નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એવી અફવાઓ ફેલાઈ રહી છે કે દેશમાં ફરી લોકડાઉન લાગવાનું છે. જોકે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે સરકારની આવી કોઈ યોજના નથી. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ X પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે વૈશ્વિક પરિસ્થિતિ હજુ અનિશ્ચિત છે અને ઊર્જા, સપ્લાય ચેઇન તથા આવશ્યક વસ્તુઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દેશભરમાં ઈંધણ, ઊર્જા અને અન્ય જરૂરી વસ્તુઓના સપ્લાયમાં કોઈ અવરોધ ન આવે તેની ખાતરી કરી રહી છે.
આ પોસ્ટમાં જણાવાયું હતું કે દરેક સંભવિત પડકારનો સામનો કરવા માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતે અગાઉ પણ પોતાની મજબૂતી સાબિત કરી છે અને આગળ પણ સમયસર સક્રિય તથા સંકલિત પગલાં લેવામાં આવશે. લોકડાઉન અંગે ફેલાતી અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે. હું સ્પષ્ટ કરું છું કે સરકારના સ્તરે એવો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી. આવી પરિસ્થિતિમાં શાંતિ, જવાબદારી અને એકતા જાળવવી જરૂરી છે. અફવા ફેલાવવી અને અનાવશ્યક ભયનું વાતાવરણ બનાવવું ગેરજવાબદાર અને હાનિકારક છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને પણ લોકડાઉન અંગેની ખબરને અફવા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે હું લોકોને વિશ્વાસ અપાવું છું કે કોઈ લોકડાઉન લાગવાનું નથી. કેટલાક નેતાઓ લોકડાઉન લાગશે અને ઈંધણની અછત પડશે એવી વાતો કરી રહ્યા છે, જે સંપૂર્ણપણે બિનઆધારિત છે. રાજકીય ક્ષેત્રના લોકો દ્વારા આવી ટિપ્પણીઓ ચિંતાજનક છે. કોરોના દરમિયાન જેવો લોકડાઉન લાગ્યું હતું, એવું કોઈ લોકડાઉન નહીં લાગે.
The global situation remains in flux, and we are closely monitoring developments across energy, supply chains, and essential commodities on a real-time basis.
Under the leadership of Hon’ble PM @narendramodi Ji, all necessary steps are being taken to ensure uninterrupted…
— Hardeep Singh Puri (@HardeepSPuri) March 27, 2026
આ દરમિયાન પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ દેશમાં સંભવિત લોકડાઉન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ચૂંટણીના માહોલ વચ્ચે તેમણે જણાવ્યું હતું કે સંભવિત લોકડાઉનનો ભય તેમને અથવા તેમની પાર્ટીને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે લડવાથી રોકી શકશે નહીં. તેમના નિવેદન બાદ સોશિયલ મિડિયા પર લોકડાઉન સંબંધિત અફવાઓ ઝડપથી ફેલાઈ હતી અને સામાન્ય લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. જોકે કેન્દ્ર સરકારે હવે સ્પષ્ટ કરી દીધું છે કે આવું કંઈ પણ કરવામાં આવવાનું નથી.




