Home Blog Page 2260

પંચાંગ 09/12/2023

કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકાતા રોષે ભરાયેલા ખેડૂતોનું ‘રસ્તા રોકો’ આંદોલન

નવી દિલ્હીઃ સ્થાનિક બજારોમાં કાંદાના ભાવ અચાનક વધી જતાં જનતા તકલીફ ભોગવી રહી છે. કાંદાના ભાવ વધતા રોકવા માટે કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વિદેશ વ્યાપારના ડાઈરેક્ટર જનરલ તરફથી આ વિશે વિગત જાહેર કરવામાં આવી છે. સરકારની નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે 31 માર્ચ, 2024 સુધી કાંદાની નિકાસ પર પ્રતિબંધ લાગુ રહેશે. વિદેશમાં કાંદા મોકલી નહીં શકાય. ઉલ્લેખનીય છે કે, કાંદાની નિકાસ ઘટાડવા માટે સરકારે ગયા ઓગસ્ટ મહિનામાં 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી લગાવી હતી.

પરંતુ, સરકારના નિર્ણયથી મહારાષ્ટ્રના કાંદા ઉત્પાદક ખેડૂતો ગુસ્સે ભરાય છે. નાશિક અને સોલાપૂર જિલ્લાઓમાં ખેડૂતોએ કાંદાનું લિલામ બંધ કરી દીધું છે. તે ઉપરાંત નાશિકના ખેડૂતોએ મુંબઈ-આગ્રા હાઈવે પર ‘રસ્તા રોકો’ આંદોલન શરૂ કર્યું છે. નિકાસ પ્રતિબંધને કારણે સ્થાનિક બજારમાં કાંદાના ભાવમાં 500-1000 રૂપિયાનો ઘટાડો થયો છે.

આઇસી15 ઇન્ડેક્સમાં 1,071 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટ શુક્રવારે ફરીથી વધી હતી અને 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.00 ટકા (1,071 પોઇન્ટ) વધીને 54,523 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 53,452 ખૂલીને 54,903ની ઉપલી અને 53,291 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના અવાલાંશ સિવાયના તમામ કોઇન વધ્યા હતા, જેમાંથી સોલાના અને કાર્ડાનો અનુક્રમે 14.73 અને 13.82 ટકા સાથે ટોચના વધનારા હતા.

નોંધપાત્ર ઘટનામાં ભારતે કહ્યું છે કે ક્રીપ્ટોકરન્સી અને વેબ3ને લગતો ખરડો વર્ષ 2025ના મધ્ય ભાગ સુધીમાં સંસદમાં રજૂ થવાની શક્યતા ઓછી છે. બીજી બાજુ, અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ ઉમેદવારો માટેની ચર્ચા દરમિયાન ક્રીપ્ટોકરન્સીના મુદ્દે પણ ચર્ચા કરી હતી.

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા જટિલ, અકસ્માતો વધ્યા : હાઇકોર્ટ

અમદાવાદઃ હાઇકોર્ટે બહુ ગંભીર અને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે  છેલ્લા બે દાયકામાં વાહનો વધવાની સાથે-સાથે ટ્રાફિકની સમસ્યા બહુ જટિલ બની છે, જેને કારણે ટ્રાફિક મેનેજમેન્ટ પણ ઘણું મુશ્કેલ બન્યું છે. એ સાથે સાથે અકસ્માતો પણ એટલા વધ્યા છે. આ સાથે ચીફ જસ્ટિસના વડપણ હેઠળની ખંડપીઠે લકઝરી બસ સંચાલકોની શહેરમાં પ્રવેશ મુદ્દે તેમને હાલના તબક્કે રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને જણાવ્યું હતું કે લકઝરી બસોની શહેરમાં પ્રવેશબંધી હાલ ભલે યથાવત્ રહે. લકઝરી બસોને સવારે આઠથી 10 કલાક દરમ્યાન પ્રવેશ આપી શકાય નહીં.

હાઇકોર્ટે એમ પણ ટિપ્પણી કરી હતી કે  પોલીસ ઓથોરિટી દ્વારા જાહેરનામા મારફતે લક્ઝરી બસો પર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા લાદવામાં આવેલાં નિયંત્રણોને કોઈ પણ તાર્કિક કારણો કે તથ્યો વિના ગેરવાજબી કે ગેરકાયદે કહી શકાય નહી. હાઇકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે જે લોકો લક્ઝરી બસોનો ઉપયોગ કરવા માગે છે તેમની સુવિધા કે વ્યવસ્થા કરવાની જવાબદારી લકઝરી બસ સંચાલકોની જ હોય.

શહેરમાં લકઝરી બસોને પ્રવેશ મામલે ફરી એક વાર હાઇકોર્ટે લક્ઝરી બસ સંચાલકોને કોઇ રાહત આપી ન હતી. અગાઉ જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીએ મહત્ત્વના ચુકાદા મારફતે લક્ઝરી બસોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતાં શહેર પોલીસ કમિશનરના જાહેરનામાને યોગ્ય, કાયદેસર અને વાજબી ઠરાવી તેને બહાલી આપી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, અગાઉ 2004ના આ જ પ્રકારના જાહેરનામાને ખુદ સુપ્રીમકોર્ટે પણ બહાલ અને માન્ય રાખ્યું હતું. ગુજરાત પોલીસ એકટની કલમ-33(1)(બી) અને (સી) હેઠળ પોલીસ કમિશનરને આવું જાહેરનામું કરવાની સત્તા છે અને અદાલતના મતે, પોલીસ કમિશનરના આ જાહેરનામાથી બંધારણની કલમ-301 કે 304નો કોઇ જ ભંગ થતો નથી.

 

 

 

 

 

અયોધ્યામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે કે રામ મંદિરનું બાંધકામ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળે ભવ્ય એવા રામ મંદિરનું બાંધકામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ છે તેની તસવીરી ઝલક.

રેલવે ઓવરબ્રિજનો મુદ્દો કોંગ્રેસપ્રમુખ શક્તિસિંહે રાજ્યસભામાં ઉઠાવ્યો

અમદાવાદઃ બગોદરાથી ધંધૂકા તરફ જતા રસ્તા પર ધંધૂકા પાસે ચાલતા રેલવેના ઓવરબ્રિજનું કામ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે અને અત્યંત લાંબો સમય થઈ ગયો હોવા છતાં કામ પૂર્ણ નથી થયું, જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડે છે. અહીં સતત ટ્રાફિક જેમની ઘટનાઓ બને છે.

આ મુદ્દાને રાજ્યના કોંગ્રેસપ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. તેમની સાથે રાજ્યસભાના સભાપતિએ પણ ધંધૂકા પાસે ચાલતો રેલવેનો ઓવરબ્રિજનું ઝડપથી પૂર્ણ થાય એવો સૂર પુરાવ્યો હતો.

જોકે સરકાર તરફથી આ કામ પહેલા વિલંબમાં પડ્યું હતું, પરંતુ હવે એને ઝડપથી પૂરું કરવાની ખાતરી આપવામાં આવી હતી.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૮ ડિસેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૮ ડિસેમ્બર, ૨૦૨૩

પડોશીનો પાળેલો કૂતરો કરડી જતાં છોકરીને 45 ટાંકા આવ્યા

મુંબઈઃ અહીંના અંધેરી (ઈસ્ટ) ઉપનગરમાં શ્રીમંત રહેવાસીઓની એક હાઉસિંગ સોસાયટીમાં એક દુઃખદ બનાવ બન્યો છે. એમઆઈડીસી વિસ્તારમાં આવેલી લોધા ઈટરનિસ સોસાયટીમાં રહેતી એક 10 વર્ષની છોકરીને પડોશીનો પાળેલો જર્મન શેફર્ડ કૂતરો બહુ ખરાબ રીતે કરડી જતાં બે કલાકનું ઓપરેશન કરવું પડ્યું હતું અને 45 ટાંકા લેવા પડ્યા છે. આ જ કૂતરાએ મહોલ્લામાં રહેવાસીઓ પર હુમલો કર્યાનો આ ત્રીજો બનાવ છે.

(પ્રતિકાત્મક તસવીર)

બનાવની વિગત એવી છે કે, તે છોકરી મકાનમાં એની સહેલીનાં ઘેર જતી હતી ત્યારે પડોશીનો કૂતરો ખુલ્લા દરવાજામાંથી ઓચિંતો બહાર ધસી ગયો હતો અને છોકરીને પગમાં બટકું ભર્યું હતું. પડોશીઓએ તરત જ છોકરીનાં માતાપિતાને જાણ કરી હતી. છોકરીને તરત જ નજીકની હિરાનંદાની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોકટરોએ કહ્યું કે છોકરીનાં પગનું ઓપરેશન કરવું પડશે, કારણ કે ઘા બહુ ઊંડા છે.

છોકરીનાં માતાપિતાએ આ વિશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કૂતરાના માલિકો સામે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 154 હેઠળ ફરિયાદ નોંધી છે. સોસાયટીના સેક્રેટરીએ પણ પોલીસ ફરિયાદમાં સમર્થન આપ્યું હતું અને કૂતરાનાં માલિકો સામે પગલું ભરવાની વિનંતી કરી છે.

આ ઈજા, ઓપરેશનને કારણે તે છોકરીને બીજું પણ ઘણું નુકસાન જશે. તે રાજ્ય સ્તરની તાએકવોન્ડો માર્શલ-આર્ટ ખેલાડી છે, પણ તે હવે એની બે આંતર-શાળા સ્પર્ધા ચૂકી જશે અને બે અઠવાડિયા સુધી શાળામાં ભણવા જઈ નહીં શકે.

કોકા કોલા નવો પ્લાન્ટ સાણંદમાં લગાવશેઃ રૂ. 3000 કરોડનું મૂડીરોકાણ

અમદાવાદઃ અમેરિકી બહુરાષ્ટ્રીય કંપની કોકા કોલા (TCCC)ની રાજ્યમાં રૂ. 3000 કરોડના મૂડીરોકાણની યોજના છે. કંપની અમદાવાદની પાસે સાણંદમાં બેવરેજ બેસ્ડ કોલ્ડ ડ્રિન્ક પ્લાન્ટ સ્થાપિત કરશે. કંપની આ મૂડીરોકાણ FDI હેઠળ TCCCના પાર્ટનર્સ ઇન્ટરનેશનલ રિફ્રેશમેન્ટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિ. (IRIPL)ના માધ્યમથી કરશે. કંપનીની પાસે પોતાનો બોટલિંગ પાર્ટનર હિન્દુસ્તાન કોકા કોલા બેવરેજીસ લિ.ના માધ્યમથી ગોબલેજમાં પહેલેથી સુવિધા છે. એ સિવાય એક સાણંદમાં પણ છે.

કંપનીને સાણંદ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ-IIમાં પ્લાન્ટ સ્થાપિત કરવા માટે 1.6 લાખ સ્કેવેર મીટરની જમીનની ફાળવણી કરવામાં આવી છે.રાજ્ય વહીવટના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું હતું કે કંપનીએ પહેલેથી પોતાના બોટલિંગ ભાગીદારોના માધ્યમથી બે મોટા મૂડીરોકાણ કર્યાં છે. રાજ્ય સરકારે મંજૂરીની પ્રક્રિયામાં ઝડપ લાવી દીધી છે અને કંપનીને જમીનની ફાળવણી પહેલેથી કરી દીધી છે.રાજ્ય સરકારના ટોચના અધિકારીએ આપેલી માહિતી મુજબ કોકાકોલા હવે ગુજરાતના સાણંદમાં પોતાનો પ્લાન્ટ સ્થાપશે. કંપની કુલ 3000 કરોડ આસપાસનું રોકાણ પણ કરવાની છે, આટલું જ નહિ, પરંતુ અનેક લોકોને રોજગારી પણ મળશે. ફૂડ અને બેવરેજીસની એક અનોખી ઇકો સિસ્ટમ પણ ગુજરાતમાં સ્થપાશે અને આગળ જતા ગુજરાત આ ક્ષેત્રે પણ પોતાનું નામ કરશે.

સાણંદ ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશનના પ્રમુખ અજિતભાઈ શાહ જણાવે છે કે સાણંદ હવે માત્ર ભારતની જ નહિ, પરંતુ વિદેશી કંપનીઓનું પણ હબ બનતું જાય છે.કોકાકોલાનો આ પ્લાન્ટ પશ્ચિમ ભારતમાં સપ્લાય કરશે અને બાદમાં તેનું વિસ્તરણ થાય તેવી પૂરી સંભાવના છે. આ સૂચિત કોકાકોલા પ્લાન્ટની વિશેષતા એ રહેશે કે સ્ટેટ ઓફ દ આર્ટ પ્લાન્ટ હશે અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ હશે.

 

 

 

 

 

કોઈ પણ પુરાવા વગર મારી હકાલપટ્ટી કરવામાં આવી છેઃ મહુઆ મોઈત્રા

નવી દિલ્હીઃ ‘કેશ ફોર ક્વેરી’ કૌભાંડ મામલે આજે લોકસભામાંથી હકાલપટ્ટી પામેલાં મહુઆ મોઈત્રા પશ્ચિમ બંગાળમાં કૃષ્ણનગર બેઠક પરથી લોકસભામાં તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ 2019ની ચૂંટણીમાં આ મતવિસ્તારમાંથી વિજયી થયાં હતાં. પોતાની હકાલપટ્ટી વિશે એમણે આકરાં શબ્દોમાં એથિક્સ કમિટીની ઝાટકણી કાઢી છે. સંસદભવનની બહાર પ્રત્યાઘાત આપવાનું પત્રકારોએ કહેતાં મહુઆએ કહ્યું કે, ‘એથિક્સ કમિટીએ આ કેસમાં શું ખોટું થયું છે અને કેટલા નાણાંની લેવડદેવડ થઈ છે એનો પુરાવો મેળવ્યા વગર મારી હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો છે. મારી હકાલપટ્ટીની ભલામણનો આધાર માત્ર એ મુદ્દા પર છે કે મેં મારું લોકસભા પોર્ટલ લોગ-ઈન શેર કર્યું હતું. પણ લોગ-ઈન શેરિંગ કરવા મામલે કોઈ જ નિયમ લાગુ કરાયા નથી. જો આ મોદી સરકાર એવું વિચારતી હોય કે તેઓ મારો અવાજ બંધ કરીને અદાણી મુદ્દામાંથી છટકી જશે તો હું એટલું જ કહીશ કે આ એથિક્સ કમિટી કાંગારું કોર્ટ છે અને તેણે ઉતાવળ અને પ્રક્રિયાનો દુરુપયોગ કરીને દેશની જનતાને બતાવી આપ્યું છે કે અદાણી તમારા માટે કેટલા બધા મહત્ત્વના છે. અને તમે એક મહિલા સંસદસભ્યને હેરાન કરવા માટે કેટલી હદ સુધી જઈ શકો છો, જેથી એનો અવાજ બંધ કરી શકાય.’

મહુલા મોઈત્રા સંસદભવનની બહાર પત્રકારોને આમ કહેતાં હતાં ત્યારે કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી સહિત અન્ય વિપક્ષી નેતાઓ એમની પડખે ઊભાં હતાં.

મહુઆએ વધુમાં કહ્યું, ‘ફરિયાદી એમ કહે છે કે મેં એક ઉદ્યોગપતિના વ્યાપાર હિતને ખાતર એમની પાસેથી પૈસા લઈને ગૃહમાં સવાલ પૂછ્યા હતા, પરંતુ તે ઉદ્યોગપતિનું સુઓ-મોટ્ટો સોગંદનામું કહે છે કે, મેં મારી ઈચ્છા મુજબના સવાલો અપલોડ કરવા માટે તે ઉદ્યોગપતિ પર દબાણ કર્યું હતું. બેઉ વાત સાવ ખોટી છે. એથિક્સ કમિટીએ કેસના મૂળમાં ગયા વગર મને લટકાવી દેવાનું નક્કી કરી લીધું. એણે તે ઉદ્યોગપતિને પણ મૌખિક પૂછપરછ માટે બોલાવ્યા નહોતા અને આમાં ક્યાંય પણ કોઈ રોકડ રકમ કે ગિફ્ટ લેવાઈ હોવાનો પુરાવો જ નથી.’

લોકશાહીની હત્યા થઈ છેઃ મમતા બેનરજી

પોતાની તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં સંસદસભ્ય મહુઆ મોઈત્રાની ગૃહમાંથી કરાયેલી હકાલપટ્ટીના મુદ્દે પક્ષનાં પ્રમુખ મમતા બેનરજીએ કહ્યું કે, આ ચુકાદાથી લોકશાહીની હત્યા થઈ છે.