર લખ્યો હતો. તેમના પત્રને આધારે ચીફ જસ્ટિસે સુઓમોટો અરજી લીધી છે.

પત્રમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે સુરતના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રાજદીપસિંહ નકુમ સહિત 15થી 20 જેટલા પોલીસ અધિકારીઓએ આરોપીઓ સાથે જાહેરમાં અમાનવીય વર્તન કર્યું હતું. વીડિયોમાં આરોપીઓને હાથકડી પહેરાવીને જાહેર માર્ગો પર ફેરવવામાં આવતા તેમજ તેમના વાળ ખેંચી, થપ્પડ મારી અને લાઠીઓ વડે માર મારવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ડી.સી.પી. સહિતના તમામની સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લીધુ છે જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
રજુઆતમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓને કોર્ટમાં દોષિત ઠેરવાયા પહેલાં જ જાહેરમાં સજા આપવામાં આવી હોય તેવો માહોલ સર્જાયો હતો, જે બંધારણમાં નક્કી કરાયેલા મૂળભૂત અધિકારો અને કાયદાની પ્રક્રિયાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. અરજીકર્તાએ દલીલ કરી છે કે કાયદાના અમલ માટે જવાબદાર તંત્ર જ જો કાયદાની મર્યાદા ઓળંગે તો ન્યાયવ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ ડગમગી શકે છે. ઘટનાની સ્વતંત્ર તપાસ કરાવવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સ્પષ્ટ માર્ગદર્શિકા ઘડવાની પણ વિનંતી કરવામાં આવી છે.




