પંતને ટેસ્ટ-ટીમના નેતૃત્વ માટે તૈયાર-કરવો જોઈએઃ યુવરાજસિંહ

ચંડીગઢઃ ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજસિંહે રાષ્ટ્રીય ટીમના પસંદગીકારોને અનુરોધ કર્યો છે કે તેઓ આઈપીએલની દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન અને વિકેટકીપર રિષભ પંતને રાષ્ટ્રીય ટીમનો વાઈસ-કેપ્ટન બનાવે. ભારતીય ક્રિકેટ ટીમનો હાલ વાઈસ-કેપ્ટન છે કે.એલ. રાહુલ, જે આઈપીએલ-2022માં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમનો કેપ્ટન છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે રોહિત શર્મા, જે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન છે.

એક મુલાકાતમાં, યુવરાજસિંહે કહ્યું કે પંતને રાષ્ટ્રીય ટીમના કેપ્ટનપદ માટે તૈયાર કરવો જોઈએ. નજીકના ભવિષ્યમાં ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવા માટે પંત યોગ્ય ખેલાડી છે. તાજેતરના વર્ષોમાં એની રમત વિકસીત થયેલી જોવા મળી છે. તમારે કોઈકને તૈયાર કરવો જ જોઈએ. વિકેટકીપર કાયમ સારો વિચારશીલ હોય છે, કારણ કે મેદાન પર શ્રેષ્ઠ વ્યૂ એને જોવા મળતો હોય છે.