કર્ણાટક સરકારે ગૂટખા, પાન-મસાલાના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

બેંગલુરુઃ કર્ણાટક સરકારે રાજ્યમાં એક વર્ષ માટે ગૂટકા, પાન-મસાલા અને કેટલાંક અન્ય તમાકુ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. અહેવાલ અનુસાર કર્ણાટક સરકારે જનહિતમાં રાજ્યમાં એક વર્ષ માટે તમાકુ અને નિકોટિનયુક્ત ઉત્પાદનોના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે આ આદેશમાં આ ઉત્પાદનોના સેવન પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. હાલમાં કર્ણાટકના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન વિભાગનું ફૂડ સેફ્ટી ડિવિઝન ગૂટકા, પાન-મસાલા તથા તમાકુ અથવા નિકોટિન ધરાવતાં અન્ય પ્રતિબંધિત ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ સામે કાર્યવાહી કરી રહ્યું છે. ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓના નેતૃત્વમાં કર્ણાટકમાં વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યાં છે.

નોટિફિકેશન જાહેર થયાની તારીખથી આ પ્રતિબંધ આગામી એક વર્ષ સુધી કર્ણાટકમાં લાગુ રહેશે. આ અંતર્ગત તમાકુ અને/અથવા નિકોટિન ધરાવતા ગૂટકા, પાન-મસાલા તથા અન્ય પ્રતિબંધિત ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ રહેશે.

કર્ણાટક સરકારનું ખાસ અભિયાન

કર્ણાટક સરકારે ફૂડ સેફ્ટી અધિકારીઓના નેતૃત્વમાં વિશેષ તપાસ અને અમલીકરણ અભિયાન પણ શરૂ કર્યું છે. અધિકારીઓની ટીમો પ્રતિબંધિત તમાકુ અને નિકોટિન ઉત્પાદનોના વેચાણ તથા વિતરણ પર નજર રાખશે અને નિયમોનું ઉલ્લંઘન જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. વિભાગે આ આદેશ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006ની કલમ 30 (2) (a) અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પ્રોહિબિશન એન્ડ રિસ્ટ્રિક્શન ઓન સેલ્સ) રેગ્યુલેશન્સ, 2011ના રેગ્યુલેશન 2.3.4 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને જાહેર કર્યો છે.

કર્ણાટક સરકારની લોકોને અપીલ

કર્ણાટકના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન વિભાગે લોકોને પણ અપીલ કરી છે કે જો ક્યાંય પ્રતિબંધિત તમાકુ અથવા નિકોટિન ઉત્પાદનોનું ઉત્પાદન, વેચાણ કે વિતરણ થતું હોવાનું જાણવા મળે તો સંબંધિત અધિકારીઓને તેની જાણ કરવામાં આવે.સરકારનું કહેવું છે કે આ પગલાનો હેતુ રાજ્યમાં તમાકુની લત પર અંકુશ લાવવાનો અને સ્વસ્થ તથા નશામુક્ત કર્ણાટકના નિર્માણ તરફ આગળ વધવાનો છે. સરકારના જણાવ્યાઅનુસાર આ નિર્ણય નશામુક્ત અને સ્વસ્થ કર્ણાટક તરફનું મહત્વપૂર્ણ પગલું છે.