શું ડીકે શિવકુમારને મળશે કર્ણાટકની કમાન કે સિદ્ધારમૈયા રહેશે કેપ્ટન?

નવી દિલ્હી: સિદ્ધારમૈયા અને ડી. કે. શિવકુમાર  વચ્ચે ચાલી રહેલા નેતૃત્વ વિવાદને લઈને હવે કોંગ્રેસ હાઈકમાન્ડ સક્રિય બન્યું છે. કેરળમાં સરકાર બન્યા બાદ મુખ્ય મંત્રીની પસંદગીનો મુદ્દો શાંત થયો હતો, પરંતુ હવે કર્ણાટકમાં નેતૃત્વને લઈને ફરી આંતરિક ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંને નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે, જ્યાં તેઓ આજે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક કરશે.

 દિલ્હીમાં થશે કર્ણાટક વિવાદનો ઉકેલ

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનને લઈને ઊભી થયેલી અનિશ્ચિતતા પર આજે દિલ્હીના ઇંદિરા ભવનમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે. સવારે 11 વાગ્યે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે, સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર સાથે ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ બંને નેતાઓ સાથે પહેલા અલગ-અલગ અને પછી સંયુક્ત બેઠક થશે.

 CM અને ડેપ્યુટી CMનાં નિવેદનો

77 વર્ષીય મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે મને દિલ્હી બોલાવવામાં આવ્યો છે, પરંતુ ચર્ચાનો વિષય શો છે તેની મને જાણ નથી. તેમણે કહ્યું હતું કે તેમની બેઠક મંગળવારે સવારે 11 વાગ્યે નક્કી કરવામાં આવી છે. એ સાથે જ તેમણે ઉમેર્યું કે રાજકીય અટકળો તો ચાલતી જ રહેતી હોય છે.

બીજી તરફ, કોંગ્રેસના નેતા અને ઉપ મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારને શરૂઆતમાં આ બેઠક માટે સત્તાવાર આમંત્રણ મળ્યું ન હતું. તેમણે અગાઉ કહ્યું હતું કે હાઈકમાન્ડ બોલાવશે તો હું દિલ્હી જઈશ. મુખ્ય મંત્રી બદલાવ અંગે ટિપ્પણી કરવી મારું કામ નથી. જોકે બાદમાં તેઓ પણ મોડી સાંજે દિલ્હી પહોંચી ગયા હતા, જેના કારણે રાજકીય ગરમાવો વધુ વધી ગયો છે.

 સિદ્ધારમૈયાએ રચ્યો ઇતિહાસ

આ જ વર્ષના જાન્યુઆરીમાં સિદ્ધારમૈયાએ કર્ણાટકના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્ય મંત્રી બનીને ઇતિહાસ રચ્યો હતો.

 વિવાદ ક્યારે શરૂ થયો?

આ નેતૃત્વ વિવાદ ગયા વર્ષના નવેમ્બરમાં શરૂ થયો હતો, જ્યારે કોંગ્રેસ સરકારને રાજ્યમાં અઢી વર્ષ પૂર્ણ થયા હતા. ડી.કે. શિવકુમારના સમર્થકોએ 2023માં સરકાર રચાઈ ત્યારે થયેલા પાવર-શેરિંગ ફોર્મ્યુલાની યાદ અપાવી હતી, જેમાં નેતૃત્વ બદલાવ અંગે કથિત સમજૂતી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.