Home Blog Page 127

રાજ્યના ૨,૨૮,૫૦૪ ખેડૂતોને PM-KUSUM યોજનાનો લાભ મળ્યો

ગાંધીનગર: ગુજરાતમાં ૨૦૨૨-૨૩ પછીના છેલ્લાં ચાર વર્ષમાં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં ૨૮૪૩% નો જંગી વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૨,૨૮,૫૦૪ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. આ માહિતી નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા અને ઉર્જા રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઈકે ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપી હતી.

પરિમલ નથવાણીએ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળની વિગતો અને યોજનાની શરૂઆતથી અત્યાર સુધીના લાભાર્થીઓની કુલ સંખ્યા વિશે જાણકારી માંગી હતી. જેનો જવાબ આપતા મંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું ઘટક-A હેઠળ, ખેડૂતો સૌર ઉર્જા અપનાવવા માટે સક્ષમ બને છે અને ‘અન્નદાતા’ની સાથે ‘ઉર્જાદાતા’ પણ બને છે તથા તેમની આવકમાં વધારો કરે છે. ખેડૂતો તેમની જમીન સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ભાડે આપી શકે છે અને વર્ષે હેક્ટર દીઠ રૂ. ૮૦,૦૦૦ સુધીની કમાણી કરી શકે છે. ઘટક-A હેઠળ કાર્યરત થયેલા પ્લાન્ટ્સ માટે સરેરાશ મધ્યમ આવક પ્રતિ મેગાવોટ મહિને રૂ. ૪.૫ લાખ છે.

વધુમાં એમ પણ જણાવ્યું હતું કે ઘટક-B હેઠળ, હાલના ડીઝલ પંપને સોલાર પંપથી બદલવામાં આવે છે. પ્રતિ દિવસ ૪.૬ લિટર (૫ હોર્સપાવરના પંપ માટે)ના વપરાશ અને ડીઝલના આશરે રૂ. ૮૭/લિટરના વર્તમાન ભાવને ધ્યાનમાં લેતાં, ખેડૂત એક વર્ષ કરતા ઓછા સમયમાં ખર્ચ વસૂલ કરી શકે છે. જેના પરિણામે ખેડૂતોને ડીઝલ ખર્ચમાં વાર્ષિક ઓછામાં ઓછા રૂ. ૬૦,૦૦૦ની બચત થાય છે. મંત્રીએ જણાવ્યું હતું કે, ઘટક-C હેઠળ ખેડૂતો સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે જમીન ભાડે આપીને એકરે વાર્ષિક રૂ. ૨૫,૦૦૦ કમાઈ શકે છે.

PM-KUSUM એ માંગ-આધારિત (ડિમાન્ડ ડ્રિવન) યોજના છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પ્રાપ્ત થયેલી માંગ અને દર્શાવેલી પ્રગતિના આધારે ક્ષમતાઓ ફાળવવામાં આવે છે. PM-KUSUM યોજના હેઠળ ભંડોળ પ્રાપ્ત થયેલી માંગ, SIAs (સ્ટેટ ઇમ્પ્લીમેન્ટેશન એજન્સીઝ) દ્વારા અહેવાલ કરાયેલી પ્રગતિ અને યોજનાની માર્ગદર્શિકાની જોગવાઈઓ મુજબ ફાળવવામાં આવે છે.

11 વર્ષમાં 28 પુરસ્કારો… નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી ઉચ્ચ નાગરિક સન્માનો ધરાવતા વડા પ્રધાન બન્યા

મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇથોપિયાના સર્વોચ્ચ પુરસ્કાર, “ઇથોપિયાના મહાન સન્માન નિશાન” થી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન તેમને ઇથોપિયાના વડા પ્રધાન ડૉ. અબીય અહમદ દ્વારા અર્પણ કરવામાં આવ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 11 વર્ષમાં 27 દેશો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. વડા પ્રધાન મોદી વિશ્વના સૌથી ઉચ્ચ નાગરિક સન્માનો સાથે વડા પ્રધાન બન્યા છે. આ વર્ષની શરૂઆતમાં, જુલાઈમાં, તેમને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, “ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલવિટ્શિયા મિરાબિલિસ” થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જુલાઈમાં નામિબિયાની તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ અન્ય ચાર દેશોની પણ મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન, તેમને ત્રિનિદાદ અને ટોબેગો, ઘાના અને બ્રાઝિલના સર્વોચ્ચ નાગરિક સન્માનોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

2016 માં, અફઘાનિસ્તાને પીએમ મોદીને સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન અને સાઉદી અરેબિયાએ ઓર્ડર ઓફ કિંગ અબ્દુલઅઝીઝ અલ સઉદથી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ, પેલેસ્ટાઇન દ્વારા 2018 માં તેમને ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇનથી સન્માનિત કરવામાં આવ્યા. 2019 માં ત્રણ દેશો યુએઈએ તેમને ઓર્ડર ઓફ ઝાયેદ, બહેરીને કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં અને માલદીવે ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલ ઓફ નિશાન ઇઝ્ઝુદ્દીનથી સન્માનિત કર્યા. 2020 માં યુનાઇટેડ સ્ટેટ્સે પીએમ મોદીને લીજન ઓફ મેરિટથી સન્માનિત કર્યા.

કયા દેશે કયું સન્માન અને ક્યારે આપ્યું ?

2025 માં પુરસ્કૃત સન્માન:

ઇથોપિયા – ઇથોપિયાનું મહાન સન્માન નિશાન
નામિબિયા – સૌથી પ્રાચીન વેલ્વિટચિયા મિરાબિલિસનો ઓર્ડર
બ્રાઝિલ – ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ
ત્રિનિદાદ અને ટોબેગો – ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકનો ઓર્ડર
ઘાના – ઘાનાના સ્ટાર ઑફ ધ ઓર્ડર ઑફિસર
સાયપ્રસ – ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકરિયોસ III
શ્રીલંકા – શ્રીલંકા મિત્ર વિભૂષણાયા
બાર્બાડોસ – બાર્બાડોસની સ્વતંત્રતાનો માનદ ઓર્ડર
મોરેશિયસ – ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર અને કી ઓફ ધ હિંદ મહાસાગર

2024 માં પુરસ્કૃત સન્માન

કુવૈત – મુબારક અલ કબીરનો ઓર્ડર
ગયાના – શ્રેષ્ઠતાનો ઓર્ડર
ડોમિનિકા – ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર
નાઇજીરીયા – ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર
રશિયા – સેન્ટ એન્ડ્રુનો ઓર્ડર ફર્સ્ટ-કોલ્ડ એપોસ્ટલ
ભૂટાન – ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો

2023 માં સન્માન આપવામાં આવ્યું 

ગ્રીસ – ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર
ફ્રાન્સ – લીજન ઓફ ઓનર
ઇજિપ્ત – ઓર્ડર ઓફ ધ નાઇલ
ફીજી – કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજી
પાપુઆ ન્યુ ગિની – ઓર્ડર ઓફ લોગોહુ
પલાઉ – અબાકલ એવોર્ડ
2020 માં, યુનાઇટેડ સ્ટેટ્સે તેમને લીજન ઓફ મેરિટ એનાયત કર્યા.

2019 માં સન્માનિત સન્માન 

યુએઈ – ઓર્ડર ઓફ ઝાયેદ
બહેરીન – કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં
માલદીવ્સ – ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલ ઓફ નિશાન ઇઝ્ઝુદ્દીન
2018 માં, પેલેસ્ટાઇને તેમને ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન એનાયત કર્યા.

2026 માં સન્માનિત સન્માન 

અફઘાનિસ્તાન – સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન
સાઉદી અરેબિયા – ઓર્ડર ઓફ કિંગ અબ્દુલઅઝીઝ અલ સઉદ

અલ્ઝાઈમર સંશોધનમાં સ્થિત GBUની વૈશ્વિક સિદ્ધિ

ગાંધીનગર: અલ્ઝાઈમર રોગના સંશોધન ક્ષેત્રે થયેલા એક મોટા બ્રેકથ્રુએ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (GBU)નું નામ વૈશ્વિક ફલક પર ચર્ચામાં મૂકી દીધું છે. અહીંના બાયોઇન્ફોર્મેટિક્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નિશા સિંઘે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી છે. ભારત સરકાર દ્વારા તાજેતરમાં આ સિદ્ધિની વિશેષ નોંધ લેવામાં આવી છે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી એ વિશ્વની પ્રથમ યુનિવર્સિટી છે, જે સંપૂર્ણપણે બાયોટેકનોલોજી ક્ષેત્રે સમર્પિત છે.
સંશોધનની વિશેષતા
પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ ‘Small’ (Wiley દ્વારા પ્રકાશિત, Impact Factor 12.1) માં પ્રકાશિત થયેલ આ અભ્યાસ, અલ્ઝાઈમર રોગ માટે એક નવીન ‘મલ્ટિફંક્શનલ નેનોપાર્ટિકલ-આધારિત’ ઉપચાર પદ્ધતિ રજૂ કરે છે. સામાન્ય સારવાર પદ્ધતિઓથી વિપરીત, આ નવી વ્યૂહરચના મગજમાં ઝેરી પ્રોટીનનો જમાવડો રોકવા, ન્યુરોનલ ડેમેજ (ચેતાકોષોને નુકસાન), સોજા (Inflammation) ઘટાડવા અને મગજની મરમ્મત જેવા પાસાઓ પર એકસાથે કામ કરે છે. ડો. નિશા સિંઘે આ પ્રોજેક્ટમાં કોમ્પ્યુટેશનલ મોડેલિંગ અને બાયોઇન્ફોર્મેટિક્સ વિશ્લેષણ દ્વારા નેનોપાર્ટિકલ્સ મગજના હાનિકારક ‘એમીલોઇડ-બીટા પ્લેક્સ’ને કેવી રીતે તોડે છે તે સાબિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સંશોધન INST મોહાલીના ડો. જીબન જ્યોતિ પાંડાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું, જેમાં NIPER રાયબરેલીના ડો. અશોક કુમાર અને GBUના ડો. નિશા સિંઘનો મહત્વનો સહયોગ રહ્યો છે.

માતૃત્વ અને વિજ્ઞાનનો સમન્વય

ડો. નિશા સિંઘની સિદ્ધિ પાછળની તેમની વ્યક્તિગત સફર અત્યંત પ્રેરણાદાયક છે. તેમણે તેમની ગર્ભાવસ્થાના પડકારજનક સમયગાળા દરમિયાન પણ આ સંશોધન કાર્ય અવિરત ચાલુ રાખ્યું હતું. માતૃત્વ અને ઉચ્ચ સ્તરીય વૈજ્ઞાનિક જવાબદારી વચ્ચે સંતુલન જાળવીને તેમણે સાબિત કર્યું છે કે સ્ત્રી શક્તિ માટે કોઈ મર્યાદા નથી. તેમની આ સફર દેશની હજારો યુવા મહિલા વૈજ્ઞાનિકો માટે એક શક્તિશાળી સંદેશ આપે છે.તાજેતરમાં જ ફ્રેન્ચ એમ્બેસી (ફ્રેન્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન ઇન્ડિયા) દ્વારા ડો. સિંઘને ‘Scientific High-Level Visiting Fellowship (SSHN) 2025’ એનાયત કરવામાં આવી હતી, જેમાં દેશભરના તમામ વિષયોના ટોચના 50 વૈજ્ઞાનિકોમાં તેમની પસંદગી થઈ હતી. તેઓ તેમના સાત મહિનાના બાળક સાથે પેરિસ (INRAE–IJPB)ની બે અઠવાડિયાની વૈજ્ઞાનિક મુલાકાતે ગયા હતા, જે તેમની વિજ્ઞાન પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. વધુમાં, તેમણે કૃષિ ક્ષેત્રે તુવેરની જાતોમાં પ્રોટીન અને પોષક તત્વો વધારવાના સંશોધન માટે ‘IGSTC-WISER 2025’ ગ્રાન્ટ પણ પ્રાપ્ત થઈ છે.

અદભૂત શૈક્ષણિક કારકિર્દી

ડૉ. નિશા સિંઘે પ્લાન્ટ જેનોમિક્સમાં PhD કર્યું છે અને અમેરિકાની પ્રતિષ્ઠિત કોર્નેલ યુનિવર્સિટી ખાતે પોસ્ટ-ડોક્ટરલ સંશોધન પૂર્ણ કર્યું છે. તેઓ 65થી વધુ ઉચ્ચ પ્રભાવશાળી સંશોધન પ્રકાશનો, 3 પેટન્ટ અને 4 વૈજ્ઞાનિક પુસ્તકોના સંપાદક છે. તેમને INSA યંગ સાયન્ટિસ્ટ મેડલ અને NASI યંગ સાયન્ટિસ્ટ પ્લેટિનમ જુબિલી એવોર્ડ સહિત 30થી વધુ સન્માન મળ્યા છે.આઝાદીના અમૃતકાળમાં, ડો. નિશા સિંઘ જેવા વૈજ્ઞાનિકોનું યોગદાન ભારતને ‘નોલેજ ઇકોનોમી’ બનાવવામાં મહત્વનું છે. જ્યારે વિજ્ઞાનમાં મહિલાઓ નેતૃત્વ કરે છે, ત્યારે ખરેખર રાષ્ટ્ર પ્રગતિના નવા શિખરો સર કરે છે તેમ, GBUના નાયબ કુલ સચિવ વિમલ શાહ દ્વારા જણાવાયું છે.

વાયુ પ્રદૂષણ માટે ઉઠાવવામાં આવેલા બધાં પગલાં નિષ્ફળઃ SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હી-NCRમાં હવા પ્રદૂષણને મુદ્દે ફરી એક વાર સુનાવણી કરી હતી. કોર્ટે  કહ્યું હતું કે ઉઠાવવામાં આવેલા પગલાં સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયાં છે. કોર્ટે કહ્યું હતું કે કેમ ન દિલ્હી બોર્ડર પર MCD ટોલને થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવે, કારણ કે ટોલ પર વાહનોની લાંબી કતારો પ્રદૂષણનું મોટું કારણ બને છે.

સુપ્રીમ કોર્ટે નર્સરીથી ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓ માટે શાળાઓ બંધ રાખવાના દિલ્હી સરકારના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યોં હતો. કોર્ટે જણાવ્યું હતું કે દિલ્હી-NCRમાં હવા પ્રદૂષણની સમસ્યાનો વ્યવહારુ અને અસરકારક ઉકેલ શોધવો જરૂરી છે.

કોર્ટે દિલ્હી સરકારને પ્રતિબંધોને કારણે કામ વિના બેઠેલા મજૂરોનું વેરિફિકેશન કરીને તેમના ખાતામાં રકમ ટ્રાન્સફર કરવાની સૂચના આપી. એ સાથે જ કોર્ટે મજૂરોને વિકલ્પરૂપે અન્ય કામ આપવાની સંભાવના પર વિચાર કરવા પણ નિર્દેશ આપ્યા હતા. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતામાં ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આ મામલો સાંભળ્યો. એની સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતની બેન્ચે વધતા પ્રદૂષણને રોકવા માટે કેટલાંક મહત્વનાં સૂચનો આપ્યાં હતાં.

CJI સૂર્યકાંતે જણાવ્યું કે હવા પ્રદૂષણનું સંકટ દર વર્ષે પુનરાવર્તિત થાય છે. વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન પંચ (CAQM)એ આ મુદ્દે કડક રીતે વિચાર કરવો પડશે. એ સાથે જ MCDને કહ્યું કે તે દિલ્હી બોર્ડર પર ટ્રાફિક ઘટાડવા માટે નવ ટોલ પ્લાઝાને શિફ્ટ કરવા અથવા થોડા સમય માટે બંધ કરવા અંગે એક અઠવાડિયામાં નિર્ણય લે.સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હીમાં વધતા પ્રદૂષણનાં કારણો પણ રજૂ કરવામાં આવ્યા. તેમાં દિલ્હી-ગુરુગ્રામ MCD ટોલ પ્લાઝા પર લાગતા લાંબા ટ્રાફિક જામનો પણ સમાવેશ થાય છે. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે આ ટોલ પ્લાઝા પર દરરોજ કલાકો સુધી જામ રહે છે. રસ્તા પર ધીમે-ધીમે ચાલતી કાર, મોટરસાયકલ અને અન્ય વાહનોમાંથી નીકળતો ધુમાડો પ્રદૂષણ ફેલાવે છે. જો ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી MCD ટોલ ન લેવામાં આવે તો પ્રદૂષણમાંથી મોટી રાહત મળી શકે છે.

ખીજડિયા પક્ષી અભયારણ્ય: ગુજરાતનું ઇકો-ટુરિઝમ રત્ન

ગાંધીનગર: ખીજડિયા પક્ષી અભયારણ્ય હાલમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કારણ કે શિયાળામાં બીજા દેશોમાંથી સ્થળાંતર કરીને ભારત આવતા પક્ષીઓ માટે તે આશ્રયસ્થાન છે. પરિણામે અહીં પક્ષીઓને ક્યાંય બીજે જોવા ન મળે તે પ્રજાતિઓ જોવા મળતી હોય છે. પરિણામાં વર્ષ 2024-25 દરમિયાન 52,400થી વધુ પ્રવાસીઓએ અહીં મુલાકાત લીધી. પક્ષી પ્રેમીઓના કારણે ખીજડિયાએ ગુજરાતના ઇકો-ટુરિઝમ ક્ષેત્રમાં પોતાની વિશિષ્ટ ઓળખ વધુ મજબૂત કરી છે.રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) માટે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ અભયારણ્ય ગુજરાતની પર્યાવરણીય શ્રેષ્ઠતા અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ બની રહ્યું છે. VGRC 2026 પહેલાં, જામનગર નજીક આવેલું ખીજડિયા રામસર સ્થળ ગુજરાતના મહત્વપૂર્ણ કુદરતી સીમાચિહ્ન તરીકે ઊભરી આવ્યું છે.કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો આજે રાજ્યના અગ્રણી પ્રવાસન કેન્દ્રો તરીકે વિકસી રહ્યા છે, જ્યાં કુદરતી લેન્ડસ્કેપ, વન્યજીવન, દરિયાકાંઠાની સુંદરતા, આધ્યાત્મિક સ્થળો અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું અનોખું સંયોજન જોવા મળે છે. સફેદ રણથી લઈને સૌરાષ્ટ્રના તીર્થધામો, દરિયાકિનારા અને અભયારણ્યો સુધીનો પ્રવાસ અનુભવ પ્રવાસીઓને વૈવિધ્યસભર અને યાદગાર અનુભવો આપે છે.600 હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું ખીજડિયા પક્ષી અભયારણ્ય મીઠા અને ખારા પાણીના દુર્લભ સંગમ માટે વિશેષ ઓળખ ધરાવે છે. આ અનોખું ઇકોલોજીકલ બંધારણ પક્ષીઓ માટે વૈવિધ્યસભર નિવાસસ્થાન પૂરું પાડે છે.

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના આંકડા મુજબ, વર્ષ 2023–24 દરમિયાન અહીં 317 પક્ષી પ્રજાતિઓ નોંધાઈ હતી, જે 2024–25માં વધીને 332 થઈ છે, જે અભયારણ્યની સતત વિકસતી જૈવવિવિધતાની સાબિતી આપે છે. આ પર્યાવરણીય સમૃદ્ધિને વૈશ્વિક માન્યતા મળી છે અને વર્ષ 2022માં ખીજડિયાને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી જળભૂમિ તરીકે રામસર સ્થળનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.રાજ્ય સરકાર દ્વારા મુલાકાતીઓ માટે આધુનિક સુવિધાઓ અહીં વિકસાવવામાં આવી રહી છે. જેમાં વોચ ટાવર, વન-કુટીરો, પક્ષી નિરીક્ષણ પ્લેટફોર્મ, અર્થઘટન કેન્દ્ર, સેલ્ફી પોઇન્ટ અને માહિતીસભર સાઇનબોર્ડનો સમાવેશ થાય છે.અભયારણ્યની મુખ્ય તાકાત તેની નિવાસસ્થાનની વૈવિધ્યતામાં છે, જ્યાં મીઠા પાણીનો પ્રવાહ દરિયાકાંઠાની ભરતી સાથે મળીને પાળા અને ખાડાઓ સર્જે છે. આ કુદરતી વ્યવસ્થા વન્યજીવન માટે અનુકૂળ સૂક્ષ્મ નિવાસસ્થાનો બનાવે છે અને આ સુવિધાઓ ખીજડિયાને ભારતના સૌથી જીવંત પક્ષી સ્થળોમાંનું એક બનાવે છે. સાથે-સાથે, આ ગુજરાતની ભીની જમીન સંરક્ષણ માટેના વૈજ્ઞાનિક અને આયોજનબદ્ધ અભિગમને પણ મજબૂત બનાવે છે. ખીજડિયા પક્ષી અભયારણ્યમાં પર્યાવરણીય સંરક્ષણ અને આર્થિક વિકાસ એકસાથે આગળ વધે છે.

ભારતનું મેન્યુફેક્ચરિંગ સતત ઘટી રહ્યું છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પાંચ દિવસની જર્મની યાત્રા પર છે. કોંગ્રેસ સાંસદે બુધવારે મ્યુનિકમાં વિશ્વ વિખ્યાત ઓટોમોબાઇલ કંપની BMWના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે વિદેશી ધરતી પર ભારતીય એન્જિનિયરિંગ જોઈને તેમને ગર્વ અનુભવ્યો હતો. એ સાથે જ તેમણે કહ્યું હતું કે ભારતના ઘટતા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ફરી ઊંચે લાવવાની જરૂર છે.

તેમણે BMW અને ભારતની TVS મોટર કંપનીની ભાગીદારીમાં બનેલી એક મોટરસાઇકલનું નિરીક્ષણ કર્યું. એ દરમિયાન પ્લાન્ટમાં સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતને પ્રોડક્શન શરૂ કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક ધોરણોની સરખામણીમાં આપણું મેન્યુફેક્ચરિંગ ઘટી રહ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જર્મનીના મ્યુનિકમાં BMW વેલ્ટ અને BMW પ્લાન્ટના માર્ગદર્શિત પ્રવાસ સાથે BMWની દુનિયા અનુભવવાની તક મળી. વિશ્વ સ્તરીય મેન્યુફેક્ચરિંગને નજીકથી જોવાનો અદ્ભુત અનુભવ રહ્યો. ખાસ વાત એ હતી કે TVSની 450cc મોટરસાઇકલ જોવાની તક મળી, જે BMW સાથેની ભાગીદારીમાં વિકસાવવામાં આવી છે. ભારતીય એન્જિનિયરિંગને પ્રદર્શિત જોઈને ગર્વ થયો.

કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ મજબૂત અર્થતંત્રની કરોડરજ્જું છે પણ દુર્ભાગ્યવશ, ભારતમાં મેન્યુફેક્ચરિંગ ઘટી રહ્યું છે. વૃદ્ધિને વેગ આપવા માટે વધુ પ્રોડક્શન કરવાની જરૂર છે. અર્થપૂર્ણ મેન્યુફેક્ચરિંગ ઇકો સિસ્ટમ બનાવવી પડશે અને મોટા પાયે સારી ગુણવત્તાની નોકરીઓ સર્જવી પડશે.

તેમણે કહ્યું હતું કે ભારતનું મેન્યુફેક્ચરિંગ ઘટી રહ્યું છે, જ્યારે તેને વધારવું જોઈએ. ભારતને પ્રોડક્શન શરૂ કરવાની જરૂર છે. પ્રોડક્શન કોઈ પણ દેશની સફળતાની ચાવી છે. પરંતુ આપણા દેશમાં મેન્યુફેક્ચરિંગ ઘટી રહ્યું છે, જ્યારે તેને વધારવું જોઈએ.

મુંબઈ: ‘ઝરૂખો’ કાર્યક્રમમાં ગુજરાતી-મરાઠી લોકકથાની થશે પ્રસ્તુતિ

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે વિવિધ વિસ્તારોમાં વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન કરે છે. મુંબઈમાં કલાપ્રેમીઓ દ્વારા અવાર-નવાર સાહિત્યિક સમારોહ યોજાતા હોય છે.

ભાનુભાઈ વોરા અને ડૉ. મોનિકા ઠક્કર

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ‘ઝરૂખો’નામે વિશેષ કાર્યક્રમ યોજાતો હોય છે. સામાન્ય રીતે કાર્યક્રમમાં વિવિધ સાહિત્યિક વિષય પર પ્રસ્તિત થાય છે. આ વખતે આગામી 21 ડિસેમ્બર, રવિવારના રોજ સાંજે મરાઠી-ગુજરાતી અનુસંધાન શ્રેણીમાં `શેઠ સગાળશા આણિ કુંવર ચેલૈયો’ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

સ્નેહલ મુઝુમદાર અને સંગીતા મૂળે

શ્રી સાઈલીલા વેલફેર ટ્રસ્ટ-ઝરૂખો અને હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટના સહયોગમાં આયોજિત આ કાર્યક્રમમાં ભાનુભાઈ વોરા ગુજરાતી લોકકથા અને ડૉ. મોનિકા ઠક્કર મરાઠી લોકકથા વિશે વક્તવ્ય આપશે. લોકગીતોની સંગીતમય પ્રસ્તુતિ સંગીતા મૂળે રાજાપુરકર કરશે, જેમાં વાદ્યસંગત પ્રતીક શાહ અને હેમાંગ વ્યાસની છે. કાર્યક્રમના સંચાલક તરીકે સ્નેહલ મુઝુમદાર અને સંયોજક સંજય પંડ્યા ફરજ બજાવશે.

‘ઝરૂખો’ કાર્યક્રમનું આયોજન સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી (પશ્ચિમ) ખાતે કરવામાં આવ્યું છે. ઈચ્છુક દરેક કલારસિક અને સાહિત્યપ્રેમી તથા જાહેર જનતા આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.

 

યશસ્વી જયસ્વાલની અચાનક તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પુણેની આદિત્ય બિરલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હરિયાણા સામે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચ દરમિયાન તેમને અસ્વસ્થતાનો અનુભવ થયો હતો. મેચ પછી જયસ્વાલ ખૂબ જ અસ્વસ્થતા અનુભવતા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે યશસ્વી જયસ્વાલની હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેમના પેટમાં સોજો છે. જયસ્વાલનું સીટી સ્કેન અને અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ તેમને ગંભીર ગેસ્ટ્રોએન્ટેરિટિસ હોવાનું નિદાન થયું હતું.

Image Credit: X

ડોક્ટરોએ યશસ્વી જયસ્વાલને હાલમાં ક્રિકેટ ન રમવાની સલાહ આપી છે. તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જયસ્વાલને નસમાં દવા આપવામાં આવી છે અને તે ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે. આ ખેલાડી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહ્યો હતો. તેણે માત્ર 50 બોલમાં 101 રન બનાવીને હરિયાણા સામે પોતાની ટીમને જીત અપાવી હતી.

જયસ્વાલ પાસે આરામ કરવાની તક 

જયસ્વાલ પાસે હવે આરામ કરવાની તક છે. તેનો ભારતની T20 ટીમમાં સમાવેશ નથી, અને દક્ષિણ આફ્રિકા T20 શ્રેણી પછી, ટીમ ઇન્ડિયાની આગામી શ્રેણી આવતા વર્ષે યોજાવાની છે. ન્યુઝીલેન્ડ જાન્યુઆરીમાં ભારતનો પ્રવાસ કરશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ODI અને પાંચ T20 મેચ રમાશે. ODI શ્રેણી 11 જાન્યુઆરીથી શરૂ થશે, અને T20 શ્રેણી 21 જાન્યુઆરીથી શરૂ થશે.

નોંધનીય છે કે યશસ્વી જયસ્વાલ T20 વર્લ્ડ કપની દોડમાંથી બહાર માનવામાં આવે છે. આ ખેલાડી છેલ્લી ઘણી શ્રેણીઓથી T20 ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. આશ્ચર્યજનક રીતે, T20 માં યશસ્વીના પ્રભાવશાળી પ્રદર્શન છતાં, તેને અચાનક T20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. તેની જગ્યાએ, શુભમન ગિલ, જે ટીમનો ઉપ-કેપ્ટન પણ છે, હવે ઇનિંગની શરૂઆત કરી રહ્યો છે.

ઇમરાન ખાનને ‘ડેથ સેલ’માં કરવામાં આવી રહ્યા છે ટોર્ચર!

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલની અંદર ‘ડેથ સેલ’માં માનસિક યાતનાઓ આપવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યોં છે. તેમના પુત્રોએ આ દાવો કરતાં ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે કદાચ તેઓ પોતાના પિતાને ફરી ક્યારેય ન જોઈ શકે. ભ્રષ્ટાચારના આરોપોમાં ઇમરાન ખાન ઓગસ્ટ, 2023થી જેલમાં બંધ છે.

કાસિમ અને સુલેમાન ખાનના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે તેઓ બે વર્ષથી વધુ સમયથી એકાંત કેદમાં છે. જેલની પરિસ્થિતિઓ અત્યંત દયનીય છે. તેમને સંપૂર્ણપણે અલગ રાખવામાં આવ્યા છે અને કોઈને મળવાની પરવાનગી નથી. હવે અમને ડર લાગી રહ્યો છે કે કદાચ અમે તેમને ફરી ક્યારેય નહીં જોઈ શકીએ. ઇમરાન ખાનના બંને પુત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા મહિનાઓથી તેમનો પિતા સાથે કોઈ સંપર્ક નથી થયો. તેમનો દાવો છે કે પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ થતી જઈ રહી છે.

તેમણે કહ્યું હતું કે તેમને ગંદું પાણી આપવામાં આવે છે. તેઓ એવા કેદીઓની વચ્ચે રાખવામાં આવ્યા છે, જે હેપેટાઇટિસથી મરી રહ્યા છે. હાલ આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી. અમે આશા રાખી રહ્યા છીએ, પરંતુ હાલ પરિસ્થિતિ વધુ બગડતી જઈ રહી છે.

પુત્રોએ આગળ ઉમેર્યું હતું કે આમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો નજરે નથી પડતો.  હવે અમને ભય છે કે કદાચ અમે તેમને ફરી ક્યારેય ન જોઈ શકીએ. ઇમરાન ખાનના નાના પુત્ર કાસિમના જણાવ્યાનુસાર પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ (PTI)ના સ્થાપકને “માનસિક યાતના” આપવામાં આવી રહી છે, કારણ કે જેલના રક્ષકોને પણ તેમની સાથે વાત કરવાની મંજૂરી નથી. મોટા પુત્રે દાવો કર્યો હતો કે તેમના પિતા કથિત રીતે દિવસમાં 23 કલાક એવી કોટડીમાં વિતાવે છે, જેને તેમણે “મોતની કોઠરી” એટલે કે ‘ડેથ સેલ’ ગણાવી છે.