મુર્શિદાબાદની હિંસા માટે TMC સરકારની નિર્મમતા જવાબદારઃ PM મોદી

કોલકાતાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં પહોંચ્યા હતા. અહીં તેમણે એક જનસભા દરમિયાન રાજ્યની TMC સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. PM મોદીએ થોડા સમય પહેલા મુર્શિદાબાદમાં થયેલી હિંસક ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ત્યાં ઘર સળગતા રહ્યા અને પોલીસ તમાશો જોતી હતી.

તેમણે કહ્યું હતું કે મુર્શિદાબાદ અને માલદામાં જે કંઈ બન્યું, તે TMC સરકારની નિર્મમતા દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે હવે બંગાળના લોકોને TMC સરકારની વ્યવસ્થામાં કોઈ વિશ્વાસ રહ્યો નથી. અહીંના લોકોને હવે માત્ર કોર્ટથી જ ન્યાયની આશા છે. એટલે આખું બંગાળ કહી રહ્યું છે बंगाल में मची चीख-पुकार, नहीं चाहिए निर्मम सरकार!

તેમણે કહ્યું હતું કે 21મી સદીમાં ભારત નવી શક્તિ સાથે સમૃદ્ધિનું નવું અધ્યાય લખી રહ્યું છે. આજે દેશનો દરેક નાગરિક ભારતને વિકાસશીલ બનાવવામાં વ્યસ્ત છે. વિકાસશીલ ભારત માટે પશ્ચિમ બંગાળનો વિકાસ પણ જરૂરી છે. તેથી પશ્ચિમ બંગાળે નવી ઊર્જા સાથે આગળ વધવું પડશે.

તેમણે કહ્યું હતું કે બંગાળે ફરી તે ભૂમિકા નિભાવવી પડશે, જે તેની ઓળખ હતી. એ માટે જરૂરી છે કે બંગાળ ફરીથી જ્ઞાન અને વિજ્ઞાનનું કેન્દ્ર બને. બંગાળ “મેક ઇન ઈન્ડિયા”નું મોટું હબ બને. બંગાળે પોતાની વારસાને ગૌરવ સાથે સંભાળીને આગળ વધવું જોઈએ.

PM મોદીએ દાવો કર્યો કે આજે પશ્ચિમ બંગાળ એકસાથે અનેક સંકટોનો સામનો કરી રહ્યું છે. તેમણે સભામાં કહ્યું હતું કે આજકાલ દેશભરમાં 70 વર્ષથી ઉપરના વૃદ્ધોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવી રહી છે. હું ઈચ્છું છું કે પશ્ચિમ બંગાળમાં પણ 70 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને મફત ઈલાજ મળે, પણ TMC સરકાર એ કરવાની મંજૂરી નથી આપતી.