PM મોદીએ મણિપુરને આપી રૂ. 7300 કરોડની ભેટ

ઇમ્ફાલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2023ની મણિપુર હિંસા પછી સૌપ્રથમ વાર ત્યાં પહોંચ્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન તેમણે અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. તેમણે ચૂડાચાંદપુરમાં રૂ. 7300 કરોડથી વધુનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. આ યોજનાઓમાં રસ્તા અને શહેરી માળખાકીય સુવિધાઓ સાથે શિક્ષણ, આરોગ્ય અને ડિજિટલ સેવાઓને મજબૂત કરવાનો સમાવેશ થાય છે.

હિંસાથી પ્રભાવિત પરિવારો સાથે મુલાકાત

મણિપુરના ચૂડાચાંદપુરમાં વડા પ્રધાન મોદીએ સ્થળાંતરિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. મણિપુરમાં થયેલી હિંસામાં ચૂડાચાંદપુર સૌથી વધુ પ્રભાવિત થયું હતું. તેમણે કહ્યું હતું કે હું મણિપુરના લોકોની સ્પિરિટને સલામ કરું છું. અહીંની સંસ્કૃતિમાં અપરંપાર શક્તિ છે. વડા પ્રધાન મોદી 13થી 15 સપ્ટેમ્બર સુધી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે છે.

રાજ્યને રૂ. 7300 કરોડની યોજનાઓની ભેટ

શનિવારે ચૂડાચાંદપુરમાં મોદીએ રૂ. 7300 કરોડથી વધુનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. આ યોજનાઓમાં સૌથી મોટી યોજના રૂ. 3,647 કરોડની મણિપુર શહેરી માર્ગ, ડ્રેનેજ અને પ્રોપર્ટી મેનેજમેન્ટ સુધાર યોજના છે. એ ઉપરાંત વડા પ્રધાને રૂ. 550 કરોડની મણિપુર ઇન્ફોટેક ડેવલપમેન્ટ (MIND) યોજના જાહેર કરી છે. એ સાથે જ રૂ. 142 કરોડથી નવ વર્કિંગ વુમન હોસ્ટેલ્સ અને રૂ. 105 કરોડમાં સુપર સ્પેશિયાલિટી હેલ્થ સર્વિસ સ્થાપવાની પણ જાહેરાત કરી.

અન્ય યોજનાઓમાં રૂ. 2,500 કરોડથી વધુના ખર્ચે પાંચ રાષ્ટ્રીય હાઇવે ખંડોના વિસ્તરણ અને પોલો ગ્રાઉન્ડ તથા આસપાસના વિસ્તારોમાં રૂ. 30 કરોડથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. એ ઉપરાંત રૂ. 134 કરોડથી 16 જિલ્લાની 120 શાળાઓને મજબૂત કરવામાં આવશે અને રૂ. 102 કરોડ ગ્રામ્ય સંપર્ક, શિક્ષણ અને પર્યટન યોજનાઓ પર ખર્ચાશે. ઇમ્ફાલના ખુમાન લમ્પક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં  રૂ. 36 કરોડથી નવું મલ્ટીપર્પઝ ઈન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવશે, જ્યારે તેંગનૌપાલમાં રાષ્ટ્રીય હાઇવે 102Aના અપગ્રેડેશન પર રૂ. 502 કરોડનો ખર્ચ થશે.