સ્ક્રીનટાઇમથી ‘સેફ-ઝોન’ સુધીઃ ટીનએજર્સ માટે….

તો વાત એમ છે કે, એકવીસમી સદીની પહેલી પચીસીમાં સોશિયલ મિડીયા અને ડિજિટલ ઉપકરણો પાછળ ગાંડી થઇ ચૂકેલી દુનિયાને સદીની બીજી પચીસીના પ્રારંભે જ્ઞાન લાધ્યું છે કે, વધતો જતો સ્ક્રીન ટાઇમ તો નવી પેઢીને ભવિષ્યમાં ભારે પડશે.

વાસ્તવમાં કોઇપણ ટેકનોલોજીનો આવિષ્કાર થાય ત્યારે શરૂઆતમાં એના ફાયદાઓ જ સામે આવે. ધીમે ધીમે એનો ઉપયોગ વધે એટલે નકારાત્મક આડઅસરો બહાર આવતી જાય. સોશિયલ મિડીયા અને ડિજિટલ ઉપકરણોમાં પણ ડીટ્ટો આવું જ થયું. ધીમે ધીમે બાળકો-ટીનએજર્સની મેન્ટલ હેલ્થ પર પડનારી ગંભીર અસરો સામે આવવા લાગી એટલે બધા દેશો ઘાંઘા થઇને નિયંત્રિત ઉપયોગના રસ્તાઓ શોધવા લાગ્યા છે.

મનોવિજ્ઞાનીઓ, સમાજશાસ્ત્રીઓ, શિક્ષણશાસ્ત્રીઓ કહેવા લાગ્યા છે કે, કોઇક આ ડિજિટલનું ભૂત ઉતારો, નહીં તો ભવિષ્યમાં મનોચિકિત્સકોના ક્લિનિકો દર્દીઓથી ઊભરાતા હશે.

ગયા વખતે આપણે વાત કરી એમ, ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નીચેની વયના બાળકો માટે સોશિયલ મિડીયાનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો તો ફ્રાન્સ અને યુકે સહિત આખું યુરોપ પણ આ મુદ્દે ગંભીરતાથી વિચારે છે. અમેરિકા હોય કે જાપાન, દુનિયાનો એકપણ દેશ એની અસરમાંથી બચ્યો નથી એટલે બધા દેશો પોતપોતાની રીતે પ્રતિબંધોની, પોલિસીની ચર્ચા કરી રહ્યા છે.

ભારત પણ એમાંથી બાકાત નથી, કેમ કે અહીં તો રીલ બનાવીને સોશિયલ મિડીયા પર અપલોડ કરવી એ ‘ગૃહઉદ્યોગ’ છે.

સવાલ એ છે કે ટીનએજર્સને આ ખતરાથી બચાવવા કરવું શું તો કરવું શું? વધતા જતા સ્ક્રીન ટાઇમથી સર્જાનાર સમસ્યાઓનો સૌથી મોટો ભોગ તો આ પેઢી બની રહી છે કે બનશે.

ઇન્ટરનેટ-સોશિયલ મિડીયાનો વધારે પડતો ઉપયોગ આ ટીન્સને કઇ દિશામાં લઇ જઇ રહ્યો છે કે લઇ જશે એ સમજવા આ આંકડાઓ કાફી છેઃ

  • વિશ્વભરમાં સોશિયલ મિડીયા યુઝર્સની સંખ્યા 4.76 બિલિયન કરતાં વધારે છે.
  • એક વ્યક્તિ રોજના એવરેજ અઢી કલાક સોશિયલ મિડીયા પાછળ ખર્ચે છે.
  • ભારતમાં ઓનલાઇન ડેટીંગ એપ્સનું અંદાજિત ટર્નઓવર 2024માં 783 મિલિયન ડોલર જેટલું હતું.
  • દર આઠમાંથી એક વ્યક્તિને રિલનું વળગણ છે અને એ દિવસમાં ચાર કલાક ઓનલાઇન રહે છે.
  • ભારતમાં 5 થી 11 વર્ષની ઉંમરના, ઇન્ટરનેટ યુઝ કરતાં બાળકોના સંખ્યા 66 મિલિયન છે.
  • 13 થી 17 વર્ષની વયના બાળકો (કે ટીનએજર્સ) દિવસમાં ત્રણ કલાક સોશિયલ મિડીયા પર વીતાવે છે.
  • એક અંદાજ પ્રમાણે, ટીનએજર્સ દિવસમાં 150 વાર સ્માર્ટફોન ચેક કરે છે.
  • દર ચારમાંથી એક ટીનએજરને સેક્સ્યુઅલ મેસેજ કે ઇ-મેઇલ મળે છે.

(Courtesy: Safe Teen Steps by Ragini Bharadwaj & Dr. Manjula Pooja Shroff, PM Publishers Pvt. Ltd, 2024)  

ઇનશોર્ટ, સોશિયલ મિડીયાનું વધી રહેલું વળગણ, ઓનલાઇન ગેમિંગ, સેક્સટિંગ, સેલ્ફી-મેનિયા, લાઇક-કમેન્ટ ફીવર, ઓનલાઇન સ્કેમ, જુવેનાઇલ ક્રાઇમ, ફેક પ્રોફાઇલ્સ… આ બધાના કારણે ટીનએજર્સમાં માનસિક તણાવનું પ્રમાણ જે હદે વધી રહ્યું છે એ ખતરાની ઘટંડી છે.

પણ એનાથી આગળ વધીને મહત્વનો મુદ્દો એ છે કે આપણે ઇન્ટરનેટ કે સોશિયલ મિડીયાનો વપરાશ સંપૂર્ણ બંધ તો નથી જ કરી શકવાના. કે પછી નથી આપણે ટીનએજર્સને એનો ઉપયોગ કરતા સંપૂર્ણપણે અટકાવી શકવાના. ઇન્ટરનેટ, સોશિયલ મિડીયા અને એઆઇ એ આંધી છે-તમે એમાંથી બચી શકો એવા કોઇ ચાન્સ જ નથી કે નથી એમાં હવે પાછળ જઇ શકાય એમ. દુનિયા આખી ‘પોઇન્ટ ઓફ નો રીટર્ન’ પર આવીને ઊભી છે.

તો શું કરવું?

આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાનું એક જાણીતું વિધાન છેઃ બદલાવ લાવવા માટેનું સૌથી શ્રેષ્ઠ હથિયાર એ શિક્ષણ છે. 

બસ, આ જ મંત્ર અપનાવીને અમદાવાદના જાણીતા એજ્યુપ્રેન્યોર ડો. મંજુલા પૂજા શ્રોફ અને પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબાર ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા પત્રકાર રાગિણી ભારદ્વાજે એક પુસ્તક લખ્યું છેઃ સેફ ટીન સ્ટેપ્સ. ફક્ત પેરેન્ટ્સ જ નહીં, ટીન્સને પણ મજા પડે એવા કલરફૂલ કાગળ, ડીઝાઇન અને ઇલેસ્ટ્રેશન્સથી ભરેલા આ પુસ્તકમાં મુખ્ય જે વાત પર ભાર મૂકવામાં આવ્યો છે એ આ જ છેઃ ટીન્સને બળજબરીથી ઇન્ટરનેટ કે સ્માર્ટફોનથી દૂર રાખવાના બદલે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરતાં શીખવાડો. એમની સાથે વાત કરો, સંવાદ કરો, સારા-નરસાનો ભેદ પારખતાં શીખવાડો અને એમને ડિજિટલી શિક્ષિત કરો.

સોશિયલ મિડીયામાં કઇ રીતે દોસ્તીનું મહોરું પહેરીને ચોર તમારા પર નજર રાખી શકે છે, કઇ રીતે તમે મેનીપ્યુલેટ થઇ શકો છો, કઇ રીતે સેક્સટીંગની જાળમાં ટીનએજ છોકરા-છોકરીઓ ફસાય છે… એવી બધી બાબતોની, વાસ્તવિક કિસ્સાઓ સાથે એમાં ચર્ચા કરવામાં આવી છે. તમિલના જાણીતા હાઇબ્રીડ કેરેક્ટર યાલીને ટીન્સના દોસ્ત તરીકે પ્રેઝન્ટ કરીને બન્ને લેખિકાઓએ ટીનએજ સાથે સંવાદ કરતાં હોય એ શૈલીમાં પુસ્તક લખ્યું છે એટલે એમાં ઉપદેશ કે સલાહ ઓછી, પણ સમજણ વધારે છે.

(ડો. મંજુલા પૂજા શ્રોફ)

ડો. મંજુલા પૂજા શ્રોફ કહે છે, ‘સોશિયલ મિડીયાનું આપણી લાઇફમાં આગમન બેધારી તલવાર જેવું છે. એ અનેક રીતે ઉપયોગી છે તો એની સાથે જોખમી પણ એટલું જ છે. એના પર ઠલવાતું કન્ટેન્ટ સારું ય છે અને ખરાબ પણ છે એટલે ટીનએજર્સ સારા-નરસાને પરખતા શીખે એને સ્માર્ટફોનનો વિવેકપૂર્વક ઉપયોગ કરે એ જરૂરી છે. આવું થશે તો ટીન્સ સેક્યુઅલ અને અન્ય સ્કેમનો ભોગ બનતા અટકશે.’

ડો. શ્રોફ પોતે એજ્યુકેશનિસ્ટ છે અને પુસ્તકના સહ-લેખિકા રાગિણીએ પણ વર્ષો સુધી સ્કૂલ એજ્યુકેશનનું રિપોર્ટીંગ કર્યું છે એટલે બન્ને ટીનએજર્સની માનસિકતા, એમની ઉંમરમાં સર્જાતા પ્રશ્નો અને એમના વૈચારિક સ્તરથી સારી રીતે વાકેફ છે એટલે એ સ્પષ્ટપણે માને છે કે ફક્ત ઉપયોગ પર પ્રતિબંધ લાદવાથી કાંઇ નહીં વળે. એમની સાથે નિખાલસ ચર્ચા કરીને, સંવાદ કરીને એમના સાચી સમજણ આપીને જ એનો ઉકેલ લાવી શકાશે.

હમ્મમ. ઉપાય અજમાવવા જેવો ખરો. જો પાણીના ધસમસતા પ્રવાહને આવતો અટકાવી ન શકીએ તો કમસેકમ પાણી પહેલાં પાળ તો બાંધી જ શકીએ ને? તમને શું લાગે છે?

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)