કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકાતા રોષે ભરાયેલા ખેડૂતોનું ‘રસ્તા રોકો’ આંદોલન

નવી દિલ્હીઃ સ્થાનિક બજારોમાં કાંદાના ભાવ અચાનક વધી જતાં જનતા તકલીફ ભોગવી રહી છે. કાંદાના ભાવ વધતા રોકવા માટે કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વિદેશ વ્યાપારના ડાઈરેક્ટર જનરલ તરફથી આ વિશે વિગત જાહેર કરવામાં આવી છે. સરકારની નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે 31 માર્ચ, 2024 સુધી કાંદાની નિકાસ પર પ્રતિબંધ લાગુ રહેશે. વિદેશમાં કાંદા મોકલી નહીં શકાય. ઉલ્લેખનીય છે કે, કાંદાની નિકાસ ઘટાડવા માટે સરકારે ગયા ઓગસ્ટ મહિનામાં 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી લગાવી હતી.

પરંતુ, સરકારના નિર્ણયથી મહારાષ્ટ્રના કાંદા ઉત્પાદક ખેડૂતો ગુસ્સે ભરાય છે. નાશિક અને સોલાપૂર જિલ્લાઓમાં ખેડૂતોએ કાંદાનું લિલામ બંધ કરી દીધું છે. તે ઉપરાંત નાશિકના ખેડૂતોએ મુંબઈ-આગ્રા હાઈવે પર ‘રસ્તા રોકો’ આંદોલન શરૂ કર્યું છે. નિકાસ પ્રતિબંધને કારણે સ્થાનિક બજારમાં કાંદાના ભાવમાં 500-1000 રૂપિયાનો ઘટાડો થયો છે.