ગાંધીનગર: ગુજરાતમાં ૨૦૨૨-૨૩ પછીના છેલ્લાં ચાર વર્ષમાં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં ૨૮૪૩% નો જંગી વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૨,૨૮,૫૦૪ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. આ માહિતી નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા અને ઉર્જા રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઈકે ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપી હતી.
પરિમલ નથવાણીએ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળની વિગતો અને યોજનાની શરૂઆતથી અત્યાર સુધીના લાભાર્થીઓની કુલ સંખ્યા વિશે જાણકારી માંગી હતી. જેનો જવાબ આપતા મંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું ઘટક-A હેઠળ, ખેડૂતો સૌર ઉર્જા અપનાવવા માટે સક્ષમ બને છે અને ‘અન્નદાતા’ની સાથે ‘ઉર્જાદાતા’ પણ બને છે તથા તેમની આવકમાં વધારો કરે છે. ખેડૂતો તેમની જમીન સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ભાડે આપી શકે છે અને વર્ષે હેક્ટર દીઠ રૂ. ૮૦,૦૦૦ સુધીની કમાણી કરી શકે છે. ઘટક-A હેઠળ કાર્યરત થયેલા પ્લાન્ટ્સ માટે સરેરાશ મધ્યમ આવક પ્રતિ મેગાવોટ મહિને રૂ. ૪.૫ લાખ છે.
વધુમાં એમ પણ જણાવ્યું હતું કે ઘટક-B હેઠળ, હાલના ડીઝલ પંપને સોલાર પંપથી બદલવામાં આવે છે. પ્રતિ દિવસ ૪.૬ લિટર (૫ હોર્સપાવરના પંપ માટે)ના વપરાશ અને ડીઝલના આશરે રૂ. ૮૭/લિટરના વર્તમાન ભાવને ધ્યાનમાં લેતાં, ખેડૂત એક વર્ષ કરતા ઓછા સમયમાં ખર્ચ વસૂલ કરી શકે છે. જેના પરિણામે ખેડૂતોને ડીઝલ ખર્ચમાં વાર્ષિક ઓછામાં ઓછા રૂ. ૬૦,૦૦૦ની બચત થાય છે. મંત્રીએ જણાવ્યું હતું કે, ઘટક-C હેઠળ ખેડૂતો સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે જમીન ભાડે આપીને એકરે વાર્ષિક રૂ. ૨૫,૦૦૦ કમાઈ શકે છે.
PM-KUSUM એ માંગ-આધારિત (ડિમાન્ડ ડ્રિવન) યોજના છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પ્રાપ્ત થયેલી માંગ અને દર્શાવેલી પ્રગતિના આધારે ક્ષમતાઓ ફાળવવામાં આવે છે. PM-KUSUM યોજના હેઠળ ભંડોળ પ્રાપ્ત થયેલી માંગ, SIAs (સ્ટેટ ઇમ્પ્લીમેન્ટેશન એજન્સીઝ) દ્વારા અહેવાલ કરાયેલી પ્રગતિ અને યોજનાની માર્ગદર્શિકાની જોગવાઈઓ મુજબ ફાળવવામાં આવે છે.




રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) માટે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ અભયારણ્ય ગુજરાતની પર્યાવરણીય શ્રેષ્ઠતા અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ બની રહ્યું છે. VGRC 2026 પહેલાં, જામનગર નજીક આવેલું ખીજડિયા રામસર સ્થળ ગુજરાતના મહત્વપૂર્ણ કુદરતી સીમાચિહ્ન તરીકે ઊભરી આવ્યું છે.
કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો આજે રાજ્યના અગ્રણી પ્રવાસન કેન્દ્રો તરીકે વિકસી રહ્યા છે, જ્યાં કુદરતી લેન્ડસ્કેપ, વન્યજીવન, દરિયાકાંઠાની સુંદરતા, આધ્યાત્મિક સ્થળો અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું અનોખું સંયોજન જોવા મળે છે. સફેદ રણથી લઈને સૌરાષ્ટ્રના તીર્થધામો, દરિયાકિનારા અને અભયારણ્યો સુધીનો પ્રવાસ અનુભવ પ્રવાસીઓને વૈવિધ્યસભર અને યાદગાર અનુભવો આપે છે.
600 હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું ખીજડિયા પક્ષી અભયારણ્ય મીઠા અને ખારા પાણીના દુર્લભ સંગમ માટે વિશેષ ઓળખ ધરાવે છે. આ અનોખું ઇકોલોજીકલ બંધારણ પક્ષીઓ માટે વૈવિધ્યસભર નિવાસસ્થાન પૂરું પાડે છે.
રાજ્ય સરકાર દ્વારા મુલાકાતીઓ માટે આધુનિક સુવિધાઓ અહીં વિકસાવવામાં આવી રહી છે. જેમાં વોચ ટાવર, વન-કુટીરો, પક્ષી નિરીક્ષણ પ્લેટફોર્મ, અર્થઘટન કેન્દ્ર, સેલ્ફી પોઇન્ટ અને માહિતીસભર સાઇનબોર્ડનો સમાવેશ થાય છે.
અભયારણ્યની મુખ્ય તાકાત તેની નિવાસસ્થાનની વૈવિધ્યતામાં છે, જ્યાં મીઠા પાણીનો પ્રવાહ દરિયાકાંઠાની ભરતી સાથે મળીને પાળા અને ખાડાઓ સર્જે છે. આ કુદરતી વ્યવસ્થા વન્યજીવન માટે અનુકૂળ સૂક્ષ્મ નિવાસસ્થાનો બનાવે છે અને આ સુવિધાઓ ખીજડિયાને ભારતના સૌથી જીવંત પક્ષી સ્થળોમાંનું એક બનાવે છે. સાથે-સાથે, આ ગુજરાતની ભીની જમીન સંરક્ષણ માટેના વૈજ્ઞાનિક અને આયોજનબદ્ધ અભિગમને પણ મજબૂત બનાવે છે. ખીજડિયા પક્ષી અભયારણ્યમાં પર્યાવરણીય સંરક્ષણ અને આર્થિક વિકાસ એકસાથે આગળ વધે છે.




