અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે નાટો (NATO) દેશોને આકરું અલ્ટીમેટમ આપ્યું છે. ઈરાન સાથેના 14 દિવસના કામચલાઉ યુદ્ધવિરામ છતાં આ દરિયાઈ માર્ગ હજુ પણ આંશિક રીતે બંધ છે, જેના કારણે વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠા પર જોખમ તોળાઈ રહ્યું છે. ટ્રમ્પે નાટો મહાસચિવ માર્ક રુટને જણાવી દીધું છે કે યુરોપિયન દેશોએ હવે નક્કી કરવું પડશે કે તેઓ આ માર્ગ ખોલાવવા માટે અમેરિકાને કેવી રીતે મદદ કરશે. ટ્રમ્પના આ કડક વલણને કારણે અમેરિકા અને તેના યુરોપિયન સહયોગીઓ વચ્ચેના સંબંધોમાં તણાવ વધવાની શક્યતા છે.
અમેરિકા અને નાટો વચ્ચેના સંબંધોમાં અત્યારે ખેંચતાણ જોવા મળી રહી છે. સમાચાર એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસ, પેન્ટાગોન અને વિદેશ વિભાગમાં થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ટ્રમ્પે યુરોપિયન દેશોની નિષ્ક્રિયતા પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પનું માનવું છે કે જ્યારે અમેરિકા વૈશ્વિક સુરક્ષા માટે લડી રહ્યું હોય ત્યારે નાટો દેશોએ માત્ર પ્રેક્ષક બનીને જોવું જોઈએ નહીં. નાટો મહાસચિવ માર્ક રુટ સાથેની વાતચીતમાં ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું હતું કે આગામી થોડા દિવસોમાં જ તમામ સહયોગી દેશોએ પોતાની યોજના સ્પષ્ટ કરવી પડશે કે તેઓ હોર્મુઝની સુરક્ષા માટે કેવી રીતે અને કેટલું યોગદાન આપશે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નાટો પર નિશાન સાધતા લખ્યું હતું કે, “જ્યાં સુધી દબાણ અથવા જોર-જબરદસ્તીથી સમજાવવામાં ન આવે ત્યાં સુધી આ દેશો ગંભીર મુદ્દાઓને સમજતા નથી.” તેમણે એમ પણ ઉમેર્યું કે જ્યારે અમેરિકાને ખરેખર જરૂર હતી ત્યારે નાટો તેની સાથે નહોતું અને ભવિષ્યમાં પણ કદાચ નહીં હોય. ટ્રમ્પના આ નિવેદને ફરી એકવાર અમેરિકા નાટો ગઠબંધનથી અલગ થઈ શકે છે તેવી અટકળોને વેગ આપ્યો છે. જોકે, બ્રિટન સહિત ૪૦ થી વધુ દેશો, જેમાં જાપાન અને કેનેડાનો પણ સમાવેશ થાય છે, તેમણે આ દરિયાઈ માર્ગ ખોલવામાં મદદ કરવાની ઈચ્છા દર્શાવી છે, પરંતુ ટ્રમ્પ હવે માત્ર વાતો નહીં પણ નક્કર કાર્યવાહી ઈચ્છી રહ્યા છે.
અમેરિકા-ઈરાન વચ્ચેના બે અઠવાડિયાના યુદ્ધવિરામ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પ્રથમ બિન-ઈરાની તેલ ટેન્કર ‘MSG’ સુરક્ષિત રીતે પસાર થયું છે, જે યુએઈથી 7000 ટન ફ્યુઅલ ઓઈલ લઈને ગુજરાતના પીપાવાવ બંદર તરફ જઈ રહ્યું છે. જોકે, આ જળમાર્ગ હજુ પણ જોખમી છે અને વૈશ્વિક સ્તરે તેલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલની આસપાસ જળવાયેલા છે. સીઝફાયર હોવા છતાં, લેબનાનમાં વધતા તણાવ અને ઈરાનના ટોલ વસૂલવાના ઈરાદાઓને લીધે શિપિંગ કંપનીઓ હજુ પણ સાવચેત છે. અત્યાર સુધી માત્ર મુઠ્ઠીભર જહાજો જ આ માર્ગેથી પસાર થયા છે, જે દર્શાવે છે કે સ્થિતિ હજુ પણ નાજુક છે.
વૈશ્વિક તેલના વેપાર માટે હોર્મુઝની સ્ટ્રેટ કરોડરજ્જુ સમાન છે, જ્યાંથી વિશ્વનો લગભગ 20 ટકા તેલ અને ગેસ પુરવઠો પસાર થાય છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સંઘર્ષને કારણે આ માર્ગ વ્યવહારિક રીતે બંધ જેવી સ્થિતિમાં હતો, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સીઝફાયર પછી ઈરાને વચન આપ્યું હતું કે તે વ્યાપારી જહાજોને સુરક્ષિત પસાર થવા દેશે, પરંતુ ડેટા એનાલિટિક્સ ફર્મ ‘કેપ્લર’ ના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી પસાર થયેલા મોટાભાગના જહાજો ઈરાની ઝંડાવાળા જ હતા. આવી સ્થિતિમાં ‘MSG’ ટેન્કરનું સફળતાપૂર્વક પસાર થવું એ શિપિંગ ઉદ્યોગ માટે એક નાના પણ સકારાત્મક પગલા સમાન છે.
આ સંઘર્ષના માહોલમાં ઈરાન હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર નવો ‘ટોલ ટેક્સ’ કે સુરક્ષા ફી વસૂલવાની યોજના પર વિચાર કરી રહ્યું છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ચિંતા જગાવી છે. ઈરાનનું તર્ક છે કે તે આ જળમાર્ગમાં સુરક્ષા પૂરી પાડે છે, તેથી બદલામાં ફી વસૂલવી તેમના અધિકારમાં છે. જોકે, પશ્ચિમી દેશો અને શિપિંગ કંપનીઓ આને એક પ્રકારની જોર-જબરદસ્તી માની રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે જહાજોના માલિકો હજુ પણ જોખમ લેવા તૈયાર નથી અને અનેક ટેન્કરો હજુ પણ પર્શિયન ગલ્ફના વિવિધ વિસ્તારોમાં રાહ જોઈ રહ્યા છે.
અમદાવાદ: વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે શહેરમાં 27 મિનિટમાં 1.08 કરોડ નવકાર મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ, યુવાનો, મહિલાઓ, વડીલો તેમજ બાળકો જોડાયા હતા. આ જાપ માત્ર એક સ્થળ સુધી જ મર્યાદિત રહ્યો ન હતો. તે જિનાલયોમાં, ઘરોમાં, સમાજના સામૂહિક કેન્દ્રોમાં તેમજ વિવિધ સંગઠનો દ્વારા એકસાથે કરવામાં આવ્યો હતો. જેનો હેતુ ધાર્મિક અનુષ્ઠાન પૂરતો ન હતો. પરંતુ વિશ્વશાંતિ, માનવકલ્યાણ, અહિંસા, સહઅસ્તિત્વ અને આંતરિક શાંતિનો વૈશ્વિક સંદેશ ફેલાવવાનો હતો.
જીતો દ્વારા દેશ-વિદેશમાં કુલ 100 શહેરોમાં, 25,000 સ્થળ પર, 2.5 કરોડ લોકોને આ કાર્યક્રમમાં જોડવામાં આવ્યા હતા. દિલ્હીથી ગૃહમંત્રી અમિત શાહ પણ તેમાં જોડાયા હતા. દેશમાં અંદાજે એક જ સમયે 25 કરોડ નવકારનો જાય થયો.
શહેરમાં જીતો પરિવાર માટે GMDC ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય કૌશિક જૈન, જૈન શાસનરત્ન શ્રીપાલભાઈ, દેવલ શેઠ, શ્રીપકભાઈ શેઠ, દીપકભાઈ બારડોલીવાળા, ભદ્રેશભાઈ શાહ, પીયૂષ જૈન, જીતો સ્ટિયરિંગ કમિટીના સભ્યો તેમજ અનેક જૈન શ્રેષ્ઠીઓ જોડાયા હતા.
જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીએ 31મો જન્મદિવસ વિવિધ પરોપકારી કાર્યો સાથે ઉજવ્યો. આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરીને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ ભક્તોની અવર-જવરની મુશ્કેલીઓ દૂર કરવા દ્વારકા શારદાપીઠમાં અત્યાધુનિક એસ્કેલેટર સ્થાપિત કરાશે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં નિર્માણાધીન યાત્રી ભવનમાં 17 રૂમ સાથેનો એક આખો અલગ માળ બનાવાશે. અંબાજી મંદિરમાં એક વર્ષ સુધી ભોજન પ્રસાદી સેવા આપવામાં આવશે. સોમનાથ મંદિરમાં એક વર્ષના સમયગાળા માટે સવાર અને સાંજની ભોજન પ્રસાદી સેવાનું આયોજન કરાયું છે.અનંત અંબાણીના 31મા જન્મદિવસ પ્રસંગે, 31 અલગ-અલગ સખાવતી પહેલની જાહેરાત કરાઈ. આ અંતર્ગત દ્વારકા, સોમનાથ, અંબાજી અને સાળંગપુર સહિતના ગુજરાતના મુખ્ય ધર્મસ્થળો ખાતે યાત્રાળુઓ માટે માળખાકીય વિકાસ માટે દાન આપવામાં આવ્યું. જામનગર અને અન્ય સ્થળોએ શૈક્ષણિક માળખાગત સુધારાના કાર્યો, ગૌશાળાની સ્થાપના, રિલાયન્સના કોન્ટ્રાક્ચ્યુઅલ કામદારો માટે મિઠાઇ, સામુદાયિક ભોજન સમારંભો, જામનગર રિફાઇનરીની આસપાસના ગામડાંની મહિલાઓ માટે સાડીના વિતરણ અને ગ્રામીણ વિસ્તારોમાં આવશ્યક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવી.
હેલ્થકેરમાં જામનગરમાં ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર લેનારા લગભગ 2.26 લાખ દર્દીને એક વર્ષ માટે ડૉક્ટરની સૂચના મુજબનું ભોજન પૂરું પાડવામાં આવશે. જ્યારે પ્રોજેક્ટ દ્રષ્ટિ હેઠળ જામનગરમાં નિઃશુલ્ક નેત્રરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું છે. આગામી 19 એપ્રિલના રોજ જોગવડ ખાતે એક મલ્ટી-સ્પેશિયાલ્ટી આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. પડાણા સ્થિત એનિમલ હોસ્પિટલમાં એક પશુ નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં માળખાગત સુવિધાઓ સુધારવા, જામનગર જિલ્લાના સિક્કા અને ડેરા છીકારી ગામોમાં સ્કૂલ માટે નવા મકાન બાંધવાનું આયોજન કરાયું છે. જામનગર રિફાઇનરી અને ગીરતારાની આસપાસના ગામોમાં સરકારી પ્રાથમિક સ્કૂલના આશરે 12,000 વિદ્યાર્થીને ટ્રેકસૂટનું વિતરણ કરાશે. જામનગરમાં એક અત્યાધુનિક સામુદાયિક રસોડું બનાવીને અક્ષય પાત્ર ફાઉન્ડેશનને સોંપણી કરાઈ છે. હાલ આ સંસ્થા જિલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ દરરોજે લગભગ 22,000 વિદ્યાર્થીઓને (દર વર્ષે 55 લાખ ભોજન) સેવા પૂરી પાડે છે. વડોદરાના ગોરજ મુનિ સેવાશ્રમમાં આદિવાસી વિદ્યાર્થી છાત્રાલયમાં માળખાગત સુવિધાઓ સુધારવા માટે અપાયેલા દાનથી 700 વિદ્યાર્થીને લાભ થશે. જામનગરમાં ગાગવા, નવાગામ અને પીપળી, જૂનાગઢમાં સમતપરા અને વડોદરાના ધનોરામાં કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન કરાયું છે.
રાજકોટના સદભાવના વૃધ્ધાશ્રમ અને ખેડામાં મહિપતસિંહ ફાઉન્ડેશનને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. જામનગરના નવ ગામમાં સ્મશાનગૃહો બનાવવામાં આવશે. સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર તેમજ જામનગર જિલ્લાના સેતાલુસ ખાતે ગૌશાળાનું નિર્માણ કરાશે.અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી માટે 10 દિવસ સુધી ચાલનારા સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળાનું આયોજન કરાયું છે. આ અંતર્ગત જામનગરના જોગવડ, મોટી ખાવડી અને શાપર તેમજ જૂનાગઢ નજીકના પાસવાડા ખાતે લોક ડાયરાના કાર્યક્રમનો સમાવેશ થાય છે. જામનગરમાં રિફાઇનરીની આસપાસના 15 ગામના 31,000 લોકોને મિઠાઈની ભેટ ઉપરાંત 31,000 મહિલાઓમાં સાડીનું વિતરણ કરાવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે, ગીરતારાની આસપાસના ગામોમાં 5,000 લોકોને મિઠાઈ વહેંચાશે. સર્વ સમાવેશી અભિગમ દાખવતા, જામનગર સંકુલમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ્સમાં કાર્યરત 95,000થી વધુ કોન્ટ્રાક્ચ્યુઅલ કામદારોમાં ફૂડ હેમ્પર્સનું વિતરણ કરીને તેઓને પણ આ ઉજવણીમાં સામેલ કરાયા હતા. આ રીતે આ ઉજવણીમાં આશરે 1.75 લાખ લોકો સક્રિય અને સીધી રીતે સામેલ થશે.
આપણી ભાષાના પ્રસિદ્ધ હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેએ એક વાર નોંધેલું કે “શિખામણ એવી ચીજ છે, જે આપવી ગમે, પણ લેવી ગમતી નથી.”
તો એક ચીજ એવી છે, જે આપવામાં એક પાઈ પણ ખરચવી પડતી નથી, છતાં ઘણી વાર આપણે એ આપવામાં કંજૂસાઈ કરતા હોઈએ છીએ. એ ચીજનું નામઃ ‘પ્રશંસા.’ હા, પ્રશંસા મોંઘી છે. લોકો ટીકા, શિખામણ મફતમાં વહેંચે છે, પણ પ્રશંસા કરવા માટે ખિસ્સાં ફંફોસે છે. જેમ ફૂલને પાણી મળે તો એ ખીલી ઊઠે છે એમ, જેને પ્રશંસા મળે તે ખીલી ઊઠે છે!
વર્ષો પહેલાં સ્કોટલેન્ડની એક નાની શાળાના એક બાળક એના વર્ગના ખૂણામાં ગુમસુમ બેસી રહેતો. ઘરમાં પણ એ પોતાની એક જ અલગ દુનિયામાં રહેતો. એક દિવસ પ્રસિદ્ધ કવિ રોબર્ટ બર્ન્સ એના ઘરે ગયા. ત્યાં એક મેજ નીચેથી એમને એક કાગળ મળ્યો, જેમાં બે કવિતા લખાઈ હતી. બન્ને કવિતા વાંચીને બર્ન્સે પૂછ્યું કે, “આ કોણે લખી?” ધીમે રહીને બાળકે કહ્યું કે, “મેં.”
બર્ન્સે બાળકને સહજતાથી કહ્યું, “આગળ જતાં સ્કોટલેન્ડ જ નહીં અનેક દેશોમાં તારી ખ્યાતિ થશે.”
આ સાંભળીને બાળકમાં આત્મવિશ્વાસ આવી ગયો. એ ખરેખર એક નામાંકિત કવિ થઈ ગયા. નામઃ વોલ્ટર સ્કોટ.
કોઈ લેખકે કહ્યું કે, ‘શબ્દે માર્યા ડરી ગયા, શબ્દે છોડ્યા રાજ… જેણે શબ્દ વિચાર્યા, તેના સર્યાં કાજ.’
શબ્દોની તાકાત ગજબની છે. તે મરતાંને બેઠો પણ કરી શકે અને જીવતાંને મારી પણ શકે. આપણને ખ્યાલ નથી આવતો પણ પ્રશંસાના બે શબ્દો પણ સામેવાળી વ્યક્તિમાં ખરેખરું જોમ પ્રેરી દે છે.
2001માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સારંગપુરમાં હતા. અહીંના સંત તાલીમ કેન્દ્રમાં શિક્ષણ પ્રાપ્ત કરનાર એક વર્ગના સંતો ભગવદ ગીતાનો અભ્યાસ કરતા હતા. આયોજન એવું ગોઠવાયું હતું કે સ્વામીશ્રી જ્યારે ભોજન ગ્રહણ કરે ત્યારે આ વર્ગના સંતો ગીતાના જુદા જુદા વિષયો ઉપર પ્રવચન પ્રસ્તુત કરે. પ્રવચન પૂર્ણ કરી એ સંત સ્વામીશ્રી પાસે આશીર્વાદ મેળવવા જાય. સ્વામીશ્રી એ સંતે રજૂ કરેલા પ્રવચનમાંથી સારા મુદ્દા યાદ કરી રાજીપો દર્શાવે. એક દિવસ એક સંતનું પ્રવચન સમયમર્યાદા કરતાં થોડું લાંબું ચાલ્યું. આ બાજુ ભોજન બાદ સ્વામીશ્રીને અમુક વરિષ્ઠ સંતો મળવા આવ્યા આથી પ્રવચન કરનાર સંત જ્યારે પ્રવચન પૂરું કરીને સ્વામીશ્રી પાસે ગયા ત્યારે સ્વામીશ્રી મિટિંગમાં પરોવાયેલા હોવાથી એમને મળી ન શક્યા. મિટિંગ બાદ રાતે સ્વામીશ્રી પોઢી જવા શય્યા પર બિરાજ્યા ત્યાં જ એમણે સેવક સંતોને કહ્યું કે, “પેલા પ્રવચન કરનાર સંતને બોલાવો!”
પેલા સંતને સમાચાર મળતાં તેઓ સ્વામીશ્રીના કક્ષમાં દોડી આવ્યા. ધીમા પગલે એ સ્વામીશ્રી પાસે પહોંચ્યા તો સ્વામીશ્રી કહે કે, “આજે તમે બહુ સારું પ્રવચન કર્યું.”
પ્રમુખસ્વામી મહારાજ આટલી વિશાળ સંસ્થાનું વહન કરવા છતાં એમાં પાંગરતી નાની નાની કળીઓની પણ આવી દરકાર રાખતા.
શું આપણે આપણા જીવનમાં પ્રશંસાને ક્યારેય અગ્રક્રમ આપ્યો છે? પચીસ વર્ષથી લગ્ન થયાં હોય, પરંતુ એક વખત પણ પત્નીને કહ્યું કે, “આજે દાળ બેસ્ટ બની છે.”
ક્યારેય માતા-પિતાને કહ્યું કે, “આપે મારી ખૂબ સંભાળ લીધી છે.”
ક્યારેક સંતાનને કહી તો જોજો કે “તારી બેટિંગ-ફિલ્ડિંગ બહુ સરસ હોય છે.”
આપણે રોજિંદા કાર્યોમાં એટલા ડૂબેલા હોઈએ છીએ કે આવી અગત્યની બાબત ધ્યાનમાં નથી આવતી, પણ સમય કાઢીને આ બાબતનો વિચાર કરવા જેવો તો છે જ, કારણ કે આપણે પરિવારના સભ્યો ભલે રોજ ઝઘડતા હોઈએ, પણ એક વાત પણ નક્કી છે કે એકબીજા વગર ચાલતું નથી અને એકબીજા વગર ગમતું પણ નથી. ભગવાને આપેલા સંબંધોની માવજત કરવી આપણા જ હાથમાં છે! તો શું કામ એ માવજત કરવાના અનેક આયામો પૈકીનું આ પ્રશંસારૂપી સાધન આપણે ન પ્રયોજીએ?
પ્રશંસા કરવામાં કંજૂસાઈ કરીને આપણે શું બચાવીશું? અને એમાં ઉદારતા દાખવવાથી શેનો વ્યય કરી બેસીશું? આ વિચારવા જેવી બાબત છે. કોઈનાં સારાં કાર્યની પ્રશંસા ન કરવી એ પણ એક પ્રકારનો અહમ્ જ છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
ગાંધીનગર: ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ૨૩મી એપ્રિલના રોજ યોજાવાની છે. જેના માટે ૩૦ માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આજે 9મી એપ્રિલ ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો. આજે પિક્ચર સ્પષ્ટ થતાં મેદાનમાં 6 ઉમેદવારો છે.
જેમને ચૂંટણી અધિકારીએ ચૂંટણી ચિહ્ન ફાળવ્યા છે. જે નીચે મુજબ છે,
૧. ભૃગુરાજસિંહ ચૌહાણ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૨. હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર
ભારતીય જનતા પાર્ટી
૩. મૌલિકભાઈ વિનુભાઈ શાહ
ભારતીય નેશનલ જનતા દળ
૪. જીતેશકુમાર સેવક
અપક્ષ
૫. નિરૂપાબેન માધુ
અપક્ષ
૬. મહેન્દ્રભાઈ પરમાર
અપક્ષ
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર જે ઘટનાઓ ઘટી રહી છે તે આપણે જાણીએ જ છીએ. પણ શું તમને ખબર છે એંગ્લો-ઝાંઝીબાર યુદ્ધને વિશ્વનું સૌથી ટૂંકું યુદ્ધ માનવામાં આવે છે, જે ફક્ત 45 મિનિટ ચાલ્યું હતું, અને તેમાં 500 લોકો માર્યા ગયા હતા અથવા ઘાયલ થયા હતા.
એંગ્લો-ઝાંઝીબાર યુદ્ધ, જેને ઘણીવાર વિશ્વનું સૌથી ટૂંકું યુદ્ધ કહેવામાં આવે છે, તે 27 ઓગસ્ટ, 1896 ના રોજ થયું હતું. રસપ્રદ વાત એ છે કે, આ યુદ્ધ સવારે 9 વાગ્યે શરૂ થયું હતું અને રાત્રે 9:45 વાગ્યે સમાપ્ત થયું હતું. જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે, અને મધ્ય પૂર્વમાં તણાવ 7 ઓક્ટોબર, 2023 થી ચાલુ છે, ત્યારે 130 વર્ષ પહેલાં થયેલું એંગ્લો-ઝાંઝીબાર યુદ્ધ માત્ર 45 મિનિટમાં સમાપ્ત થયું હતું.
ઝાંઝીબારની સલ્તનત વિરુદ્ધ બ્રિટિશ સેના
બ્રિટાનિકામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, આ યુદ્ધ ગ્રેટ બ્રિટન અને ઝાંઝીબારની સલ્તનત વચ્ચે લડાયું હતું. તે ઉત્તરાધિકાર અંગેનો વિવાદ હતો. બ્રિટિશ સમર્થક સુલતાન હમાદ બિન થુવૈનીના મૃત્યુ પછી, સુલતાન ખાલિદ બિન બરઘાશે બ્રિટિશ તાજની મંજૂરી વિના સત્તા કબજે કરી. તે ઝાંઝીબારનો રાજા બન્યો, જે પગલું બ્રિટિશ લોકોને ગમ્યું નહીં.
સુલતાનને રાજીનામું આપવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું
આ પછી, બ્રિટિશ દળોએ સુલતાન ખાલિદ બિન બરઘાશને સવારે 9:00 વાગ્યા સુધીમાં રાજીનામું આપવાનું અલ્ટીમેટમ આપ્યું. જ્યારે સુલતાને ના પાડી, ત્યારે બંદરમાં બ્રિટિશ યુદ્ધ જહાજોએ સવારે 9:02 વાગ્યે ગોળીબાર કર્યો. યુદ્ધ એકતરફી હતું. ઝાંઝીબારમાં આશરે 500 લોકો માર્યા ગયા અથવા ઘાયલ થયા, જ્યારે બ્રિટિશ દળોમાંથી ફક્ત એક જ નાવિક ઘાયલ થયો.
40-45 મિનિટની લડાઈમાં મહેલ અને શાહી યાટનો નાશ થયો
આ યુદ્ધમાં, બ્રિટિશ દળોએ સુલતાન ખાલિદ બિન બરઘાશના મહેલ અને તેમની એકમાત્ર શાહી યાટ, HHS ગ્લાસગોનો નાશ કર્યો. પછી, સવારે 9:40 વાગ્યે, અથવા કેટલાક રેકોર્ડ મુજબ, સવારે 9:45 વાગ્યે, સુલતાનનો ધ્વજ નીચે ઉતારવામાં આવ્યો, અને યુદ્ધનો અંત આવ્યો. આનો અર્થ એ થયો કે સવારે 9 વાગ્યે શરૂ થયેલું યુદ્ધ ફક્ત 45 મિનિટ પછી સમાપ્ત થયું.
અમરેલી: સાવરકુંડલા પંથકમાં છેલ્લા 30 કલાકથી ધરતીના પેટાળમાં સતત હલચલ જોવા મળી રહી છે. ખાસ કરીને મીતીયાળા પંથકમાં બુધવારથી ગુરૂવાર સુધીમાં નાના-મોટા કુલ 14 ભૂકંપના આંચકા નોંધાતા સ્થાનિક ભય અનુભવી રહ્યા છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગે પણ આ આંચકાઓની સત્તાવાર પુષ્ટિ કરી છે.અવિરત આંચકાઓનો સિલસિલો
રાત્રે 4:15 મિનીટ બાદથી મીતીયાળાવાસીઓ અવિરતપણે ધરતી ધ્રુજતી અનુભવી રહ્યા છે. આ આંચકાઓની અસર માત્ર મીતીયાળા પૂરતી સીમિત ન રહેતા આસપાસના ભાડ, વાંકિયા, ધજડી, સાકરપરા અને ઈંગોરાળા સહિતના ગામોમાં પણ વર્તાઈ હતી. સતત આવતા આંચકાઓને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને લોકો સુરક્ષાના કારણોસર ઘરની બહાર રહેવાનું પસંદ કરી રહ્યા છે.
અમદાવાદઃ ઓડિશા પૂર્વ ભારતનું ગેટવે અને ટેક્નોલોજી હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. અદાણી પોર્ટ્સ (APSEZ)ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી અને મુખ્ય મંત્રી મોહનચરણ માઝીની ઉપસ્થિતિમાં ઓડિશાને પૂર્વ ભારતનું ઔદ્યોગિક હબ બનાવવા રૂ. ૩૩,૦૮૧ કરોડના પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.બુધવારે આયોજિત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં અદાણીએ ત્રણ મલ્ટી-સેક્ટરલ પ્રોજેક્ટ્સમાં રોકાણની ઘોષણા કરી હતી, જેમાં ડેટા સેન્ટર, થર્મલ પાવર પ્લાન્ટ અને સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જેવા ત્રણ મોટા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
ઓડિશાને ડિજિટલ ક્ષેત્રે નવી ઓળખ અપાવવા અદાણી ગ્રુપ ભુવનેશ્વરમાં રૂ. ૮૦૦ કરોડના રોકાણ સાથે ડેટા સેન્ટર સ્થાપિત કરશે. તે પ્રદેશને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ક્લાઉડ કોમ્પ્યુટિંગના ગ્લોબલ મેપમાં સ્થાન આપશે.અદ્યતન ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૨૦૦ જેટલા ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનોને રોજગારીની નવી તકો મળશે.
બીજા પ્રોજેક્ટની વાત કરીએ તો ઔદ્યોગિક ક્રાંતિ માટે રાજ્યને અવિરત વીજળી પૂરી પાડવા અદાણી જૂથ રૂ. ૩૦,૧૮૧ કરોડના રોકાણ સાથે કટક નજીક એક થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપિત કરશે. આ વિશાળ પાવર પ્લાન્ટ રાજ્યના અર્થતંત્રને નવી ગતિની સાથે ૭૦૦૦ પરિવારોને સીધી રોજગારી પૂરી પાડશે. અદાણી જૂથ સિમેન્ટ ઉત્પાદન ક્ષેત્રે પણ ઓડિશામાં ભારે રોકાણ કરી રહ્યું છે. રૂ.૨૧૦૦ કરોડના રોકાણથી બનેલા સિમેન્ટ પ્લાન્ટ દ્વારા અંદાજે ૨૫૦૦ લોકોને રોજગારી મળશે. આ પ્લાન્ટ ઓડિશા રાજ્યના રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલોના નિર્માણ માટે મજબૂત પાયો પૂરો પાડશે.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ઓડિશા હવે માત્ર પરિવર્તનના માર્ગ પર નથી, પણ તે પોતાની મંઝિલ નક્કી કરી ચૂક્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અદાણી ગ્રુપ અહીં માત્ર એક મુલાકાતી તરીકે નહીં, પણ એક ‘બિલ્ડર’ તરીકે આવ્યું છે. આ રોકાણ ઓડિશાના $ ૧.૫ ટ્રિલિયન અર્થતંત્રના સ્વપ્નને સાકાર કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે.
તેમણે ઓડિશાના ભવ્ય ભૂતકાળને યાદ કરતાં કહ્યું હતું કે જે ધરતીએ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કર્યું અને જેના દરિયાખેડુઓએ એશિયામાં ભારતીય સંસ્કૃતિનો પ્રસાર કર્યો, તે ધરતી આજે ભારતનું ભવિષ્ય લખવા જઈ રહી છે. અદાણી ગ્રુપના અન્ય પ્રોજેક્ટ્સ જેમ કે સુંદગઢમાં રૂ. ૮૪,૦૦૦ કરોડનો કોલ-ટુ-કેમિકલ પ્લાન્ટ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો ઓડિશાને વિશ્વના નકશા પર એક મજબૂત ઔદ્યોગિક ઓળખ આપી રહ્યા છે.
અમદાવાદઃ એશિયાનાં બજારોમાં નબળા સંકેતો વચ્ચે ઘરેલુ શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. એક દિવસ પહેલાં જાહેર થયેલા સીઝફાયર બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધ્યાના સમાચારોથી બજારમાં વેચવાલી જોવા મળી હતી. બેંકિંગ અને ફાઇનાન્શિયલ શેરોમાં પ્રોફિટ બુકિંગની પણ અસર હતી. HDFC બેન્ક અને ICICI બેન્ક જેવા હેવીવેઇટ શેરોમાં ઘટાડાએ બજારને નીચે ખેંચ્યું હતું. બજારમાં રોકાણકારોના એક લાખ કરોડ સ્વાહા થયા હતા.
BSE સેન્સેક્સ ઘટાડા સાથે 77,319.33 અંક પર ખૂલ્યો હતો. જોકે વેચવાલી વધતાં અંતે સેન્સેક્સ 931.25 અંક ઘટીને 76,631.65 પર બંધ થયો હતો. એ જ રીતે નિફ્ટી-50 222.25 પોઇન્ટ તૂટીને 23,775 પર બંધ થયો હતો.
બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે યુદ્ધવિરામથી બનેલી સકારાત્મકતા ઝડપથી ઓછી થઈ હતી. અમેરિકા-ઈરાન તણાવ ફરી વધતાં અને હોર્મુઝ જળમાર્ગ પર પ્રતિબંધ ચાલુ રહેતાં કાચા તેલના ભાવ વધ્યા, જેને કારણે ભારતમાં મોંઘવારી અંગે ચિંતા વધી છે. સ્થાનિક સ્તરે પ્રોફિટ બુકિંગ, 10 વર્ષના બોન્ડ યિલ્ડમાં વધારો અને રૂપિયાની નબળાઈએ રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા ઘટાડી છે. સતત FII વેચવાલી વચ્ચે ફાઇનાન્શિયલ શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) ની તાજેતરની મિનિટ્સમાં આકરું વલણ દેખાયું છે, જેમાં વ્યાજદર વધારાના સંકેત મળ્યા છે.
ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફે જણાવ્યું હતું કે અમેરિકા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કારણ કે તે વારંવાર કરારોનું ઉલ્લંઘન કરે છે. તેમણે કહ્યું કે ઇઝરાયેલ દ્વારા લેબેનોન પર સતત હુમલા અને ઈરાનની સરહદમાં ડ્રોન ઘૂસણખોરી તેનું ઉદાહરણ છે.
BSE પર કુલ 4427 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 818 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2508 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 98 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 45 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 250 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 5 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 25 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.