નવી દિલ્હીઃ દિલજિત દોસાંઝની ફિલ્મ સતલુજ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તે પંજાબના મુશ્કેલ ભૂતકાળને ઉજાગર કરતી ફિલ્મ બનશે. જોકે હવે આ ફિલ્મ રાજ્યમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં નવા રાજકીય વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. ફિલ્મે અલગાવવાદી ઉગ્રવાદના રાજકારણને ફરી ચૂંટણીના ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે. દરેક રાજકીય પક્ષ હવે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે કે ફિલ્મ સાથે જોડાયેલી યાદો તેમના પક્ષમાં કામ કરે.
જોકે પંજાબમાં કોઈ પણ રાજકીય પક્ષે ફિલ્મનો વિરોધ કર્યો નથી. 2022માં પૂર્ણ થયેલી આ ફિલ્મ લાંબા સમય સુધી સિનેમાઘરોમાં રિલીઝ થઈ નહોતી અને તાજેતરમાં એક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવે તે પહેલાં માત્ર 48 કલાક માટે ઉપલબ્ધ રહી હતી. અનેક રાજકીય નેતાઓએ ફિલ્મ અંગે જાહેરમાં નિવેદન આપતી વખતે સાવચેતી રાખી છે.
રાજકીય પક્ષો સામે મુશ્કેલ પડકાર
સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP)થી લઈને વિપક્ષી કોંગ્રેસ, શિરોમણિ અકાલી દળ (SAD) અને BJP સુધી, દરેક પક્ષ પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. કારણ કે ચર્ચા હવે ફિલ્મથી આગળ વધીને તેની આસપાસના રાજકારણ સુધી પહોંચી ગયો છે. આ વિવાદે અનેક શીખ પરિવારોની દુઃખદ યાદોને ફરી તાજી કરી છે. એ સાથે જ એવા સમયે નવું રાજકીય મંથન પણ શરૂ કર્યું છે જ્યારે પક્ષો વિધાનસભા ચૂંટણી માટે પોતાની વ્યૂહરચના ઘડી રહ્યા છે.
ફિલ્મે પંજાબમાં ભાવનાત્મક માહોલ ઊભો કર્યો
ખાલિસ્તાન ઉગ્રવાદના સમયગાળા અને નિર્દોષ શીખ યુવાનોનાં કથિત નકલી એન્કાઉન્ટરો પર આધારિત આ ફિલ્મે પંજાબમાં ભાવનાત્મક વાતાવરણ ઊભું કર્યું છે.

AAPએ કોંગ્રેસ અને અકાલી દળને નિશાન બનાવ્યા
સત્તારૂઢ AAP માટે આ ફિલ્મ કોંગ્રેસ અને અકાલી દળ બંને પર હુમલો કરવાનો વધુ એક અવસર બની છે. રાજ્યના નાણાં મંત્રી હરપાલ સિંહ ચીમાએ કહ્યું હતું કે ફિલ્મે બંને પક્ષોની હકીકત બહાર લાવી છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અનેક નિર્દોષ યુવાનોના મોત માટે જવાબદાર હતી. SAD અને BJP અનેક વખત પંજાબમાં સત્તામાં આવ્યા, પરંતુ તેમણે માત્ર એવા પોલીસ અધિકારીઓને પ્રમોશન આપ્યા જેઓ નિર્દોષ યુવાનોની નિર્દયી હત્યાઓ માટે જવાબદાર હતા. તેઓ જવાબદાર છે. પંજાબના લોકોએ તેમને પૂછવું જોઈએ કે તેમણે શું કર્યું છે. આ પંજાબના યુવાનોનો નરસંહાર હતો.




