ન્યુ યોર્કઃ ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. અહેવાલો મુજબ માર્યા ગયેલા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમિની પોતાના પુત્ર મોજતબા ખોમિનીને પોતાના ઉત્તરાધિકારી તરીકે બનાવવાના પક્ષમાં નહોતા. એક રિપોર્ટ અનુસાર ખોમિનીએ પોતાની વસિયતમાં સ્પષ્ટ રીતે મોજતબાને આ પદથી દૂર રાખવાની વાત લખી હતી.
ખોમિનીની વસિયત અને મોજતબાનો વિરોધ
ઈરાનના વિરોધી જૂથ ‘નેશનલ યુનિયન ફોર ડેમોક્રસી’ના રિસર્ચ ડિરેક્ટર ખુસરો ઇસ્ફહાનીએ ઈરાની ગુપ્તચર નેટવર્કના હવાલાથી મોટા દાવા કર્યા છે. ખોમિનીએ પોતાની વસિયતમાં સ્પષ્ટ લખ્યું હતું કે મોજતબાને ઉત્તરાધિકારી ન બનાવવામાં આવે. તેમનું માનવું હતું કે તેમના પુત્ર પાસે ઈરાન જેવા દેશને ચલાવવા માટે જરૂરી અનુભવ અને ક્ષમતા નથી. નિષ્ણાતોનું કહેવું છે કે મોજતબા એક “મહત્ત્વાકાંક્ષી પરંતુ અનુભવહીન” વ્યક્તિ છે, જેમણે પોતાના પિતાના નામ સિવાય રાજકારણમાં કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી નથી.
IRGCના દબાણથી થઈ ‘ગેરકાયદે’ નિમણૂક
ઈરાનમાં સર્વોચ્ચ નેતાની પસંદગી ‘એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ’ દ્વારા થાય છે, પરંતુ મોજતબાની નિમણૂક સામાન્ય પ્રક્રિયા મુજબ થઈ નહોતી. દાવો કરવામાં આવ્યો છે કે એસેમ્બલીમાં થયેલા મતદાન દરમિયાન મોજતબાને બહુમતી મળી નહોતી અને ઘણા મૌલવીઓએ તેમના નામનો આકરો વિરોધ કર્યો હતો. જ્યારે એસેમ્બલી કોઈ નિર્ણય પર પહોંચી શકી નહોતી, ત્યારે શક્તિશાળી IRGCએ હસ્તક્ષેપ કર્યો હતો. કહેવાય છે કે IRGCના ભારે દબાણ અને ધમકીઓ સામે ઝૂકી એસેમ્બલીને મોજતબાના નામ પર મંજૂરી આપવી પડી. વિરોધ સ્વરૂપે ઘણા મૌલવીઓએ એ બેઠકનો બહિષ્કાર પણ કર્યો હતો.
ડોનાલ્ડ ટ્રંપની નારાજગી — આ સ્વીકાર્ય નથી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે મોજતબાની નિમણૂકને સંપૂર્ણપણે નકારી કાઢી છે. ટ્રંપે કહ્યું હતું કે મોજતબા શાંતિથી રહી શકશે નહીં. તેમના મુજબ, જો ઈરાન ખોમિનીની નીતિઓ પર ચાલનાર નેતા પસંદ કરશે તો અમેરિકા પાંચ વર્ષ પછી ફરી યુદ્ધના મેદાનમાં ઊતરવું પડી શકે છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું હતું કે તહેરાને તેમની સહમતી વિના કોઈ નેતાની નિમણૂક કરવી નહોતી જોઈએ. ટ્રંપે મોજતબાને “લાઇટવેઇટ” નેતા ગણાવ્યા હતા.
દર વર્ષે,માર્ચ મહિનાના બીજા બુધવારે નો સ્મોકિંગ ડે (No Smoking Day)તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ધૂમ્રપાનના ખરાબ પ્રભાવોને ઉજાગર કરવા અને લોકોને ધૂમ્રપાન છોડવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે.
1984માં આયર્લેન્ડમાં સૌપ્રથમ વખત નો સ્મોકિંગ ડે ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ, 1920 ના દાયકામાં ડોકટરોના અહેવાલોમાં ધૂમ્રપાનને કેન્સર અને અન્ય રોગો સાથે જોડવામાં આવ્યું હતું. સંશોધકો માને છે કે આ દિવસ ઉજવવો અસરકારક સાબિત થયો છે, 10 માંથી એક કરતા ઓછા લોકો ધૂમ્રપાન છોડી દે છે. પરંતુ જો સિગારેટ આટલી ખતરનાક અને જીવલેણ હોય, તો શા માટે અને તેની શોધ કોણે કરી? આજે તે વિષય પર વાત કરીએ.
તમારી આસપાસ એવા ઘણા લોકો હશે જે દિવસમાં બે કે ત્રણ પેકેટ સિગારેટ પીવે છે અથવા તેના વ્યસની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ધૂમ્રપાનનું પ્રમાણ ઝડપથી વધ્યું છે.
પણ શું તમે જાણો છો કે સિગારેટની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ટોબેકો ઇન હિસ્ટ્રી પુસ્તકના લેખક જોર્ડન ગુડમેન માને છે કે તેઓ કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ લેવાનું ટાળશે, પરંતુ અમેરિકાના ડ્યુક જેમ્સ બુકાનનને સિગારેટના ઉદ્ભવકર્તા માનવામાં આવે છે.
જેમ્સ બુકાનન ડ્યુક માત્ર સિગારેટના વર્તમાન સ્વરૂપ માટે જવાબદાર નહોતા, પરંતુ તેમણે તેમના માર્કેટિંગમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તેમણે સિગારેટના વિતરણમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના કારણે તે વિશ્વભરમાં ખૂબ લોકપ્રિય બની હતી.
1880માં, ડ્યુક માત્ર 24 વર્ષના હતા જ્યારે તેમણે હાથથી ફેરવાતી સિગારેટના વ્યવસાયમાં પ્રવેશ કર્યો, જોકે તે સમયે તે ખૂબ લોકપ્રિય નહોતું.
ડ્યુકે પાછળથી મશીન દ્વારા સિગારેટ બનાવવાનું શરૂ કર્યું, એવું માનીને કે લોકો હાથથી વળેલી સિગારેટ કરતાં એકસમાન કદની સિગારેટ પસંદ કરશે.
નવી દિલ્હીઃ ઇઝરાયેલ, અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધને કારણે મધ્ય-પૂર્વમાં સંકટની સ્થિતિ ઊભી થઈ છે. ગલ્ફ દેશોમાં વધેલા તણાવની અસર હવે ભારત પર પણ જોવા મળી રહી છે. તેને કારણે અનેક વ્યવસાયો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે ભારતે અમેરિકાથી એક મેટ્રિક ટન ગેસની આયાત કરવાનો નિર્ણય કર્યો છે. જોકે એલપીજી પર નિર્ભર રેસ્ટોરાં, સ્ટ્રીટ ફૂડ વેચાણકારો, ઓટો રિક્ષાચાલકો અને કપડાં ધોવાની સેવાઓ આપતા લોકોનું કહેવું છે કે ગેસની અછતને કારણે તેમનું દૈનિક કામકાજ પ્રભાવિત થઈ રહ્યું છે.
LPGની સપ્લાય કેમ પ્રભાવિત થઈ રહી છે?
LPG સપ્લાય પ્રભાવિત થવાનું મુખ્ય કારણ અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ છે. આ યુદ્ધના કારણે હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતી જહાજોની અવરજવર પર અસર પડી છે, જે વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વનો સમુદ્રી માર્ગ છે. ભારતના LPG આયાતનો મોટો હિસ્સો ઇરાન અને ઓમાન વચ્ચે આવેલા આ સંકુચિત માર્ગથી પસાર થાય છે, જે ખાડીને ઓમાનની ખાડી અને અરબી સમુદ્ર સાથે જોડે છે. જહાજોની અવરજવર પ્રભાવિત થતાં ભારત સુધી LPG પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે.
સરકારે ઉત્પાદન વધારવા આપ્યા નિર્દેશ
LPG સપ્લાયમાં વિક્ષેપની શક્યતાઓ વચ્ચે ભારત સરકારે ઓઇલ રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા સૂચના આપી છે. તેનો હેતુ એ છે કે ઉપલબ્ધ ગેસનો મોટા ભાગનો હિસ્સો ઘરેલુ LPG સિલિન્ડર પર નિર્ભર પરિવારોને મળી રહે.
શિપમેન્ટમાં વિલંબ ચિંતાનો વિષય
શિપિંગ ઉદ્યોગના અંદાજ મુજબ અમેરિકાથી અથવા નોર્વેમાંથી ગેસ કાર્ગો લઈને ભારત આવનારા જહાજોને આવવા-જવામાં લગભગ બે મહિના લાગી શકે છે. અધિકારીઓના જણાવ્યાનુસાર નવા ઓર્ડર આપ્યા બાદ શિપમેન્ટ મળવામાં સ્વાભાવિક રીતે થોડો સમય લાગે છે. ટૂંકા ગાળામાં સપ્લાય તંગ રહી શકે છે, પરંતુ સમય જતા ગેસની ઉપલબ્ધતા સ્થિર થવાની શક્યતા છે, જોકે તાત્કાલિક મુશ્કેલીઓ રહી શકે છે.
આ ક્ષેત્રોને મળશે પ્રથમ પ્રાથમિકતા
પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે આયાતી ગેસ સપ્લાય પ્રભાવિત થતા કેન્દ્ર સરકારે દેશી પ્રાકૃતિક ગેસના વહેંચણી માટે નવી પ્રાથમિકતા યાદી જાહેર કરી છે. નવી વ્યવસ્થામાં LPG ઉત્પાદનને CNG અને પાઇપ મારફતે મળતી રસોઈ ગેસ (PNG) સાથે સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ ઈરાન-ઇઝરાઇલ વચ્ચેનું યુદ્ધ હવે નિર્ણાયક તબક્કા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. એ દરમ્યાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું એલાન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં રિલાયન્સ છેલ્લાં 50 વર્ષમાં પ્રથમ વખત નવો ઓઇલ રિફાઇનરી પ્લાન્ટ બનાવવાની છે.
ડીલ વિશે ટ્રમ્પે શું કહ્યું?
સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રોજેક્ટમાં ભારતના અબજોપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મૂડીરોકાણ કરશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આ જાહેરાત કરી હતી. પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું કે એનર્જી સેક્ટરમાં ફરી એક વાર અમેરિકાનો દબદબો જોવા મળશે. તેમણે જણાવ્યું હતું કે તેમને ગર્વ છે કે અમેરિકા 50 વર્ષમાં પહેલી વખત નવી ઓઇલ રિફાઇનરી બનાવી રહ્યું છે. આ લગભગ 300 બિલિયન ડોલરની મોટી ડીલ તરીકે જણાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે ટેક્સાસના બ્રાઉનવિલેમાં એક નવી ઓઇલ રિફાઇનરી સ્થાપવામાં આવશે.
ડીલથી અમેરિકાને શો ફાયદો?
ટ્રમ્પે ભારતનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ સમજૂતી દુનિયાની સૌથી મોટી ખાનગી ઊર્જા કંપનીઓમાંથી એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે થઈ છે. તેમણે આગળ કહ્યું હતું કે આ રિફાઇનરીથી અમેરિકન બજાર અને રાષ્ટ્રીય સુરક્ષા બંનેને મોટો લાભ મળશે. ટ્રમ્પના દાવા મુજબ આ અમેરિકાની સૌથી સ્વચ્છ રિફાઇનરીઓમાંથી એક હશે. આ પ્રોજેક્ટથી દેશમાં રોજગાર વધશે અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે.
(@realDonaldTrump– Truth Social Post )
( Donald J. Trump – Mar 10 2026, 5:40 PM ET )
America is returning to REAL ENERGY DOMINANCE! Today I am proud to announce that America First Refining is opening the
FIRST new U.S. Oil Refinery in 50 YEARS in Brownsville, Texas.
THIS IS A… pic.twitter.com/OE9zmJ0Dfb
— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) March 10, 2026
આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે વિશ્વભરમાં તેલને લઈને અનિશ્ચિતતા અને સંકટ વધતું જોવા મળી રહ્યું છે. અમેરિકામાં પણ પેટ્રોલ અને ગેસના વધતા ભાવને લઈને ચિંતા છે. એ દરમિયાન મંગળવારે વ્હાઇટ હાઉસમાં યોજાયેલી પ્રેસ બ્રીફિંગ દરમિયાન પ્રેસ સેક્રેટરી કેરોલાઇન લેવિટે જણાવ્યું કે અમેરિકન લોકો જાણે છે કે હાલ ઓઇલ અને ગેસના ભાવ ઊંચા છે. જોકે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જેમ જ ઓપરેશન “એપિક ફ્યુરી”નાં લક્ષ્યો પૂર્ણ થશે, તેમ ભાવોમાં ઘટાડો જોવા મળવાની શક્યતા છે.
તો વાત એમ છે કે, એકવીસમી સદીની પહેલી પચીસીમાં સોશિયલ મિડીયા અને ડિજિટલ ઉપકરણો પાછળ ગાંડી થઇ ચૂકેલી દુનિયાને સદીની બીજી પચીસીના પ્રારંભે જ્ઞાન લાધ્યું છે કે, વધતો જતો સ્ક્રીન ટાઇમ તો નવી પેઢીને ભવિષ્યમાં ભારે પડશે.
વાસ્તવમાં કોઇપણ ટેકનોલોજીનો આવિષ્કાર થાય ત્યારે શરૂઆતમાં એના ફાયદાઓ જ સામે આવે. ધીમે ધીમે એનો ઉપયોગ વધે એટલે નકારાત્મક આડઅસરો બહાર આવતી જાય. સોશિયલ મિડીયા અને ડિજિટલ ઉપકરણોમાં પણ ડીટ્ટો આવું જ થયું. ધીમે ધીમે બાળકો-ટીનએજર્સની મેન્ટલ હેલ્થ પર પડનારી ગંભીર અસરો સામે આવવા લાગી એટલે બધા દેશો ઘાંઘા થઇને નિયંત્રિત ઉપયોગના રસ્તાઓ શોધવા લાગ્યા છે.
મનોવિજ્ઞાનીઓ, સમાજશાસ્ત્રીઓ, શિક્ષણશાસ્ત્રીઓ કહેવા લાગ્યા છે કે, કોઇક આ ડિજિટલનું ભૂત ઉતારો, નહીં તો ભવિષ્યમાં મનોચિકિત્સકોના ક્લિનિકો દર્દીઓથી ઊભરાતા હશે.
ગયા વખતે આપણે વાત કરી એમ, ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નીચેની વયના બાળકો માટે સોશિયલ મિડીયાનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો તો ફ્રાન્સ અને યુકે સહિત આખું યુરોપ પણ આ મુદ્દે ગંભીરતાથી વિચારે છે. અમેરિકા હોય કે જાપાન, દુનિયાનો એકપણ દેશ એની અસરમાંથી બચ્યો નથી એટલે બધા દેશો પોતપોતાની રીતે પ્રતિબંધોની, પોલિસીની ચર્ચા કરી રહ્યા છે.
ભારત પણ એમાંથી બાકાત નથી, કેમ કે અહીં તો રીલ બનાવીને સોશિયલ મિડીયા પર અપલોડ કરવી એ ‘ગૃહઉદ્યોગ’ છે.
સવાલ એ છે કે ટીનએજર્સને આ ખતરાથી બચાવવા કરવું શું તો કરવું શું? વધતા જતા સ્ક્રીન ટાઇમથી સર્જાનાર સમસ્યાઓનો સૌથી મોટો ભોગ તો આ પેઢી બની રહી છે કે બનશે.
ઇન્ટરનેટ-સોશિયલ મિડીયાનો વધારે પડતો ઉપયોગ આ ટીન્સને કઇ દિશામાં લઇ જઇ રહ્યો છે કે લઇ જશે એ સમજવા આ આંકડાઓ કાફી છેઃ
વિશ્વભરમાં સોશિયલ મિડીયા યુઝર્સની સંખ્યા 4.76 બિલિયન કરતાં વધારે છે.
એક વ્યક્તિ રોજના એવરેજ અઢી કલાક સોશિયલ મિડીયા પાછળ ખર્ચે છે.
દર આઠમાંથી એક વ્યક્તિને રિલનું વળગણ છે અને એ દિવસમાં ચાર કલાક ઓનલાઇન રહે છે.
ભારતમાં 5 થી 11 વર્ષની ઉંમરના, ઇન્ટરનેટ યુઝ કરતાં બાળકોના સંખ્યા 66 મિલિયન છે.
13 થી 17 વર્ષની વયના બાળકો (કે ટીનએજર્સ) દિવસમાં ત્રણ કલાક સોશિયલ મિડીયા પર વીતાવે છે.
એક અંદાજ પ્રમાણે, ટીનએજર્સ દિવસમાં 150 વાર સ્માર્ટફોન ચેક કરે છે.
દર ચારમાંથી એક ટીનએજરને સેક્સ્યુઅલ મેસેજ કે ઇ-મેઇલ મળે છે.
(Courtesy: Safe Teen Steps by Ragini Bharadwaj & Dr. Manjula Pooja Shroff, PM Publishers Pvt. Ltd, 2024)
ઇનશોર્ટ, સોશિયલ મિડીયાનું વધી રહેલું વળગણ, ઓનલાઇન ગેમિંગ, સેક્સટિંગ, સેલ્ફી-મેનિયા, લાઇક-કમેન્ટ ફીવર, ઓનલાઇન સ્કેમ, જુવેનાઇલ ક્રાઇમ, ફેક પ્રોફાઇલ્સ… આ બધાના કારણે ટીનએજર્સમાં માનસિક તણાવનું પ્રમાણ જે હદે વધી રહ્યું છે એ ખતરાની ઘટંડી છે.
પણ એનાથી આગળ વધીને મહત્વનો મુદ્દો એ છે કે આપણે ઇન્ટરનેટ કે સોશિયલ મિડીયાનો વપરાશ સંપૂર્ણ બંધ તો નથી જ કરી શકવાના. કે પછી નથી આપણે ટીનએજર્સને એનો ઉપયોગ કરતા સંપૂર્ણપણે અટકાવી શકવાના. ઇન્ટરનેટ, સોશિયલ મિડીયા અને એઆઇ એ આંધી છે-તમે એમાંથી બચી શકો એવા કોઇ ચાન્સ જ નથી કે નથી એમાં હવે પાછળ જઇ શકાય એમ. દુનિયા આખી ‘પોઇન્ટ ઓફ નો રીટર્ન’ પર આવીને ઊભી છે.
તો શું કરવું?
આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાનું એક જાણીતું વિધાન છેઃ બદલાવ લાવવા માટેનું સૌથી શ્રેષ્ઠ હથિયાર એ શિક્ષણ છે.
બસ, આ જ મંત્ર અપનાવીને અમદાવાદના જાણીતા એજ્યુપ્રેન્યોર ડો. મંજુલા પૂજા શ્રોફ અને પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબાર ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા પત્રકાર રાગિણી ભારદ્વાજે એક પુસ્તક લખ્યું છેઃ સેફ ટીન સ્ટેપ્સ. ફક્ત પેરેન્ટ્સ જ નહીં, ટીન્સને પણ મજા પડે એવા કલરફૂલ કાગળ, ડીઝાઇન અને ઇલેસ્ટ્રેશન્સથી ભરેલા આ પુસ્તકમાં મુખ્ય જે વાત પર ભાર મૂકવામાં આવ્યો છે એ આ જ છેઃ ટીન્સને બળજબરીથી ઇન્ટરનેટ કે સ્માર્ટફોનથી દૂર રાખવાના બદલે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરતાં શીખવાડો. એમની સાથે વાત કરો, સંવાદ કરો, સારા-નરસાનો ભેદ પારખતાં શીખવાડો અને એમને ડિજિટલી શિક્ષિત કરો.
સોશિયલ મિડીયામાં કઇ રીતે દોસ્તીનું મહોરું પહેરીને ચોર તમારા પર નજર રાખી શકે છે, કઇ રીતે તમે મેનીપ્યુલેટ થઇ શકો છો, કઇ રીતે સેક્સટીંગની જાળમાં ટીનએજ છોકરા-છોકરીઓ ફસાય છે… એવી બધી બાબતોની, વાસ્તવિક કિસ્સાઓ સાથે એમાં ચર્ચા કરવામાં આવી છે. તમિલના જાણીતા હાઇબ્રીડ કેરેક્ટર યાલીને ટીન્સના દોસ્ત તરીકે પ્રેઝન્ટ કરીને બન્ને લેખિકાઓએ ટીનએજ સાથે સંવાદ કરતાં હોય એ શૈલીમાં પુસ્તક લખ્યું છે એટલે એમાં ઉપદેશ કે સલાહ ઓછી, પણ સમજણ વધારે છે.
(ડો. મંજુલા પૂજા શ્રોફ)
ડો. મંજુલા પૂજા શ્રોફ કહે છે, ‘સોશિયલ મિડીયાનું આપણી લાઇફમાં આગમન બેધારી તલવાર જેવું છે. એ અનેક રીતે ઉપયોગી છે તો એની સાથે જોખમી પણ એટલું જ છે. એના પર ઠલવાતું કન્ટેન્ટ સારું ય છે અને ખરાબ પણ છે એટલે ટીનએજર્સ સારા-નરસાને પરખતા શીખે એને સ્માર્ટફોનનો વિવેકપૂર્વક ઉપયોગ કરે એ જરૂરી છે. આવું થશે તો ટીન્સ સેક્યુઅલ અને અન્ય સ્કેમનો ભોગ બનતા અટકશે.’
ડો. શ્રોફ પોતે એજ્યુકેશનિસ્ટ છે અને પુસ્તકના સહ-લેખિકા રાગિણીએ પણ વર્ષો સુધી સ્કૂલ એજ્યુકેશનનું રિપોર્ટીંગ કર્યું છે એટલે બન્ને ટીનએજર્સની માનસિકતા, એમની ઉંમરમાં સર્જાતા પ્રશ્નો અને એમના વૈચારિક સ્તરથી સારી રીતે વાકેફ છે એટલે એ સ્પષ્ટપણે માને છે કે ફક્ત ઉપયોગ પર પ્રતિબંધ લાદવાથી કાંઇ નહીં વળે. એમની સાથે નિખાલસ ચર્ચા કરીને, સંવાદ કરીને એમના સાચી સમજણ આપીને જ એનો ઉકેલ લાવી શકાશે.
હમ્મમ. ઉપાય અજમાવવા જેવો ખરો. જો પાણીના ધસમસતા પ્રવાહને આવતો અટકાવી ન શકીએ તો કમસેકમ પાણી પહેલાં પાળ તો બાંધી જ શકીએ ને? તમને શું લાગે છે?
રીતઃ દૂધીને છોલીને ધોઈને સમારી લો. દૂધીનો બીયાંવાળો વચ્ચેનો ભાગ કાઢી લેવો અને દૂધીના ટુકડા કરી લઈ, મિક્સીમાં 1 કપ પાણી સાથે તેની બારીક પેસ્ટ કરી લેવી.
એક મોટા વાસણમાં દૂધીની પેસ્ટ, ચોખાનો લોટ, રવો ચમચા વડે મિક્સ કરો. તેમાં 3 કપ જેટલું પાણી થોડું થોડું ઉમેરતાં જઈ પાતળું ખીરું બનાવી લો.
હવે તેમાં લીલા મરચાં તેમજ કાંદો ઝીણાં સમારીને ઉમેરો. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું, ચિલી ફ્લેક્સ, ખમણેલું આદુ, કાળા મરી પાઉડર, સમારેલી કોથમીર મેળવી દો.
ચટણી માટે એક પેનમાં એક ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં આદુ, લસણ સાંતળી લીધા બાદ ટામેટાંના ટુકડા ઉમેરીને સાંતળો. હવે સૂકા લાલ મરચાંના ટુકડા ઉમેરીને થોડું સાંતળી લીધા બાદ આ મિશ્રણ ઠંડું થાય એટલે સ્વાદ મુજબ મીઠું મેળવીને મિક્સીમાં ચટણી પીસી લો.
ઢોસા માટે નોન-સ્ટીક તવો ગરમ કરી એક કળછીમાં ખીરું લઈ તવા ઉપર ફરતે રેડી દો. ત્યારબાદ તેની ઉપર એક ચમચી જેટલું તેલ અથવા ઘી ઢોસાની ઉપર તેમજ ચારે બાજુ રેડીને ઢોસો ક્રિસ્પી થવા દો. ઉપરથી ઢોસો લાલ થવા લાગે એટલે તવેથા વડે ધીરે ધીરે ઉથલાવીને એક પ્લેટમાં કાઢી લો. આ ઢોસાનું ખીરું પાતળું હોવાને કારણે ઢોસો જલ્દી બની જાય છે.
ગરમાગરમ ઢોસા તૈયાર કરેલી ટામેટાંની ચટણી સાથે પીરસો.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો પ્રભાવ હવે ભારતના સામાન્ય લોકોના જીવન પર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. રસોઈ ગેસના ભાવોમાં વધારો થયા પછી હવે હવાઈ મુસાફરી પણ મોંઘી બનવા લાગી છે. વધતા જેટ ઇંધણના ખર્ચને ધ્યાનમાં રાખીને Air Indiaએ પોતાના ફ્લાઇટ ટિકિટ પર ફ્યુઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે મુસાફરોને હવે વધુ ખર્ચ ચૂકવવો પડશે.
એરલાઇન કંપનીએ જણાવ્યું છે કે આ વધારાને તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. આ પગલું માત્ર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે જ નહીં પરંતુ દેશની અંદરની ઉડાનો માટે પણ લાગુ પડશે. વધતા ઇંધણ ખર્ચને કારણે એરલાઇન કંપનીઓ માટે ઓપરેશનલ ખર્ચ સંભાળવો મુશ્કેલ બનતો જઈ રહ્યો છે, જેના કારણે ટિકિટના ભાવે વધારો કરવો અનિવાર્ય બની ગયો છે.
એરલાઇન કંપનીના જણાવ્યા અનુસાર આ વધારો ફેઝ-1 અને ફેઝ-2ના માધ્યમથી અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. નવા દરો મુજબ ભારતની ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અને SAARC દેશોમાં જતી ઉડાનો માટે ટિકિટ લગભગ 399 રૂપિયા સુધી મોંઘી થઈ શકે છે. આ ઉપરાંત પશ્ચિમ એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકા તરફ જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ફ્યુઅલ સરચાર્જમાં વધુ વધારો કરવામાં આવ્યો છે.
માહિતી મુજબ પશ્ચિમ એશિયા માટે ફ્લાઇટ્સ પર લગભગ 10 ડોલર સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે દક્ષિણ-પૂર્વ એશિયા માટે આશરે 20 ડોલર અને આફ્રિકા માટે 30 ડોલર સુધીનો વધારાનો સરચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે આ નિર્ણય વધતી ઇંધણની કિંમતોને કારણે લેવો પડ્યો છે.
તાજેતરના સમયમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ, જેને ATF તરીકે ઓળખવામાં આવે છે, તેની કિંમતોમાં ભારે ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે કાચા તેલના પુરવઠામાં અવરોધ સર્જાતા જેટ ઇંધણની ઉપલબ્ધતા પર પણ અસર પડી રહી છે. આ કારણે એરલાઇન ઉદ્યોગ પર ખર્ચનો ભાર વધુ વધ્યો છે.
પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવનો પ્રભાવ હવે વિશ્વભરના ઊર્જા બજારો પર દેખાવા લાગ્યો છે અને તેની અસર ભારત સુધી પણ પહોંચવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે હોર્મુઝ જળમાર્ગની આસપાસની પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ છે. આ જળમાર્ગ વૈશ્વિક ઊર્જા સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને ભારત તેની મોટી માત્રામાં LPG આયાત માટે આ માર્ગ પર નિર્ભર છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર સતર્ક બની ગઈ છે અને સંભવિત ઇંધણ સંકટને ટાળવા માટે અનેક પગલાં લેવા શરૂ કર્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને દેશની ઊર્જા સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરી. સરકારનું મુખ્ય ધ્યાન એ પર છે કે દેશની સામાન્ય જનતા અને વેપાર ક્ષેત્રને ગેસની અછતનો સામનો કરવો ન પડે.
તાજેતરના દિવસોમાં વ્યાવસાયિક ગેસ સિલિન્ડરોની અછત અંગે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ઘણા વેપારીઓને આશંકા હતી કે જો સપ્લાયમાં વિક્ષેપ આવશે તો તેમના વ્યવસાય પર ગંભીર અસર પડી શકે છે. જોકે હવે સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી અને પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.
સરકાર દ્વારા વ્યાવસાયિક ગ્રાહકોની સમસ્યાઓને સમજવા અને ઝડપી ઉકેલ લાવવા માટે એક ત્રણ સભ્યોની વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિંદુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ રેસ્ટોરન્ટ અને હોટેલ એસોસિએશનો સાથે સીધી ચર્ચા કરીને તેમની વાસ્તવિક જરૂરિયાતો સમજશે અને સપ્લાયને અનુરૂપ રીતે પ્રાથમિકતા આપશે.
સરકારની નવી વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ ઘરેલુ ઉત્પાદન વધારવાનો પણ છે. સપ્લાય ચેઇનને વધુ અસરકારક બનાવવા અને આયાત પરનો દબાણ ઘટાડવા માટે દેશમાં LPG ઉત્પાદન વધારવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘરેલુ LPG ઉત્પાદન લગભગ 10 ટકા સુધી વધારવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ પગલાથી સ્થાનિક બજારમાં પુરવઠાની સ્થિતિ વધુ સ્થિર બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.