સરકારી નાણાંથી બાબરી મસ્જિદ બનાવવા માગતા હતા નેહરુઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ સાચા અર્થમાં એક ધાર્મિક નિષ્પક્ષ નેતા હતા, જેઓ તુષ્ટીકરણના રાજકારણમાં વિશ્વાસ નહોતા રાખતા, પણ ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહેરુએ સરકારી ખજાનામાંથી બાબરી મસ્જિદના નિર્માણનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારે આ માટે સરકારી પૈસા વાપરવાનો વિરોધ કરનાર વ્યક્તિ સરદાર પટેલ હતા, એમ તેમણે જણાવ્યું હતું.

સરકારી પૈસાથી બાબરી મસ્જિદ નહીં બનવા દીધી – રાજનાથ સિંહ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પંડિત જવાહરલાલ નેહરુ બાબરી મસ્જિદને મુદ્દે સરકારી ખજાનામાંથી ખર્ચ કરવાની વાત કરતા હતા, જ્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે તેનો વિરોધ કોણે કર્યો હતો? એ ગુજરાતના લાડલા સરદાર વલ્લભભાઈ પટેલે જ કર્યો હતો. અને તે સમયે સરકારી પૈસાથી બાબરી મસ્જિદ બનવા નહોતી દીધી.

નેહરુએ સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે સરદાર પટેલે શાંત પરંતુ દૃઢ સ્વરે સ્પષ્ટ કર્યું હતું કે સોમનાથ મંદિરનો મામલો અલગ છે. જનતાએ લાખો રૂપિયા દાન આપ્યા છે. એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે અને આ યોજનામાં સરકારનો એક પણ પૈસો ખર્ચાયો નથી. આ ટ્રસ્ટની સ્થાપના પણ સરદાર પટેલે જ કરી હતી.

રામ મંદિરના નિર્માણમાં સરકારી ખજાનાનો પૈસો નહીં – રાજનાથ સિંહ

સિંહે કહ્યું કે અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણમાં સરકારી ખજાનામાંથી એક પણ રૂપિયા ખર્ચાયા નથી. “જો કોઈએ (રામ મંદિરનો) આખો ખર્ચ ઉઠાવ્યો હોય તો તે દેશની જનતા છે. એ જ સાચી ધાર્મિક નિષ્પક્ષતાની વ્યાખ્યા છે.

નેહરુએ સરદાર પટેલના સ્મારકના નિર્માણનો પણ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમના (પટેલના) અવસાન પછી જનતાએ સ્મારક માટે દાન એકત્ર કર્યું હતું. પરંતુ જ્યારે આ વાત નહેરુ સુધી પહોંચી, ત્યારે તેમણે શું કહ્યું? તેમણે કહ્યું કે સરદાર પટેલ ખેડૂતોના નેતા હતા, તેથી આ રકમ ગામોમાં કૂવા અને રસ્તાઓ બનાવવા માટે વાપરવી જોઈએ. પરંતુ કૂવા અને રસ્તાઓ બનાવવાની જવાબદારી તો સરકારની છે.