ટ્રમ્પ ભારતને ધમકાવી નથી શકતાઃ NSA અજિત ડોભાલેએ સ્પષ્ટ સંભળાવ્યું

નવી દિલ્હીઃ ટ્રમ્પ ભારતને ધમકાવી નથી શકતા એમ NSA અજિત ડોભાલેએ રુબિયોને સ્પષ્ટ સંભળાવ્યું હતું.  ટેરિફ મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને કહ્યું હતું કે ભારત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી ડરશે નહીં. તેમણે એમ પણ જણાવ્યું હતું કે જરૂર પડશે તો ભારત ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી રાહ જોવા તૈયાર છે. ડોભાલે સ્પષ્ટ કર્યું હતું કે ભારત કોઈ પણ પ્રકારના દબાણમાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે ભારત અમેરિકા સાથે ચાલી રહેલી કડવાશને વહેલી તકે સમાપ્ત કરવા ઈચ્છે છે, એમ બ્લુમબર્ગનો અહેવાલ કહે છે.

ડોભાલે આ સંદેશ સપ્ટેમ્બરની શરૂઆતમાં વોશિંગ્ટનની મુલાકાત દરમિયાન આપ્યો હતો. તે સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. NSAની આ મુલાકાતનો હેતુ નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે વધતા તણાવને ઓછો કરવાનો હતો.

ભારત સરકારે અમેરિકા સાથે બગડતા સંબંધોને સંભાળવા માટે NSAને વોશિંગ્ટન મોકલ્યા હતા. ત્યાં તેમણે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરી. નવી દિલ્હીના સંબંધિત અધિકારીઓએ બ્લુમબર્ગને જણાવ્યું કે અજિત ડોભાલ રુબિયો માટે ખાસ સંદેશ લઈને અમેરિકા ગયા હતા. તેમણે કહ્યું હતું કે ભારત જૂની કડવાશને પાછળ મૂકી ટ્રેડ ડીલ અંગે ફરીથી વાતચીત શરૂ કરવા માગે છે. બેઠક દરમિયાન ડોભાલે રુબિયોને કહ્યું હતું કે ભારત ટ્રમ્પ અથવા તેમના વરિષ્ઠ સહયોગીઓના દબાણમાં નહીં આવે. નવી દિલ્હીએ અગાઉ પણ મુશ્કેલ અમેરિકી પ્રશાસનો સાથે કામ કર્યું છે.

આ ચર્ચા તે સમયે થઈ હતી જ્યારે બંને દેશોના સંબંધો ખૂબ ખરાબ સ્થિતિમાં હતા. ઓગસ્ટમાં ટ્રમ્પે ભારતીય માલ પર 50 ટકા ટેરિફ લગાવ્યો હતો. એ સાથે જ તેમની વેપાર નીતિઓ અને રશિયન તેલ ખરીદવા અંગે ભારતની જાહેરમાં ટીકા કરી હતી. ડોભાલની દખલથી પરિસ્થિતિમાં અસર પડી.

16 સપ્ટેમ્બરે ટ્રમ્પે વડાપ્રધાન મોદીને તેમના જન્મદિવસે ફોન કરીને “શાનદાર કામ” માટે અભિનંદન આપ્યા હતા. વર્ષના અંત સુધી બંને નેતાઓ વચ્ચે વધુ ચાર વાર વાતચીત થઈ. ત્યાર બાદ બંને પક્ષો ધીમે-ધીમે વેપાર સમજૂતી તરફ આગળ વધ્યા હતા.