વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

અમદાવાદ: 11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસની રાજ્યકક્ષાની ઉજવણી 21મી જૂન 2025, શનિવારના રોજ વડનગરમાં કરવામાં આવશે. આ વર્ષે “યોગ ફોર વન  અર્થ-વન હેલ્થ”ની થીમ પર યોગદિવસની ઉજવણી સાથે સમગ્ર ગુજરાતમાં “સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાત”નો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે. વડનગરના તાના-રીરી ગાર્ડનમાં રાજ્ય કક્ષાની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને અન્ય અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જયારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ સાધનામાં વિશાખાપટ્ટ્નમથી જોડાશે.સમગ્ર રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસને વ્યાપક જનભાગીદારીથી ઉજવવાનું વિસ્તૃત કાર્ય આયોજન રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા રાજ્ય યોગ બોર્ડના સહયોગથી હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્ય ભરમાંથી અંદાજે ૧ કરોડ ૫૦ લાખથી વધુ નાગરિકોની સહભાગીતાથી યોગ દિવસ ઉજવવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે. આ ઉપરાંત રાજ્યની ૧૮,૨૨૬ ગ્રામ પંચાયતો અને ૨૫૧ તાલુકા પંચાયતો ખાતે પણ યોગ દિવસની ઉજવણીમાં અંદાજે ૧૦.૪૦ લાખ લોકોને જોડવાનું આયોજન છે. રાજ્યભરમાં યોગ પ્રત્યેનું પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થાય અને વધુને વધુ લોકો ૨૧મી જૂને યોગ દિવસમાં જોડાય તે હેતુથી૧૫ થી ૨૦ જૂન દરમિયાન દરેક જિલ્લામાં કોમનયોગ પ્રોટોકોલના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.

એટલું જ નહીં, પોલીસ તંત્ર દ્વારા યોગ રેલી અને યોગ સત્રનું આયોજન, ગ્રામસભાઓના આયોજનથી ગ્રામીણ સ્તરે પણ યોગનો પ્રચાર, નગરપાલિકા-મહાનગરપાલિકા કક્ષાએ વોર્ડ તેમજ બગીચા અને જાહેર સ્થળોએ આવા કોમન યોગ પ્રોટોકોલ કાર્યક્રમો પાર પાડવામાં આવ્યા છે. રાજ્યના જિલ્લા મથકો, નગરો-મહાનગરોમાં સ્થાનિક આઇકોનિક સ્થળો પસંદ કરીને યોગ કાર્યક્રમ યોજવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે.વડનગરમાં શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મહાદેવ મંદિર, તાના-રીરી ગાર્ડન, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ, વડનગર રેલ્વે સ્ટેશન તથા વડનગર મ્યુઝિયમ, પ્રેરણા સ્ટ્રીટ, વોચ ટાવર, હાથી દેરાસર અને બી.એન.શાહ હાઈસ્કૂલ એમ 11 આઇકોનિક સ્થળો પર યોગ અને સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોગ દિવસ કાઉન્ટડાઉન રૂપે યોજવામાં આવ્યા હતા.વર્ષે શાળા કોલેજોના છાત્રો આ યોગ દિવસે ઉત્સાહપૂર્વક સહભાગી થાય તે માટે ૪૫ હજાર પ્રાથમિક શાળાઓ, ૧૨,૫૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ૨૬૦૦ કોલેજ અને ૩ યુનિવર્સિટી મળી ૬૦,૧૦૦ સ્થળોએ શિક્ષકો-વિદ્યાર્થીઓ મળીને અંદાજે ૫.૭૩ લાખ લોકો યોગમય બનશે. ઉપરાંત રાજ્યની ૨૮૭ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ૧૪૭૭ પી.એચ.સી., ૬૫૦૦ વેલનેસ સેન્ટર્સ, ૩૦ જેલ, ૩૩ પોલીસ હેડક્વાટર્સ અને ૧૧૫૨ પોલીસ મથકો ખાતે પણ યોગ દિવસ ઉજવવામાં આવશે. રાજ્યમાં ૧૦૦ જેટલા અમૃત સરોવરના સ્થળોએ પણ સામુહિક યોગ કાર્યક્રમ યોજાશે. આ વર્ષે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસના ઉપલક્ષમાં વડનગરના તાના-રીરી ગાર્ડન ખાતે ભુજંગાસનમાં નવો વર્લ્ડ રેકર્ડ પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય ગુજરાતે રાખ્યુ છે.