અનામતને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ગરમાયું રાજકારણ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગત શુક્રવારના રોજ નોકરી અને પ્રમોશનમાં આરક્ષણ પર નિર્ણય સંભળાવતા કહ્યું કે, સરકારી નોકરીઓમાં અનામત મૌલિક અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વપૂર્ણ નિર્ણયમાં આ વાતનો ઉલ્લેખ કર્યો કે, સરકારી નોકરીઓમાં પ્રમોશન માટે કોટા અને અનામત કોઈ મૌલિક અધિકાર નથી. કોર્ટે કહ્યું કે, રાજ્યોને કોટા પ્રદાન કરવા માટે મજબૂર ન કરી શકાય અને રાજ્યોને સાર્વનિક સેવામાં કેટલાક સમુદાયોના પ્રતિનિધિત્વમાં અસંતુલ દર્શાવ્યા વગર આ પ્રકારના પ્રાવધાન કરવા માટે મજબૂર ન કરી શકાય.

ત્યારે હવે આને લઈને રાજનીતિ પણ ગરમાઈ છે. બિહારના એક નેતાએ અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરીને આ મામલે મોદી સરકારને રોડથી લઈને સંસદ સુધી વિરોધની ચેતવણી આપી છે.

તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું કે, ભાજપ અને એનડીએ સરકાર અનામત ખતમ કરવાના કામમાં શાં માટે લાગી છે? ઉત્તરાખંડની ભાજપ સરકારે અનામત ખતમ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં કેસ લડ્યો હતો. અનામત પ્રાપ્ત કરનારા દલિત અને પછાત વર્ગના આદિવાસીઓ હિંદૂ નથી? ભાજપ આ વંચિત હિંદુઓનું આરક્ષણ શાં માટે છીનવી લેવા માંગે છે.

તેજસ્વીએ કહ્યું કે, એનડીએ સરકારને અમે પડકાર આપીએ છીએ કે, તુરંત જ સુપ્રીમ કોર્ટના આ આદેશ વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરે અથવા તો અનામતને મૂળ અધિકાર બનાવવા માટે વર્તમાન સંસદ સત્રમાં સંવિધાનમાં સંશોધન કરે. જો આવું ન થયું તો રોડથી લઈને સંસદ સુધી વિરોધ થશે.