અમદાવાદ: શહેરના જગન્નાથ મંદિર પરિસરમાં અષાઢી બીજે નીકળનારી 148મી રથયાત્રા પૂર્વે ઉત્સવનો માહોલ છે. મુખ્ય મંદિર પરિસરની સામે સંપૂર્ણ પણે તૈયાર થયેલા ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન થઈ ગયું છે.ભગવાન જગન્નાથ, સુભદ્રાજી, બલરામજીના રથ વાજતે ગાજતે, ભજન કીર્તન સાથે મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવ્યા. મંદિરમાં રથ આવ્યા એ વખતે ભક્તો એ ઉમળકાભેર વિવિધ દેવી દેવતાઓની વેશભૂષા ધારણ કરી હતી.
રથના આગમન પછી પરિસરમાં ભક્તોના જુદા-જુદા ગ્રુપ ભજન કીર્તનમાં જોડાયા.
હાથીનો શણગાર શરૂ
ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે પહેલાં શણગારેલા ગજરાજની સવારી પસાર થાય છે. જગન્નાથ મંદિરના મુખ્ય પરિસરની સામેની ખુલ્લી જગ્યામાં રથયાત્રા પૂર્વે ગજરાજના સમુહને જુદી જુદી ડિઝાઈનથી શણગારવામાં આવી રહ્યા છે.
મહાવતની સાથે આ હાથી પર વિવિધ રંગો ડિઝાઈન સાથે સુંદર બનાવવા ભાવિક ભક્તો પણ સેવાનો લાભ લઈ રહ્યા છે.જગન્નાથ મંદિર અને આસપાસના સંકુલમાં ઉત્સવનો માહોલ છે.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)
